મર્મર/ટિપ્પણ

ટિપ્પણ

આવ્યાં છો તો–(પૃ. ૧) પં. ૨-૩. આ પંક્તિઓ સાથે રસિક વાંચક ‘શેષનાં કાવ્યો’માંના “ના બોલાવું” મુક્તની ૩-૪ પંક્તિઓ ખાસ સરખાવી શકે. પં. પ–૮. કવિએ પોતાના ભાવનાજગતની શૂન્યતાની વિકલતા કેવી ભાવપ્રગાઢ રીતે ગાઈ છે! આ સૉનેટખંડની વાણી, રૂપ પ્રશિષ્ટ અને ભાવલેખન કેવું કૌતુકપ્રધાન છે તે જુઓ. પં ૯-૧૪ કવિની માગણી વ્યક્ત કરતી આ પંક્તિઓનું આર્જવ ખાસ નોંધપાત્ર છે. તો આ આર્જવભર્યું ઉદ્બોધન કવિ કોને કરે છે? પ્રિયતમાને, ઈષ્ટ દેવતાને કે કવિતાદેવીને જ? સંગ્રહના આરંભે મૂક્યું હોવાથી કવિતાદેવીને જ સંબોધાયું હોય એમ કલ્પી શકાય. અપૂર્ણા વૈખરી મારી-(પૃ. ૨) પ્રથમ કાવ્યની માફક આ કૃતિ ય કવિતાદેવીને સંબોધાઈને લખાઈ છે. ‘અનુપ લીલામૂર્તિ’ની વિવિધ છટાના આલેખનમાં માત્ર પ્રકૃતિલીલાનો જ ઉલ્લેખ કેમ? માનવ પ્રકૃતિની વિવિધલીલાનો ઉન્મેષ કવિની નજર બહાર કેમ રહી ગયો હશે? પં. ૮-૧૪માં કવિનો સર્જક તરીકેનો અસંતોષ તો બધાય કવિકલાકારોનો હંમેશાં લાગતો આવ્યો જ છે. અને એમાં જ તો કવિની કવિતાની પ્રગતિની આશા રહી છે ને! વૈખરી–આંતરિક વાણીનું બહાર પ્રગટતું વાણીસ્વરૂપ. સાચી કવિતા (પૃ. ૩) આ ત્રીજી કૃતિ પણ કવિતા અંગે છે. પં. ૬–૯માં કવિનો કવિતા પરત્વેનો આદર્શ વ્યક્ત થયો છે. સાચી અને કૃત્રિમ કવિતાના ગુણધર્મો આમ તો લગભગ એક સરખા જ દેખાય, અને છતાંય કેવો માર્મિક ભેદ! કવિ કવિતામાં ‘પ્રેરકતા’ એ ગુણધર્મને અહીં ખાસ મહત્ત્વ આપતા લાગે છે. વાત કહી ના જાય (પૃ. ૪) પં. ૧૧-૧૪માં ‘વાત કહી ના જાય’ કહેતાં કહેતાં કેવી વાત કહી દીધી છે! જીવનગીતની ધ્રુવપંક્તિનો એમને તો આ વાણીક્ષેત્રે ક્યાંક પ્રાસ મેળવવો છે. આ પ્રાસ એટલે સંવાદ? પડઘો? જીવનના ગીતનો–તેમાંય તેની ધ્રુવપંક્તિનો, એટલે કે કોઈ પ્રિય આદર્શનો વાણીમાં ક્યાંક આવિર્ભાવ કરવો છે. ને એમ થતું નથી તેનું દર્દ વ્યક્ત થયું છે. ‘અપૂર્ણા વૈખરી મારી’ સાથે આ કાવ્યનું ભાવસામ્ય જોઈ શકાય. અલબેલી (પૃ. ૫.) કૌતુકપ્રધાન શૈલીનું સુન્દર ઉદાહરણ. કવિ ગીતોમાં લોકસાહિત્યના જેવી રમણભાવહિલ્લોલ મચાવે છે જ્યારે છંદોબદ્ધ વાણીમાં પ્રધાનતયા પ્રશિષ્ટ શૈલીનો ઉપયોગ કરે છે. ફૂલ (પૃ. ૬) પં. ૪-૬માં પ્રભાતના ફૂલને શુક્રતારાની ઉપમા આપી છે તે કેવો હૃદયંગમ છે! પં. ૧૩-૧૫ અને પં. ૧૯-૨૧ પણ એવી જ હૃદયંગમ છે. પં. ૨૨-૨૪માંનો ઉપસંહાર અન્ય પંક્તિઓને મુકાબલે કંઈક અનુત્કટ-મંદ લાગે છે. બીજ (પૃ. ૮) કવિનું એક સઘન અર્થપૂર્ણ મુક્તક. કવિતામાં ‘ગાગરમાં સાગર’ આમ જ સમાય. મૂક શહીદોના બલિદાનનું મૂંગી શહાદતનું જીવનયોજનામાંના વિકાસમાં કેવું ગૌરવપૂર્ણ સ્થાન છે? ચંપાનો છોડ (પૃ. ૯) ચંપાની કળી સુન્દરીના હાસથી વિકસે છે એવો કવિસમય છે. અહીં હૃદયની વિકાસોન્મુખ વૃત્તિ, ઝંખના સુન્દર ગીતમાં કવિ વ્યક્ત કરે છે. ચંદ્ર ચઢતો હતો (પૃ. ૧૦) અહીં કવિએ ઝૂલણાને પરંપરિત કરી કેવો ઝુલાવ્યો છે! ઉમાશંકરના ‘વસંત વર્ષા’માંનું ચંદ્રોદયનું કૌતુકમય શૈલીનું કાવ્ય વાંચક આ કવિની પ્રશિષ્ટ પદ્ધતિની કૃતિ સાથે રાખી વાંચી શકે. તે સાથે આ કવિની વાણીને પણ શરદ ઋતુની પ્રસન્નતાનો કેવો સ્પર્શ થયો છે તે પણ સમજાશે. ચંદ્રોદયની પાર્શ્વભૂમિકામાં સંભોગ અને વિપ્રલંભશૃંગારનાં અહીં આલેખાયેલાં દ્વિવિધ ચિત્રોથી કાવ્યનો ભાવ કેવો સમતોલ થાય છે! સાગરતટે (પૃ. ૧૧) પં. ૧-૪. સમુદ્રની શાંત સપાટીનું તથા આસપાસની શાંતિનું કેવું મિતાક્ષરી ચિત્ર! જાણે કે કવિ શબ્દે શબ્દે વીગત ઉમેરી ચિત્રને લાઘવથી સંપૂર્ણ કરે છે; એ વિરાટ નીરવતાનો જાણે વાંચકને સ્પર્શ થાય છે એટલું મૂર્ત કલાવિધાન છે. પં. ૫-૮માં ગતિનું ચિત્ર જુઓ ને ઉપરની ચાર પંક્તિના ચિત્ર સાથે સરખાવો. ગતિ અને સ્થિતિનું સુન્દર સમતોલ વર્ણન. રવિબિંબ સમુદ્રમાં પડ્યું તેથી જ શાંત સમુદ્રમાં ગતિનો સંચાર થયો એ કલ્પના કેટલી સુભગ છે! અને પછી પૂર્ણ ચંદ્રોદયનું ચિત્ર જુઓ : ‘સકલ સૃષ્ટિ......