મકરન્દ મહેતા અને શિરીન મહેતાના પુસ્તકો


મકરન્દ મહેતા અને શિરીન મહેતાનાં પુસ્તકો


શ્રી મકરન્દ મહેતા અને સુશ્રી શિરીન મહેતાનાં પુસ્તકોનું વીજાણુ માધ્યમથી પ્રકાશન : ગુજરાતની સાચી ઓળખનો દસ્તાવેજ

‘એકત્ર ફાઉન્ડેશન’ દ્વારા પ્રેરિત ગુજરાતી ભાષાસાહિત્યનાં પુસ્તકોનાં વીજાણુ માધ્યમથી થતાં પ્રકાશનોની સમૃદ્ધ પરંપરામાં એક સાથે ૧૬ મૂલ્યવાન પુસ્તકોનું પ્રકાશન થઈ રહ્યું છે ! આ ૧૬ પુસ્તકોનાં સર્જક-સંપાદક શ્રી મકરન્દ મહેતા અને સુશ્રી શિરીન મહેતા છે. શ્રી મકરન્દ મહેતાનો જન્મ ૨૫ મે, ૧૯૩૧માં અને સુશ્રી શિરીન મહેતાનો જન્મ ૨૦, ઑગસ્ટ ૧૯૩૪માં. વિદ્યાપ્રેમી દંપતી નેવું કરતાં પણ વધુ ઉંમરે લેખન, સંશોધન અને સંપાદનનાં ક્ષેત્રમાં સક્રિય છે. શ્રી મકરન્દ મહેતાનો એક સંશોધન લેખ ‘બુધવારિયું’ શીર્ષકથી ‘બુદ્ધિપ્રકાશ’ના એપ્રિલ, ૨૦૨૪ના અંકમાં પ્રગટ થયો છે. ‘બુધવારિયું’ એ લોકસંપર્કની દૃષ્ટિએ ગુજરાતનું પ્રથમ અખબાર હતું. આ લેખનો આ પ્રકાશનોની પરિચયનોંધમાં ઉલ્લેખ કરવાનો હેતુ એ છે કે ઇતિહાસની સામગ્રીનું વાચન કરવાની એમની દૃષ્ટિ આજે પણ એટલી જ સજાગ છે. શ્રી મકરન્દભાઈની સંપ્રજ્ઞ ચેતનામાં ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ અકબંધ છે. શ્રી મકરન્દ મહેતાનાં કુલ ૧૨ પુસ્તકો ચરિત્ર અને ઇતિહાસલક્ષી છે. આ ૧૨માંથી છ પુસ્તકો ચરિત્રનાં છે. આધુનિક ગુજરાત પથદર્શક ઉદ્યોગપતિઓ, વહાણવટીઓ અને વેપારીઓ, આર્થિક વિકાસ અને સમાજપરિવર્તનના સર્જક અને આધુનિક અમદાવાદના પિતા-એમ ગુજરાતનો સર્વાંગી વિકાસ કરનારા મહાન ચરિત્રોની જીવનગાથા ઇતિહાસ, સંશોધન અને દસ્તાવેજના સમન્વયથી રજૂ કરી છે. તેમાં પણ ‘ગુજરાતના ઘડવૈયા’ના બે ભાગમાં ૧૩મી સદીથી શરુ કરીને વીસમી સદી સુધીના ગુજરાતના ઘડવૈયાઓનો ઇતિહાસ રજૂ કર્યો છે. શ્રી મકરન્દ મહેતાએ ધર્મ, જાતિ કે ઉચ-નીચ કે ધનિક-ગરીબ એવી સંકુચિત ભેદરેખાઓને ધ્યાનમાં રાખ્યા વિના જે કોઈ ચારિત્ર્યશીલ પ્રતિભાએ ગુજરાતની પ્રજાને વૈભવ અને વારસો આપ્યા છે તેનો પરિચય આપ્યો છે. આ પુસ્તકોનું સઘન વાચન કરવાથી ગુજરાત પ્રદેશની નવી ઓળખ મળે છે. બંને ગ્રંથોનાં ઉપશીર્ષકો ખૂબ જ સૂચક છે : (૧) સ્વવિકાસની પ્રયોગશાળા. (૨) સ્વવિકાસની વિદ્યાપીઠ. છ ચરિત્રગ્રંથો સિવાયના છ ગ્રંથો ઇતિહાસના છે. દક્ષિણ ગુજરાતનું લોકજીવન, ગુજરાત અને દરિયો, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ, ગુજરાતનો રજવાડી વારસો, ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકા તેમ જ ગુજરાતી સાહિત્યમાં ગુજરાત- એમ વિવિધ પ્રકારના ઇતિહાસલેખન દ્વારા ગુજરાતની પ્રાચીન-આદિકાળથી શરૂ કરીને વીસમી સદી સુધીની બહુપરિમાણી વિકાસયાત્રાને એક સંશોધક દૃષ્ટિથી પુરાવાઓ અને દસ્તાવેજોને આધારે રજૂ કરી છે. આ ગુજરાત વિશેની વિકાસયાત્રા માત્ર ગુજરાતની જ નથી પરંતુ તેમાંથી ગુજરાતના વિકાસમાં સમાયેલી અનેક ભારતીય પરંપરાઓનો પરિચય મળે છે. આ અર્થમાં આ બાર ગ્રંથો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે. સુશ્રી શિરીન મહેતાનાં ત્રણ પુસ્તકોમાંથી બે પુસ્તકો અંગ્રેજી ભાષામાં છે. તેમાંનું પહેલું પુસ્તક ખેડૂતવર્ગ, તેની જમીન અને મજૂરીની વિચારણાને રાષ્ટ્રવાદ સાથે જોડી આપે છે. બીજું અંગ્રેજી પુસ્તક ખાસ કરીને ગુજરાતની સ્ત્રીઓનું સામાજિક પરિવર્તનમાં કેવું યોગદાન રહ્યું છે તેનો ઐતિહાસિક પરિચય છે. જયારે સુશ્રી શિરીન મહેતાનું ગુજરાતી પુસ્તક ગુજરાતી સ્ત્રીઓના જીવનસંદર્ભમાં મૌલિક નારીવાદનું ચિંતન રજૂ કરે છે. ને તેમાં વંચિત મહિલાઓ કેવી રીતે સ્વતંત્ર બની શકે તેના વિશે ગંભીર ચિંતન રજૂ કર્યું છે. ગુજરાતની સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં સહયોગ આપનાર સ્ત્રીઓ, સંસ્થાઓ અને ગુજરાતી નારીકેન્દ્રી સામયિકોની ભૂમિકા વર્ણવી છે. ૧૬મું પુસ્તક સંયુકત સંપાદન છે શ્રી મકરન્દભાઈનું અને સુશ્રી શિરીન મહેતાનું. આ પુસ્તકનો વિષય તદ્દન નવો છે. જેમાં બ્રિટન અને ગુજરાતીઓ વચ્ચેના સંબંધો અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓ, મુસ્લિમો અને પારસીઓની ડાયસ્પોરિક સંવેદનાઓને રજૂ કરી છે. પ્રસ્તુત ૧૬ પુસ્તકો ખાસ કરીને ગુજરાતી ભાષા-સાહિત્યના યુવા સંશોધકોને ખૂબ જ ઉપયોગી બનશે. ગુજરાતી કવિતા, નવલકથા, નાટક, ટૂંકીવાર્તા કે સામયિકોનો સાંસ્કૃતિક ભૂમિકાએ અભ્યાસ કરવા માટે પ્રસ્તુત ગ્રંથો મૂલ્યવાન સંદર્ભસામગ્રી છે. એની સાથે ઇતિહાસલેખન અને સંશોધનપધ્ધતિનાં પ્રતિમાનો મળશે. આપણી ગુજરાતી પરંપરામાં સાહિત્યનું મૂલ્યાંકન કરવા માટેનો એક મૌલિક દૃષ્ટિકોણ મળશે. ‘એકત્ર ફાઉન્ડેશન’ના સંપાદકોને ખૂબ ખૂબ અભિનંદન — જયેશ ભોગાયતા




