માણસાઈના દીવા/૧. કામળિયા તેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. કામળિયા તેલ


હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : “જઉં છું.” “કંઈ જશો?” “મારા મુલકમાં.” “નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં. “મારાથી ના રહેવાય.” “ચ્યમ વારુ?" મહારાજનો સંગ છોડવો એ કઠિન હતું. “હું અહીં ના રહી શકું. તમારે ને મારે સંબંધ બંધાયો; આપણાં દલ મળ્યાં. હવે મારાથી તમારાં દુઃખ નાજોવાય.” “શાનાં દુઃખ?” “દુઃખ એ કે — તમે ચોરી કરો, દારૂ પીઓ, તોફાન કરો… તમને પોલીસ પકડે, મારકૂટ કરે … એ મારાથી દીઠું જાય નહીં.” “ઈમ હોય તો અમે ચોરી ના કરીએ, દારૂ ના પીએ, પણ તમને તો જવા નહીં જ દઈએ. એ વાત કરશો જ ના, મહારાજ.” મહારાજ ચાલ્યા જાય છે એ સમાચાર લોકોને અસહ્ય હતા. ટોળાં ને ટોળાં એકઠાં થયાં. એક જ વેણ ગાજી રહ્યું: ‘નહિં જવા દઈએ. તમારે એમ હશે તો અમે ચોરી-દારૂ છોડી દેશું.'