ઊગ્યો’. સૂર્યાસ્ત અને પૂર્ણ ચંદ્રોદયની ક્ષણને જાણે અહીં કવિપ્રતિભાના કૅમેરાએ ઝડપી લીધી છે. શ્વસન-શ્વાસ. તાલ-તાડ. પલટતાં-પલટાતાં. કર્મણિ અર્થમાં આવો કર્તરિપ્રયોગ ચાલે? વાલુકા-રેતી પં. ૧૩-૧૪. આખા ચિત્રની ટોચ જેવી પંક્તિઓ. પૃથ્વી અને આકાશ એ પરમેશના બે વિરાટ ઓષ્ઠ ને બે વચ્ચે અંકાયેલા સ્મિત જેવો કવિ પોતે. આખું ચિત્ર ભવ્યતાનો સ્પર્શ કરાવી જાય છે. સંગ્રહનું એક સમૃદ્ધ સૉનેટ. આવી વસંત વહી જાય (પૃ. ૧૨) અહીંથી હવે વસંતઋતુવિષયક કૃતિઓનો આરંભ થાય છે. છંદોબદ્ધ કૃતિઓમાં સૌષ્ઠવયુક્ત રચના આપતા કવિ લલિત લચકતી લટકામય વાણીમાં ગીતો પણ રચે છે. એમનાં ગીતોમાં ઉમાશંકરને કવિ આદર્શ ગણતા હોય એમ લાગે. સાદા લયો–અટપટા અખતરાનો અભાવ-ભાવની સૂક્ષ્મ ગલીકૂચીઓ નહીં પણ ભાવના પૃથુલ રાજપથ પર વિહાર એ આ કવિનું ઉમાશંકરસાધારણ લક્ષણ ગણી શકાય. આ આખા લક્ષણને લંબાવી છેક ન્હાનાલાલ સુધી, ને કદાચ તેથી ય આગળ લોકસાહિત્ય સુધી લઈ જઈ શકાય. વસંત (પૃ. ૧૫) પં ૧૧-૧૨ ‘શુભ્રાંગ હંસ’ અને ‘ધવલનિર્મલતા’ એ વસંતઋતુના નિયત કવિસમય રક્તવર્ણને પ્રતિકૂલ નથી? શરદનો શ્વેતરંગ વસંતને અનુકૂલ ગણી શકાય? વસંત એ હૃદયની સ્વચ્છતાની ઋતુ નથી, આવેગ ને આકુલતાની ઋતુ છે. પં. ૧૩-૧૪. વસંતતિલકા વૃત્ત જેવી વસંતઋતુ એ ઉપમામાં મૂર્તને અમૂર્ત સાથે સરખાવવામાં આવ્યું છે. લીમડા લીલા (પૃ. ૧૬) લીમડાનું તાઝગીભર્યું એક અખંડ ચિત્ર. ગીતોની રૂઢ વાણીમાં ચીલાચાલુ પ્રકૃતિચિત્રો કરતાં આવાં સ્વાનુભૂત ચિત્રોમાં કવિની શક્તિનો સમૃદ્ધ ઉન્મેષ વિશેષતયા પમાય છે. સીત–સફેદ. સીકર–છોળ, છાલક. ઉનાળો (પૃ. ૧૭) અહીંથી માંડી તે પૃ. ૨૩ સુધી ગ્રીષ્મઋતુવિષયક કૃતિઓ છે. પં. ૨. અવની...ઝાળજટાળો, ઉનાળાનું અઘોરી, અવધૂત સ્વરૂપે વર્ણન. પછીની કડીઓ એ જ અવધૂતનો વર્ણનવિસ્તાર છે. આપણી ગ્રીષ્મવિષયક કવિતામાં અવધૂતનું આ વર્ણન સહેજે નહિ ભુલાય એવું મિતાક્ષરી, આબેહૂબ ને કલાયુક્ત છે. ગ્રીષ્મ-મધ્યાહ્ન (પૃ. ૧૮) પં. ૨-૪. નવીન તાઝગીવાળી ઔચિત્યપૂર્ણ ઉત્પ્રેક્ષાઓ ને રૂપક. એવી જ એક શ્રેષ્ઠ ને પ્રૌઢ ઉપમા પં.૬માં વાંચક માણી શકશે. આખુંય સૉનેટ પૃ. ૧૭ના ગીતની માફક એના સજીવન વર્ણનથી સમૃદ્ધ છે. ચિત્રમૂક-ચિત્રમાં આંકી હોય તેવી મૂંગી. પૃથા–પૃથ્વી. વડવા-સમુદ્રમાંનો અગ્નિ. મહાવરાહ-વિષ્ણુનો વરાહાવતાર. પ્રલયમાં ડૂબેલી પૃથ્વીને વિષ્ણુએ વરાહરૂપે બહાર આણી હતી. ગ્રીષ્મ-સંધ્યા (પૃ. ૧૯) ‘ગ્રીષ્મ–મધ્યાહ્ન’ના અંતથી જ આનો આરંભ છે. મહાવરાહકૃત સમુદ્ધરણની કલ્પનાનો જ આગળ વિસ્તાર. ઉનાળાનો દિવસ (પૃ. ૨૦) ઉનાળાના દિવસનું રણભૂમિના એક શ્રાન્ત કલાન્ત મુસાફરરૂપે કરેલું વર્ણન. વર્ણનમાં દિવસની શ્રાન્તિનું અને દિનને અંતભાગે થતા ચંદ્રોદયના આહ્લાદનું એવી જ કોઈ અરબી રણભૂમિની પશ્વાદ્ ભૂમિકામાં કેવું ચોટદાર વર્ણન કર્યું છે! પં. ૧૪ ‘એરેબિયન નાઈટ્સ’નું રંગદર્શી વાતાવરણ જાણે અહીં એક પંક્તિથી જામે છે. ગ્રીષ્મ (પૃ. ૨૧) ગૂજરાતી કવિતાના પ્રકરણમાં આવા અનુષ્ટુપ છંદી ઋતુ કાવ્યોનું મૂળ છેક રામાયણમાં શોધી શકાય. ગૂજરાતી કવિતામાં નવીન કવિઓને હાથે આ પદ્ધતિ અભિનવ અલંકાર સમૃદ્ધિ સાથે હવે ઠીક ઠીક ખેડાય છે. આવી કવિતામાં આવી અભિનવ (સાદૃશ્યમૂલક) અલંકાર સમૃદ્ધિ જ એનું ખરું આકર્ષણ. ૧૪ પંક્તિની આ કૃતિ સૉનેટનો એકેય ગુણ ધરાવતી નથી. કલાન્ત-ખિન્ન, શ્રાન્ત; માતરિશ્વા–પવન; જલદાન્વિત-વાદળથી યુક્ત. આ અને આગળની બંને પ્રકૃતિમાં દિવસની પ્રખરતા અને તેને અંતે ચંદ્રોદયના અમીનો આહ્લાદ એ લક્ષણ સર્વસાધારણ છે. ગ્રીષ્મ ચાંદની (પૃ. ૨૨-૨૩) આગલી કૃતિ જેવી જ અનુષ્ટુપ–છંદી કૃતિ. ગ્રીષ્મનું વ્યક્તિત્વ દ્વિવિધ છે. દિવસની પ્રખરતા અને રાત્રિની સૌમ્યતા. દિવસની પ્રખરતાનું આલેખન કર્યા પછી હવે અહીં કવિ ચાંદનીનો વૈભવ આલેખે છે. ઈષત્-થોડું; કુલ–જથ્થો, સમૂહ, ચીનાંશુક-ઝીણું રેશમી વસ્ત્ર. માર્તન્ડ-સૂર્ય. સોમ-ચંદ્ર અને સોમરસ (શ્લેષ). નગ–પર્વત, હર્મ્ય– મહેલ. પર્યંકે–પલંગે. અહીં પણ પ્રાચીન–નવીન અલંકાર સમૃદ્ધિ એ જ આકર્ષણ. આવી વર્ષા (પૃ. ૨૪) અહીંથી છેક પૃ. ૩૩સુધી વર્ષાઋતુની કૃતિઓ છે. કેકા–મોરનો અવાજ. રામગિરિ-કાલિદાસના મેઘદૂતમાં આવતા વિરહી યક્ષનું નિવાસસ્થાન. તન્વી-નાજુક, શ્યામા-સ્ત્રી. દિવસગણનાતત્પર-દિવસની ગણતરીમાં રોકાયેલી. પ. ૯-૧૨. મેઘદૂતનાં જ શબ્દગુચ્છોથી સ્મરણ–સંબંધોથી ભરપૂર છે. વર્ષામાં વિયોગનું દર્દ ઉપડી આવે છે એ કાલિદાસ– જૂનો કવિસમયનો અહીં પણ વિનિયોગ. એવી શી મારી કસૂર? (પૃ. ૨૫) વર્ષાકાવ્યોમાં પણ ઉમાશંકરનું સ્મરણ થાય એવી ગીતકૃતિ. વસંત અને વર્ષામાં ગ્રીષ્મઋતુ કરતાં વિશેષ ગીતો ઝમ્યાં છે. શ્રાવણરાત (પૃ. ૨૬) વર્ષામાં પણ આષાઢ પછી શ્રાવણ એમ ક્રમમાં કૃતિઓ ગોઠવેલી છે. તારો વૈભવ (પૃ.