મુકામ/સર્જક-પરિચય


સર્જક-પરિચય
Harshad Trivedi.jpg


હર્ષદ ત્રિવેદી ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક, વિવેચક તરીકે સુખ્યાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે તા. ૧૭.૭.૧૯૫૮ના રોજ જન્મેલા કેળવણીકાર પિતા અમૃત ત્રિવેદી અને માતા શશી બહેનના સંતાન હર્ષદ ત્રિવેદી છેલ્લા ચાર દાયકાથી સાહિત્યના એકાધિક સ્વરૂપોમાં સ્વૈરવિહાર કરતાં રહ્યાં છે પરંતુ તેમનો પ્રથમ પ્રેમ તો કવિતા જ. આ સર્જકે ‘એક ખાલી નાવ’ (૧૯૮૪), ‘રહી છે વાત અધૂરી’ (૨૦૦૮), ‘તારો અવાજ’ (૨૦૦૩), ‘તરવેણી’ (૨૦૧૩), ‘તમે ખરા!’ (૨૦૧૭) અને સમગ્ર કવિતાનો સંચય ‘ઝાકળમાં ઘર’ (૨૦૧૭) એમ કુલ છ કાવ્યસંગ્રહ આપ્યાં છે. આ બધા સંગ્રહોમાંથી પ્રગટ થતી એમની કાવ્ય મુદ્રા એક રંગદર્શી કવિની છે. કોઈ યુગના સંદર્ભોમાં ન સમાતી તેમની સર્જકતા ઊર્મિના સદ્ય ઉભરાટની, એક મુગ્ધ કવિની છાપ ઉપસાવે છે. કાવ્યકળાના સર્વ કસબના જાણતલ આ સર્જક માનવમનના ઊંડાણોને તાગતા સજ્જ વાર્તાકાર છે તેની પ્રતિતિ તેમના બે વાર્તા સંગ્રહો ‘જાળિયું’ (૧૯૯૪) અને ‘મુકામ’ (૨૦૨૦)માંથી પસાર થતા થાય છે. સૌંદર્ય અને સદભાવ રમણીય ભાષામાં પ્રગટાવતા રેખાચિત્રો ‘સરોવરના સગડ’ (૨૦૧૮) અને લલિત નિબંધો ‘માંડવીની પોળના મોર’ (૨૦૨૦) તેમના મહત્વના ગદ્ય સંચય છે. ‘સોનાની દ્વારિકા’ (૨૦૧૭) એમની નવલકથા છે. વિવેચન સંગ્રહ ‘શબ્દાનુભવ’ (૨૦૦૭), લોકગીતોનો આસ્વાદ ગ્રંથ ‘કંકુ ચોખા’ (૨૦૧૭) અને ‘રાજેન્દ્ર શાહ’ (૨૦૨૪) લઘુ પુસ્તિકા (Monograph) તેમની સાહિત્યસુઝના પરિચાયક ગ્રંથ છે. હર્ષદ ત્રિવેદી કુશળ સંપાદક છે. તેમનાં ૨૬ સંપાદન ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં બહોળી ચાહના અને સ્વીકૃતિ પામ્યાં છે. જેમાં મોરારી બાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વ વાકધારા’ ગ્રંથ ૧ થી ૨૦ (૨૦૦૮, ૨૦૧૪, ૨૦૧૮), ‘ગુજરાતી કવિતાચયન: ૧૯૯૧’ (૧૯૯૨), ‘સ્મરણરેખ’ (દિવંગત સાહિત્યકારો સાથેનાં સંસ્મરણો) (૧૯૯૭), ‘ગઝલશતક’ (સાંપ્રત ગુજરાતી ગઝલો) (૧૯૯૯), ‘ગૂર્જર અદ્યતન નિબંધસંચય’ (ડૉ. ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૯૯), ‘૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૯), ‘તપસીલ’ (સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરી) (૧૯૯૯), ‘લાલિત્ય’ (ગુજરાતી નિબંધો) (૨૦૦૦), ‘૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૧), ‘વેદના એ તો વેદ’ (કવિશ્રી ઉશનસ્-નાં ગીતો) (૨૦૦૧), ‘દલિતસાહિત્ય’ (૨૦૦૩), ‘અલંકૃતા’ (સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી પુસ્તકો વિષયક લેખો) (૨૦૦૫), ‘કાવ્યાસ્વાદ’ (ગુજરાતી કવિતાઓના આસ્વાદ) (૨૦૦૬), ‘નવલકથા અને હું’ (નવલકથાકારોની કેફિયત) (૨૦૦૭), ‘રાજેન્દ્ર શાહનાં સોનેટ’ (૨૦૦૭), ‘ટૂંકીવાર્તા અને હું’ (વાર્તાકારોની કેફિયત) (૨૦૦૯), ‘પાંચ દાયકાનું પરિદર્શન’ (અભ્યાસલેખો) (૨૦૧૦), ‘Silver Glimpses from Shabdasrushti : Selections from Modern Gujaraati Prose’ (2013), ‘નાટક અને હું’ (નાટ્યકર્મીઓની કેફિયત) (૨૦૧૪), ‘કવિતા અને હું’ (કવિઓઓની કેફિયત) (૨૦૧૪), ‘નિબંધ અને હું’ (નિબંધકારોની કેફિયત) (૨૦૧૪), ‘રાજેન્દ્ર શાહની સમગ્ર કાવ્યસૃષ્ટિ’ ગ્રંથ ૧ થી ૩ (૨૦૧૮), ‘એતદ્ મંજૂષા : ૨૦૧૩’ (૨૦૨૩), ‘ઉશનસ્ : પ્રતિનિધિ કાવ્યો’ (૨૦૨૩) તેમના ઉત્કૃષ્ટ સંપાદનકર્મના નમુના છે.

—સમીર ભટ્ટ