મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૨)


પદ (૪૨)

નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
જાગીને
પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાં રહ્યાં તેહને વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળવી.
જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે: કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
જાગીને
જીવ ને શિવ તે આપ-ઇચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો ‘એ તે જ તું’, ‘તે જ તું’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.
જાગીને