૨૭) વર્ષાના જળની દ્વિવિધ સમૃદ્ધિ. હેલીની સંહારાત્મક ઉગ્રતા અને સર્જનાત્મક માર્દવ. હેલીમાં પહાડોનાં શૃંગ પણ તોડી નાખે અને માર્દવે પુષ્પમાં ઝિલાઈ રહે. જમીનમાં ઊતરી બીજાને તૃણરૂપે પ્રકટ પણ કરી દે. આમ જળના દેખીતા વિરોધી ઉભયગુણો-વિનાશે-સર્જને પરમાત્માનો જ વૈભવ પ્રગટ થાય છે. ગ્રાવા-પથ્થર; વિનષ્ટિ સૃજને—વિનાશે ને સર્જને. વર્ષાનું પ્રભાત (પૃ. ૨૮) ધરા-ગગનના સંભેાગ શૃંગારની એક સૌન્દર્ય મંડિત ક્ષણ. આ અખિલ ચિત્ર એના લાઘવથી સચોટ આલેખાયું છે. મેઘદૂત (પૃ. ૨૯) મેઘદૂત જેવી પ્રશિષ્ટ કૃતિનો અર્વાચીન કવિ નવી વાસ્તવિક પાર્શ્વભૂમિમાં કેવો વિનિયોગ કરે છે, અને ગમે તેવા ભીષણ વાસ્તવ વચ્ચે પણ કાલિદાસના ભાવોને નિત્યનૂતનરૂપે સાર્થક કરે છે! વિપ્રલંભ–વિયોગ. મેઘદૂતની રોમેન્ટિક પાર્શ્વભૂમિ સામે વસ્ત્રનું ભીંજાવું, સડેલા રેશનઅન્નને વીણવું; ‘જવા દો એ બધાં ગપ્પાં’ જેવી સુદામાપત્ની જેવી વાસ્તવપ્રધાન ઉક્તિ ‘ભાવ’ ઉપરનો, કાવ્યનો ભાવ અને બજારનો ભાવ જેવો શ્લેષ–કેવું વાસ્તવ ઉપસાવે છે! પં. ૯-૧૨. આષાઢી સાંજે–સાંજે એ સમય કવિએ પસંદ કર્યો છે, કાલિદાસે નહિ. અલકા-યક્ષની નગરી. પ્રેષે-મોકલે. પં. ૧૩-૧૭માં मेघालोके भवति सुरिवनो डप्यन्यथा वृत्ति चेतः कंठाश्लेषप्रणयिनिजने किं पुनर्दूरसंस्थे ।। એ ‘મેઘદૂત’ની પંક્તિઓનો સુભગ વિનિયોગ. પં. ૧૯–૨૦. આ નવીન ‘मेघदूत’ કાવ્યનો કાલિદાસથી જુદો જ છતાં કેવો સુભગ સુખદ અંત! નર્મદાનાં પૂર (પૃ. ૩૧-૩૨) વાંચક આ સાથે પ્રો. ઠાકોરની આવી જ નર્મદાના પૂરની કૃતિ અવશ્ય વાંચે; આ કૃતિના સર્જકની મનોદશા પણ બરાબર પ્રો. ઠાકોર જેવી છે. એવો જ મંદ ક્રમણ કરતો પૂર જેવો પુષ્ટ મંદાક્રાન્તા, એવી જ પ્રશિષ્ટ પદ્ધતિની અલંકારસમૃદ્ધિ પં. ૧૩-૧૫. પ્રો. ઠાકોરમાં આવી શકે તેવી પ્રૌઢ ઉપમા. પં. ૧૬ પતીલના ‘રેવાને’નું સ્મરણ કરાવશે એની શૈલીથી. પૃ. ૨૧. ધરથી—ધરમૂળથી. તટસ્થ—કિનારે ઊગેલાં વૃક્ષ. પૂરના દર્શનથી યૌવનનું સ્મરણ. જવે–વેગે. પં. ૩૬ લગ–લગી. રેવાપૂરમાંથી યવનદીક્ષા લેવાની રીત પણ પ્રો. ઠાકોર જેવી જ છે. સપંક—કાદવથી મેલું. પ્રો. ઠાકોર-પતીલ–સુન્દરમનાં રેવાકાવ્યોમાં આ કૃતિ પણ કીમતી ઉમેરો ગણી શકાય. નવસર્જન (પૃ. ૩૩) પં. ૧–૨. કેવું ભવ્ય-ભીષણ ને મૂર્તગુણી મિતાક્ષર વર્ણન! ‘ઊઠ્યું ગગનવૃક્ષ ધૂણી’—આંધીનું આવું સઘન વર્ણન આપણી સમસ્ત કવિતામાં ય કેટલું વારું? તમિસ્ર—અંધકાર; ભયાર્ત—ભયથી દુ:ખી. નૈક-અનેક. જમી–જમીન. પૂષા–સૂર્ય. વિધૌત-ધોયેલી. મુખર-વાચાળ. મૃદ-માટી. પંક્તિ ૧૩-૧૪માં સર્જનનું પ્રૌઢ અને ધૃષ્ટ ચિત્ર. ‘ડ’ કારની પુનરુક્તિથી અને કઠોર વ્યંજન ત-શ-સ-ખ-ના સાન્નિધ્યથી તૃણાંકુરનું ‘ફૂટી નીકળવું’ જાણે મૂર્ત થયું છે. શરદ (પૃ. ૩૪) અહીંથી પૃ. ૪૦ સુધી શરદ ઋતુની કૃતિઓ છે. આ કૃતિ એની શરત્પ્રસન્ન વાણીથી વાંચકને ખાસ સ્પર્શે છે. કાન્ત–ઉમાશંકર-રાજેન્દ્રની કમનીય વાણીનું સ્મરણ કરાવે છે. અંતિમ કાવ્યખંડમાં તો શરદનો એ સ્પર્શ છેક આત્મા સુધી જઈ અસર કરી જાય છે, ને કૃતિ આધ્યાત્મિક પ્રદેશની સરહદોને અડે છે. શરદની રાતે (પૃ. ૩૫) ઉપરની કૃતિ જેવી જ કોઈ આધ્યાત્મિક અનુભૂતિ પં. ૬ અને પં. ૯ પણ કરાવી જશે. શરદ સંવેદન (પૃ. ૩૬) સ્મર-કામદેવ; કાસાર–તળાવ. શરદસંધ્યા-શરદરજની (પૃ. ૩૭-૩૮) સૉનેટદ્વય શાલિક્ષેત્રો—ડાંગરનાં ખેતર, સોનાપ્યાલી : કાવ્યરસપૂર્ણ રૂપક. તિમિરવ્યાલી–અંધકારરૂપી સર્પિણી. ‘શરદસંધ્યા’માં શરદની ગ્રામસીમની સંધ્યાનું વર્ણન છે. શરદરજનીમાં રાતનું. પં. ૨ સીકર-છોળ. પં. ૩ સરખાવો : “શરદસરમાં હોડી દીઠી સરંત મયંકની.” (ઉમાશંકર) પં. ૧૩-૧૪ પૃથ્વી છંદમાં છે. શરદવર્ણન (પૃ. ૩૯) રામાયણપદ્ધતિનું અનુષ્ટુપછંદી વર્ણનાત્મક કાવ્ય. ચરણે ચરણે પ્રાચીન નવીન ચોટદર અલંકાર એ જ એની આસ્વાદ્ય ખાસિયત. આવી કૃતિમાં તૂકે તૂક સ્વતંત્ર સંપૂર્ણ મુક્તક જ. નવસ્નાત–તાજી જ નાહેલી. વસંતથી શરૂ થયેલું ઋતુચક્ર શરદ આગળ અટકી ગયું છે. હેમંત-શિશિરની કૃતિઓની હવે પછીના સંગ્રહમાં કવિ પાસે આશા રાખીએ. કવિતાપ્રકરણમાં તાજપવાળાં નવેસરનાં પ્રકૃતિદર્શનવર્ણન એ એક નવો સમૃદ્ધ ઉન્મેષ ગણવો જોઈએ. આટલો આટલો પ્રકૃતિકવિતાનો ફાલ કવિની ભાગેડુ વૃત્તિનું સર્જન હશે કે આપણી આધ્યાત્મિક સૌન્દર્યભાવનાનો ભાવાત્મક (Positive) કોઈ નવો જ પ્રદેશ ખુલ્લો થયો હશે? ઓ મારી ગુજરાત (પૃ. ૪૧) અહીંથી તે પૃ. ૪૯ સુધી ભૂમિવિષયક સ્થલવિષયક