મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૨.રઘુનાથ દાસ


૧૦૨.રઘુનાથ દાસ

રઘુનાથદાસ (૧૯મી સદી પૂર્વાર્ધ)
પુષ્ટીમાર્ગીય આ વૈષ્ણવ કવિએ પદો ઉપરાંત ધ્રુવાખ્યાન, રુક્મિણીવિવાહ કૃતિઓ રચી છે.

૧ પદ

શ્યામને સંદેશો
ઓધવજી સંદેશો કહેજો શ્યામને, મારા સમ જો મૂકી મનનો મેલ જો;
કાનુડો કપટી આવડો કેમ થયો, છળ કરીને છેતરીયે નહીં છેલ જો.          ઓ૦

આટલા દિવસ રે આવું નવ જાણતી, ધરથી ન જાણ્યા ધૂતારાના ઢંગ જો;
પાણીડાં પીને રે ઘર શું પૂછિયે, બાળપણામાં કીધો એ શું સંગ જો.          ઓ૦

અણતેડ્યાં જાતાં રે નંદને આંગણે, વણ કરાવ્યાં કરતાં ઘરનાં કામ જો;
એવે રે મિષે જઈ મળતાં માવને, પલકે પલકે કરતી હું પરણામ જો.          ઓ૦

દીવડિયા મિષે રે દૂરથકી આવતી, વડો કરીને વળતી વારંવાર જો;
મોહનનાં મુખનાં રે લેતી મીઠડાં, જશોદા મુજને કહેતાં નિર્લજ નાર જો.          ઓ૦

માડીથી છાના રે મેવા લાવતાં, વાટકીમાં દોતાં ગૌરી ગાય જો;
દૂધ ને દહીંયે રે હરિને સિંચતાં, મેં જાણ્યું જે જીવન મોટા થાય જો.          ઓ૦

વેરીડાં કીધાં રે વ્રજનાં લોકને, વાલા કીધા ગોપી ગિરિધરલાલ જો;
ફૂલડિયે પાંખડિયે હું નહિ ડૂબતી, કેમ વિસાર્યું વિઠ્ઠલજીએ વ્હાલ જો.          ઓ૦


જમાડી જમતાં રે જીવન પ્રાણને, પવન કરીને પોઢાડતી પર્યંક જો;
એવાં રે સુખડાં તો સુને વહી ગયાં, વેરી વિધાતાએ અવળા લખીયા અંક જો.ઓ૦
આભૂષણ ધરતાં રે હરિને અતિઘણાં, મોર મુગટ ને કુંડળ ઝળકે કાન જો;
રાજની રીતિએ મોહન માલતાં, નિત્ય નિત્ય નિરખી જોતી નવલે વાન જો. ઓ૦

વાસીદું વાળતાં ધરતી માતનું, રખે રજ ઊડે રસિયાને અંગ જો;
આંખલડીઆગળથી હરિ નવ મૂકતી, શા માટે હરિ તજ્યો અમારો સંગ જો.ઓ૦

દુ:ખડાની વાતો રે ક્યાં જઈ દાખવું, કહિયે છીયે પણ કહ્યું ન માને કોઈ જો;
કૂવાની છાંયડી તે કૂવામાં શમે, તસ્કરની મા કોઠીમાં પેશી રોય જો.          ઓ૦

અમારા અવગુણ રે, હરિના ગુણ ઘણા, જોઈ નવ કરિયે વડા સંઘાતે વેર જો;
રઘુનાથના સ્વામીને કહેજો એટલું, મળવા આવો મનમાં રાખી મેહેર જો          ઓ૦