મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કોઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કોઈ

બહાર નહીં તો અંદર કોઈ
નિત્ય કરે છે હરફર કોઈ

ચૉક અને ચૉરા પર કોઈ
શોધે પોતાનું ઘર કોઈ

ઓઢાડે જે ચિન્તા રાખી
ભરનીંદરમાં ચાદર કોઈ

મોતી એમ નથી વીંધાતું
વીંધે સાત સમંદર કોઈ

ભાર બધો ઓશીકે મૂકી
ઊંઘે છે ભડભાદર કોઈ

ચોર-પગે મેં જોઈ ચાંદની
ચડે-ઊતરે દાદર કોઈ

મોભ અને મોભો સાચવતાં
થાય પડીને પાદર કોઈ

સ્વાગત કરશે વિશ્વ નવું આ
ઓળંગે જો ઉંબર કોઈ