મનીષા જોષીની કવિતા/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
મનીષા જોષીની કવિતા




સંપાદન : પન્ના ત્રિવેદી



શ્રેણી સંપાદન : મણિલાલ હ. પટેલ



એકત્ર ફાઉન્ડેશન


મનીષા જોષીની કવિતા
સંપા. પન્ના ત્રિવેદી

EKTRA FOUNDATION (USA)


© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના


ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૩





ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ ૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭


મનીષા જોષી : મુક્તિશોધની ઝંખનાનો બળવત્તર અવાજ

– પન્ના ત્રિવેદી

ગુજરાતી કવિતાવિશ્વમાં નોખું તરી આવતું એક નામ એટલે મનીષા જોષી, આપણા સમયના અને છતાં સમસ્ત સમયખંડના અનુભવી શકાય એવા એક ગુજરાતી કવિયત્રી. ગુજરાતી ભાષાની આ વિશિષ્ટ કવિયત્રીએ ચાર કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કંદરા’ (૧૯૯૬), ‘કંસારા બજાર’ (૨૦૦૧), ‘કંદમૂળ’ (૨૦૧૩) અને ‘થાક’ (૨૦૨૦). ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા અને શ્રી રમેશ પારેખ ઍવૉર્ડથી સન્માનિત આ કવિયત્રીનું ભાવવિશ્વ પરિચિત છતાં સાવ અપરિચિત અનુભવાય છે. આ સંપાદન કાર્ય આપ સહુ સુધી પહોંચી રહ્યાનો અનેરો આનંદ વ્યક્ત કરું છું. આ નોખી કવિયત્રીની કવિતાઓમાંથી પસાર થવાનો અનુભવ પણ એવો જ નોખો રહ્યો. તેમની કવિતાઓના ચયન અર્થે એકાધિક વાર તેમની રચનાઓમાંથી પસાર થવાનું બન્યું. કાવ્ય પસંદગીની પ્રક્રિયાએ ખાસ્સી મથાવી. એમ પણ બન્યું કે એક જ વિષય પર લખાયેલ અનેક બળવત્તર રચનાઓ સાંપડી પણ એ સર્વ કાવ્યોને સમાવિષ્ટ કરવા શક્ય ન બને તે સ્વાભાવિક છે. આપણી ભાષાની આ કવિયત્રીનું કાવ્યવિશ્વ બહુઆયામી રહ્યું છે. અન્ય સશક્ત રચનાઓમાં રહેલ વિસ્તૃત અને ઊંડું એવું વિશિષ્ટ ભાવવિશ્વ પણ કાવ્યરસિકો અને ભાવકો સમક્ષ આ પહોંચાડી શકું તે જ મારો ઉદ્દેશ્ય. મનીષા જોષી આપણા સમયખંડનો એક મહત્ત્વનો સ્ત્રી સ્વર બની રહે છે. તેનું એક કારણ એ કે સંવેદના અંગેની તેમની અભિવ્યક્તિ લેશમાત્ર મુખર નથી. નોંધવું રહ્યું કે આ અવાજ વૈયક્તિક સંવેદનથી ભર્યો ભર્યો હોવા છતાં સમસ્ત સમષ્ટિ સુધી વિસ્તરતો અવાજ છે. એ પણ હકીકત છે કે ઉદાસી કે વિરક્તિ ભાવ વૈયક્તિક નથી છતાં બિનઅંગત બની જઈને બૌદ્ધિક-ચૈતસિક એવી સમષ્ટિ સુધી સ્પર્શે છે. શક્ય છે કે આ કવિયત્રીની કવિતાઓ સામાન્ય વાચકોના ચિત્તને વાંચતાની સાથે જ એક ક્ષણમાં જ કાવ્યાનંદ ન આપી શકે, શક્ય છે તેમના ભાવવિશ્વનો તાગ સહજમાં ન મળી શકે કારણ કે તેમની કવિતાઓનું ભાવવિશ્વ અત્યંત સંકુલ રહ્યું છે. આ સંકુલ સૃષ્ટિ તેમની કવિતાઓનો વિશેષ પણ બને છે અને સાધારણ વાચકો માટે મર્યાદા પણ. ભાવકે કવિયત્રીની કવિતાઓ સુધી પહોંચવા માટે અપરિચિત કેડી પર ચાલવાનું સાહસ ખેડવું રહ્યું. સર્‌રિયાલિઝમના જગતમાં વિરહવું રહ્યું કે પછી બાયોલોજીકલ સભાનતાની તીવ્ર ઊંચાઈ સુધી જવું રહ્યું. સ્ત્રીદેહની સભાનતા, તેની અનુભૂતિ અને પ્રગટીકરણના રૂપો જ ભિન્ન! સ્ત્રી હોવું એક બાબત છે, ક્ષણે ક્ષણે સ્ત્રી હોવાપણાની સભાન અનુભૂતિ કરવી એ બીજી બાબત છે અને વળી ‘સ્ત્રીત્વ’ને અખંડ રૂપે પામવું તે ત્રીજી જ બાબત છે. મનીષા જોષીની કવિતાઓમાં આ ત્રણેય સ્તરોનું કલાત્મક રૂપ પમાય છે. તેમની કવિતાઓ નારીવાદના અભિગમની સભાનતાથી લખાઈ નથી, તેમનાં કાવ્યોમાં ‘સ્ત્રીત્વ’ની અનુભૂતિની રંગદર્શી સૃષ્ટિ કે સ્થાપિત રૂઢિ-પરંપરા સામે વિદ્રોહ નથી પણ રૂપાળા આવરણ વગર પ્રગટતો એક નોખા પ્રકારનો દ્વેષ છે. જાતીય આવેગો, રતિ ઝંખના પ્રગટ કરવાનું સાહસ પણ અદમ્ય છે તો નવ્ય પ્રતીક-કલ્પન તથા રૂપકોનો વૈભવ પણ છે. નવી સ્ત્રીની નવી વાત નવી ભાષા સાથે લઈને આવતી આ કવિયત્રીનો મિજાજ આગવો છે. પોતાના સમયની, પોતાની સંવેદનાની વાત આધુનિક રીતિએ કરતી આ કવિયત્રી સ્વપ્નજગત, પરાવાસ્તવજગત કે દેહગત સભાનતાના આયામો થકી અભિવ્યક્ત કરે છે. મનીષા જોષીનાં કેટલાંક કાવ્યોમાં નિશ્ચિત અર્થ પ્રાપ્ત થઈ જ જશે એવી ધારણાઓ પણ ખોટી પડી શકે. ક્યારેક તેમનાં કાવ્યોમાં ભિન્ન ભિન્ન ચિત્રોનું સૌન્દર્ય માત્ર પણ હોઈ શકે. જીવન પ્રત્યેનો કોલાહલ, ઉદાસી કે આક્રોશ ઠલવાય છે અછાંદસના માધ્યમ થકી કવિતાઓમાં. દુઃખના મૂળ ખરેખર તો સ્મરણમાં જ રહેલા છે અને કવિતા પણ એક રીતે તો સ્મરણનું ખનન જ છે ને! સ્થળ-કાળની મર્યાદાઓથી મુક્ત એવું પદ્ય તેમને વિશેષતા બક્ષે છે. તેમની કવિતાઓમાં