ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષાવિજ્ઞાન અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષાવિજ્ઞાન અને સાહિત્ય

સૈદ્ધાન્તિક પરિભાષામાં સાહિત્ય અને ભાષાવિજ્ઞાનને સાંકળવાનો પ્રયત્ન કરવાનો આ લેખમાં ઉપક્રમ છે. આ રીતે સાહિત્ય અને ભાષાવિજ્ઞાનને સાંકળવાનું મુખ્ય કારણ એ છે કે ભાષાવિજ્ઞાની સાહિત્યની બાબતમાં કંઈક કહેવાની સ્થિતિમાં છે. કોઈ પણ સાહિત્યિક કે બિનસાહિત્યિક કૃતિપાઠ (ટેકસ્ટ)ને મૂલવવાનો પ્રશ્ન જ્યારે ઊભો થાય ત્યારે સાહિત્યવિવેચક અને ભાષાવિજ્ઞાની તેને કેવી રીતે મૂલવે છે તે નોંધવું જોઈએ. ભાષાવિજ્ઞાની તેની ટેકનિકની બહાર જઈને આ બાબતમાં વિવેચકને સહકાર આપી શકતો નથી. તે વ્યાકરણની કે શબ્દાર્થ વિજ્ઞાનની ચર્ચા કરે છે. પણ સાહિત્યમાં એવું કેટલુંક હોય છે કે જે તેના ક્ષેત્રની ક્યાંક બહાર હોય છે. દા.ત., લોકસાહિત્યમાં કે નાટકમાં અભિનય, ચેષ્ટાઓ, હેઈ...ઈ...ઈ વગેરે શબ્દો એવાં ઘણાં તત્ત્વો ભળેલાં હોય છે. સાહિત્યને તેની સાથે પણ સંબંધ છે. વળી સાહિત્યમાં વપરાયેલી ભાષા, જે ભાષા સાથે ભાષાવિજ્ઞાની કામ પાડે છે તેના કરતાં, કંઈક જુદી હોવાને કારણે ભાષાવિજ્ઞાની તેને સ્પર્શતો નથી. એ તો કહેવાનો કે અમુક ભાષાકીય ઘટક (લિંગ્વિસ્ટિક આઇટેમ) નામ હોય તો તેને સ્પર્શું પણ એ જ ચીજ જો બિંબ (ઇમેજ) હોય તો મારું કામ નહીં. અલબત્ત, ભાષાવિજ્ઞાનના ક્ષેત્રને સાહિત્યની સીમાઓ સુધી વિસ્તારવાનું કામ ચોમ્સ્કી, જાકોબ્સન, ફર્થ વગેરેએ કર્યું છે. આમ છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે ભાષાવિજ્ઞાન ભાષાનો અભ્યાસ કરે છે છતાં ભાષા જ જેનું માધ્યમ છે તે સાહિત્યની પ્રક્રિયાને વર્ણવી શકતું નથી. સાહિત્યમાં અમુક જ રીતે અવગમન શા માટે સાધવું પડ્યું છે તે વિશે વર્ણન કરવાની કોઈ પરિભાષા ઘડી શકાઈ નથી. સાહિત્યના અભ્યાસનાં કયાં કયાં પાસાં ભાષાવિજ્ઞાનના અભ્યાસમાં મહત્ત્વની ઓરણીરૂપ સામગ્ર (ઇનપુટ) બની શકે એમ છે તે તપાસવું જોઇએ. સાહિત્યની કઈ પ્રવૃત્તિ ભાષાવિજ્ઞાન સાથે સંકળાયેલી છે? ભાષાવિજ્ઞાન સાથે સંકળાયેલી સાહિત્યની આ ઓરણી તરીકે કામ આવતી સમગ્ર સામગ્રીને ચાર વિભાગમાં વિભાજિત કરી શકાય. પહેલું તો ભાષાની વિવિધતાપૂર્ણ સંપૂર્ણ સામગ્રીનું વિભાગીકરણ. ભાષાના વૈવિધ્યનાં, ભૌગોલિક, ધંધાદારી, સામાજિક વગેરે વિવિધ નામો આપવામાં આવે છે. ભાષાવિજ્ઞાનની પાસે ભાષાવૈવિધ્યને વર્ણવવા માટેની આ જૂની પરિભાષા છે. ભાષાવૈવિધ્યને વર્ણવવાના આ બધા પ્રયત્નો ખરેખર તો અર્ધદગ્ધ ગણાય. ભાષાની અમુક પ્રકારની વિવિધતા સાહિત્યમાં અમુક સમયે શા માટે પ્રયોજાય છે, તેનો ખુલાસો આપવાના સાવ ઉપર ઉપરના—છીછરા પ્રયત્નો થાય છે, પણ તેને વર્ણવવા માટેના કોઈ પર્યાપ્ય સિદ્ધાંતો નથી. ભાષાની અમુક જ પ્રકારની વિવિધતાની અમુક સામગ્રીનો આ સંદર્ભમાં ઉપયોગ બંધબેસતો છે કે વધારાનો છે કે માત્ર પોતે એ વૈવિધ્યથી જ્ઞાત છે એવી માહિતી આપવાનો એ ઉપયોગ પાછળ હેતુ છે તે તપાસવું જરૂરી છે. ભાષાવિજ્ઞાન તો આ વિવિધતાઓને આ ક્રીઓલ લૅંગ્વેજ છે. આ પિડજિન