મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ન દે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ન દે

ડગલું ભરું તો કોઈ મને ચાલવા ન દે
ને આંખ અશ્રુઓને વ્હેવા જરા ન દે

નિઃશ્વાસ મેલું ક્યાં કહે, એની રજા ન દે?
હે મિત્ર, મને આમ તું ભારે સજા ન દે

સરનામું લખી આપવું કયા શ્વાસ પર તને?
જે સાત અક્ષરોય મૂકવા જગા ન દે

જીવી શકાય એટલી માગી હતી દવા
હું જીરવીય ના શકું એવી દુઆ ન દે

ક્હેવાની વાત એટલે કહું છું ગઝલ વિષે–
ડૂમો ભરેલ કંઠ કશું બોલવા ન દે

લઈ લે ‘તથાસ્તુ’ શબ્દ, મનોહર, હું શું કરું?
સચવાય નહીં એવડી મોંઘી મતા ન દે