મકરન્દ મહેતા

ક્રમ નામ લેખક સંપાદક વિભાગ
આધુનિક ગુજરાતના પથદર્શક ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ મકરન્દ મહેતા ચરિત્ર
દક્ષિણ ગુજરાતનું લોકજીવન, નેતાઓ અને સમાજ પરીવર્તન મકરન્દ મહેતા ઈતિહાસ
ગુજરાત અને દરિયો મકરન્દ મહેતા ઈતિહાસ
ગુજરાતના ઘડવૈયા ભાગ-૧ મકરન્દ મહેતા ચરિત્ર
ગુજરાતના ઘડવૈયા ભાગ-૨ મકરન્દ મહેતા ચરિત્ર
ગુજરાતના વહાણવટીઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મકરન્દ મહેતા ચરિત્ર
ઈતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત મકરન્દ મહેતા ઈતિહાસ
આર્થિક વિકાસ અને સમાજ પરિવર્તનના સર્જક : કસ્તૂરભાઈ લાલભાઈ મકરન્દ મહેતા ચરિત્ર
આધુનિક અમદાવાદના પિતા રણછોડલાલ છોટાલાલ મકરન્દ મહેતા ચરિત્ર
સંસ્થા-સ્થાપન અને સમાજ-પરિવર્તન મકરન્દ મહેતા ઈતિહાસ
ગુજરાતનો રજવાડી વારસો મકરન્દ મહેતા ઈતિહાસ
ગુજરાતીઓ અને પૂર્વ આફ્રિકા, ૧૮૫૦–૧૯૬૦ : ગુજરાતીપણાની શોધમાં મકરન્દ મહેતા ઈતિહાસ

શિરીન મહેતા

ક્રમ નામ લેખક સંપાદક વિભાગ
ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર શિરીન મહેતા ઈતિહાસ
The Peasantry and Nationalism Shirin Mehta ઈતિહાસ
Women and Social Change Shirin Mehta ઈતિહાસ

મકરન્દ મહેતા અને શિરીન મહેતા

ક્રમ નામ લેખક સંપાદક વિભાગ
બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો મકરન્દ મહેતા અને શિરીન મહેતા ઈતિહાસ