મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૪.રત્નો


૫૪.રત્નો

રત્નો (ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ):
રત્ના ભાવસારને નામે જાણીતા આ કવિ પ્રેમલક્ષણાભક્તિના પદકવિ હતા. ‘મહિના’ નામે લખેલી આ કવિની બારમાસી, એમની વિશિષ્ટ કવિશક્તિથી અલગ તરી આવે છે. એમણે ‘દાણલીલા’ નામની એક નાની કૃતિ પણ રચી છે.

મહિના

કારતક રસની કુંપળી, નયણાંમાં ઝળકાય;
અંગ સમારે રાધિકા, મનમથ રહ્યો શોભાય.

કારતકે કંથ મેલી ગયા, સાંભળ સૈયર વાત;
ગોકુળનીરે ગોવાલણી, ઘસવા લાગી રે હાથ.

વાયદા ઉપર વધતા ગયા, દિવસ ગણતાં રે માસ;
અમો રે વિશ્વાસે વળગી રહ્યાં, મોહન મળવાની આશ.

સગાં રે સહોદર છે ઘણાં, નાથ વિના રે શી નાર;
બળ રે કરી નવ બોલિયે, મસ્તક નહિ રે મોરાર.

અમો રે મળતાં શું મથી ગયાં, બાકી રાખ્યું ન કાંય;
કહેવા સરખું રહ્યું નહીં, જાણે જાદવરાય.

પૂર્વની પ્રીત સંભારિયે, જાણી પોતાની દાસ;
રત્નાના સ્વામી રે શામળા, પૂરો અબળાની આશ.

ઓધવજી રે સંદેશડો, કહેજો મથુરા મોઝાર,
જેરે દહાડાના ગયા નાથજી, ઝૂરે વ્રજની નાર.          ઓધવજી રે૦

માગશર મન મેગળ થયો, ઉપર નહીં ભરથાર;
મધુપુરમાં વાસો વસ્યો, અંકુશને દેનાર.

માગશર મહિનો આવિયો, નાવ્યા નંદકુમાર;
સંભારતાં સાંસો પડે, આંખે આંસુની ધાર.

આશા ઉમેદે અવતર્યા, અબળાનો અવતાર;
કહોને અમે કેમ કીજિયે, મેલી ગયા રે મોરાર.

પ્રથમ તો મધુકર મોકલ્યો, વ્હાલે કાવ્યો છે જોગ;
આપણ અબળાને એ ઘટે, જો જો કરમના ભોગ.

ઘરમાં તે હળવી હું પડી,બાહાર નવ રે બોલાય;
કૂવા તે કેરી છાંયડી, કૂવામાં રે સમાય.

મળતાં મોટમ નવ રાખિયે, આવો શ્રી ભગવાન;
રત્નાના સ્વામી રે શામળા, દોને દરશન દાન.          ઓધવજી રે૦

પોષે તો પરવશ પડી, વ્રહ વ્યાપ્યો અતિ અંગ;
ઓસડ-ગુણ લાગ્યો નહીં, ડશિયો શ્યામ-ભુજંગ

પોષે તે પહેલા પૂરમાં, જોબન બાળેરે વેશ;
પૂરણ પાપ તેનાં મળ્યાં, જેનો પિયુ પરદેશ.

આછી પટોળી રે ઓઢવા, શિયાળાની રે ટાઢ;
પાંચ પહોરની રાતડી, વ્હાલે કીધી છે રાઢ.

સાંજ સંજોગે સૌ મળ્યાં, જુવે વાલાની વાટ;
વિસાર્યા કેમ વિસરે, ઊભા જમુનાને ઘાટ,

ઘણું રે ગાઢું કરી રાખિયે, હૈડું નવ રહે હાથ;
પ્રીત કરી કેમ પરહર્યા, નાવ્યા નગણા રે નાથ.

બળતી બોલું છું હું હે, રખે રાખતા રીશ;
રત્નાના સ્વામી રે શામળા પાયે નમું છું શીશ.          ઓધવજી રે૦

મહા મહિને ન માહરું, આકુળ વ્યાકુળ થાય;
રુવે વિજોગણ રાધિકા, એકે ન સૂઝે ઉપાય.

હજી હરિ શેં નવ આવિયા, આવ્યો મક્કર માસ;
ભાગ્ય વિના કેમ પામિયે, વ્હાલાજીનો વોલાસ?

