મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૩)


પદ (૪૩)

નરસિંહ મહેતા

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું,’ ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે.
નિરખને
શ્યામ-શોભા ઘણી બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.
નિરખને
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.
નિરખને
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્‌વાએ રસ સરસ પીવો.
નિરખને
અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.
નિરખને