મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૩)


પદ (૨૩)

મીરાં

શું કરું રાજ તારા?
મીરાં: શું કરું રાજ તારાં? શુ કરું પાટ તારાં?
ચિતડાં ચોરાણાં તેને શું રે કરું? રાણાજી! શું રે કરું?
ભૂલી ભૂલી હું તો ઘર કરાં કામ. રાણાજી! શું રે કરું?
અન્નડાં ન ભાવે, નેણે નિદ્રા ન આવે;
ગિરિધરલાલ વિના ઘડી ન આરામ. રાણાજી! શું રે કરું?

રાણો: ચિતોડગઢમાં રાણી! ચોરે ચૌટે વાતો થાય;
માનો, મીરાં! આ તો જીવ્યું ન જાય.
રાણાજી! શું રે કરું?

મીરાં: ઊભી બજારે રાણા! ગજ ચાલ્યો જાય છે;
શ્વાન ભસે તેને લજ્જા નવ થાય રાણાજી! શું રે કરું?
નિંદા કરે રાણા! તારા નગરના લોક એ;
ભજન ભૂલું તો મારો ફેરો થાયે ફોક. રાણાજી! શું રે કરું?

રાણો: મનમાં ભજો મીરાં! નારાયણ નામને;
પ્રગટ ભજો તો મીરાં! છોડી જજો ગામ.
રાણાજી! શું રે કરું?

નગરીના લોકો રાણી મીરાંને મનાવે સૌ;
માનો માનો ને કંઈ છોડો એવી ચાલ.
રાણાજી! શું રે કરું?

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા;
હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ. રાણાજી! શું રે કરું?