લૅંગ્વેજ છે એવી સાદી રીતે વિભાજિત કરે છે. પણ લેખકો કે કવિઓ તેનો શા માટે ઉપયોગ કરે છે, તેની શી જરૂર છે વગેરે વિચારણા, જે ખૂબ ઉપયોગી છે અને જરૂરી છે તેને સ્પર્શતું નથી. ખરેખર તો પ્રાયોગિક ક્ષેત્રે કામ કરવા માટે આ એક અદ્ભુત ક્ષેત્ર છે. ભાષાઉપયોગના જુદા જુદા થર છે એટલે કે જુદા જુદા સ્તર ઉપર ભાષા જુદી જુદી રીતે પ્રયોજાય છે અથવા ઉપયોગમાં લેવાય છે. ભાષાવિવિધતાના વિભાગીકરણની સીમાઓ ઉપરથી આ પ્રયોગોની તપાસ થઈ શકે. જુદા જુદા સંદર્ભમાં શબ્દોના જુદા જુદા અર્થો ભાષાના આ પ્રયોગો સાથે સંબંધ ધરાવે છે. તેને સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક સંદર્ભો એવું નામ આપીને તે સ્તરોને જોવાનો પ્રયત્ન થાય છે પણ આ તો તેના તરફ એક રીતનું વિદગ્ધતાપૂર્ણ ધ્યાન આપ્યું ગણાય. ભાષાના અભ્યાસમાં આ એક મોટી ખાઈ છે. તેના ઉપર ખાસ કામ થયું નથી. ત્રીજી બાબત શૈલીની છે. ભાષાના ઉપયાગમાં જે જે સમરેખ ઉપસ્થિતિઓ(કૉન્ટ્રાસ્ટ્સ) આવશ્યક છે અને જેની વ્યવસ્થા ફરજિયાત છે તેવી વાક્યરચનાઓ અને ભાતો (પેટર્ન્સ)ની તપાસ ઉપર ભાષાવિજ્ઞાન કેન્દ્રિત થયું છે. જે ઘટકો અર્થપૂર્ણ હોય એટલું જ નહીં જે ઘટકોની મેળવણી-ગોઠવણી અને વાક્યમાં અમુક જગ્યાની ઉપસ્થિતિ ફરજિયાત હોય અને જેનાથી અર્થપૂર્ણ વાક્યો બનતાં હોય તેવી ભાતોનો અભ્યાસ કરવામાં આવે છે. પણ ભાષાના વાસ્તવિક વપરાશમાં તો એંસી ટકા વાક્યો ઘટકોના માળખાની વૈકલ્પિક ગોઠવણી ઉપર આધારિત હોય છે. સાહિત્યમાં આવાં વૈકલ્પિક(ઑપ્શનલી ઑર્ગેનાઇઝ) માળખાયુક્ત વાક્યો જ શૈલીને આકાર આપે છે. આ કારણે સાહિત્યમાં આવાં વાક્યો બહુ અગત્યની બાબત છે જેનો અભ્યાસ કરવાની કોઈ ટેકનિક કે તેને વર્ણવવાની કેાઈ પરિભાષા ભાષાવિજ્ઞાનની પાસે નથી. અવગમનના સામર્થ્યની બાબત અને અવગમનના સામર્થ્યની કસોટી કે મૂલ્યાંકન જે મહત્ત્વની બાબતો છે એ માટેનો માપદંડ પણ શોધવાનો રહે છે. અમુક ચોક્કસ સમયે અમુક ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિ જ શા માટે સાધવામાં આવી છે ? અવગમનના સામર્થ્યને કયા શબ્દો એ પ્રકારનો આકાર આપે છે ? આ ચોથી મહત્ત્વની બાબત છે. આ ચારે બાબતમાં સાહિત્યવિવેચક ભાષાવિજ્ઞાન સાથે સંકળાયેલો છે. ‘ભાષાપ્રભુત્વ’ એવું જ્યારે કહીએ છીએ ત્યારે લેખક આ ચારે બાબતમાં સામર્થ્ય ધરાવે છે એવું આપણા મનમાં હોય છે. ભાષાવિજ્ઞાનનો અભ્યાસ અહીં સુધી નથી પહોંચ્યો તેનાં કારણો છે. માણસ ઘણા વિશાળ વ્યાપ ઉપર ધારણા કરી શકે છે. વાક્યની એંસી ટકા ભાતો કાલ્પનિક હોય છે તે આપણે જોયું. બોલનારના અનેક ઇરાદાઓ, હેતુઓ અને ધ્યેયો હોવાને કારણે ભાષા સામાજિક નિયમન હેઠળ હોય છે. ભાષાની આ એંસી ટકા ભાતો વિશે ભાષાવિજ્ઞાને અત્યાર સુધી તદ્દન કંઈ જ કર્યું નથી. વાક્યો એ માનવવર્તણૂકની શરૂઆત હોય છે, અંત નહીં. જ્યાં સુધી વાક્યના વપરાશ પાછળના બોદ્ધિક તરીકાઓ (ઇન્ટલેકચ્યુઅલ ટ્રિક્સ)થી તમે અવગત ન થાઓ ત્યાં સુધી તેના માળખાને પર્યાપ્તરૂપે વર્ણવી શકાવાનું નહીં. ભાષાના અભ્યાસનું આ ગતિશીલ પાસુ` ભાષાવિજ્ઞાનીઓએ ખાસ તપાસ્યું નથી. ભાષાની વિવિધતાપૂર્ણ સામગ્રીને બે વિભાગમાં વહેંચી શકાય : ‘રજિસ્ટર' અને 'નોન-રજિસ્ટર લેન્ગ્વેજ'[1]. રજિસ્ટર લેન્ગ્વેજમાં વર્તમાનપત્રનું લખાણ, સાહિત્યિક લખાણ, કાયદાનું લખાણ, વેપાર- ધંધાનું લખાણ, ખેતીની ભાષા, ટેલિફોન ઑપરેટર, ઍરપોર્ટ અને રેલવે એનાઉન્સરની ભાષા વગેરે ભાષાવિવિધતાઓનો સમાવેશ થાય છે. રજિસ્ટર ભાષાના બે પ્રકાર છે. એક પેરિફરલ રજિરટર અને બીજી સેન્ટ્રલ રજિસ્ટર. પેરિફરલ રજિસ્ટરની એક ખાસ વાક્યગત લાક્ષણિકના એ છે કે તેને વિશે અગાઉથી કોઈ અનુમાન કરી શકાય નહીં. મોટાંઓ બાળકો સાથે જે વાતચીત કરે છે તે ભાષાવૈવિધ્ય એ પેરિફરલ રજિસ્ટરના વર્ગમાં આવે. આને સામે છેડે સેન્ટ્રલ રજિસ્ટરની એક ચોક્કસ માળખાગત વ્યવસ્થા હોય છે. આ પ્રકારના ભાષાવૈવિધ્યની વાક્યરચના અને શબ્દપ્રયોગો એના વર્ગીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેની ભિન્નતાનાં પરિમાણોની શેાધ એ પ્રશ્નોને આધારે થઈ શકે. ભાષાનું વૈવિધ્ય શા માટે વાપરવામાં આવે છે? કઈ રીતે વાપરવામાં આવે છે ? ભાષાનાં આવાં વૈવિધ્યના વપરાશ માટેનું પાયાનું કારણ સમાજની સાંસ્કૃતિક વ્યવસ્થા છે. અલબત્ત, તેની તપાસમાં આપણે ગુસ્સે થઈ વપરાયેલી ભાષા અને દારૂ પીને વપરાયેલી ભાષાના વૈવિધ્યને તપાસવાનો ઇરાદો ધરાવતા નથી અથવા તો પાંચસો રૂપિયા ઉછીના માગતી વખતની ભાષા અને બે રૂપિયા ઉછીના માગતી વખતની ભાષા વચ્ચે શો તકાવત હોય છે, તે તારવવાનો પણ ખ્યાલ નથી. પરંતુ એક જ ભાષા બોલતા સમાજમાં એ જ ભાષાના વપરાશની જે વૈવિધ્યપૂર્ણ નવી નવી ટેકનિકો હોય છે તેની નોંધ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. આ જાતનાં ભાષાવૈવિધ્યમાં શબ્દપ્રયોગો અને એ શબ્દોના સમાસો કેન્દ્રસ્થાને હોય છે. ક્રિકેટની રજિસ્ટર ભાષાનું ઉદાહરણુ આપી શકાય. એ જ રીતે ફિઝિક્સની અને ન્યુક્લિયર ફિઝિક્સની ભાષાનું સમજી શકાય. એવું પણ બને કે ફિઝિક્સ શાખા-પ્રશાખાઓએ પોતપોતાની પરિભાષાનું વૈવિધ્ય ઘડ્યું હોય અને એમ અનેક પ્રકારનું ભાષાવૈવિધ્ય એક જ ભાષાસમાજમાં મળવાનું. આ વૈવિધ્યના વપરાશની પાછળ કોઈ તાર્કિક ભાષાકીય બળ કામ કરતું નથી. પરંતુ બોલનારની સામાજિક પરિસ્થિતિ એમાં મૂળભૂત રીતે જવાબદાર હોય છે. તે ચોક્કસ પ્રકારના ભાષાવૈવિધ્યના વપરાશ પાછળ હેતુઓ, ઇરાદાઓ અને રૂઢિગત પ્રણાલિકા રહેલાં હોય છે, કારણ કે તેના વપરાશનો આધાર કોણ બોલે છે, કોણ સાંભળે છે અને કઈ પરિસ્થિતિ છે, તેના ઉપર રહેલો હોય છે. આ વૈવિધ્યનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે? કાં તો એ વૈધ (ફોર્મલ) હોય છે, કાં તો અવૈધ (ઇન્ફોર્મલ), કાં તો એ એકમાર્ગી(વન-વે) હોય છે, કાં તો દ્વિમાર્ગી (ટૂ-વે), કાં તો એ અલગ સંદર્ભ (સેપરેટ એન્વિરનમેન્ટ)માં બોલાય છે, કાં તો જે સંદર્ભ બોલનાર-સાંભળનાર વચ્ચે સામાન્ય (શેર્ડ) હોય તેવા સંદર્ભમાં વપરાય છે, વળી કાં તો તે વિચારપૂર્વક (કન્સિડર્ડ) ઉચ્ચારાય છે, કાં તો તે પ્રત્યુત્પન્ન (ઇપ્રોમ્પ્ટયુ) હોય છે. વાસ્તવિક વપરાશમાં એમ બને કે તે વૈધ અથવા ઔપચારિક, દ્વિમાર્ગી, અલગ સંદર્ભમાં ઉચ્ચારાયેલું અને પ્રત્યુત્પન્ન હોય આમ તેના વપરાશની ઘણી શક્યતાઓ છે. સાહિત્યમાં જ્યારે ભાષાનાં આ જાતનાં વૈવિધ્યનો વપરાશ કરવામાં આવે છે, ત્યારે અમુક સંદર્ભમાં અમુક શબ્દોનો અમુક જ અર્થ થાય છે. આ બાબતની જાણકારી સાહિત્યકૃતિને મૂલવતી વખતે વિવેચક માટે ઘણી જરૂરી બની રહે છે. ભાષાવિજ્ઞાનીએ આ જાતની મુલવણીના માપદંડો ભાષાના વપરાશના નમૂનાઓના વર્ગીકરણને આધારે તૈયાર કરી આપવા જોઈએ. સાહિત્યકૃતિને મૂલવતી વખતે તેનું માધ્યમ કે જે ઘણી સરસ રીતે વિકસિત થયેલી અવગમનની પદ્ધતિ છે તેનો પ્રશ્ન આવે છે. ભાષાનું માળખું જ શૈલીનાં પરિમાણને માટે કારણભૂત હોય છે. ભાષાના ત્રણ પાસાંને કારણે સાહિત્યમાં શૈલી આકાર લે છેઃ (૧) ભાષાના ધ્વનિઓ અને તે ધ્વનિઓ જે અર્થને સ્પર્શે છે તેને કોઈ સીધો સંબંધ નથી—એટલે કે ભાષાના ધ્વનિઓ અને અર્થ વચ્ચે યાદચ્છિક સંબંધ છે. આમ ધ્વનિસંકેતો અને અર્થનો સંબંધ આકસ્મિક થાય છે પણ લેખક તેની કૃતિમાં એવું નક્કર રીતે સૂચવી શકે કે ધ્વનિસંકેતો તેણે જે અર્થ એમાં મૂક્યો છે તેની તદ્દન ઉચિત સંબંધથી સંકળાયેલા છે. (૨) ભાષાના ઘટકોની વાક્યરચનામાંની પસંદગીમાં હંમેશાં અસમતુલા હોય છે અને એ ઘટકોની મેળવણી-ગોઠવણીની બધી શક્યતાઓની કોઈ પણ ભાષા ક્યારેય ઉપયોગ કરતી નથી. કવિ અને લેખકો આ શક્યતાઓની પ્રયોગો દ્વારા ખોજ(એકસ્પ્લોરેશન) કરતાં હોય છે. ભાષામાં ન વપરાયેલી કેટલીક ખાસિયતોને તે ઉપયોગમાં લે છે અને એમાંથી શૈલીની વિવિધતાઓ ઉદ્ભવે છે. (૩) જે રીતે ભાષાના ધ્વનિઓ અને અર્થને સીધો સંબંધ નથી તે રીતે એ ધ્વનિઓની શ્રેણીઓ (શબ્દો અને ઉક્તિઓ) અને અર્થને પણ સીધો સંબંધ હોતો નથી. ભાષાની ઉક્તિઓ જે વસ્તુઓ અને પદાર્થાને સૂચવે છે તે વસ્તુઓ કે પદાર્થો પોતે જ નક્કરરૂપે હાજર નથી હોતા. દા.ત., ‘હાથી’ એ ઉક્તિ વાસ્તવમાં જે ‘હાથી' છે તેનો ખ્યાલ રજૂ કરે છે. આ ઉક્તિમાંથી આપણે ‘હાથી'નો ખ્યાલ ગ્રહણ કરીને આપણા ચિત્તમાં સંઘરી શકીએ છીએ, કવિઓ અને લેખકો ઉક્તિના આ જાતના અસ્તિત્વનો બરાબર ઉપયોગ કરી લે છે. (એવો ઉપયોગ એમનાથી થઈ જાય છે એમ પણ કહી શકાય.) તેઓ 'હાથી’ ઉક્તિમાં રહેલા ‘હાથી'ના ખ્યાલની સાથે બીજા અનેક સંદર્ભોને સાંકળી લઇને તે ઉક્તિમાંથી અનેક ખ્યાલોનું અને અર્થોનું સૂચન કરે છે. આમ સામાન્ય કે રોજબરોજની ભાષાની આ ત્રણ લાક્ષણિકતાઓના પ્રયોગો (નોર્મલ યૂસિજિઝ) બિનસાહિત્યિક ભાષા તરીકે ઓળખાય છે, પણ આ જ લાક્ષણિકતાઓના અસમધારણ પ્રયોગો સાહિત્યક શૈલીને જન્મ આપે છે. ભાષાના માળખાનાં આ પ્રકારના અસમધારણ પ્રયોગો ભાષાની સામાન્ય ભાતોના વિરોધમાં પ્રચ્છન્ન (લેટન્ટ) ભાતોને જન્મ આપે છે. આ પ્રચ્છન્ન ભાતો ચાર રીતે શૈલીને આકાર આપે છે : (૧) પ્રાસ, અનુપ્રાસ, યમક અને ભાગ્યે જ વપરાતા હોય તેવા શબ્દોના ઉપયે।ગથી ભાષાને શણગારવામાં આવે છે. (૨) નવી ને નવી અસમધારણ વાક્યરચનાઓનો વધુ ને વધુ ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. ‘સ્વીટનેસ સો સેટ, સેડનેસ સો સ્વીટ' જેવી પંક્તિમાં બંને ઉક્તિઓનું વ્યાકરણી દૃષ્ટિએ સરખાપણું, ‘સ’નો સતત ઉપયોગ, અબબક એ જાતની ભાતનો પ્રયોગ, શબ્દોની રોમેન્ટિક અદલાબદલી, ‘નેસ’ પ્રત્યયની ચમત્કૃતિપૂર્ણ હાજરી વગેરે બાબતો અસમધારણ વાક્યરચનાનો નિર્દેશ કરે છે. (૩) એકના એક શબ્દમાં કે એકની એક પંક્તિમાં અર્થો એકબીજાથી સવાયા થઈને, એકબીજાને ઓવરલેપ કરીને કે એકમાંથી અનેક અર્થો આકાર લઈને શૈલીને જન્મ આપે છે. દા.ત,, સામાન્ય રીતે અમુક શબ્દોનો કે પંક્તિનો અમુક અર્થ થતો હોય પણ સાહિત્યમાં એના સંદર્ભને કારણે કંઇક જુદો જ અને ક્યારેક સાવ વિરોધી અર્થ પણ એમાંથી જન્મે. દા.ત. કવિતામાં મૃત્યુની ચીસ જે એક જ ક્ષણમાં સમાપ્ત થતી હોય તેને વર્ણવવા અન્ય પંક્તિઓથી ખૂબ લાંબી પંક્તિનો ઉપયોઞ કરવામાં આવે. ત્યાં પંક્તિની દીર્ઘતાના વિરોધમાં કવિ ચીસનું ટૂંકાણ કે જિંદગીનું ટૂંકાણ જન્માવવા માગે છે. (૪) સામાન્ય રીતે ભાષામાં ન પ્રયોજાતા હોય તેવા અથવા તો આપણે જેને અવ્યાકરણી પ્રયોગો તરીકે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ તેવા પ્રયાગોનો ઉપયોગ પણ શૈલીને જન્મ આપે છે. ભાષાની આ પ્રકારની લાક્ષણિકતાને આપણે અબંધારણીય ખાસિયતો (ઍડહોક ફીચર્સ) ને નામે એાળખી શકીએ. દા.ત. ‘અ પીસ’ અથવા 'અ પ્રાઈડ’ એવો પ્રયોગ કરવામાં આવ્યો હોય તો ત્યાં પીસ કે પ્રાઈડ, જે અનકાઉન્ટેબલ નાઉન્સ છે તેમને કાઉન્ટેબલ ગણીને મૂકવામાં આવ્યાં છે. તે દ્વારા કવિ કે લેખક શૈલીને આકાર આપે છે. અથવા ‘moon’ ઉપરની કવિતામાં ‘o’ને ધ્યાન ખેંચે તેટલા મોટા આકારમાં છાપવામાં આવે અને એ રીતે ‘moonમાં જ બે ચંદ્ર તો છુપાયેલા છે એવું સૂચન કરવામાં આવે. અહીં કવિએ શૈલીના જન્મ માટે લિપિને પણ ઉપયોગમાં લીધી છે. ‘moon’માં ‘o’ને મોટા ટાઇપમાં લખવાનું અ-બંધારણીય છે અથવા અ પીસ કે અ પ્રાઈડ એમ વાપરવું તે અવ્યાકરણી છે પરંતુ કવિતામાં એ જ વસ્તુ શૈલીને આકાર આપવામાં કારણભૂત બને છે. શૈલી ભાષાના આ પ્રકારના અસમધારણ ઉપયોગો સાથે સંકળાયેલી હોવાથી શૈલીને સમજવામાં ભાષાવિજ્ઞાનના અભ્યાસનો ઉપયોગ અત્યંત આવશ્યક બની જાય છે; કારણ કે ભાષાના સમધારણ પ્રયોગો અને સામાન્ય ઉપયોગો કયા કયા છે તેનો અભ્યાસ ભાષાવિજ્ઞાને કર્યો હોવાથી તેના અસમધારણ પ્રયોગો અને પ્રચ્છન્ન ભાતોને વધુ સ્પષ્ટતાથી સમજાવી શકવા તે સમર્થ હોય છે.

આ ઉપરથી ભાષાના સમધારણ ઉપયોગમાં ફેરફાર અને ભાષાની પ્રચ્છન્ન ભાતોનો ઉપયોગ એટલે શૈલી[2] એમ કહી શકાય. ભાષાનો અમુક ઉપયોગ સમધારણ તેનું અર્થઘટન વ્યક્તિલક્ષી હોઈ શકે, પણ ભાષાના સમધારણ ઉપયોગની એાળખની બાબતમાં ઘણું ઓછું વ્યક્તિલક્ષીપણું પ્રવેશવાનું. ભાષાના અસમધારણ ઉપયોગનું વ્યવસ્થિત વર્ગીકરણ શૈલીના વિભાવને વસ્તુલક્ષી અને નિરપેક્ષ રીતે સમજવામાં ઘણું ઉપયોગી થાય. આમ તો શૈલીના પૃથક્કરણની પ્રક્રિયા એ ખરેખર તો પૃથક્કરણ જ નથી. કૃતિના ભાષાકીય પૃથક્કરણનું એ તો પુનર્મિશ્રણ છે. કૃતિની ભાષાકીય એવી લાક્ષણિકતાઓની પસંદગી અને સમુચ્ચયનો ખ્યાલ આપવો એટલે કૃતિની શૈલીનો ખ્યાલ આપવો એમ ગણાય. કૃતિનું ભાષાકીય પૃથક્કરણ, એ પૃથક્કરણનું અર્થઘટન અને એ અર્થઘટનને આધારે વર્ણન એટલી પ્રક્રિયા શૈલીની સમજમાં સંડોવાયેલી છે.