કુબજા સરખી કામિની, આવી હરિને રે હાથ;
આપ કાળા ને એ કૂબડી, ભલી ભજિ છે રે ભાત.


સરખા સરખી રે સાહેલડી, જમુના નહાવારે જાય;
પૂજીને માગે રે પ્રેમદા, મળજો જાદવરાય.

એક દુ:ખે અમો દાઝિયે, બીજું કૂબજાનું શૂળ;
નિર્ગુણ જોગ વળી લખે, દાઝ્યા ઉપર લૂણ.

દયા રે દામોદર દિલ ધરી, ભેટો શ્રી ભગવાન;
રત્નાના સ્વામી રે શામળા, ક્યારે મળશો રે કહાન.          ઓધવજી રે૦

ફાગણ આવ્યો હે સખી, કેશુ ફૂલ્યાં રસાળ;
હૃદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયોલાલ.

સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ;
અંતરમાં અતિ ઊપજે, હોળી રમવાની આશ.

વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ;
કેસરી સાળુ રે પહેરવા, મુખ ભરીને તંબોળ.

અબિલ ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ;
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ.

તરૂવર આંબો મ્હોરિયો, ફૂલ્યાં કેસુડાં વન,
અમો અબળાને એ ઘટ્યું, મરવું મુંઝાઈ મન.


વેરી વિધાતાએ લખ્યો, વ્હાલાતણો રે વિજોગ;
રત્નાના સ્વામી રે શામળા, આવી કરો રે સંજોગ.          ઓધવજી રે૦

ચૈત્રે ચુતા સંચરી, ઊભી જમુનાને તીર;
પંથ ન્યાળતી પ્રેમદા, રડતાં ભીંજે ચીર.

ચૈતર માસનો ચાંદલો, રૂડી નિર્મળ રાત;
સ્વપનામાં સ્વામી રમી ગયા, હદે થઈ રળિયાત.

જાગીને જોતાં દિસે નહીં, ફાળ પડી છે પેટ;
બોલાવ્યા બોલે નહીં, નાશી પેઠા રે નેટ.

કોમળ કર ધરી દીવડો, ચતુરા ન્યાળે ચોપાસ;
ખોળતાં ખૂટી રે રાતડી, ન મળ્યા શ્રી અવિનાશ.

પાછલી રાત પરોઢિયું, ઊઠી પ્રાત:કાળ;
જોશીડા જોશ સંભાળજે, આ શું આળપંપાળ.

સુખ સ્વપનાનું સાંભરે, ભીતર ભડકા રે થાય;
રત્નાના સ્વામી રે શામળા, આવી મળે તો ઓલાય.           ઓધવજી રે૦

વૈશાખ આવ્યો રે સખી, વહી ગયા ખટમાસ;
હજી સંદેશો નાવિયો, કાગળની શી આશ.

વૈશાખે વાયા રે વાયરા, પાક્યાં દાડમ દ્રાખ;
પાકી તે રાયણ આંબલી, ગળી આંબાની સાખ.

લુકનાં લેહેરાં લાગે ઘણાં, બહાર નવ નિસરાય;
ધરતી તખે ને રવી તપે, કોમળ મુખ કરમાંય.

ફૂલડાંની સેજ સારિયે, બેહેકે ચંપો ને જાય;
વ્હાલાજી કેરે વીંઝણે, કેને ઢોળું રે વાય.

માંગ સમારૂં રે મોતીએ, સેંથે ભરૂં રે સિંદૂર;
નાથજી લ્હાવો લીજિયે, જોબન જાય ભરપૂર.

ગ્રીષ્મ ઋતુ અતિ દોહેલી, વ્હાલા વિચારો મન;
રત્નાના સ્વામી રે શામળા, સોંપ્યું તન, મન, ધન.           ઓધવજી રે૦

જેઠે જોડી સોગઠી, પાસા લીધા હાથ;
જાણ્યું પડશે પાધરા, અવળા પડિયા, નાથ!

જેઠ લગી જોઈ વાટડી, કોઈ આવે ને જાય;
કાગળ કટકો મળ્યો નહીં, લખવા જાદવરાય.

મરવું તે મુખથી કેમ કહું, મરણ હરિને રે હાથ;
પ્રીતમગત મૃત્યુ થઈ રહી, જાણે વૈકુંઠનાથ.


સગપણ સાચું સૌ કહે, પ્રીત પીતળ ફોક;
એ રે ઉખાણો સાચો મળ્યો, ભલા હસાવ્ય લોક.

