મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિરાંત પદ ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૪

નિરાંત

મને સદગુરુ મળીયા પૂરા રે, અગમ નિગમની ગમ લાધી;
મેં જ્ઞાને શબ્દ વલોવ્યો રે, તત્ત્વ રૂપની તરી બાઝી.          ૧

તે તર લેવાને કાજે રે, વિવેક કરીને વિચાર્યું;
મે મગન કર્યો મનક્યારો રે, સ્હેજાસ્હેજ થયો સારો.          ૨

રહેણી કહેણી બેઉ રોપ્યાં રે, પ્રેમમૂળ સીંચ્યાં પાણી;
બેઉ એક મળીને ઊગ્યાં રે, વધ્ય વેલાની મંડાણી.          ૩

તેને ખડ લાગ્યું છે ખાવા રે, દુગધા ભાથી બહુ વ્યાપી;
ગુરુગમ કેદાળે ગોડ્યાં રે, મૂળ સહિત નાખ્યાં કાપી.          ૪
ખડ ટળીયું ને વેલો બરમ્યો રે, અરધઉરધમાં જઈ વાધ્યો;
કહે દાસ નિરાંત પરમાતમા રે, સત્યરૂપી સાચો લાધ્યો.          ૫