મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૪)


પદ (૪૪)

નરસિંહ મહેતા

જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ ઉદ્વેગ ધરવો.
જે ગમે
‘હું કરું, હું કરું’ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ-મંડાણ છે સર્વ એણી પેરે, જોગી-જોગેશ્વર કોઈક જાણે.
જે ગમે
નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી, શત્રુ મારીને સહુ મિત્ર રાખે;
રાય ને રંક કોઈ દૃષ્ટે આવે નહીં, ભવન ભવન પર છત્ર દાખે.
જે ગમે
ઋતુ લતા-પત્ર-ફળ-ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.
જે ગમે
સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી-કરી નરસૈંયો એમ કહેઃ જન્મ-પ્રતિજન્મ હરિને જ જાચું.
જે ગમે