કૃતિની શૃંખલા છે. વતનપ્રેમ-પ્રાન્તપ્રેમ-દેશપ્રેમ સુધી એ પ્રેમનો વિકાસ અહીં આલેખાયો છે. આજ સંકલનામાં કવિના ભારત પ્રવાસના પરિણામે નિપજેલાં નૂતન પ્રાચીન તીર્થસ્થળોનાં પણ કાવ્યો છે. આ તમામમાં એકબીજાના અવિરોધે કવિનો ભૂમિપ્રેમ વ્યક્ત થાય છે; અને આવી ભૂમિપરસ્તીમાં પણ કવિ યોગ્ય સ્થળે ટીકા કરવાનો અધિકાર સ્વાધીન રાખે છે. આ કૃતિથી નર્મદથી શરૂ થયેલી ગુજરાતપરસ્તીમાં કવિ પોતાનો પણ ફાળો આપે છે. હે ભારત દેશ! (પૃ. ૪૨-૪૩ ) બંગાળી પયાર આપણે ત્યાં પૂજાલાલના ‘પારિજાત’થી ને તેથીય વિશેષ તો કદાચ બંગાળી રવીન્દ્ર-કવિતાના અભ્યાસથી પ્રયોજાવા લાગ્યો છે. રવીન્દ્ર કવિતામાંની ભારતવિષયક આદર્શ ભક્તિભાવના ને બાનીની અસર અહીં કોઈ પણ વાચક જોઈ શકશે. સમાસપ્રચૂર, શબ્દપ્રચૂર ને સંસ્કૃતમય બની જતી રચના રવીન્દ્ર શૈલીના ભયસ્થાન તરફ આંગળી ચીંધે છે. પં. ૧–૨માંનો પ્રાસ પણ નિર્બળ છે. અજન્તા (પૃ. ૪૪) પૃ. ૪૪થી ૪૭ સુધી ભારત પ્રવાસથી નિપજેલી કૃતિઓ છે. આ સૉનેટ એની કમનીય પૃથ્વીછંદની બાનીથી, સજીવ તાજગીપૂર્ણ ચિત્રો ને કલ્પનાલીલાથી, અજન્તાના જ કોઈ બુદ્ધચિત્રોપમ સૌષ્ઠવપૂર્ણ સૌન્દર્યનિર્માણથી, આખી કૃતિમાં વ્યાપતા બુદ્ધના જેવા જ પ્રશમના ભાવથી ને અંતે આવતી બુદ્ધજીવનમાંના નિર્વાણ જેવી જ, બુદ્ધ તત્ત્વજ્ઞાનના અર્ક જેવી ચોટથી માત્ર ‘મર્મર’ની જ નહિ પણ આપણી અખિલ સૉનેટમૂડીમાંય મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે. તથાગત–બુદ્ધ. કુહર–ગુફા. નયનાબ્જનિમીલિત–જેનાં નયનરૂપી કમલ બિડાયેલાં છે તેવાં. સુરસાળ–સુ–રસાળ. કાશી (પૃ. ૪૫) ‘અજન્તા’માં પ્રહર્ષનો તો ‘કાશી’માં કવિનો અવાજ પ્રખર ટીકાનો છે. સીધું–એક ટંકના ભોજનની સામગ્રી. આગ્રા ફોર્ટ (પૃ. ૪૬) શીશામાં–દર્પણમાં. આગ્રા ફોર્ટમાં જ્યાં શાહજહાંને કેદ રાખવામાં આવ્યો હતો ત્યાં ઢાળેલા પલંગની સામે ભીંતમાં નાનકડું ચકતા જેવડું દર્પણ જડેલું છે. કહેવાય છે કે તેમાંથી બાદશાહ સૂતાં સૂતાં જમના તટ પરનો તાજમહાલ જોઈ શકતો. ‘લઘુ’ અને ‘વધુ’નો પ્રાસ નિર્બળ ગણાય. આગ્રા ફોર્ટ કેવળ કઠોર પ્રશાસનની જ સ્મૃતિ નથી, શાહજહાંના વિરહની પણ ભૂમિ છે એમ કહી કવિ કાવ્ય કેવી ચોટ મારી આટોપી લે છે! તાજની સ્મૃતિથી હૃદયમાં જે આંધીઓ ઊઠી હશે એના આવેગપૂર્ણ પ્રકંપથી વજ્ર જેવા દુર્ગનીય કાંકરી ખરી હશે, આવી કલ્પનાથી શાહના હૃદયકંપનો આવેગ ને પ્રીતિની ઉગ્રતા પણ કેવી સૂચવાય છે? ચંડીગઢમાં (પૃ. ૪૭) ૧૯૪૭માં ભરતખંડના ભારત પાકિસ્તાન રૂપે ખંડ થયા ને અમાનુષી બર્બરતાનું શાસન ચાલ્યું તેમાં થયેલાં હીન કૃત્યો કવિ આલેખે છે. પણ આવી ખિન્નતા વચ્ચેય મનુષ્ય પ્રણાશમાંથી પ્રાણલીલા પ્રગટાવે છે. પ્રણષ્ટ પંજાબ કેવું હતાશામાંથી આશાભર્યું બેઠું થયું તેનું ચંડીગઢ પ્રતીક છે. નવસર્જન સાથે આ કૃતિ વાંચી શકાય. અહીં કવિની માનવમાંગલ્યમાં અણખૂટ શ્રદ્ધા વ્યક્ત થાય છે. શ્રમ સ્નિગ્ધ, મેરુદૃઢ માનવીમાં કવિને અખૂટ શ્રદ્ધા છે. પાવાગઢના જંગલમાં (પૃ. ૪૮) પત્તન-નગર; ચાંપાનેર. પં. ૧૧–૧૨ અવશિષ્ટ ઘુમ્મટો માટેની સુન્દર કલ્પના! પં. ૨૦-૨૪ વિજન સરોવરનું વર્ણન. પં. ૩૧–૩૨. આદિવાસીઓનું સુન્દર વર્ણન. પદાતિ-પાયદળ. નાયકા, રાઠવા-આદિવાસી જાતિઓ. તવારીખ-ઇતિહાસ. ગાંધીજીને (પૃ. ૪૯) અહીંથી આધુનિક વ્યક્તિવિશેષનાં કાવ્યો પૃ. ૫૪ સુધી ચાલે છે. તેમાં ગાંધીજી-સરદાર પટેલ જેવા રાજકારણી પુરુષોત્તમો, શ્રી અરવિંદ જેવી આધ્યાત્મિક વિભૂતિ, ને પ્રો. ઠાકોર-ન્હાનાલાલ જેવા સાહિત્યસ્વામીઓને નિવાપાંજલિઓ છે. ગાંધીજીનું મહાત્માપણું, સરદાર પટેલનું રુક્ષ પૌરુષ ને વિક્રમ, શ્રી. અરવિંદનું મૃત્યુંજયપણું, પ્રો. ઠાકોર, ન્હાનાલાલની કલાની અનશ્વરતાને કવિ અંજલિ આપે છે. ઔષધિ-વનસ્પતિ, દૌરાત્મ્ય-દુષ્ટાત્માપણું. ધીંગો ધોરી (પૃ. ૫૧) એ શીર્ષકમાં જ સરદાર પટેલના રુક્ષ, પરોપકારી વ્યક્તિત્વનો પરિચય થાય છે. કાવ્યની સમસ્ત બાની એમના વ્યક્તિત્વ જેવીજ રુક્ષ આકર્ષકતા ધારણ કરી રહે છે. મૃત્યુ અને શ્રી અરવિંદ (પૃ. ૫૨) શ્રી અરવિંદની મુખ્ય સાધનાજ-જીવતેજીવત અમરતાની-દિવ્યતાની પ્રાપ્તિ માટે, એટલે આકૃતિમાં જીવનને મરણના અભેદની-ચેતનાના અનંતપણાની વિચારણા જ કેન્દ્રસ્થાને રહી છે. જિવ્યા ઘણું તમે (પૃ. ૫૩) હય–ઘોડો. હેષા-ઘોડાનો હણહણાટ. સત્યાગ્રહી—સત્યના આગ્રહી—અહીં રાજકારણનો શબ્દ નથી. તપઃપૂત—તપથી