મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૨)


પદ (૫૨)

નરસિંહ મહેતા

સંતો! અમે રે વહેવારિયા રામનામના;
વેપારી અાવે છે બધા ગામગામના.
સંતો
અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,
અઢારે વરણ જેને વહોરવાને અાવે.
સંતો
અમારું વસાણું કાળદુકાળે ન ખૂટે.
જેને રાજા ન દંડે, જેને ચોર ન લૂંટે.
સંતો
લાખે કરોડે લેખાં નહિ, ને પાર વિનાની પૂંજી;
વહોરવું હોય તો વહોરી લેજો, કસ્તૂરી છે સોંઘી.
સંતો
રામનામ ધન અમારે વાજે ને ગાજે;
છપ્પન ઉપર ભેર ભેરી ભૂંગળ વાજે.
સંતો
અાવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ;
ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈંયાનું કામ.
સંતો