મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭.જયશેખર સૂરિ-ત્રિભુવનદીપક પ્રબંધ


૭.જયશેખર સૂરિ-ત્રિભુવનદીપક પ્રબંધ


જયશેખરસૂરિ (૧૪મી ઉત્તરાર્ધ–૧૫મી પૂર્વાર્ધ) ‘કવિચક્રવર્તી’ ગણાયેલા આ સંસ્કૃતજ્ઞ કવિ અંચલ ગચ્છના જૈન સાધુ હતા.પોતાની ‘પ્રબોધચિંતામણિ’ નામની સંસ્કૃત કૃતિ પરથી એમણે લખેલી ગુજરાતી કૃતિ ‘ત્રિભુવન-દીપક પ્રબંધ’ ૪૦૦ ઉપરાંત કડીઓની દુહા, ચોપાઈ, અક્ષરમેળ-માત્રામેળ છંદો, ગીતોમાં લખાયેલી વિશિષ્ટ કૃતિ છે. એ ઉપરાંત એમણે સ્તવન આદિ બીજી રચનાઓ પણ કરી છે.


‘ત્રિભુવન-દીપક પ્રબંધ’-માંથી (આ રૂપક કાવ્ય છે. આત્મારૂપી રાજા નામે પરમહંસ. એને માયા પોતાના રૂપમાં ફસાવે છે ને પ્રિય રાણી ચેતનાથી જુદો પાડે છે.....એમ કથા આગળ ચાલે છે ને છેવટે પરમહંસનું ચેતના સાથે મિલન થાય છે. કૃતિ સરળ-પ્રાસાદિક છે.)

ચઉપ્પઈ
તેજવન્ત તિહુ ભુવન મઝારિ પરમહંસ નટવર અવધારિ.
બુદ્ધિ મહોદધિ, બહુ બલવંત, અકલ, અજેઉ, અનાદિ અનન્ત,

વાધિઉ નીઠ સુ ત્રિભુવનિ માઇ, નાન્હઉ કુન્થુશરીરિ સમાઇ.
દીપતિદિણયર કોડિહિ જિસિઉ; જિહાં જોઊં તિહાં દેખઊં તિસિઉ.

એક ભણઇ એહ જિ અરિહન્ત, એહ જિ હરિ, હરુ, અલખું અનન્તુ.
જિણિજિણિ જાણિઉ તિણ તિમ કહિઉ, મન ઇન્દ્રિયબલિ તે નવિ ગ્રહિઉ.

કાઠિ જલણુ જિમ, ધરણીહિ ત્રેહુ, કુસુમિહિ પરિમલુ, ગોરસિ નેહુ,
તિલિહિં તેલ્લ જિમ, તાઢકિ નીરિ, તિમ તે નિવસઇ જગતશરીરિ.

રાણી તાસુ ચતુર ચેતના કેતા ગુણ બોલઊં તેહ તણા?
રાઉ રાણી બિ મનનઇ મેલિ ફિરિ ફિરિ કરઇ કુતૂહલ કેલિ.

નવજુવ્વણ, નવરંગી નારી, સામલડી, સહજંઇ સવિકારિ.
માયા રમણી રમન્તી રુલી અન્ન દિવસિ નરવરનઇ મિલી,

નરપતિ નિરખઇ તેહનૂં રૂપ, નયનબાણિ તિણિ વીધઉ ભૂપ.
તે જાણી રાણી વીનવઇ, ‘સ્વામી! ઊવટ કાંઇ પાઉ ઠવઇ?

રૂયડી રમણી ગયગામિણી દેખી ભુલ્લઉ, તિહુયણધણી!
અમૃતકુંડિ કિમ વિષ ઊછલઇ? સમુદ્રથકી ન ખેહ નીકલઈ.

સરવર માંહિ ન દવ પરજલઇ ધરણિભારિ શેષ ન સલસલઇ,
રવિ કિમ વરિસઇ ઘોર અન્ધાર? ઝરઇ સુધાકર કિમ અંગાર?

જઇ તૂં ચૂકિસિ દેવ! વિચાર, લોક તણી કુણ કરીસિ સાર?
નારીભર્યા છઇ સઘલા દેસ, ચંચલ ચમકઈ સવે સુવેસ.

ઠામિ ઠામિ જઇ માંડિસિ પ્રેમ, જાતઇ દિવસિ ન દેખઊં ખેમ.
આભ છાંહ, ભીતિ જાજરી, બેટી ધન, ભોજન બાજરી.

ઠાર ત્રેહ અસતીનુ નેહ, દૈવ દેખાડઇ છહિલઉ છેહ.
જે જે આગઇ એહનઇ મિલ્યા, રાય રંક જિમ તે સવિ રુલ્યા.
મ કરિ અજાણી સ્રી વીસાસુ, સ્રી કહીઇ દોરી વિણ પાસુ.’
જે શિખામણ તિણઇ કહી, ભરિયા ઘડા ઉપરિ તે વહી.

રાખીતઇ રાહડિ એ રીતિ રહિય સુરમણી રાનઇ ચિત્તિ.
એ વડુ દાઘુ સકી નવિ સહિ ચેતન કિહંઇ લુકી નઇ રહી.

સઉકિ તણઉ જઇ ટલ્યુ સંતાપુ, તઉ માયા માંડિઉ બહુ વ્યાપુ.
જિમ જિમ રાજા માયા કલિઉ, તિમ તિમ તિહુયણધણી અવ ટલિઉ.

તઉ તિણિ માંડિ વસિવા સહી કાયાનગરી નવબારહી.
જે હૂંતઉ જગપતિ નિર્દોષ, તિણિ તેતઇં માનિઉં સંતોષ.

જ્ઞાનકલા તિણિ તિમ ઊલવી, નગરૂં ન સકઇ જિમ જાલવી.
મન રહિં દીધઉ તઉ વ્યાપાર, આપણ ખંધ ઊતારિઉ ભાર.