મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અભિમન્યુઆખ્યાન કડવું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧

પ્રેમાનંદ

રાગ કેદારો
શ્રીશંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી,
શ્રીહરિ ગાવાની ગત આવડે રે.          ૧
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.          ૨

ઢાળ

જડે વિદ્યા નિર્મળી, સરસ્વતી હોય તુષ્ટમાન;
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.          ૩

વૈશંપાયન વાણી વદે: તું સુણ, જનમેજય રાય!
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુ:ખ જાય.          ૪

કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા,
દસમે દિવસે બાણશય્યાએ ભીષ્મપિતામહ પડિયા.          ૫

પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા;
શકુનિશું દુર્યોધન મળીને દ્રોણ સેનાપતિ કીધા.          ૬

મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન,
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણાચાર્ય મુનિજંન.          ૭

સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે;
કોને બોલવાની શક્તિ નહીં જે સૌભદ્રને મારે.          ૮

કૌરવપતિએ બેહુ કર જોડી વીનવિયા ગુરુ દ્રોણ:
‘સ્વામી! સૌભદ્રેરૂપી સાગર તમ વિના તારે કોણ?          ૯

અર્જુને હસ્તી સંઘાતે હેલાં હણ્યો ભગદત્ત;
મુનિ! તમને મૂર્છા પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત.’          ૧૦

એવું કહીને મુગટ ઉતારી ગુરુને પાગે ધરિયો;
‘ગુરુ! બંધાવો તો હું બાંધું,’ એમ અહંકારી ઓચરિયો.          ૧૧

રીસ કરીને ઋષિજી બોલ્યા, કર ઉદક-અંજલિ લીધી;
અભિમન્યુને મારવાની ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કીધી:          ૧૨

‘સૌભદ્રે મેં કાલ મારવો,’ ઋષિનાં વચન શ્રવણે પડિયાં,
હરખ્યો હસ્તિનાપુરનો રાજા, દુંદુભિ ત્યાં ગડગડિયાં.          ૧૩

શ્રીકૃષ્ણ ગયા અર્જુનને તેડી સંશપ્તકને પાસ;
ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ.          ૧૪

વૈશં પાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે:
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે?           ૧૫

વલણ
કહોને કારણ કૃષ્ણજીનું જે કીધો મોટો કેર રે.
ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને: મામા-ભાણેજને શાનું વેર રે?          ૧૬