આધુનિકતાનો પ્રભાવ પણ ઊડીને આંખે વળગે છે. ભાવ સંવેદન તેમજ ક્રિયા-પ્રતિક્રિયાઓની છબી કવિતાઓમાં ઝીલાય છે તે ય સાક્ષી ભાવે. આ કવિયત્રી શીધ્ર-પ્રતિક્રિયાની કવિયત્રી નથી જ નથી. તેમનું સંવેદન ઘૂંટાઈ – રસાઈને ધીમે ધીમે કવિતાઓમાં ઠરતું આવે છે અને એ જ સંવેદન જ્યારે સહૃદયી ભાવકની આંખે પસાર થાય છે ત્યારે એક પ્રકારે દાહકતાનો અનુભવ પણ કરાવે છે. આ જ તો આ કવિયત્રીનું કૌવત છે! એક રીતે મનીષા જોષીનાં કાવ્યોમાંથી પસાર થતી વેળાએ આપણે કાલ્પનિક સૃષ્ટિથી વાસ્તવિક સૃષ્ટિ અને વાસ્તવિક સૃષ્ટિથી કાલ્પનિક સૃષ્ટિની યાત્રાના સહયાત્રી બની રહીએ છીએ. આ કાવ્યવિશ્વ બહુધા તો આંતરિક જ રહ્યું છે. ઉદાસીનો એક સ્થાયી ભાવ નિરંતર અનુભવાય છે. તેમનાં કાવ્યોમાં પ્રગટ થતાં રૂપો પરિચિત છતાં અપરિચિત છે. ખાસ તો પૌરાણિક, ઐતિહાસિક સંદર્ભોની સમાંતરે જે બહુધા આલેખાયા છે તે છે પ્રાણી સંદર્ભો તથા ખાદ્ય સામગ્રીના પદાર્થ સૃષ્ટિ. કાળમુખા પાડા પર બેસીને આવતા યમરાજ છે (નરપિશાચ), લક્ષ્મી દેવી છે, વિષ્ણુ દેવ છે (હાથ) તો દેવદૂતો પણ છે. પ્રાણી સંદર્ભોમાં જોઈએ તો મસાલા ભરી મૂકી રાખેલા વાઘ-સિંહ (સામ્રાજ્ય), ગીધની પ્રેયસી (નરપિશાચ), ઉંદર-કાચબો-નાગ-વાઘ-ગરુડ (પ્રદક્ષિણા), ચકલી (તડકાના દાણા), કરચલા (ખારવાની વહુ), વ્હેલ (વ્હેલનું શરીર), બકરી (ત્રિતાલ), હાથી-ઘોડા-ઊંટ (ઓસીકાની ખોળ), અળશિયા (તરસ), ઉંદર (ઉદાસી), કૂતરી (રોગિષ્ઠ કૂતરી), માછલી-નાગ (મેરુ), કાગ (કાગ), માછલી (નર્મદા), મરધી (નોબલ મીટ હોમ), ફ્લેમિંગો-જળકૂકડી (અતિપ્રિય અતિથિ) ઇત્યાદિ અનેક રૂપે પમાય છે. ‘જેલ’, ‘મેખલા’, ‘વૃક્ષ, અવાસ્તવિક’, ‘શૂન્યાવકાશ’ જેવા કાવ્યોની સર્‌રિયલ સૃષ્ટિ આસ્વાદ્ય બની છે. આપણે જાણીએ છીએ કે અનુઆધુનિક સમયની એક મહત્ત્વની ધારા તે નારીવાદ. ગુજરાતી કવિતાઓમાં નારી ચેતના અને નારી સંવેદનનાના અવનવા આયામો આપણને ભિન્ન ભિન્ન રૂપે સાંપડ્યા છે પણ મનીષા જોષી આ બધામાં એક વિશિષ્ટ અવાજ બની રહ્યા છે. સ્ત્રી અસ્તિત્વને તથા ‘સ્ત્રીત્વ’ને આલેખવાની તેમની રીત નિરાળી છે. તેમના કાવ્યોમાં પ્રેમ છે, તીવ્રતા છે, કામુકતા છે તો આક્રમકતા પણ છે. ખાસ તો પુરુષ દ્વેષીણી અને વિદ્રોહીણીનું રૂપ આપણને જે રીતે પમાયું છે એવું ભાગ્યે જ ગુજરાતી કવિતાઓમાં આલેખાયું હશે. ‘સ્ત્રી’, ‘ખારવાની વહુ’, ‘શીતળા સાતમ’, ‘ખૂંધવાળી છોકરી’, ‘આવરણ’, ‘વૃક્ષ, અવાસ્તવિક’, ‘પ્રવેશદ્વાર’, ‘વ્હેલનું શરીર’, ‘ઉદાસી’, ‘સાર્વજનિક બાગ’, ‘રજોસ્રાવ’, ‘ગોઝારી વાવ’, ‘મેરુ’, ‘તાપ વિનાનો ઉજાસ’, ‘મેખલા’, ‘હાથ’, ‘રોગિષ્ટ કૂતરી’, ‘એક કિશોરી’, ‘ડોશીનાં વાળ’, ‘દાણા’, ‘સામ્રાજ્ય’, ‘નરપિશાચ’, ‘પ્રદક્ષિણા’ ‘કંસારા બજાર’, ‘સંધ્યાટાણે’, ‘અશ્વપુરુષ’, ‘ત્રિતાલ’ તથા ‘તરસ’ જેવી અનેક રચનાઓમાં નિહાળી શકાય છે. ‘સ્ત્રી’ કાવ્યમાં તે કહે છે : ‘મારી અંદર એક વૃક્ષ ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે. મને આવડી ગયું છે પાનખરમાં પાંદડાંઓને ખંખેરી નાંખતા પણ મને ખબર છે નદીપારના કોઈક સ્મશાનમાં સૂકાં, પીળા પાંદડાંઓ ભેગી ભડકે બળતી હશે મારી ઉદાસી...’ આ સ્ત્રી ભીતરની સ્ત્રીને જે રીતે જાણે છે, પ્રમાણે છે તે પ્રક્રિયા આસ્વાદ્ય છે. આમ પણ મનીષા જોષી પ્રક્રિયાની કવિયત્રી છે. આ કાવ્યમાં પાંદડું ઇચ્છાઓનું રૂપ છે, સ્વપ્ન રૂપ છે. પ્રત્યેક લીલુછમ વૃક્ષ તેના પાંદડાં બળવાની સુગંધ ઓળખી લે છે. સ્ત્રી અનુભૂતિનો અવાજ જ જુદો. ભીતર ફળોના ભારથી ઝૂકેલા એક વૃક્ષની ઓળખ આ સ્ત્રીને છે. એવું વૃક્ષ જેના પર તાજાં જન્મેલાં પંખીઓ, મહોરતા ફળોનાં રંગથી મહેકતી એવી ડાળીઓ જેના પર કીડી, અજગર અને અંધારાનું ય છે આલિંગન. ‘મને આવડી ગયું છે પાનખરમાં પાંદડાંઓને ખંખેરી નાંખતા ... પણ મને ખબર છે નદી પારના કોઈક સ્મશાનમાં સૂકાં પીળાં પાંદડાંઓ ભેગી ભડકે બળતી હશે મારી ઉદાસી પાંદડાં બળવાની સુગંધ ઓળખી લે છે , દરેક લીલુછમ વૃક્ષ...’ ‘સામ્રાજ્ય’ કાવ્યમાં તે કહે છે : ‘મને ઝરૂખામાં બેસાડો / મને વીંઝણો નાંખો / મને અત્તરના હોજમાં નવડાવો...’ પણ વાસ્તવિકતા એ છે કે આ એક એવી રાણીનું સામ્રાજ્ય છે જેની પાસે હવે દાસીઓ નથી, ગુપ્તચરો પીછેહઠના સંદેશા લાવી રહ્યા છે અને આ સ્ત્રી પોતાનું આખું સામ્રાજ્ય હારી ચૂકી છે પણ સૂક્ષ્મ રૂપે જુઓ તો આ હારેલી સ્ત્રીનાં ઉદ્‌ગાર જ ધારદાર વાર કરવા સક્ષમ છે. તે કહે છે : ‘... પણ એ પહેલાં, રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો / જે મેં ક્યારેય પૂરા જોયા નથી / એ જોઈ લેવા છે’... પરંપરાએ જેને શૌર્યના પ્રતીકો ગણ્યા છે, જંગલના સહુથી મોટા શિકારી ગણ્યા છે તેને ચીરીને મસાલા ભરીને વળી ચીરીને ખાલી કરી નાંખવાની એક પ્રબળ ઇચ્છા છે. આ ઇચ્છા શેમાંથી જન્મી છે? કારણ કે સ્ત્રી જાણે છે આ સામ્રાજ્યના પાયા તો કેવળ દંભ અને પોકળતા પર ઊભેલા છે. આ સામ્રાજ્ય સ્વયં એક ભ્રાંતિ છે, છળ છે. ‘કાંચળી’ કાવ્યમાં વિશ્વાસઘાતની, દ્રોહની વાત કેન્દ્રમાં છે. એક સાપની જેમ પ્રેમી પણ કાંચળી ઉતારી બીજી જાળ ફેલાવવા ચાલ્યો જાય છે અને પ્રેમિકાના હાથમાં રહી જાય છે છદ્મ કાંચળી. તો ‘વાળની ગૂંચ’ કાવ્યમાં સોનાની વેણીથી વાળ સજાવતા સુંદર અને શાશ્વત વાળ ધરાવતા નરેશ- પુરુષમાં રક્તપીતિયા કે રોગી હોય તો ય સ્ત્રી પાસે ‘સ્ત્રીધર્મ’ અપેક્ષા રહે છે અકબંધ. આ સ્ત્રી એવા ‘સ્ત્રીધર્મ’માંથી ઝંખે છે મુક્તિ. ‘હોવાપણા’થી ઝંખે છે મુક્તિ. આ જ ભાવની પરાકાષ્ઠા તો પમાય છે ‘ત્રિતાલ’ કાવ્યમાં. સ્ત્રીની સ્વયં પૂર્ણતાની કલ્પના જ કેવી અલાયદી! આ કલ્પના પ્રતિકાર માટે શિંગડા ધરાવતી માળા સુધી વિસ્તરે છે. સ્ત્રી ઉત્ક્રાંતિની પ્રક્રિયા જ આખી રસપ્રદ છે. તે સ્ત્રી જે સ્વયં પૂર્ણ હોય. એક પ્રશ્ન પણ મૂકે છે : ડાયનાસોરની માફક લુપ્ત થઈ જવાશે? ખવીસ-ડાકણ-ડોશીના સૂચક રૂપોની સૃષ્ટિ સુધીની યાત્રામાં વિહરે છે. છેવટે એક કડીરૂપ રૂપની કલ્પના પ્રાપ્તિ કરે છે. વાસ્તવ-અવાસ્તવમાંથી જન્મેલું રૂપ નર હશે કે માદા? એક એવી માદાની ઝંખના જેની પુત્રી રૂપે ચક્ર નિરંતર ચાલતું રહે અવિરત. ખપે તો બસ કેવળ સ્ત્રીની સ્વતંત્ર પૂર્ણતા! ‘હાથ’ કાવ્યમાં કવિયત્રીની ઝંખનાનું રૂપ પણ અનેરું છે. આ કવિયત્રી દેવી પાસે સોનામહોર, ત્રિશૂળ, શંખ કે માળા નથી ઝંખતી તે તો ઝંખે છે કમળ પકડેલો હાથ. એ હાથ જે કમળને સદા યુવાન રાખે છે. હજાર હાથમાંથી આ એક જ હાથની ઝંખના જેથી એ પકડી રાખી શકે એ એક સમગ્ર આયુષ્યને. તેમના કેટલાંક કાવ્યોમાં સ્ત્રી-પુરુષ સંબંધ જગત આલેખિત થયું છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રચાતા સંબંધમાં ક્રિયાઓનું આલેખન નવું નથી પણ પુરુષ રોજ રોજ જાણે કે એક નવો અનુભવ આપે છે. જે અવાંછિત જગત તરફ ખેંચી જાય છે. મરવા અને સૂવાની અનિચ્છાએ થતી આ ક્રિયામાં વાસ્તવમાં કોણ મરે છે? કદાચ એક સંબંધ ધીમે ધીમે મરતો જાય અને અને એથી વધુ કારુણ્ય તો એ કે તેના મરણને કોઈ સંવેદનશીલ આંખ નિહાળતી નથી. કોઈ કાન તેની મરણપોક સાંભળતા નથી. ‘કંસારા બજાર’ જેવી રચનામાં વાસણ સમી સ્ત્રીનું એક ભાવવિશ્વ આકર્ષે છે. દુન્યવી એવા ‘કંસારા બજાર’ વચ્ચે ગોબાતી, પડતી, આખડતી, કોતરાતી, એંઠી થતી, વખારમાં પડી રહેતી સ્ત્રીના સંવેદન રૂપો વેધક બની રહે છે. આ કાવ્ય સૂક્ષ્મ રૂપે જુઓ તો એક રીતે સ્ત્રી અને તેના સમયની યાત્રા છે. ‘ડોશીનાં વાળ’ કાવ્યમાં એક એવી વૃદ્ધા કેન્દ્રમાં છે જેના યુવાનીના વાળ આમળાં-અરીઠાંથી ધોવાઈ ધોવાઈને હવે સુકાઈ ગયા છે, લીખીયાના દાંતામાં ભરાઈ ભરાઈને તૂટી જાય છે. આપણે અસંખ્ય વાર કોઈ સ્ત્રીઓને વાળ ઓળીને તૂટેલા વાળને અંગૂઠે વીંટતા જોઈ હશે. આ સાવ સાધારણ ક્રિયાને લઈને કવિયત્રીએ કેવું અસાધારણ સંવેદન ઘડ્યું છે! બે-ત્રણ જ પંક્તિઓમાં વૃદ્ધાની શૈશવથી લઈને યુવાનીની અને હવે પછીની પેઢીના ભવિષ્યને પણ પુનરાવર્તનને મૂકી આપે છે. ક્યારેક શૈશવમાં તેના વાળ ઉતરાવ્યા હશે, યુવાનીમાં ક્યારેક ચમકતા આ જ કેશ લહેરાતા હશે. પણ એ જ વાળ હવે વૃદ્ધ થઈ ગયા છે. આ જ સફેદ વાળ રસોડામાં ઊડીને ગયો છે અને વહુનો કર્કશ અવાજ સંભળાય છે. એ રીતે આ વૃદ્ધા વહુના આવનારા સમયનું પણ સાંકેતિક સૂચક આપે છે. શિશુ ઝંખના અને માતૃત્વની તીવ્ર ઝંખના ‘અતિપ્રિય અતિથિ’ તથા ‘જન્મ અને પુનઃજન્મ’ જેવી રચનાઓમાં પમાય છે. ‘શીતળા સાતમ’ કાવ્યમાં રૂઢ પરંપરા વચ્ચે અસ્તિત્વ ઉત્સવ મનાવતી એક એવી સ્ત્રી છે જે પોતે આચરેલા ‘પાપ’નો નિજાનંદ માણે છે. ‘રજોસ્રાવ’ કાવ્યમાં નારીદેહમાં થતાં ફેરફારની સમાંતરે અતીત બની ગયેલા સમય સ્મરણનું અંકન અને તેનું ગૌરવ પણ ધ્યાનપાત્ર બને છે. ‘હું રજસ્વલા બની એ દિવસથી/ વર્ષોનાં વર્ષો/ મારી પાછળ ટપકતાં રહ્યાં છે/ લોહીનાં ટીપાં/ ને હું સતત લૂછતી રહી એ ટીપાં/ મારી પીઠ પાછળ બાંધેલી સાવરણીથી...’ ‘ખારવાની વહુ’ કાવ્યમાં સ્ત્રી દરિયાની નજીક ઊભેલી છે. જેના મોમાંથી કરચલા ફૂટી રહ્યા છે. તે દરિયા તરફ જાય છે પણ તે ઓગળી શકતી નથી અને પાછી ફરે છે. કારણ કે તેના ગર્ભમાં હવે દરિયામાં ડૂબી ગયેલા પોતાના માછીમાર ધણીનું બાળક છે. આખા સમાજમાં ખારવાની વહુનાં મોંમાંથી કરચલા ખરવાની વાત ફેલાઈ ગઈ છે. આ કરચલા અહીં સ્ત્રીની દમિત અતૃપ્તિ, આવેગ કે રતિ ઝંખનાનું પ્રતીક બનીને આવે છે. સમાજની ભીતર પણ આવી સ્ત્રીઓને જોઈને કરચલા ફૂટે અને આવી અનૈતિક વૃત્તિઓથી સમાજ પણ ભયભીત થાય અને સ્ત્રી પણ. સ્ત્રીનું જાણે કે દેવીમાં રૂપાંતર કરી દેવાય છે. દર્શનના ઓથા હેઠળ તેની ‘પવિત્રતા’ને સાચવી રાખવાની, અકબંધ રાખવાની વાત પરોક્ષ રૂપે છે. એક ધારદાર વ્યંગ્ય પણ નિહિત છે. સ્ત્રી પોતે પણ પાળ બાધી રહી છે કારણ કે દરિયો તેનું ઘર ભાળી ગયો છે. આ ‘પાળ’ પણ અહીં અનેકાર્થ રૂપે રજૂ થાય છે. નારીવાદે સ્ત્રીના મનોભાવ અને મનોરાગની અભિવ્યક્તિને સ્વાતંત્ર્ય આપ્યું. સ્ત્રી પોતાના સર્જનમાં જાતીય ચેતના અને આવેગોને આલેખતી થઈ. અલબત્ત એ અધિકતમ માત્રામાં નથી આલેખાયું એ પણ સાચું. પણ આ કવિયત્રીની કલમ આ વિષય અનુષંગે પણ નિર્દંભ સાહસ દાખવે છે. નારીવાદની કવિતાઓમાં ક્યાંક ક્યાંક મુખર સ્વરે પુરુષ વિરોધ તારસ્વરે ગુંજે છે જ્યારે મનીષા જોષીની કવિતાઓમાં પુરુષ વિરોધ કરતાં હિંસા વિરોધ વધુ દેખાય છે. એ સાથે જ અહીં સ્ત્રીની દૈહિક ઓળખ પરત્વેની સભાનતા પણ કેન્દ્રસ્થાને અનુભવાય છે જે અનેક રચનાઓમાં નિહાળી શકાય છે. તેમની અતિ જાણીતી રચના ‘ગોઝારી વાવ’ પણ આ સંદર્ભ તપાસવા જેવી છે. આ કાવ્યમાં પુરુષ દ્વેષીણીનું રૂપ જે રૂપે પ્રગટ્યું છે એવું ભાગ્યે જ ગુજરાતી સ્ત્રી કલમે લખાયું હશે. હા હા એ માણસ જીવે છે હજી એના ઘરમાં, સુખેથી પણ મરી ગયો છે એ મારા માટે અને એટલે જ હું રોજ એના નવા નવા મૃત્યુની કલ્પના કરું છું. પ્રિયજનના મૃત્યુની કલ્પના જ તેને જીવન પ્રદાન કરે છે, આ કલ્પના જ તેના ભીતરના માંહ્યલાને જીવિત રાખે છે. આ સ્ત્રી કલ્પે છે પાડા પર બેઠેલા યમરાજ સ્વયં તેને વિનવે છે પણ પોતે તે પુરુષને સાથે લઈ જવા રજા આપતી નથી. વાસ્તવમાં અહીં કેવળ અને કેવળ તિરસ્કાર કે ઘૃણા નથી, પણ ઘૃણાની સમાંતરે હજી ક્યાંક જીવિત રહેલો પ્રેમ પણ છે. કદાચ છળ પામેલ પ્રત્યેક સ્ત્રીની ભીતર હશે આવી જ એક ‘ગોઝારી વાવ’? જેનાં પગથિયાં ઊતરી શકવા અન્ય કોઈપણ અસમર્થ! તો ‘નરપિશાચ’ કાવ્યમાં આ ભાવ વધુ તીવ્ર થઈને પુનઃ સ્થાન પામે છે. કોઈ એકલવાયા ગીધની પ્રેયસી બની જવાની કામના સેવતી, પોતાના જ પ્રેમીના શરીરને તૃપ્તિના ઓડકાર થકી આરોગતી નાયિકા કહે છે : ‘જેને લાખ ચાહવા છતાં હું મેળવી શકી નહોતી...’ ‘અશ્વ પુરુષ’ કાવ્ય એક બળવત્તર કાવ્ય છે. સ્ત્રી જીગિતને અર્થાત્‌ કુશળ ઘોડેસ્વારને પડકારે છે. એવો ઘોડેસ્વાર જેણે સ્ત્રી કરતાં અધિક ઘોડારના પોતાના અશ્વોને ચાહ્યા છે. વર્ષો પૂર્વે કવિયત્રીએ જોયેલું બાદલ સરકારનું નાટક ‘પગલા ઘોડા’ આ કાવ્યના મૂળમાં પમાય છે. વાતો કરતાં ઘોડા દોડ્યે જાય છે, નિરંતર જીત્યે જાય છે પણ કાવ્યનાયિકા કહે છે : હું હારી નથી, ઘોડારમાં એક પાગલ અશ્વ છે, તેની શક્તિથી તરબતર. તારી જ ઇચ્છા છે. તે જીગિતને પડકારતી કહે છે તારી ઇચ્છાનું મૃત્યુ પણ તને મારી જ પાસેથી મળશે. આ કાવ્યમાં સ્ત્રી પ્રેમના અનેક સૂક્ષ્મરૂપો પમાય છે. પ્રેમ, આક્રમકતા, તીવ્રતા અને કામુકતાની સમાંતરે ક્રૂરતા પણ. ‘સંધ્યાટાણે’ જેવા કાવ્યમાં પણ એક નોખી સ્ત્રી પ્રગટાવી છે. એક એવું વિશિષ્ટ વાસ્તવચિત્ર જે કપોળકલ્પનાના ઓજારથી દોરાય છે. સ્ત્રીની આંખો પાછળ બધું જ સંતાયું છે, જે કોઈને જ દેખાતું નથી. ઓપરેશન કરનાર ડૉક્ટરને પણ નહીં. આ સ્ત્રીની દૃષ્ટિ એવી તેજ છે કે અંધ બની ગયેલી નાગણો પણ પોતાના નાગના હત્યારાઓ વિશે પૃચ્છા કરે છે, જન્મ-જન્માંતર અંગેની પૃચ્છા કરે છે. એક અસ્તિત્વ એવું ય છે જે અકબંધ છે ભીતર જેની શક્તિ અને સામર્થ્ય કોઈ જ પામી શકતું નથી. ‘નોબલ મીટ હોમ’ કાવ્ય દૃશ્યચિત્રોથી ભર્યું ભર્યું છે. કાવ્યારંભ મુંબઈના લોકાલ સાથે થાય છે જે અંતે એક બે સંકેતના લસરકા માત્રથી જ સાંકેતિક સ્તરે કચ્છના લોકાલમાં લઈ જાય છે. મુંબઈની લોકલ ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં મુસાફરી કરતી કવિયત્રી અહીં એક દૃશ્ય માત્રામાં જ સમસ્ત સ્ત્રી વિશ્વ તરફ દોરી જાય છે. કુર્લા તરફ જતી ટ્રેનમાં બુરખો કાઢી નાંખતી મુસ્લિમ સ્ત્રીઓના ચહેરાઓને કવિયત્રી સજાતીય નજરે તાકી રહે છે. અહીં ‘સજાતીય’નો અર્થ ઘણો વ્યાપક છે. પીડાનું એક એવું