મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૮)


પદ (૮)

નરસિંહ મહેતા

‘જળકમળ છાંડી જા રે, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે, બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહિંયાં તે શીદ આવિયો?’

‘નથી, નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જનમ્યા, તેમાં તું અળખામણો?’

‘મારી માતાએ બેઉ જનમ્યા, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.’

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો;
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તોરો દોરિયો?
શાને કાજે, નાગણ! તારે કરવી ઘરમાં ચોરીઓ?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો;
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો;
સહસ્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુખ આપશે;
મથુરાનગરીમાં લઈ જશે, પછે નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડીને વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયા;
નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયા.