મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧ - (રાગ કેદારો)

ભાલણ

ગુરુપદપંકજને પ્રણમૂં, બ્રહ્મસુતાને ધ્યાઊં,
ગુજર ભાખાએ નલ રાજાના ગુણ મનોહર ગાઊં.          ૧
  નૈષધ ચંપૂ માહાભારતમાં કવિ કીરતિ અતિ લીધી,
કાલાંને પ્રીછવા ભાલણે ભાખાએ એ કીધી.          ૨

સાચા હીરા હેમ જડિયા, વૈભવનો શણગાર;
દુર્બલને તો કાચ કથીરે ભૂખણ હોએ અપાર.          ૩

ધનવંત ભૂપતિને ભોજન સરવ સંજોગે થાએ;
નિરધન તિવારાં અતિ આનંદે જાુવાર બાજરી ખાએ.          ૪

સિદ્ધિવંતને સપ્ત ભોમનાં મંદિર, ઊંચા આવાસ;
પર્ણકુટિ રેહે સુખ પામે અત દુર્બલ પામી વાસ.          ૫

તાલમયે સકલ અર્થપદબાંધે બાંધૂં નલ-આખ્યાન
મૂરખજન મોહો કરવાને ભાલણ કવે અભિમાને.          ૬

પુણ્યશ્લોક-કથારસ પીતાં અમૃત ખાટૂં લાગે,
મહા કવિ શૃંગાર વરણવિયો પૂર્વે જે મહાભાગે,          ૭

આર્ણિક પર્વ સકલરસબોલો, દૃષ્ટાંતે એ માંડી
ધર્મરાજાને ધીરજ દેવા દેખાડી શમદાંડી.          ૮

સંક્ષેપે તે સકલ ગ્રંથનૂં લઈ કેટલૂં હેત
કહીશ કથા હૂં નલરાજાની થોડા માંહે સંકેત.          ૯

રખે ચતુર કોએ મૂરખ માને ભાખાબંધ એ દેખી;
સિસુ લડાવતાં માહાકવિ કાલે બોલે મતિ ઉવેખી,          ૧૦
તિમ મેં પામરને પ્રીછવા સુગમ કરીને ભાખી,
કથામાત્ર એ નૈષધ રાજાની અપભ્રંશ એ દાખી.          ૧૧