સંવેદન કે જે સ્ત્રી માત્ર જ અનુભવી શકે છે. આ પીડા કેવળ ટ્રેનમાં બેઠેલી જે-તે સ્ત્રીઓની જ નથી પણ કવિયત્રી સુધી વિસ્તરી છે. અહીં મરઘીઓ, ઓમલેટ, મસ્જીદ, મેંદી રંગેલી વાળવાળી સ્ત્રીઓ, હાજીઓ, સૂફી, ઓલિયાઓ, અંગારા પર દોડતા બાળકો, કોરડા ઝીલતો વ્યભિચારી આ બધું જ છે પણ અંતિમ બે પંક્તિ પરોક્ષ રૂપે ક્ચ્છ-ભુજના પરિવેશ તરફ ખેંચી જાય છે. જ્યાં શૈશવમાં અનુભવેલ કચ્છનો પરિવેશ છે. ઈમામ હુસેનની તરસ છીપાવતાં ‘શરબતના છલકતા પીપ’ના સંકેત દ્વારા કચ્છના વતનમાં નિહાળેલ તાજીયાની દૃશ્યમાળા તેમજ સ્મરણમાળા તરફ ખેંચી જાય છે. ‘બરફની દીકરી’ કવિતામાં ઓગળી જવાના ભયે ઘર બહાર ન નીકળી શકતી બરફની દીકરીની વાત છે પણ એ નિમિત્તે દીકરીના ચિત્તમાં પ્રેમ તત્ત્વ પરની વિશ્વસનીયતા અકબંધ રાખવાની વાત છે. મા પોતાને છોડીને ચાલ્યા ગયેલા પ્રેમી એવા સૂર્યએ કરેલ વિશ્વાસઘાત દીકરી સમક્ષ ઉઘાડો ન પાડીને, એ ઘટના મનના ભંડકિયામાં ગૃપ્ત રાખીને જીવાતા જીવનના વહેણ સહજ રાખવા મથતી સ્ત્રીની સમજણનું ઉદાત્ત રૂપ પમાય છે : ‘મેં એમ જીવાડી છે બરફની આ દીકરીને..’ જેથી દીકરી ઉછીના અનુભવને આધારે નહીં પણ પોતાને મળેલા અનુભવને આધારે જીવન માણી શકે. સ્ત્રી કવિતા લખે અને સ્ત્રી વિષે કવિતા લખાય એ સહજ પ્રક્રિયા છે પણ કેમકે લખનાર સ્ત્રી છે અને તે કારણે આપણે ત્યાં બહુધા કવિયત્રીઓની ઓળખ ક્યારેક ‘નારીવાદી કવિયત્રી’ રૂપે સીમિત કરી દેવાય છે. કવિતાઓ અન્ય કયા કયા અગોચર વિશ્વ સુધી પહોંચે છે તે પણ જોવું ઘટે. આ કવિયત્રીની કાવ્યસૃષ્ટિ માત્ર સ્ત્રી સંવેદન કે શૈશવ સ્મૃતિઓ સાથે જ સંકળાયેલ નથી, પણ ભિન્ન પ્રકારના ચૈતસિક, આધ્યાત્મિક રૂપો પણ અંકિત છે. નવા વિષયો સાથે પ્રગટેલા કાવ્યો અત્યંત નોંધનીય બની રહે છે. ‘તડકાના દાણા’માં તડકાના પ્રતીકને આભાસી જગત રૂપે મૂકી સાંપ્રત સમયમાં જીવતા માણસોની નિયતિને ઉજાગર કરે છે. જેમને માટે આભાસી જગત જ વાસ્તવિક જગત બની ગયું છે. ‘જેલ’ જેવા તદ્દન નોખા વિષયના કાવ્યમાં અપરાધ અંગેની કબૂલાત કેન્દ્રસ્થાને છે. ફૂકોનો સંદર્ભ અહીં તરત યાદ આવે જ્યાં જેલ પણ એક એવી સંસ્થા છે જે સજા પછીની સજા છે. કોઈ પાગલોની હૉસ્પિટલ બનાવે છે ત્યારે તેનો એક અર્થ એ પણ ખરો કે અલગ પ્રકારના સમુદાયની અલગ પ્રકારની સજા છે. જ્યાં બરફની પાટ છે, જડ છે. ગુના કબૂલ ન કરતા નવા કેદીઓને તેની પર સૂવડાવવામાં આવે છે. તે તરફડે છે. જેલર પગ ટેકવીને ઊભો છે. આ કાવ્યમાં વિચારોની સૂક્ષ્મતા છે તે અત્યંત મહત્ત્વની છે. વાસ્તવમાં જોવા જાવ તો કોઈપણ માણસ, કોઈપણ કેદી પોતે કરેલ અપરાધની એક એક ક્ષણ બહાર લાવી શકતો નથી. કબૂલ ન થયેલા આ સઘળા અપરાધો જાણે કે બરફની પાટમાં ભીતર જ ધરબાયેલા રહે છે. ‘ઓસીકાની ખોળ’ જેવું કાવ્ય વાચકને ક્ષણિક રતિઝંખનાના ભાવવિશ્વનો છેતરામણો અનુભવ કરાવી શકે, પણ ઊંડાણથી જોવા જાવ તો આ કાવ્ય મૃત્યુમાંથી જીવન તરફ પાછા વાળવાની ઝંખનાનું કાવ્ય છે. ખોળ પર હાથી, ઘોડા, ઊંટ અને જાસુદ છે. હાથી-ઘોડાનાં સંદર્ભ સહજ રીતે જ યુદ્ધનું સ્મરણ કરાવે છે. હાથી-ઘોડા ક્યાંક જઈ રહ્યા છે. લડવા માટે? જ્યાં યુદ્ધ છે ત્યાં મૃત્યુની સંભાવના પણ છે. મૃત્યુ તરફ હિજરત કરી રહેલા આ પ્રાણીઓના નિમિત્તે સમસ્ત સૃષ્ટિને જીવન તરફ વાળવા માટે જાણે કે જાસુદના ફૂલને માર્ગ વચ્ચે ઊગીને રોકવા માટે વિનવે છે – ‘ઊગ, તેમના માર્ગમાં ઊગ...’ જેથી તેઓ પરત ફરી શકે જીવન તરફ. એવું જ એક અલાયદું કાવ્ય તે ‘લૂણ.’ આ શબ્દ સાથે જ આંદોલનનો સંદર્ભ અનાયાસે જ વીંટળાઈ આવે તે સહજ છે અને આંદોલન સાથે ગાંધીનું સ્મરણ વીંટળાઈ વળે તે ય એટલું જ સહજ. કાવ્યમાં કંડારાયેલ ગાંધી એ જ છે કે જેમને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યે અને ‘રાષ્ટ્રપિતા’ બન્યે થોડોક જ સમય થયો હતો. ગાંધીએ તો દેશ માટેનું કર્તવ્ય નિભાવી લીધું છે પણ એક નાગરિક રૂપે આ દેશ માટે પોતાનું કર્તવ્ય નિભાવવાનું હજી બાકી છે. બાકી રહી ગયેલી આ કર્તવ્યનિષ્ઠાની પ્રતીતિ કવિયત્રીની ભીતર નિરંતર ધબકે છે. ‘બહારવટી’ કાવ્ય આપણને સાવ અજાણ્યા છતાં અનોખા સંવેદન તરફ દોરી જાય છે. અલબત્ત તે પ્રદેશના લોકની અનુભૂતિ અજાણી નથી. સુખનો એક પ્રદેશ તે યુટોપિયા. એક એવું ગામ જે સર્વાંગ સુંદર, રમણીય છે. સ્ત્રીઓનું સૌન્દર્ય તો તેથી ય વિરલ. મેનોપોઝના આરે આવેલી સ્ત્રીઓ કપાસના કાલાં ફોલી રહી છે. આ ધીર ગંભીર એવી અનુભવી સ્ત્રીઓના હાથે બનાવેલી ચાસણી પણ છે. આ બધું જોઈને બહારવટીઓ ગામ લૂંટ્યા વિના જ ચાલ્યા જાય છે, કારણ કે અહીં બધા જ સુખી છે. અહીંની સ્ત્રીઓ લાલ ગેરુઆ માટીને સેંથામાં પૂરે છે. વાળમાં પીળા રાઈના ફૂલ નાંખે છે. વાસ્તવમાં આ સુખ એક છળ છે. અહીં વસવાટની જે શરત છે તે મુજબ અહીં તે જ વસી શકે જેના પૂર્વજો પણ અહીંના હોય. એ દૃષ્ટિએ યુટોપિયા અને સુખ બંને એક પ્રકારે છળ છે. સુખ ક્યાં દરેકના ભાગ્યમાં હોય છે? આ ગામમાં કેવળ કણબી જ રહી શકશે. કણબીઓની ઉપજાવ જમીન અને ઊંડે સુધી ખૂંપી ગયેલા હળ સૂચક છે. કણબીનો અંગૂઠો પણ સુખની ચરમસીમાનો સૂચક બની રહે છે. ‘ધ્યાનખંડ’ જેવા કાવ્યનો ભાવ સર્વકાલીન છે. યુગો યુગોથી મનુષ્યની ભીતર રહેલ અજંપો તેને કોઈ જ શાંતિસ્થળે શાંતિ આપી શકતો નથી. ધ્યાનખંડમાં શાંતિ છે છતાં જાજમ નીચે કોલાહલ દબાઈ ગયો છે. મારા ચિત્તની અશાંતિ ધ્યાનખંડની દીવાલો કોતરી નાંખશે. આરોહ-અવરોહની શ્રુતિ વચ્ચે, અંદર-બાહ્યની અશાંતિની આવન-જાવન વચ્ચેની મનઃસ્થિતિનું નિરૂપણ ધ્યાનપાત્ર બને છે. ‘જલપરી’ કાવ્યમાં પણ અંતે બસ તરસ એ જ મનુષ્યનું શાશ્વત સત્ય નિરૂપાયું છે. ‘હિજરત’માં માલધારી નિમિત્તે સાંપ્રત સમયના માણસોનો એ જ યક્ષ પ્રશ્ન અને એ જ વેદના – ‘ભૂખ ક્યાં છે હવે!’ સુધી વિસ્તરે છે. કોઈપણ સર્જક ત્રિકાલથી પર નથી. ભૂત-વર્તમાન અને ભવિષ્યની સંકુલતા, ઝરી ગયેલા સમયને ફરી ફરીને જીવવાની ઇચ્છા, સમયખંડોને જોડી રાખવાની મથામણના સાક્ષ્ય તેના સર્જનમાં ધબકતું રહે છે. અહીં અનેક કાવ્યોમાં આ ઝંખના દેખા દે છે. ‘શિયાળો’, ‘સાધના ટોકીઝના ખાંચામાં’, ‘પાછળ ફરીને જોવું’ જેવા કાવ્યો આ વિષયમાં જોવા જેવા છે. ‘સાધના ટોકીઝના ખાંચામાં’ વડોદરાના સ્થળ વિશેષની એક દૃશ્યચિત્રાવલિ સબળ રૂપે નિરૂપાઈ છે. હકીકતમાં આ ખાંચો કોઈ એક શહેરની એક ગલીનો નથી બની રહેતો પણ આપણા ભીતરના જ ‘અનેક ખાંચાઓ સાથે લઈને જીવતા માણસો આપણે જ છીએ’ની પ્રતીતિ ભાષાના લય સ્તરો અને કાકુઓ દ્વારા અંકિત કરી છે. ‘શૂન્યાવકાશ’ જેવી રચનામાં વાસ્તવની ભયાવહતાને ઓળખીને જીવતા રહેવાની વાત છે. આ કાવ્યમાં ચુડેલ અને ખવીસ વચ્ચેના પ્રેમની વાત છે પણ અંતે તો પ્રેમ ન હોવાની વાત જ કેન્દ્રમાં છે. ચુડેલ પ્રિયપાત્રને ચૂમી શકતી નથી કારણ કે ખવીસને માથું જ નથી. ખવીસ ચુડેલને શોધી શકતો નથી કારણ કે ચુડેલના પગ ઊંધા પડતા હોય છે. કશુંક ગુમાવી દેવાની તેમજ અભાવની સૃષ્ટિ જ અત્ર તત્ર સર્વત્ર છે. ‘સાર્વજનિક બાગ’ જેવું કાવ્ય ઊંડાણભર્યા અર્થ તરફ લઈ જાય છે. અહીં બાગ એ દુનિયાનું, જિંદગીનું પ્રતીક બનીને આવે છે. શક્ય છે માણસ બાગમાં રંગીન ફુવારા જોવા જાય અને બંધ હોય. લીલાછમ વૃક્ષો ન હોય એમ બની શકે, બની શકે સૂકાં પાંદડા પર ચાલવું પડે. સંગેમરની મૂર્તિને જોઈને ઉદાસી વ્યાપી વળે એમ સંભવ છે. તરસ સંતોષવા માટે સાંકળ બાંધેલા ગ્લાસનું રૂપક અત્યંત ચોટદાર છે. સમષ્ટિ પર માણસનો કાબૂ નથી. લોકતંત્ર છે પણ શક્ય છે તમે ભીતરથી સ્વતંત્ર ન હો. ‘મૃત્યુ, તું દુષ્ટ નથી’ કાવ્યમાં મૃત્યુને મંકોડાના પ્રતીક દ્વારા સન્મુખ કરે છે. એક કાવ્યમાં કવિયત્રીએ મૃત્યુને પ્રિયજન રૂપે કલ્પ્યું છે. આ કાવ્યમાં પણ મૃત્યુ પ્રિય બની રહે છે, તેની પ્રતીક્ષા કરે છે, તેને વધાવે છે. એક ગૉળના કણ લઈને આવેલું મૃત્યુ જ તેને ગૉળની ભેલી સુધી લઈ જશે એવા અપાર વિશ્વાસ સાથે તે મૃત્યુને ચાહે છે કારણ કે કવિયત્રીને મુક્તિની શોધ છે. જન્મ-જન્માતરની પીડામાંથી મુક્તિ અપાવનાર મૃત્યુ એથી જ તો દુષ્ટ નથી! ‘દરવાજો’ કાવ્યમાં જાહેર અને ખાનગી એમ બે ભાગમાં વહેંચતા વિશ્વની વાત કેન્દ્રસ્થાને છે. ઊંડી રીતે જોવા જઈએ તો ભીતર અને બાહ્ય એવા બે સમયખંડોની વાત પણ નિહિત છે. એક મુસાફરી દરમિયાન હાઈ-વે પર ચણતર થતા મકાનના એક દૃશ્ય માત્રથી રચાયેલ આ કાવ્ય છે. એક દરવાજા પાછળ પણ અદૃશ્ય એવા સાત દરવાજા હોઈ શકે. ક્યાં જવું? માણસ નિર્ણય લેવા જાણે અસમર્થ છે. આ અવઢવ તે માણસને અકળાવી નાંખે છે. ‘દાણા’ કાવ્યમાં પ્રાચીન ગ્રીસનો સંદર્ભ લઈ આધુનિક સમય તરફ અંગૂલિનિર્દેશ કરે છે. ભવિષ્ય જોનારી સ્ત્રીઓ કે જે સિબિલીઓ તરીકે ઓળખાતી. ટોળે વળીને બેઠેલી આ સ્ત્રીઓ આક્રંદ કરી રહી છે. કારણ? આંધળોપાટાની રમત રમતી વેળાએ પંખીઓ તેમનું ખાવાનું ખાઈ ગયા છે. આ ભોળી સ્ત્રીઓને શાપ આપતા આવડતું નથી. તેમનું રુદન પંખીઓના કલબલાટમાં સંભળાતું નથી. આ કલબલાટ કયો? સાચા માણસનો અવાજ જે નકામા બડબડાટમાં ક્યાંય દબાઈ ગયો છે, ધરબાઈ ગયો છે. સાંપ્રત સમયની આ જ તો વક્રતા છે! પણ એક દિવસ ન્યાય થશે, પંખીનાં પેટ ફાટશે, બચ્ચાંઓ જન્મશે અને ફૂટી નીકળતા તલની જેમ ચિંતા પણ ફૂટી નીકળશે અને આમ આ સ્ત્રીઓ વેર વાળશે. ‘રોગિષ્ઠ કૂતરી’ કાવ્યમાં હડકાયા કૂતરાં પર લાઠી પ્રહાર થાય છે જેથી દૂર બેઠેલી કૂતરીને વેદના થાય છે. ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો છે જેમાં કૂતરાને રોટીનું સ્મરણ થાય છે. ચંદ્રના ટુકડા જાણે કે કૂતરાના મોંમાં જાય અને તેનું ગાંડપણ દૂર થાય. કૂતરીને પણ એક ટુકડો આપે અને સુંદર બનાવે એવી કપોળકલ્પના ભર્યા આ કાવ્યમાં વાસ્તવમાં તો દંભી અને પોકળ સમાજ પર પ્રહાર છે. ગુજરાતી સાહિત્યમાં સ્વજનપ્રેમ દર્શાવતા અનેક સ્વજનકેન્દ્રી કાવ્યો લખાયાં છે પણ આ જ વિષય મનીષા જોષી દ્વારા તેમની કવિતામાં વણાઈને આવે છે ત્યારે સ્વજનપ્રેમના કેટકેટલાં નવા આયામો સાંપડે! દા.ત., ‘પ્રથમ રુદન’, ‘દેવદૂત’, ‘ગાંધીધામની ટ્રેન’, ‘નર્મદા’ અભિવ્યક્તિ જુઓ. ‘પ્રથમ રુદન’ જેવા કાવ્યનો વિશેષ તો એ જ છે કે કવિયત્રી સ્વયં પોતાને જ કલ્પનાજન્ય સ્મૃતિઓમાં ગૂંથે છે અને સર્જે છે કે સ્મરણમાળા. એક નાનકડા સ્કાર્ફમાં સમાઈ જતું હતું મારું શરીર હવે તો જાણે કેટલાંય ટુકડાઓમાં વહેંચાઈ ગયું છે... ... પોતાના માતા-પિતાની સગાઈ પૂર્વેના દિવસોમાં એક અજાણ્યા સ્ત્રી-પુરુષની કલ્પના. પરિચયને અંતે જન્મતો એક આકાર અને પછી પ્રથમ રુદન. એ રુદનને ઓળખતી તે દીવાલોના રંગો અને વૃક્ષોની છાલ ઉતરડી કાઢવાની ઇચ્છા – બાહ્ય જગત જાણે કે અજાણ્યું બની રહે છે. ઘણી વખત મન થાય છે કે/ મારા જન્મના સાક્ષી/ એ ઘરની દીવાલોના નવા રંગ ઉખેડી નાંખું/ એ વૃક્ષની છાલ ઉતરડી નાખું/ જુઓ મને ઓળખો/ એ હું જ છું/ મારું રુદન ધ્યાનથી સાંભળે/ શોધી આપો મને/ એ એક ક્ષણ/ વિલાપની ભાષા જાણનાર/ તમારા સિવાય/ બીજું કોઈ નથી મારું... કદાચ એટલે જ નિર્જીવ ભીંતો અને મૂક વૃક્ષમાં સચવાયેલ જીવંત ઓળખનો શોધ કેન્દ્રસ્થાને પમાય છે. ‘દેવદૂત’ જેવા કાવ્યમાં વ્હાલસોયા પિતાના મૃત્યુની કારુણ્યસભર ક્ષણ, સંબંધોની સઘનતા તથા આગમનની પ્રતીક્ષા ઘેરી બની છે. પિતા વિનાના જીવનની સમાંતરે જીવાયેલ એક જીવન અને મૃત્યુ પછી જીવવાનું છે તે બીજું જીવન જે જ્ઞાત-અજ્ઞાતના ઉંમરે હોય છતાં પોતાનાં જ રૂપનું એકત્વ ‘દેવદૂત’માં ઝળકી ઉઠ્યું છે. તો ‘નર્મદા’ કાવ્યમાં પિતાના અસ્થિફૂલ લઈને દૂર ચાલી ગયેલી નર્મદા નદી જાણે અસ્થિફૂલ જ નહીં, સ્વયંને પણ ખેંચી ના ગઈ હોય! પોતે તે જળસૃષ્ટિનો જ અભિન્ન હિસ્સો બની રહે છે. મનીષા જોષીની કવિતાઓમાં અતીતના મૂળિયાં ભિન્ન ભિન્ન રૂપે સતત વિસ્તરતા રહ્યા છે. તેમનું શૈશવજગત અને ક્રિયા-પ્રતિક્રિયાઓની એક ભાવસૃષ્ટિ પણ તેમની કવિતાઓમાં દેખા દેશે. ‘તાપ વિનાનો ઉજાસ’માં ભવ્ય અતીતની શીતળતા તથા વર્તમાનની દાહકતા સમરેખ સ્થાને મુકાઈ છે. બાળપણમાં પાઠ્યક્રમમાં આવતી કવિતા ‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારા ગાન’ અને દોરાયેલા કુદરતી સૌન્દર્યના ચિત્રને સ્મરે છે એ જ ચિત્ર જેને મોટાભાગે દરેક માણસે ક્યારેકને ક્યારેક વર્ગખંડમાં દોર્યું જ હશે – કુદરતી સૌન્દર્યનું દૃશ્ય. બે પર્વતો વચ્ચે આથમતો એક સૂર્ય છે. કાગળ પર તે સૂર્ય ચોક્કસ હશે પણ હવે? તાપ વિનાનો ઉજાસ છે, આ દિવસ જાણે કે સઘન રાત્રીની પ્રતીતિ કરાવે છે. રાત તથા બપોરના સ્વપ્નોનો થતો વ્યત્યય અહીં ખોરવાઈ જતા જીવનક્રમનું સૂચન બની રહે છે. ‘મેખલા’ કાવ્યમાં પણ કોડિયાંના પ્રકાશમાં બગદાદ-અમેરિકાના યુદ્ધની, પંચતંત્રની વાર્તાઓની, અલીબાબા ચાલીસ ચોર વાર્તાઓની, લવકુશ તથા નચિકેતાની દુનિયાના તથા સોનામહોરના કાલ્પનિક વિશ્વમાં દોરી જાય છે. ‘માંડવો પાન, શેકેલ સોપારી, તૂફાન તમાકુ’ જેવા આકર્ષક શીર્ષક હેઠળ લખાયેલ કવિતામાં પાન લેવા જતી છોકરી નિમિત્તે આખરે તો નિજ ઘર, ગામ તથા ફળિયું શોધવાની, સ્મૃતિઓને પુનઃજીવવાની પ્રબળ ઝંખના જ પરોક્ષ રૂપે નિરૂપાઈ છે. ઘરમાં વર્ષોથી વપરાતી ચીજ વસ્તુઓની બ્રાંડ પણ સ્વજન બની જઈ વાસ્તવમાં સ્મૃતિવિશ્વનો કેવો અભિન્ન હિસ્સો બની જતો હોય છે જેની પ્રતીતિ સુપેરે થાય છે. ગુજરાતી સાહિત્યમાં ડાયસ્પોરા લેખન એક અલગ વિશ્વની પ્રતીતિ કરાવે છે. મનીષા જોષીનાં ‘ન્યૂઝીલૅન્ડ’, ‘ઑકલેન્ડ’ કે ‘પાલર પાણી’ જેવાં કાવ્યો અતીત અને વર્તમાન સ્વાનુભૂતિને જે રૂપે કંડારે છે તે મનનીય છે. સહજ છે આ કવિયત્રી પોતાની મા ભોમકાથી દૂર પરદેશ જઈ વસી છે. તીવ્ર