મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૯.કરમણ


૭૯.કરમણ

કરમણ (૧૮મી સદી ઉ.)
રવિભાણ સંપ્રદાયના આ હરિજન સંત કવિએ અધ્યાત્મ વિષયક પદો લખ્યાં છે
૧ પદ
 
નાઈ ધોઈને કરે અસનાના...
નાઈ ધોઈ ને કરે અસ્નાના, માયલાનો મેલ તારો નૈં જાવે;
ધ્યાન વિનાનો ધૂન મચાવે, ન્યાં સાહેબ મારો નૈં આવે...          નાઈ ધોઈને...૦

વૈષ્ણવ થઈ વિવેક ન જાણે, નિત ઊઠીને નાવા જાવે;
નટવા હોકર નાચ નચાવે, ન્યાં સાહેબ મારો નૈ આવે...          નાઈ ધોઈને...૦

જોગી હોકર જટા વધારે, કામ કરોધ બાવો બહુ લાવે;
ભભૂતિ લગાડી ભવ હારે, તોય ન્યાં સાહેબ મારો નૈ આવે...          નાઈ ધોઈને...૦

ભમ્મર ગુફામાં સાધે ગોટકા, વીર વિદ્યા બાવો બહુ લાવે;
સમાધિભાવે બાવો કરે સાધના, તોય ન્યાં સાહેબ મારો નૈ આવે...નાઈ ધોઈને...૦

ધન માલનો કરે ઢગલો, ઈ પણ તારી હાર્યે નૈ જાવે;
કરમણને ગુરુ મોરાર મળિયા, ગરિબ થઈ ગુરુ ગુણ ગાવે...          નાઈ ધોઈને...૦