મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૭)


પદ (૫૭)

નરસિંહ મહેતા

સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળભદ્ર-વીર રીઝે;
પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી? તેણે નવ નાથનું કાજ સીઝે.
સારમાં
મુક્તિ પર્યંત તો પ્રાપ્તિ છે પુરુષને, સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.
સારમાં
ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ, ગોપિકાચરણરજ તેહ વંદે;
ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નિંદે.
સારમાં
વેદ-વેદાંત ને ઉપનિષદ ખટ મળી, જે મથીને રસ પ્રગટ કીધો,
તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે, અહર્નિશ અનુભવ-સંગ લીધો.
સારમાં
સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા! પ્રણમું હું, પ્રાણપતિ! પાણ જોડી;
પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યું ફરે, ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી.
સારમાં