પવિત્ર. પ. ૧૩—‘જાલમ’ને સ્થાને ‘મજાલ’ જોઈએ. મનુજન્તુ–વિશાળ ઇતિહાસ, કાળસ્થળના સંદર્ભમાં મનુષ્ય માટેની પ્રો. ઠાકોરની જ કલ્પના. વિનશ્વર=ક્ષણભંગુર, અનશ્વર–અમર. અંજલિ (પૃ. ૫૪) ન્હાનાલાલ સ્ત્રીહૃદયના ઉત્તમ રાસ કવિ, ન્હાનાલાલની આકાશપાતાળ એક કરતી કલ્પના શક્તિ, એમની કવિતાની અમરતા વગેરે તત્ત્વોનો અહીં વિનિયોગ થયો છે. પં. ૧૪ મત્યુની-મૃત્યુની જોઈએ. ઊર્મિલા-લક્ષ્મણ (પૃ. ૫૫) અહીંથી પૃ. ૬૭ સુધીની કૃતિઓ આપણી પ્રાચીન પૌરાણિક વ્યક્તિઓની આજુબાજુ ગૂંથેલી છે. તેમાંની ‘ઊર્મિલા-લક્ષ્મણ’ અને ‘યુદ્ધ અને શાંતિ’ શ્રી. ઉમાશંકરની ‘પ્રાચીના’ની કૃતિઓને, પ્રકાર ને નિરૂપણમાં, અનુસરે છે. એમાં લક્ષ્મણની આજ્ઞા પ્રમાણે મહેલમાં રહેવાનો હૃદયભેદી નિર્ણય એ કાવ્યવસ્તુ છે, ને તેને પ્રાચીનાનાં સંવાદકાવ્યોની જેમ યોજવામાં આવ્યું છે. અનુષ્ટુપ છંદ. પં. ૫. ‘સ્વામી’ શબ્દ સંબોધનરૂપે હોવાથી તે પછી અલ્પવિરામ જોઈએ. આ કાવ્યમાં સંબોધનના શબ્દો પછી તેમ જ અન્ય ઘણે સ્થળે અલ્પવિરામનું ચિહ્ન નથી તે મુદ્રણદોષ છે. અનુષ્ટુપમાં બીજી, ચેાથી પંક્તિમાં સાતમો શ્રુતિ લઘુ જોઈએ ત્યાં આ કાવ્યમાં ઘણે સ્થળે ગુરુશ્રુતિ આવે છે તે કાનને કઠે છે. પ્રાચીનામાં પંક્તિઓ સંવાદમાં ખંડિત કરવામાં આવી છે; ને બે ખંડ જોડી દેવાથી અખિલ પંક્તિ બને છે તેને બદલે આ કાવ્યમાં પંક્તિનો ખંડ એવો જ રહી, પાછળની પંક્તિ ક્યારેક પોતે જ અખિલ સ્વરૂપે આવે છે. જુઓ: પં. ૧૫ અને ૧૬. પ્રાસાદ–મહેલ, પં. ૧૭-૨૦ લક્ષ્મણનાં રસિકતા અને સ્ત્રીદાક્ષિણ્ય પણ વ્યક્ત કરે છે. રિક્ત-ખાલી; ગિર-ગરા. પૃ. ૫૬ના અંતભાગને પૃ. ૫૭ના આરંભની ઊર્મિલાની ઉક્તિ કાવ્યનો સમૃદ્ધતમ ભાગ. લહરો......ભીની બની-ઊર્મિલાના દર્દના અર્ક જેવી પંક્તિઓ. ઉરોદધિ-ગુજરાતી સમાસ-ઉરરૂપી સમુદ્ર. કૃપાણ-ખડ્ગ. શુશ્રૂષા–સેવા. પૃ. ૫૮ ‘રહેજે’ છે તે ‘સ્હેજે’ જોઈએ અને ‘સ્હેજે’ને ઠેકાણે ‘ર્હેજે’ જોઈએ. યુદ્ધ અને શાંતિ (પૃ. ૫૯) મહાભારતના યુદ્ધ પ્રણાશના કારણે વિષણ્ણ થયેલા યુધિષ્ઠિરને કૃષ્ણ નવા ઉપસ્થિત થયેલા પ્રજાશાસનના ધર્મ તરફ જાગૃત થવા પ્રેરે છે. એક વખત જે યુદ્ધ પણ ધર્મકાર્ય હતું તો હવે આ પ્રજાશાસન પણ ધર્મકાર્ય ગણીને જ ઉપાડી લેવું જોઈએ એવા કૃષ્ણના બોધ પછી પણ યુધિષ્ઠિરનો નિર્વેદ અને મૂઢતા ઘટતાં નથી ત્યાં ગાંધારી પધારે છે. ગાંધારી આ બધા નાશનું મૂળ કારણ કૃષ્ણને ગણી યાદવવંશના સર્વનાશનો શાપ આપે છે. યુધિષ્ઠિરની મૂઢતા નિવારવા કૃષ્ણ યુધિષ્ઠિરને ભીષ્મપિતામહની બાણશય્યા પાસે લાવે છે. ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને નવા ઊભા થયેલા ધર્મનો—પ્રજાશાસનનો બોધ આપે છે ; જેને પરિણામે મોહ નાશ પામતાં યુધિષ્ઠિરને નવી દૃષ્ટિ ને શાંતિ લાધે છે. આ પણ આગલા કાવ્ય જેવી પ્રાચીનાપદ્ધતિની જ રચના. આ સંગ્રહની ઉત્તમ કૃતિઓમાંની એક કૃતિ : ‘પ્રાચીના’નાં મહાભારતી કાવ્યો જેવી જ ગુણગરવી. ઘણા ભાવ, અલંકાર ને પંક્તિઓ પણ ઉમાશંકરસાધારણ, ઉમાશંકરનું સ્મરણ કરાવે તેવાં સમૃદ્ધ. રસિકો ‘પ્રાચીના’ની મહાભારતવિષયક ત્રણ કૃતિના અનુસંધાનમાં આને વાંચી શકે. યુદ્ધનો વિરોધ અને પ્રેમ અહિંસાનો જય એ જ કૃતિની પ્રેરણાનો હેતુ. કૃતિનો મિશ્રોપજાતિ છંદ ક્યાંક તો વસંતતિલકા સુધી વિકસી જાય છે. અનુષ્ટુપની પંક્તિઓ પણ છે. પૃ. ૬૦. ધ્વંસ-નાશ; આહવ-યુદ્ધ. યુધિષ્ઠિરની ઉક્તિમાં તેમ જ અન્યત્ર ‘પ્રાચીના’ની કાવ્યત્રયીના પડઘા સંભળાશે. ગાંધારીનું આવું પ્રગટ આગમન નિરૂપવાને બદલે ગાંધારીની વાણી નેપથ્યમાં મૂકી હોત તો વધારે સારું ન લાગત? ઘણે સ્થળે વિરામ ચિહ્નોનો લોપ એ મુદ્રણદોષ ગણવો જોઈએ. પૃ. ૬૨. ગાંગેય-ભીષ્મ, અવસાદ-શોક, પાદાબ્જ-ચરણકમળ; કવિએ ધર્માધર્મના પ્રશ્નમાં ગીતા ગાનાર કૃષ્ણને પણ મૂઢતા અનુભવતા બતાવ્યા છે તે વિચિત્ર કહી શકાય; પૃ. ૬૩. ભીષ્મની ઉક્તિ. સેવા... લોકની’ ‘હવે તો નૃપધર્મ તે લોકની સેવા એ જ’ એ અન્વય. ‘અધમે’– અધર્મે જોઈએ. ‘શાસનમાં અહિંસા’– એ ભીષ્મોક્તિ જ આ કૃતિનું વિચારશિખર ને ગાંધી-નહેરુ યુગીન કવિની આગવી નવી દૃષ્ટિ. પૃ. ૬૪ ધરથી–પહેલેથી–મૂળથી-અગાઉથી. રામનો પશ્ચાત્તાપ (પૃ. ૬૪) કૈતવ–ભીરુતા, કાયરતા. કૈતવ ક્યાં સીતાત્યાગમાં કે પં. ૧૨માં આવે છે એવી ‘ધિક્...