સંવેદનભર્યા તેમના કાવ્યવિશ્વમાં અતીતરાગ ન પ્રગટે તો જ આશ્ચર્ય. પણ સુખદ આશ્ચર્ય તો એ કે આ અતીતરાગનું ગાન સપાટી પરનું નથી કે નથી ઝુરાપાનું સામાન્ય નિરૂપણ. આ ભાવનું પ્રગટીકરણ અન્ય ડાયસ્પોરિક કવિતાઓ કરતાં સાવ ભિન્ન છે. કેલિફોર્નિયામાં કચ્છ નિરંતર ધબકતું રહે છે. ‘કચ્છ - એક કૉલાજ’, ‘ભુજ’, ‘અગરિયાના પગ’ જેવા અનેક કાવ્યો આ બાબતે સાહેદી પૂરશે. ‘મીઠાના અગર’માં યાકને મન તે દૂરબીન છે જ્યાં બરફમાંથી દેખાય છે કેવળ બરફ. કચ્છના સફેદ રણની તીવ્ર સ્મૃતિનું આ કાવ્ય છે. તો ‘યાક’ જેવી કવિતામાં પણ યાક પોતાનું જ એક રૂપક બનીને આવે છે જ્યાંથી કચ્છના મીઠાના અગર જોઈ શકાય છે. ‘પાલર પાણી’ કવિતાનું શીર્ષક જ કેવું અનોખું! જે વરસાદ નેવાં પરથી ટપકે અને એકઠું થયેલું તે પાણી તે પાલર પાણી. આ નિમિત્તે અહીં પણ સ્મરણ છે. પોતાની માલિકીની ગુજરાતી ભાષાનું, કાવ્યોનું, શબ્દોનું, અંગ્રેજીમાં બોલાતા ગુજરાતી અનુવાદોનું, વડોદરાના વૃક્ષોનું, વડોદરાના વૈશાખી બપોરનું, કચ્છના ગાંડા બાવળનું અને જે વિસ્તરે છે જીવન-મરણના સૌન્દર્યની ચૈતસિક સૃષ્ટિ સુધી. ‘મીઠાનું રણ’ કાવ્યમાં મીઠું જ જીવનનું પ્રતીક બનીને આવે છે. સાંપ્રત સમયપટલ પરથી ખૂબ દૂર જતું રહ્યું છે જીવન. રહી ગયો છે તો બસ ડાબા પગનો અંગૂઠો. નવા પ્રદેશની ધરતી પર પડતી પગલાંની છાપ એથી જ તો છે અંગૂઠાવિહીન! નવા પ્રદેશમાં બસ હવે તો બચી ગયા છે બરફના છિદ્રો. બરફ મીઠાના સફેદ રંગના સામ્યથી પોતાના ખંડિત જીવનને, વૈષમ્યને કવિયત્રીએ સુપેરે નિરૂપ્યું છે. ‘ઑકલેન્ડ’ કાવ્યમાં પણ પાછળ છૂટી ગયેલું અને છતાં ભીતર નિરંતર ધબકતા એ શહેરની વાત છે. કવિયત્રી લખે છે : અહીંની સવાર પર ઝળુંબતી રહે છે ત્યાંની બપોર./ અહીંની ઇમારતોમાં જીવતા રહે છે ત્યાંના લોકો/ અને પછી તો/ ત્યાંના લોકો/ અને પછી તો/ ત્યાંના પાર્કમાં અહીંનો તડકો/ અહીંના પાસપોર્ટમાં ત્યાંનું એડ્રેસ/ ત્યાં બત્તીના બિલમાં અહીંનો ચેક.../ અહીંના સિનેમા હોલમાં ત્યાંની ટિકિટ/ બે શહેર/ સેળભેળ થતાં, છૂટા પડતાં ફરી એક થતાં/ અંતે સાવ ખોવાઈ જતાં/ ટકી રહે ભીતર... કાવ્યને અંતે પ્રગટતો એક સવાલ – ‘હું ક્યાં જઈ રહી હતી આટલી ઝડપે?’ ‘ન્યૂઝીલૅન્ડ’ પાંખ વગરના કીવી કાવ્યમાં પાંખ વગરના કીવી રૂપે પારકી ભૂમિ પર નિજ રૂપનું સામ્ય પ્રગટે છે કદાચ ત્યાંનો વસવાટ જીવન સમયને, પસાર કરવાની નિયતિ માત્ર! – ‘અને હું મારો સમય પસાર કરવા પથ્થર પર ચીતરી રહી છું મારી ભાષાના કેટલાંક સ્થાનિક શબ્દો...’ ‘શિયાળો’ કાવ્યમાં પોતાનાથી ક્યારેય અળગા ન થઈ શકેલા ખેતરની સ્મૃતિનું આલેખન છે. મનમાં એક ખૂણે ધરબી રાખેલું એ ખેતર અને સ્મૃતિ વર્તમાનમાં ય વીંટળાઈ વળે છે. મનોમન રોજ ભીતર તાપણું સળગાવી લેતી આ કવિયત્રી એ રીતે પારકી ભૂમિ પર પોતાને હૂંફ આપી જીવાડતી રહે છે. એ ખેતરમાં હું રોજ સળગાવું છું એક તાપણું ‘ગાંધીધામની ટ્રેન’ કવિતામાં શૈશવમાં કચ્છના ગાંધીધામના સ્ટેશને સ્મરતી અને હવે મોટા થઈ ગયા પછી દેશ-વિદેશની યાત્રા વિમાનમાં કરતી કવિયત્રી આ અપરિચિત જગતના અજાણ્યા લોકો વચ્ચે ગાંધીધામના સ્ટેશન પર લીલી ઝંડી બતાવનાર એ ગાર્ડના મૃત્યુની આશંકા સેવે છે : ‘પણ એ એક માત્ર ચેહરો મને યાદ છે હજી પણ એ એ જ ચેહરો છે, જે ચેક કરે મારો પાસપોર્ટ જ્યારે હું પ્રવેશું છું કેલિફોર્નિયામાં અને એ જાણે છે હું ક્યારેય ગઈ જ નથી, કચ્છ બહાર...’ આ કવિયત્રી કાવ્યોના શીર્ષકો પણ એક વિશેષ ચર્ચા માંગી લે તેવાં અદ્વિતીય તથા આકર્ષક છે. ‘અથાણું અને અંધકાર’, ‘ગોઝારી વાવ’, ‘કંસારા બજાર’, ‘એક હાથનો સમુદ્ર’, ‘પાલર પાણી’, ‘ભાડૂતી ભાષા’, ‘રાત સાથે રતિ’ કે ‘વહાણના સઢ’ આ સંદર્ભે તપાસવા ચોક્કસ ગમે. મનીષા જોષીને આ ધારામાં નોખું પાડતું તત્ત્વ છે એ છે તાજગીસભર, નવીન અને અરૂઢ એવા કલ્પન તથા રૂપકોના વિનિયોગનું. આ કવિયત્રીને મન અન્ય જેટલું જ મહત્ત્વ ‘મારાપણા’નું પણ છે. તેમનાં કાવ્યોમાં આ સ્વર તારસ્વરે ગુંજ્યા કરે છે. ‘મારે હવે જોવા છે..’, ‘મારે હવે મરવું છે...’ કચ્છનું રણ, દરિયો, મીઠાના અગરનું જગત નિરંતર ખળભળતું રહે છે. જેનો નાદ નિરંતર સંભળાતો રહે છે. સમાંતરે સાંપ્રત જગત તેમ જ આંતરિક સૃષ્ટિ પણ એ જ લયે આંદોલિત થતી અનુભવાય છે. કહેવું જોઈએ કે અછાંદસ રચનાઓમાં જીવનના નવ્ય છંદ-કુછંદને આલેખતી આ કવિયત્રીની કાવ્યયાત્રાને અંતે આપણે પણ પહોંચીએ છીએ મુક્તિશોધના ઉત્તુંગ શિખર સુધી. એ જ આપણી પણ ઉપલબ્ધિ.