સાહિત્યકૃતિમાં ભાષાના અસમધારણ ઉપયોગની સાથે ભાષાનાં વિવિધ રજિસ્ટર રૂપોના વપરાશને સ્પષ્ટ કરવા માટે ત્રણ પ્રશ્નોના ઉત્તરો શેાધવા જોઇએ. કોણ બોલે છે ? કોણ સાંભળનાર છે ? અને શા માટે તે આમ બોલે છે? આ ત્રણ પ્રશ્નોના ઉત્તરોમાંથી સાહિત્યકૃતિ સાથે સંબંધ ધરાવતી ત્રણ પ્રકારની પરિસ્થિતિ સ્પષ્ટ થશે. (અ) પહેલી પરિસ્થિતિને કમ્પોઝિશન સિચ્યુએશનને નામે ઓળખીશું. કૃતિના સર્જન વખતેની પળ એમાં સંડોવાયેલી છે. (બ) બીજી પરિસ્થિતિને પરફોર્મન્સ સિચ્યુએશનને નામે એાળખીશું. કૃતિના ભાવકો સાથે આ બાબત સંકળાયેલી છે. (ક) ત્રીજી પરિસ્થિતિ તે રેફરન્સ સિચ્યુએશન, કૃતિમાં જેની અભિવ્યક્તિ સાધવામાં આવી છે તેનો સંદર્ભ આની સાથે સંકળાયેલો હોય છે. ખાસ કરીને કૃતિમાં આવતાં પાત્રો વગેરેના સંદર્ભને આની સાથે સંબંધ છે. ભાષાકીય દૃષ્ટિએ પ્રથમ પરિસ્થિતિ એટલી બધી મહત્ત્વની નથી, જેટલી એ પછીની બે પરિસ્થિતિઓ છે. પહેલી સ્થિતિનું મહત્ત્વ ન હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે તેની ઊંડાણમાં તપાસ કરવાનું મોટે ભાગે વસ્તુલક્ષી ન રહેતાં વ્યક્તિલક્ષી બની જાય છે. બીજી પરિસ્થિતિ સાથે ભાષાના અસમધારણ ઉપયોગોના માપદંડો સંકળાયેલા છે. જ્યારે લેખક કૃતિને રજૂ કરે છે (અને રજૂ કરતા પહેલાં કમ્પોઝ કરે છે—સર્જે છે) ત્યારે તેના મનમાં આ કૃતિ કયા ભાવકો સમક્ષ રજૂ થવાની છે તેનો વિચાર આવતો હોય છે. આ કારણે તેની અભિવ્યક્તિમાં ભાષાનો અમુક ખાસ પ્રકારનો ઉપયોગ પ્રવેશવાનો, ત્રીજી પરિસ્થિતિ સાથે ભાષાનાં વિવિધ રજિસ્ટર સ્વરૂપો સંકળાયેલાં છે. ભાષાનાં વિવિધ રજિસ્ટર સ્વરૂપો અને ભાષાના અસમધારણ પ્રયોગો તથા પ્રચ્છન્ન ભાતોનો ઉપયોગ એ બંને મળીને સાહિત્યકૃતિમાં શૈલીનું નિર્માણ કરે છે. આમ શૈલીની તપાસમાં ભાષાના સમગ્ર માળખાનો અને તેનાં અનેક વૈવિધ્યોનો લેખકે કેવી રીતે કસ કાઢ્યો છે તેની તપાસ આપણે કરતા હોઈએ છીએ.

ચોથી મહત્ત્વની બાબત અવગમનના સામર્થ્યની તપાસ છે, ભાષાના અભ્યાસમાં ભાષાવિજ્ઞાનીઓ બોલાતી ભાષાનો અભ્યાસ કરે છે પણ એ ખરેખર તો બોલાતી ભાષાના ઔપચારિક કે વૈધ (ફોર્મલ) સ્વરૂપનો જ અભ્યાસ હોય છે. જો એમ ન હોય તો ભાષક જે કેટલાંક ભાષાકીય ન હોય તેવાં તત્ત્વોનો આધાર લઈને સમર્થ રીતે અવગમન સાધે છે તે બાબત તેઓની નજર બહાર ન જાત. દા.ત. હં...હં....હં....કે અ..અ...અ....કે રે...રે...રે...કે ઓહ...ઓહ... અને એવું તો ઘણું કે જે અવ્યાકરણી હોય છે અથવા જેનું પૃથક્કરણ કરીને તેની કૃતિમાં અને અવગમનમાં કામગીરી શી છે (ફંકશનલ રોલ શો છે) તે દર્શાવવાનો ખાસ પ્રયત્ન થતો નથી. ભાષાના માળખા અને અર્થની તપાસ આપણે કરીએ છીએ પણ તે પ્રમાણમાં ઘણી ઓછી મહત્ત્વની છે. એના કરતાં ક્યાંય વધારે મહત્ત્વની તપાસ તો ભાષાની કામગીરી અને અવગમન-ક્ષમતાની છે. એ તપાસને આધારે જ સાહિત્યકૃતિને વધુ ઉચિત રીતે મૂલવી શકાય. આ તપાસમાં ભાષાની લિપિનો પણ સમાવેશ કરવો પડવાનો. ભાષાનાં એવાં ઘણાં તત્ત્વો હોય છે કે જે માત્ર લખી જ શકાતાં હોય છે, અને જેની હાજરી અવગમનની બાબતમાં બહુ મોટો ભાગ ભજવે છે. ભાષાની કામગીરીની વાત કરવાની હોય ત્યારે આ કારણે જ લખાયેલી ભાષા કે લખાતી ભાષા ઉપર વધુ ભાર મૂકવો પડે છે. બોલાતી ભાષા કરતાં લખાયેલી ભાષા વધુ વ્યવસ્થિતિ અને ચોક્કસ હોય છે.

