મારી લોકયાત્રા/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિપરિચય

મારી લોકયાત્રા : ભગવાનદાસ પટેલ

ભગવાનદાસ પટેલની આ આત્મકથા એમની પોતાની, ને એમણે આપણનેય કરાવેલી, લોક-યાત્રા છે. આ લોકયાત્રા ગ્રામ-વાસીથી શરૂ થઈને વન-વાસીની કથા સુધી પ્રસરે છે. ખેડૂતપુત્ર આ લેખક, પહેલીવાર, ખેતી માટે બળદ ખરીદવા જાય છે. ત્યારે, બળદ વેચવો પડે છે એ આદિવાસી સ્ત્રી આખી રાત બળદને ઘાસ નીરતી રહે છે ને એની સાથે વાતો-વલોપાતો કરતી રહે છે એ ક્ષણ લેખક માટે પરિવર્તનની ક્ષણ બને છે, ને પછી, શિક્ષક બનતા આ લેખક, નાના શહેરની ઉજળિયાત વસ્તી મૂકીને, આદિવાસી વિસ્તારોમાં ઘૂમવા લાગે છે ને સમૃદ્ધ આદિવાસી જીવનને સમજવાનું ને એમની એવી જ સમૃદ્ધ મૌખિક દીર્ઘ કાવ્યકથાઓનું સંપાદન કરવાનું હાથ પર લે છે — એ આખી વાત, ટૂંકમાં, સરળતાથી પણ અસરકારક રીતે આ પુસ્તકમાં લખાઈ છે. વિધિવત્ લગ્ન પૂર્વે પ્રેમસંબંધથી માતા-પિતા બન્યા પછી, પીઠી ચોળીને લગ્નમંડપમાં બેસનાર, ક્યારેક તો, વસ્તાર વધ્યા પછી પુત્રો-પૌત્રોને પણ જાનમાં લઈ જનાર આદિવાસીઓની અકુંઠિત સમુદાર સંસ્કૃતિનુ; મૌખિક મહાકાવ્યોના ગાયકો — માહિતીદાતાઓ — ના મનમાં, એ મહાકાવ્યો છપાશે તે જોવાની અભિલાષા જાગે છે. કહે છે — ‘પગવાનપાઈ(ભગવાનભાઈ), થું માર (મારી) સૉપરી (ચોપડી) બણાવવાનો નં ઉં અમ્મર થાઈ જાવાનો! પુસ્તકનો ત્રીજો વળાંક છે લેખકનું સંપાદનકાર્ય ઉપરાંત સાંસ્કૃતિક અધ્યયન. એ અધ્યયન એમણે આ આદિવાસીઓનો વિશ્વાસ જીતીને, એમના એક પ્રેમાળ પરિવારજન બનીને કર્યું છે — ને અનેક માઈલોની પદયાત્રા કરીને પાષણ-ઓજારો, ગુફાચિત્રો, અશ્મ સમાધિઓનો ઝીણો અભ્યાસ કરીને, કાવ્યસંપાદનગ્રંથો ઉપરાંત ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ નામનું પુસ્તક કર્યું — એ યાત્રાકથન રોમાંચક ને આદરપ્રેરક છે. ઘરોબો વધતાં આ આદિવાસી પ્રજાની ઉદારતા સાથે એમની અદિમ પાશવી હિંસકવૃત્તિ નો પરિચય થતાં, લેખક એક બીજો વળાંક લે છે — કર્મશીલ બનવાનો મનસૂબો. સમજાવી-મનાવીને, પ્રબોધક નાટ્યઅંશો એમની જ પાસે ભજવીને રજૂ કરીને લેખકે આ પ્રજાની હિંસકતાને ઘણે અંશે ઠારવાનો પ્રયાસ પણ કર્યો. આવી, વિવિધ પરિમાણોવાળી આ કૃતિ સાહિત્યના તેમજ સમાજશાસ્ત્રોના વિદ્યાર્થીઓ સામે પાઠ્યપુસ્તક તરીકે પણ મૂકાવી જોઈએ એવી, સંવેદનશીલતાની ને સંશોધનની તાલીમ આપનારી કૃતિ છે. સૌથી પહેલાં તો આ પુસ્તક, એક રોમાંચક અને રસપ્રદ વાચન સંપડાવનારું છે. એ વાચન વાચકને તૃપ્ત અને સમૃદ્ધ કરશે.

—રમણ સોની