દોષ અમારાં અદૃષ્ટનો, વાલાજીનો શો વાંક;
સુખદુ:ખ સરજ્યું દેહને, મારી વિધાતાએ ટાંક.

ચતુર થઈ નવ ચૂકિયે જાણો અબળાનો ધર્મ;
રત્નાના સ્વામી ર શામળા, વળતી બેસશે કર્મ.          ઓધવજી રે૦

અસાડ આવ્યો હે સખી, કેમ કરિ કાઢું દન;
નાથ નમેરા થઈ રહ્યા, ક્દે પડ્યાં રે રતન.

અસાડો ઘન ઊલટ્યો, માગ્યા વરસે રે મેહ;
વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.

મોરના શોર સોહામણા, દાદુર બોલે રે જોર;
કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.

રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝબકે રે મન;
દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.

લીલાં ચરણાં અવનીએ ધર્યાં, તરુવર ગેરગંભીર;
પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.


જોગીડા પણ પંથ પરહરી, બેઠા ઐક આસન;
રત્નાનો સ્વામી રે શામળા, આવો જગના જીવન.          ઓધવજી રે૦
*
શ્રાવણ માસે સજ થઈ, દરપણ ન્યાળે અંગ;
તતક્ષણ તે ધરણી ઢળી, જાણે ડસ્યો ભુજંગ.

શ્રાવણ માસ સોહામણો હિંડોળાના રે દંન;
હિંચે તે ગોરી રાધિકા, ઘણું રંગ્યા રે પાય.

ગૌરી પૂજે સાહેલડી, કરમાં પુષ્પની માળ;
બીજા રે કરમાં કંકાવટી, મુખે શ્રીગોપાળ.

ચાર પહોર જાગરણ કરે, ગૌરી ગરબા રે ગાય;
રાત થોડી ને રમત ઘણી, રખે વહાણું રે વાય.

શ્રાવણે પાક્યો આંબલો, કોને કરીએ ભેટ;
રત્નાના સ્વામી રે શામળા, આડો જમુનાનો બેટ.          ઓધવજી રે૦
*
ભાદરવે ભવન પંચમે, ખળકે હિંદોળાખાટ;
પુષ્પને પંખે પદ્મણી, જુવે વ્હાલાની વાટ.

ભાદરવો ભરપૂમાં, ભલું જણાયે જોર;
ગગન વિશે કરે કાટકા, નાવ્યા નંદકિશોર.

ઉત્તરદેશથી ઉલટ્યો, થયો ઘોર અંધાર;
વીજલડી ચમકાર કરે, નાવ્યા નંદકિશોર.

પંચ રંગના આભમાં, મોટા તાણ્યા રે મચ્છ;
ચંપક વરણી રે રાધિકા, ચીર ભીંજાયે સ્વચ્છ.

નદીએ નીર ભર્યાં ઘણાં, નવ દીસે ઉતાર;
વેરણ જમુના પૂરે ચઢી, પિયુડો પેલે રે પાર.

બાળ્ય બધું સુખ દેહનું, જેનો નાથ નઠોર;
રત્નાના સ્વામી રે શ્યામળા, બળતી બોલું છું જોર.          ઓધવજી રે૦
*
આસોએ આશા હતી, મળવાની મનમાંય;
ઓધવજી ભલે આવિયા, વીરા થાઓ વિદાય.

દુ:ખના રે દહાડા વહી ગયા, આવ્યો આસો રે માસ;
સૌ કો સપરમે દહાડલે, વસે પોતાને વાસ.

નવ રે દહાડા ગયાં નોરતાં, નાવ્યા દશરા રે માંય;
મોટો ઓછવ દીવાળીનો, આવી કરજો ઈહાંય,

સખી સાહેલી સૌ મળી, હરિને લેવાને જાય;
આણે મારગ હરિ આવશે, ઉલટ અંગ ન માય,


ધનતેરસે ધન ધોઈને, સજ્યા સોળ શણગાર;
નયણે તે કજળ સારિયાં, મળવા નંદકુમાર.

કોમળ કરમાં રે દીવડો, હઈડે હરખ અપાર;
હરિને નિહાળવા નીસરી, ઊભી આંગણાં બહાર.

મનના મનોરથ વહી ગયા, એકે સિધ્યું નહીં કાજ;
રત્નાના સ્વામી રે શામળા, દોહેલું કીધું છે રાજ.          ઓધવજી રે૦