વળી જ્યારે ભાષાની તપાસ તેના માળખા અને અર્થને બદલે તેની કામગીરી અને અવગમનક્ષમતાને આધારે કરવાની હોય ત્યારે બોલનાર કરતાં સાંભળતાર તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે ભાષાના અભ્યાસમાં આપણે બોલનારને જ કેન્દ્રમાં રાખીએ છીએ, પણ ખરેખર તો ભાષાના ઉપયોગને અને એ રીતે અભિવ્યક્તિને સાંભળનાર જ નિયમનમાં રાખતો હોય છે, ભાષાની અભિવ્યક્તિનું કે સ્વરૂપનું એ નિયામક બળ હોય છે. અત્યાર સુધી આપણે ભાષાના માળખા ઉપર ભાર મૂક્યો હોવાથી, ભાષાના સ્વરૂપમાં સાંભળનાર કેવો નિયામક બળ તરીકે ભાગ ભજવે છે તેની તપાસ ખાસ કરી નથી. ભાષાનું માળખું અમૂર્ત હોય છે અને તેથી સાંભળનારની અમુક સ્થિતિનો (સિચ્યુએશનનો) સંદર્ભ સ્પષ્ટ ન હોય તો એ માળખાનો કોઈ ચોક્કસ સ્પષ્ટ અર્થ થવાનો નહીં. ભાષાના બહિગર્ત માળખાની તપાસ (ઇન્કવાયરી ઑફ સર્ફેસ સ્ટ્રકચર) કેટલુંક સંબદ્ધ વ્યાકરણનું વર્ણન આપે, કેટલીક નિયમિતતાનો ખ્યાલ આપે અને સૌથી વધુ તો ભાષાની ઘણીબધી ઉક્તિઓને સમાવી લેતાં કેટલાંક સામાન્ય વિધાનો આપે, પણ જ્યારે આપણે સાંભળનારને કેન્દ્રમાં રાખીએ છીએ ત્યારે તે આપણને ભાષાના અંતર્ગત માળખામાં (ડીપ સ્ટ્રકચરમાં) લઈ જાય છે. ભાષાના અંતર્ગત માળખાની તપાસ કરતાં તમને માલૂમ પડશે કે ઉક્તિઓની પસંદગીની અને તેના અર્થોની પસંદગીની કેટલી બધી વિવિધતા અને કેટલી બધી શક્યતાઓ રહેલી છે. એનાં એ જ વ્યાકરણી તત્ત્વો અર્થના સંદર્ભની સીમાને કેટલી બધી વિસ્તારી મૂકે છે! અલબત્ત, ચોમ્સ્કી, જાકોબ્સન અને હેલીડા (Halliday) જેવા વિદ્વાનોએ તેના ઉપર થોડોક પ્રકાશ ફેંક્યો છે ખરો. તેના ભિન્ન ભિન્ન સ્વરૂપોનો વિગતે ખ્યાલ આપવામાં આવે તો ભાષાના માળખાની સતત પ્રવાહિતામાં વહેતી બેધારી ચમત્કૃતિની સ્પષ્ટ સમજણ પડે. દા.ત. ‘અમદાવાદની પ્રજા તમને કેવી લાગી?' જેવો પ્રશ્ન લઈએ. આ પ્રશ્નના ઉત્તરમાં ભાષાના માળખાની ઉપર ઉપરની તપાસને આધારે ‘ઘણી સારી' ‘સંસ્કારી’ ‘સામાન્ય રીતે પૈસાને નજર સામે રાખનારી’ ‘શ્રી અને સરસ્વતીનો સમન્વય કરનારી' એવી કેાઈ ઉક્તિની અપેક્ષા રાખવામાં આવે; પણ જ્યારે સામેથી ‘શું પૂછયું?' એમ પૂછવામાં આવે અથવા 'પ્રશ્ન ઘણો સારો છે. પણ ઉત્તર મુશ્કેલ છે.' અથવા ‘આવા પ્રશ્નનો ઉત્તર ભાગ્યે જ સ્પષ્ટતાથી આપી શકાય.' અથવા ‘તમે શું ધારો છો ?' અથવા ‘તમારો શો અનુભવ છે?’ એવો કોઈ ઉત્તર આપીને તે પ્રશ્નને પડતો મૂકવામાં આવે કે ટાળવામાં આવે ત્યારે આ ઉત્તર સાંભળનાર કોણ છે એની તપાસ કરવી રસપ્રદ થઈ પડે છે. એ તપાસ કરતાં ભાષાના માળખાના ઊંડાણમાં રહેલી અનેક શક્યતાઓની તપાસ થઈ શકે એમ છે.

સાહિત્ય ભાષામાં રચાતું હોવાથી ભાષાને કેન્દ્રમાં રાખીને કૃતિનો આકાર અને કૃતિનું હાર્દ બંને તપાસી શકાય. અત્યાર સુધી ભાષાવિજ્ઞાની કૃતિની ભાષાનું વર્ણન કરવા સુધી પોતાની તપાસને સીમિત રાખે છે. વિવેચક માત્ર કૃતિનું મૂલ્યાંકન કરે છે અને એમ કરતી વખતે તેની ભાષા વિશેની બે–ત્રણ અછડતી વાત કરે છે. પણ ખરેખર તો કૃતિની ભાષાના સંપૂર્ણ પૃથક્કરણ અને વર્ણન દ્વારા જ કૃતિનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ વિકસાવી શકાય. આમ કરવા પાછળનો હેતુ એ છે કે જે ભાષાનો ઉપયોગ જોન, ડિક કે સ્મિથે કર્યો હતો તેનો જ ઉપયોગ કરીને શેકસપિયર કેવી રીતે મહાન નાટકકાર થયો; જે ભાષાનો ઉપયોગ કુમારિલ ભટ્ટ કે અ, બ, ક એ કર્યો હતો તેનો જ ઉપયોગ કરીને વાલ્મીકિ કે કાલિદાસ શા માટે મહાકવિ થયા અને જે ભાષાનો ઉપયોગ સુભાષ, સુબંધુ કે ઓજયે કર્યો તેનો જ ઉપયોગ કરીને રવીન્દ્રનાથ કેવી રીતે મોટા કવિ થયા એ જાણવામાં આપણને રસ છે. એની તપાસમાં રસ હોવાથી ઉપર ઉપરની દેખાતી રીતે રોજબરોજની જ ભાષાનો ઉપયોગ કવિ કે સાહિત્યકાર કરીને એમાં સાહિત્યતત્ત્વને કેવી રીતે કંડારે છે તેનો અભ્યાસ ભાષાવિજ્ઞાન અવશ્ય કરી શકે એમ છે.


  1. *(ભાષાના વૈવિધ્યને આ નામોથી વર્ણવવાનો પ્રયત્ન ટી. બી. ડબલ્યુ. રીડે તેમના ઈ.સ. ૧૯૫૬માં પ્રગટ થયેલાં, ‘લિંગ્વિસ્ટિક્સ, સ્ટ્રકચરલિઝમ ઍન્ડ ફિલોલોજી’ એ પુસ્તકમાં કર્યો હતો. તે પછી બ્રિટનના ફર્થિયન ભાષાવિજ્ઞાનીઓએ આ પરિભાષાનો ઉપયોગ ચાલુ રાખીને તેને પ્રચારમાં આણી. મૂળ તો સંગીતના સપ્તકની સાથે આ શબ્દ સંકળાયેલો છે. તેની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છે : Even an ordinary man plays a number of roles in a number of contexts and has to select such varities of language that may be called 'Registered'. (S. K. Verma, ‘The Notion of Register '. G. J, number, Osmania Uni. Journal 1968,)
  2. *(‘શૈલી' એ પરિભાષા વિસ્તૃત રીતે વપરાય છે અને તેની ઘણી વ્યાખ્યાઓ થઈ છે છતાં તેની સ્પષ્ટતા જેટલી કરીએ એટલી ઓછી પડે છે. ‘સ્ટાઇલ’ અને ‘સ્ટાઇલિસ્ટિક્સ' વિશે કેટલાંક અવતરણો અને સમજ આપવાનો પ્રયત્ન નીચે કર્યો છે, "By having a style, we usually mean that a text in someway deviates from the statistical norms of the language”-‘Ling istic Structures in Poetry'-S. R. Levin. "Stylistic is generally more concerned with structural choices than with lexical choices; that is, in how a person talks about something rather than what he talks about. "Bernard Block says, 'The style of a discourse is the message carried by the frequency-distributions and transitional probabilities of its lingusistic features, especially as they differ from those of the same features in the language as a whole.'—such a view suggests that where as linguistics is concerned with the discription of a code, stylistics is concerned with the differences among the pessage genereted in accordance with the rules of that code—Quoted from ‘Style in Language'—Ed. T. A. Sebeok. "The style of a text is the aggregate of the contextual probabilities of its linguistic items." આ વ્યાખ્યામાંના એગ્રેગેટ અને કોન્ટેકસ્યુઅલ પ્રેાબેબિલિટીઝ એ બે શબ્દો મહત્ત્વના છે. શૈલી ભાષાના ઘટકોના ઉપયોગનો બે રીતે સંધાત કે સમુચ્ચય (એગ્રેગેટ) છે. એક તો શૈલી એ એક કરતાં વધુ ઘટકોના વપરાશનું પરિણામ છે. દા.ત. કૃતિમાંનો અમુક શબ્દ એવો જ અર્થ વ્યક્ત કરતા બીજા શબ્દની સાથે સરખાવતાં જ શૈલીની લાક્ષણિકતા સ્પષ્ટ થાય છે. બીજું, માત્ર ધ્વનિના, રૂપરચનાના, અર્થના કે વાક્યરચના સ્તર ઉપર નોંધવામાં આવેલી લાક્ષણિકતાઓનો શૈલી સમુચ્ચય હોય છે. વળી શૈલી આપેલા સંદભમાં ભાષાકીય ઘટકોનો વપરાશ (ફિકવન્સી) સાંથે સંબંધ ધરાવે છે. કૃતિની શૈલીને માપવા- સમજવા માટે અન્ય કૃતિમાંની તેના જેવી જ લાક્ષણિકતાઓ ધરાવતી શૈલીની સાથે સરખાવવી જોઇએ જેથી આ કૃતિમાં આ લાક્ષણિકતાઓ કયા સંદર્ભમાં પ્રયોજાઈ છે તે સ્પષ્ટ થશે અને તેથી તેની સંદર્ભગત શક્યતાઓનો લેખકે કેવો કસ કાઢયો છે તે સ્પષ્ટ થશે.-‘લિંગ્વિસ્ટિકસ એન્ડ સ્ટાઇલ’ (સંપા. જૉન સ્પેન્સર)માંના એન. ઈ. એન્ક્વિસ્ટના લેખ ‘ઓન ડિફાઇનિંગ સ્ટાઇલ’માંથી.