મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૫)


પદ (૪૫)

નરસિંહ મહેતા

સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું;
તું અલ્યા! કોણ? ને કોને વળગી રહ્યો? વણસમજ્યે કહે, ‘મારું મારું.’
સમરને
દેહ તારી નથી, જોને જુગતે કરી, રાખતાં નવ રહે, નેટ જાયે;
દેહ તણા સંબંધ તે દેહ લગણ હશે, પુત્ર-કલત્ર-પરિવાર વહાયે.
સમરને
ધન તણું ધ્યાન તું અહર્નિશ આદરે, એ જ તારે અંતરાય મોટી;
પાસે છે પિયુ અલ્યા! કેમ ગયો વીસરી? હાથથી બાજી ગઈ, થયો રે ખોટી.
સમરને
ભરનિદ્રાએ ભર્યો, રોધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી શે ન જાગે?
જાગતાં, નરસૈંયો! લાભ છે અતિઘણો, જનમોજનમની તારી ખાંત ભાગે.
સમરને