મતિ’ ઉક્તિમાં તે રામનો અભ્યાસી વાચક વિચારે. હે કૃષ્ણ (પૃ. ૬૫) ધ્વંસી-ધ્વંસક, વિનાશક. આજ (પૃ. ૬૬) અહીંથી પ્રણયકૃતિઓનો આરંભ છે. આ કૃતિમાં ભૂમિપ્રીતનું આલેખન છે પણ તે તો ત્યાં લાગેલી કોઈની માયાને જ કારણે છે. સ્મરણ પ્રિયનાં (પૃ. ૬૭) પં. ૯-૧૦. વિધિની ક્રૂરતા ને દયા બંન્ને, વિનાશ એ ક્રૂરતા ને સ્મૃતિ એ એની જ દયા. મને થતું (પૃ. ૬૮) પં. ૧-૪. અણગમાની તીવ્ર ઉક્તિ પં. ૬ મોહક નારીકૃતિને એવી ઉત્કટ અંજલિ. પં. ૯-૧૩ સૉનેટમાં આવતી ચઢિયાતી ભાવલહરી. આમ ૧-૪, ૫-૮ ને ૯-૧૩ ઉત્કટ, ઉત્કટતર, ઉત્કટતમ લાગણીનાં આલેખન બની તલવાર માફક ઘાયલ કરે છે તો પં. ૧૪મી તીરની માફક વીંધી નાખે છે. મૂળ કૃતિમાં ‘મને થતું’ એ શીર્ષક ૧૪મી પંક્તિને સ્થાને આવતું તે કાઢી નાખી કવિએ કૃતિને તીક્ષ્ણ સૉનેટ કૃતિમાં ફેરવી નાખી છે. સંગ્રહનું એક સમૃદ્ધ સૉનેટ. શિશુની ઉપકૃતિ (પૃ. ૭૧) યૌવનના એકવિધ આનંદોની નીરસતાનાં ઘરમાં શિશુનો જન્મ એ એક મહત્ત્વની નવજીવનચાલક ઘટના. બાળકે જન્મી પિતાને જ નવા અવતારે જાણે જન્મ આપ્યો. શિશુનો એ જ ઉપકાર. પં. ૮. ‘દીધું જીવન’ ને સ્થાને ‘દીધો જનમ’ એમ યોજના હોત તો? વળાવીને આવું (પૃ. ૭૨) ‘મને થતું’ તથા ‘શિશુની ઉપકૃતિ’ની જેમ આ રચનાય શિશુકેન્દ્રી. ત્રણેયમાં પિતૃરૂપે કવિહૃદય ઝમ્યું છે. માતૃરૂપ અપત્યવાત્સલ્ય વર્ણવતી કવિતા સર્વત્ર ઢગલાબંધ ત્યાં આ વલણ વધુ આસ્વાદ્ય બનશે. શ્વસન-શ્વાસોચ્છ્વાસ. લીલાની જ લિપિ. ભાવક આ શબ્દગુચ્છનું સૌન્દર્ય જોઈ શકશે. બદલ-બદલે ‘શિશુની ઉપકૃતિ’માં શિશુના સહવાસે તો આ કૃતિમાં શિશુના વિયોગે ભાવસંચાલનક્રિયા સંભવી છે. શિશુવિરહે થતું શિશુસ્મરણ ને તે માટે કવિએ યોજેલી આખી સામગ્રી કેટલી વાસ્તવ સમૃદ્ધ છે? શિશુની સ્વાભાવિક યદચ્છાની, આમ તો નિર્જીવ તુચ્છ ક્રીડા સામગ્રી એના વિરહે અહીં કેટલી સજીવ બની ગઈ છે! એકલતા (પૃ. ૭૩) આ ટૂંકા ઊર્મિકમાં ઉક્તિ વૈપુલ્યનો અભાવ પણ પેલી એકલતાનો જ વાચક સૂચક બની ગયો છે. પ્રીત રહે ના છાની (પૃ. ૭૫) ભરીપૂરી–ભરપૂર. પ્રિયજનની પગલીઓ (પૃ. ૭૬) અવનવ-અવનવાં. મધુપ-ભ્રમર વનફૂલની ઢગલી જેવું જ સુકોમળ ઊર્મિગીત. આલેખનની સુકોમળતા જ અહીં વિશેષ આસ્વાદ્ય. જાણ્યા છતાંયે—(પૃ. ૭૭) ‘ન પ્રેમીઓને પુનરુક્તિકલેશ’ જેવી અર્થાંતરન્યાસી ઘન પંક્તિમાં જ પ્રીતિનું તેમજ આ કૃતિનું ય રહસ્ય અંકિત થયું છે. સપ્તક (પૃ. ૭૯) આ મુક્તકોમાં પ્રત્યેક મુક્તક સ્વતંત્ર પ્રકારે ‘રુબાઈ’ જેવું, જો કે પ્રાસરચના રુબાઈથી જુદી છે. કાવ્યનું તત્ત્વજ્ઞાન જીવનપરાયણતાનું છે. પં. ૨-૩નો બીજો વર્ણી લઘુ હોત તો લયસાધના વધુ સરળ ન બની હોત? પં. ૨૦. પ્રેમના ગગનવિહારી સ્વભાવને તથા કામ (પ્રેમ) દેવતાના પ્રસિદ્ધ અંધત્વને વ્યક્ત કરતી ઘન પંક્તિ. પં. ૨૧-૨૮માં અનન્યાશ્રય, સમર્પણ ને આત્મશોધ ને બોધની ભારતીય ફિલસૂફીની પરિચિત વાણીનો જ આલેખ પં. ૨૭માં ‘પર’ શબ્દ પછી અલ્પવિરામ જોઈએ. સરિયામ–જાહેર, ખુલ્લા. વહેલી સવારે (પૃ. ૮૧) ચિત્રાત્મક સુભગ આલેખન. ‘શશીકલા’ને બદલે ‘શશિકલા’ જોઈએ. પં. ૫માં આદિવર્ણી ‘ને’ ઊડી ગયો છે તે ઉમેરીને વાંચો. અનિદ્રાની રાત પછી (પૃ. ૮૨) અગાઉની કૃતિ જેવી જ પાછલી રાતના વિવર્ણ ચંદ્રની છબી આલેખતી કૃતિ. પહેલી કૃતિ પરલક્ષી તો બીજી સ્વાનુભવરસિક. નહીં યુદ્ધ જોઈએ (પૃ. ૮૩) ‘યુદ્ધ અને શાંતિ’ એ કૃતિની જેમ જ આ કૃતિ પણ ગાંધી—ન્હેરુ યુગીન કવિની યુદ્ધ વિરોધ અને શાંતિપરાયણતા સૂચવે છે. વંશસ્થ–ઈન્દ્રવંશાનો મિશ્રજાતિ છંદ. ‘હવે અમારે... જોઈએ’ એ ધ્રુવપંક્તિ જગતની શાંતિવાદી પરિષદના સૂત્ર, નારા જેવી મુખર બની છે, આ ધ્રુવપંક્તિની રીતિ દલપતરામનું સ્મરણ કરાવી જાય છે. પ. ૧૦માં ‘ધષ્ટતા’ ને બદલે ‘ધૃષ્ટતા’ જોઈએ. ઊભો હું (પૃ. ૮૫) પં. ૧માંનો ‘જાણે’ શબ્દ કૃતિને લાભકર્તા છે? જીવનની કથા (પૃ. ૮૬) પં. ૧-૩ અહીં કોઈને, કૃતિ સહન કરે તેથી જરીક વિશેષ શબ્દાડંબર થયો લાગે. ફેનિલસ્મિતે-ફીણના સ્મિતે. ફીણ એ જ સ્મિત. પં. ૯-૧૧ જે નદીઓ પ્રગટપણે સમુદ્રને મળે છે તેનું શું વારુ? જિન્દગી ને મરણ (પૃ.