મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચતુરચાલીશી પદ ૩૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૩૭

વિશ્વનાથ

(રાગ: પ્રભાતી)
આજ રહોજી આણે સ્થાનક, પ્રાત પદ્મની જાજો રે,
માહારા સમ સાસરી સહુને, એક દિવસ ઈમ વાહાજો રે.          આજ ૧

કુસુમે કરી શીર શુભ ગુંથુ, સેસફૂલ વચે રાખુ રે,
લટ મુક્તાફલે મેહલું લટકતી, તે કો ન લહે મુઝ પાખી રે.          આજ ૨

મૃગમદ કેરી વેલ સમારૂ, હંસમયુર ઉર ભારી રે,
કસણબંધ કંચુકી કેરા, હું જાણુ હાથે સમારી રે.          આજ ૩

તીલક કરૂ કેસર કસ્તુરી, નેયણે કાજલ સારૂ રે,
પાન પ્રચુર રંગસહીત આરોગો, મન રીઝવા માહારુ રે.          આજ ૪

કટીમેખલા ખલકે કંકણી સુરત વધે સુખકારી રે,
પાગ અલતે એહવા રંગું, જે જુગતે ન જાણે નારી રે.          આજ ૫

કારજ કરું હું કેહતાં પહેલું, ખાંત રખે ચંત રાખો રે.
મનના માન્યા સ્નેહી સાથે, ભ્રાંત તજીને ભાખો રે.          આજ ૬

નહી જાવા દેઉ નીશ્ચે માનો, માન્યની કંઈક વીમાસો રે,
ઘણા દીવસનો અલજો અંતર, આજ પડો છે પાસો રે.          આજ ૭

હાસ કરી હરીવદની બોલી, હું ત્રીકમ છું તાહારી રે,
વિશ્વનાથ સરખા જે વરુઆ, મુજને રાખી વારી રે.          આજ ૮