૮૭) કવિની જીવનની સમજ તથા કવનની પકડ બન્ને વ્યક્ત કરતું ઘન પાણીદાર, સ્વાતિનક્ષત્રમાં જ પાકે તેવું મૌક્તિક–મુક્તક. આવાં મુક્તકો ગુજરાતી કવિતામાં ય વિરલસ્તો. આ સિવાયનાં આ સંગ્રહમાંનાં અન્ય મુક્તકો પણ કવિના ઉક્તિલાઘવની શક્તિનાં ઠીક ઠીક દ્યોતક બન્યાં છે. માનવમેળા (પૃ. ૮૮) કૃતિમાં જાણે મેળાના ઘૂઘરછંદની રમણા જ મચી છે. અંતની પંક્તિઓ જીવનમેળાનું સૂચન મૂકી જાય છે. અમે તો (પૃ. ૮૯) ‘રાજમારગ’ની ‘કલાનિયમ’ની અને ‘પ્રીતની હજાર રીત’થી અનભિજ્ઞ કવિએ ખરી રીતે તો ‘રાજમારગની’ પ્રીતની ખરી રીત આત્મસમર્પણની જ અને ગાનતાનના સાચા એકમેવ ‘મુક્તિ’ના કલાનિયમની જ વાત તો કરી છે. વાંછા (પૃ. ૯૦) શૈશવમાં મુગ્ધતાભર્યો, યુવાવસ્થામાં સાહસોત્સાહનો વિક્રમ ભર્યો, વાર્ધક્યમાં અનુભવસમૃદ્ધિ અને શિવપથની ઝંખનાભર્યો જીવનવિકાસનો સમૃદ્ધ ક્રમ કવિ ઝંખે છે. ઉષા, મધ્યાહ્ન ને સંધ્યા સરખા આ ક્રમ પછી મૃત્યુની નિશા વેળાએ કવિ સ્મરણ ઉડુઓ પૂઠે મૂકી જવાની સ્વાભાવિક ઇચ્છા રાખી શકે. પં. ૮. ‘સફલ’ શબ્દ પછી અલ્પવિરામ જોઈએ. ભૂલા પડ્યા (પૃ. ૯૨) રસ્તા બાંધવાથી જ ભૂલા પડી જવાય તો ‘અભિસાર’ માટે આરત એ જ ઉત્તમ ને સ્વાભાવિક માર્ગ. આવ્યો છું તો (પૃ. ૯૩) અન્ય કવિઓની ‘મેળાકૃતિઓ’ના ઉલ્લોલ આનંદના બેફિકર સ્વેચ્છાવિહારના ધ્વનિ કરતાં આ કૃતિનો ધ્વનિ કંઈક જુદો પડે છે. એને અહીં બને તો કોઈને મળતા જવું છે. માત્ર ફૂલરૂપે જ સમાપ્ત થઈ જવું નથી, બને તો ફળતા જવું છે. ચાહી લે (પૃ. ૯૪) વળી એક વધુ ‘મેળા’ કૃતિ. સર્વત્ર ‘માનવમેળા’માં મળી પ્રીતની જ કમાઈ કરી લેવાનો ધ્વનિ અહીં પણ વ્યક્ત થાય છે. ધરાનાં બાળ (પૃ. ૯૫) ‘માનવ મેળા’ના ભાવના વિસ્તારરૂપે જ ‘ધરતીની પ્રીત’ અને તેનો જ કોઈ ઉન્મેષ તે ‘ભૂદાન પ્રવૃત્તિ.’ ભૂદાન પ્રવૃત્તિમાં ઉપયોગી લેખાય એવું ગીત. બાંટી લો–વહેંચી લો. લગની (પૃ. ૯૬) આ કૃતિ પણ આગલી કૃતિઓ જેવી જ ‘ધરતીની પ્રીત’ ને ‘માનવમેળા’ની ઉદાર વિશાલ ભાવનાનું પરિણામ. ‘નવી લગન’ તે આ રંગીન મેળામાં જ એની ‘મતવાલી મૂરત’ જોવાની લગન; વિકસિત માનવતા એ દિવ્યતાની ઘણી નજીકની અવસ્થા. એ પણ આધ્યાત્મિક વિકાસની જ કોઈ પ્રારંભિક ભૂમિકા છે. હૈયાનું વાસણ (પૃ. ૯૭) ‘હયાનું’ ને સ્થાને ‘હૈયાનું’ જોઈએ. ચરણ ઠેસથી (પૃ. ૯૮) રામાવતારે, કૃષ્ણાવતારે બે પતિત જીવાત્માના થયેલા ઉદ્ધારનો નિર્દેશ, કુબ્જા-એ નામની કંસની દાસી. દેહ પણ કુબ્જ-ખૂંધી, તેને કૃષ્ણે આલિંગન આપી ઘાટીલાં અંગવાળી બનાવી હતી. તો તારા સ્પર્શે કાદવમાંથી કમળ ઉત્પન્ન નહિ થાય? અરવિંદ-કમળ–અહીં શ્રી અરવિંદ પ્રત્યેની ભક્તિ પણ વાંચી શકાય. આઘાં આઘાં (પૃ. ૧૦૦) આપણા મધ્યકાલીન ભજનનાં ભાવ-ઘેઘૂર વાણી ને લય ભાવક અહીં માણી શકશે. કવિને હૈયાના વાસણની બાની સાથે સરખાવો. અપક્વ અને પરિપકવ વાણીનો ભેદ સમજાશે. દૂર નથી (પૃ. ૧૦૧) ‘સરિતા કુલ’માં ‘કુલ’ને ‘કૂલ’ બન્ને અર્થ ખીલશે. ‘આ વનવગડે………દૂર નથી.’ આખો ગીતખંડ સાયાસ અપ્રવાહી ને ગદ્યાળવો. લય સાધના પણ અનવદ્ય નથી. ‘રુદન……. સૂર નથી.’ આ પદ્યખંડ પણ એવો જ સાયાસ. બે લાંબા સમાસો પણ લય સાધનાની આડે આવે છે; જો કે અંત્ય તૂકમાં ભાવ, ભાષા, લય નિર્દોષ થતાં ગયાં છે. સંસ્કૃતિશિખરાસીન–સંસ્કૃતિના શિખર પર બેઠેલ. ‘વિશ્વ...લયે’— વિશ્વરૂપી વીણાનું સંગીત, તેના લયમાં. પ્રાકૃત-સંસ્કૃત નહિ એવું; કુદરતી અવસ્થામાં હોય એવું, સંસ્કાર વિહીન. ચાહું (પૃ. ૧૦૨) મેર–ભણી, તરફ. ‘ઓઘ’ અને ‘પ્રબોધ’-નિર્બળ પ્રાસ રચના ઊલટો–ઊમટો. પ્રબોધ–જાગૃતિ. આ સૉનેટમાં સ્રગ્ધરાનું અંતિમ યુગ્મક કેવું સઘન-સભર-પુષ્ટિમંથર છે! સંસ્કૃત વૃત્તોમાં કવિનો પદબંધ એકંદરે સર્વત્ર પુષ્ટ હોય છે તેનો આ પણ એક નમૂનો છે. હે અદીઠ! (પૃ. ૧૦૩) હે અદીઠ! હે અજ્ઞાત! વગેરે વ્યાકુલ ઉદ્ગારો શ્રી અરવિંદ–રવીન્દ્રવાણીની જ આપણે ત્યાં દેખાતી અસર. નાન્દી ગીત-સંસ્કૃત નાટકોના પ્રારંભે નાન્દીના શ્લોક યોજાય છે. અયિ જ્યોતિ (પૃ. ૧૦૪) વિયત-આકાશ. મહતના–મહાનના. તમસ–અંધારું–અજ્ઞાનરૂપ અંધારુંય. ભર-ભાર. જમીં–જમીન, ત્વત્તેજ મહિમા–તારા તેજનો મહિમા. અતિ સંસ્કૃતપ્રચુર પ્રયોગ. વ્યાકુલ (પૃ. ૧૦૫) ચરણનકી આસ-મધ્યકાલીન હિન્દી ભાષાનો પ્રયોગ. નવતર ગૂજરાતી કવિતા એને કવિની જેમ હવે ભાષા-પ્રાન્ત-દેશના સીમાડા ભૂંસતી જાય છે. જો કે મધ્યકાલીન ગૂજરાતી કવિતા ય હિન્દી શબ્દો ભણી ક્યારેય સૂગ ધરાવતી ન હતી. ‘પિછાન’ પણ હિન્દી જ, ગૂજરાતીનો ‘પિછાણ’ થાય. શ્વેત શિખર (પૃ. ૧૦૬) શ્વેત શિખરનું આરોહણ, દિવ્ય જ્યોતિનું અવતરણ, પૂર્ણતા પ્રબોધનું ઝંખન-આ અને આવાં શબ્દ ઝૂમખાં-ભાવપ્રતીકો કવિના શ્રી અરવિંદાભિમુખ વલણમાંથી આવે છે. આ અને આ કૃતિની આગળ પાછળની કેટલીક કૃતિઓ જોવાથી જણાશે કે કવિની અગમનિગમની ભક્તિ-ભાવના ને કવિતા શ્રી અરવિંદ, રવીન્દ્ર અને આપણી પોતાની મધ્યકાલીન ભજનભંગીઓ, આ ત્રિવિધ અસરરૂપે, ત્રિવેણી-સંગમરૂપે, પ્રયાગરાજરૂપે નવતર કવિતામાં વહે છે ; માત્ર આ કવિમાં જ નહિ, આ લક્ષણ અખિલ નવીન કવિતાનું પણ છે જ. આ કૃતિ જો કવિની શ્રી અરવિંદ આગમની કૃતિઓમાં કદાચ સર્વોત્તમ ઠરશે તો તે શિખરની પ્રતિભાશાળી કલ્પના અને પછી એ આરોહણનો આખો આધ્યાત્મિક હેયોપાદેય સાજ અને એમની શ્વેત શિખરના માનસસર જેવી અકલંકી નિર્મલ લયવાણીથી. શિખરનો શ્વેત રંગ એમને કદાચ હિમાલયનાં ઉચ્ચ શિખરમાંથી જડ્યો હશે; પણ આધ્યાત્મિક આરોહણમાં શિખરનો શ્વેત રંગ એટલે સ્થિતપ્રજ્ઞ અવસ્થા–બ્રાહ્મી સ્થિતિ. સર્વરંગોની તકતી ફરતી હોય તો શ્વેત લાગે છે તેમ, બધા રસોને મોક્ષ જેમ શાંત રસ છે તેમ. દિવ્યતા–પ્રકાશનો રંગ પણ શ્વેત. દુઃખ અને સંકટ-પુનરુક્તિ. અવગાહી-ડૂબકી મારી. માનસનીરે–માનસસર-મન. આધ્યાત્મિક આરોહણની ફલશ્રતિ. પ્રેમઘટા ઝૂક આઈ (પૃ. ૧૦૭) ‘ઝૂક આઈ’—ગુજરાતી ભજનોમાં હિન્દી વાણી કદી પરાઈ ગણાઈ નથી. આધ્યાત્મિક અનુભૂતિ સમૃદ્ધ કૃતિ. ‘ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે’ એ શ્રી. મણિલાલ દ્વિવેદીની આવી જ કૃતિની સ્મારક આ રચના છે. લય અને ભાવથી ઘેઘૂર ભજનકૃતિ. સચરાચર પર અકલની છાયા ઢળી છે તેમ જ અહીં વાણી અને અર્થનું લયમંજુલ સામંજસ્ય સધાયું છે એ વાચક જોઈ શકશે. ખુમારી (પૃ. ૧૦૮) ઉરૈષણા-અસંસ્કૃત સમાસ, હૃદયની ઇચ્છા. ઇતબાર આપે (પૃ ૧૦૯) કવિહૃદયના આ વિશ્વહૃદય સાથે તાલબદ્ધ રીતે આનંદમાં અને રોષમાં ધબકવાની ઈચ્છા પ્રગટ કરતી નાજુક સુન્દર કૃતિ, ઇતબાર-વિશ્વાસ, કરાર–કળ, શાંતિ. વાસંતી ઘટાઓમાં ટહુકી ઊઠતી કોયલ સંગે, પાંદડાંના પુંજમાંથી ડોકિયું કરતા ઊઘડતા ફૂલ સંગે, બાળકોના અકારણ હાસ્ય સંગે કવિહૃદયનું અનુકૂલ અનુસંધાન થાય છે જ; વળી જુલમ ઉપર જ્યારે ન્યાયનું શાસન થાય છે ત્યારે ય એ મારે હાથ તલવાર પર જાય છે. આમ છતાં ક્યારેક તો હું આ બૃહત્તાને ભૂલી અહંકેન્દ્રી થઈ માત્ર મારા ‘હું’માં જ રમમાણ પણ થાઉં છું. આ ક્ષણે હું આખા વિશ્વપ્રવાહથી કપાઈ જાઉં છું ને દરિદ્ર બની જાઉં છું. સંગ્રહની એક સમૃદ્ધ કૃતિ. ખપે ન ખોટી ચીજ (પૃ. ૧૧૧) કવિચૈતન્યની-જાગૃતિની વળી એક નવી કૃતિ. મિથ્યાનું આકર્ષણ જ મિથ્યા છે એ ભાવ. ચાતકને વરસાદ જોઈએ છે, વીજવાદળ નહિ. પૂનમનો કુમ્ભ પીવો છે, બીજનો ઘૂંટડો નહિ. મિથ્યાની સાથે અલ્પનો અણગમો પણ ગૂંથાઈ ગયો છે. ગીતને અંતે કેવી ચોટ સધાઈ છે! મોહનના કરનો જ હાર ગળે જોઈએ, માદળિયાંતાવીજથી તે શું? મુખ જોયા કરું (પૃ. ૧૧૨) મુખ જોયા કરવું, રાધા બની રહેવું, ‘હું એકલડી છું, મને હરી જાઓ’ એવી માગણી કરવી, આ બધું મધ્યકાલીન પ્રેમલક્ષણા વૈષ્ણવભક્તિનું જ અનુસંધાન કે શ્રી અરવિંદ-રવીન્દ્રનું? કે પછી સાચી અનુભૂતિની વ્યાકુલતામાં આ ત્રણેયનો અભેદ થઈ ગયો છે? મત ભટકો (પૃ. ૧૧૩) શીર્ષકની હિન્દી લઢણ જુઓ. ચંચળ, ક્ષણભંગુર વિષયોના સેવન સામે મનને પ્રાચીન કવિઓની જેમ જ બોધ. તેને બદલે ‘એના ચરણકમલદલપ્રાન્તે’જ, સનાતન વિષયમાં જ લીન થવા અનુરોધ. ‘ચરણ ... પ્રાન્તે’ વળી પાછો એક લાંબો સમાસ. રત રતનાં– ઋતુ ઋતુનાં. મધુપ્રાશન—મધ આસ્વાદવું તે. ઉન્માદક-ઉન્મત્ત કરનાર. ભેદ (પૃ. ૧૧૪) અંધારમાં તેજનું બાળક કવિ અને અંધારનું જ બાળક ચામાચીડિયું, એ બંન્નેની સહસ્થિતિ. એકની એક સ્થિતિમાં એકની વ્યગ્રતા ને બીજાનાં સુખ સંતોષ. યોગ્યતા ને અધિકારમાં જ મૂળભૂત ભેદ. આ અંધારનું અસુખ એજ માનવપ્રગતિની ભાવિ આશા. કાવ્યમાં તમસની પરિસ્થિતિમાં કવિના ચૈતન્યના પ્રત્યાઘાતોનું સચોટ વર્ણન જ અડધો યશ લઈ જાય એવું. વાતાયન–બારી. તવ ચરણે (પૃ. ૧૧૬) શરણાગતિ, વ્યક્તિત્વલોપની આર્તિભર્યું પ્રાર્થનાગીત. દિનાન્તે (પૃ. ૧૧૭) પ્રભુની અપત્યભાવે પ્રાર્થનાનું મુક્તક પં. ૩-૪ ‘શાકુંતલ’ની પ્રસિદ્ધ પંક્તિનું સ્મરણ કરાવશે : धन्यास्तदंगरजसा मलिनीभवन्ति । આનન્દ છે (પૃ. ૧૧૮) પ્રકૃતિનો દિવસભરનો, ઋતુ ઋતુનો ઉલ્લાસ વૈભવ, બાળકોની નિર્દોષતા ને શ્રમનું માંગલ્ય વગેરેનો ધરતી પરનો આનંદ સ્મરી કવિ રાત્રિટાણે ‘કોઈ’ ચિરવાંછિત પ્રિય સત્ત્વનું સાન્નિધ્ય અનુભવે છે ત્યાં કાવ્યની ચોટ છે. બે વચ્ચે જાણે એક જ શ્વસન છે. આ આનંદ સમાધિ આગળ કાવ્ય વિરમી જાય છે. પ્રકૃતિ, માનવ અને પરમતત્ત્વ એ ત્રણેયનો આનંદ આ સંગ્રહની કૃતિઓમાં કવિએ ગાયો છે. એ વાતનું સૂચન પણ એમાં જોઈ શકાય.

–ઉશનસ્