મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/‘હું’
ટપાલની થોકડી લઈને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઈ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં: જોગેશ્વરીમાં લલિત-કલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન લેવાનું, ત્રિલોકપુરમાં નવું ‘લોક સેવા મંદિર’.
પણ કંઈ નહિ, જવા દઈએ; તમને કંટાળો આવશે. કેમ ન આવે? બાલકૃષ્ણ મારો દસ વર્ષનો જૂનો કારકુન તેને પણ હસવું આવે છે કે હું આ બધાં નિમંત્રણોની આટલી ચીવટપૂર્વક તારીખો કેમ મુકરર કરાવું છું. હું જવાબો લખાવું છું, તારો કરાવું છું, છેલ્લી ઘડીએ તારીખો બદલવાના સંદેશા મોકલું છું... એ બધી મારી જંજાળો છે એમ ન માનતા; મને એમાં મોજ પડે છે.
બાલકૃષ્ણ હસે છે, બીજાં ઘણાં ઘણાં મને મદમાં ચકચૂર બનેલો સમજે છે; મારા દરેક સમારંભના અહેવાલ, સમારંભ ખતમ થાય કે તરત જ, હું લખી-લખાવી છાપાંમાં પ્રસિદ્ધિ માટે મોકલું છું એ પણ બધાં જોઈ રહે છે.
હું પણ તેઓના મારા પરના શબ્દ-કટાક્ષો અને આંખ-મીંચકારાથી અજાણ નથી. તેઓ માને છે કે પ્રસિદ્ધિના મોહે મારી આંખોમાં અંધાપો અને મારા કાનોમાં સીસું સીંચેલ છે. પ્રગટ થયેલ સમાચારોની કાપલીઓની નોખી એક ફાઇલ જ મેં રખાવી છે ને ઇરાદાપૂર્વક જ તે મેં મારા મેજ પર મુકાવી છે એથી પણ મારા સાથીઓ મને ચસકી ગયેલો માને છે. પણ તેઓ મારે વિષે જે માની રહેલ છે તે પાછું હું પણ જાણું છું એટલી વાત તેઓ કદી જ નહિ સ્વીકારે!
છેલ્લા બે અવસરોમાં તો હું મારા સાથીદારોની આખી એક મંડળી લઈને જઈ આવ્યો. મેં હવે પછીનાં નોતરનારાંઓને ચોખ્ખું સંભળાવી દીધું છે કે “ઓછામાં ઓછો દસ જણાંનો રસાલો લીધા વગર હું નહિ જ આવું. એ દસેયનું જાતવળતનું ગાડી ભાડું તેમ જ બીજું ખર્ચ તમે આપી શકશો?”
“જરૂર, જરૂર...” કહીને એ લોકો તો ઊલટાના ખુશાલી અનુભવે છે. “બહેનોને તો ખાસ લઈ આવજો, હોં સાહેબ!” એવો એ લોકો આગ્રહ સેવે છે. ને મેં પણ જોયું કે તેઓ કંઈ હૈયાફૂટા નથી: તેમના સમારંભોમાં મારું તેમ જ મારા મંડળનું — ખાસ કરીને સાડીધારી શરીરોનું — એક અજબ આકર્ષણ ઊભું થાય છે; ને વિનાબૅન્ડે, વિના બીજાં કશાં નાટકોએ આખું ગામ જમા થાય છે.
પછી તો મારાં અને મારા સંગાથી બહેનોનાં ભાષણો: અમારી સહુની ગ્રૂપ તસ્વીરો તેમ જ એકલ છબીઓ: અમારામાંના બે-ચારને હાથે જુદાં જુદાં ગૃહો, મંડળો, સંમેલનો ખુલ્લાં મુકાવવાની તડામાર: ખાસ કરીને મારી જોડેની બહેનોના થોડા કસરત પ્રયોગો, તેમ જ એ પ્રત્યેકની મુલાકાત લઈ ‘મિસ મેયો વિષે આપને શું કહેવાનું છે?’ એ પ્રશ્નના મેળવવામાં આવતા ધગધગતા પ્રત્યુત્તરો: વગેરે વગેરે — અરે, સરઘસ તો હું ગણાવવાં ભૂલી જ ગયો! — સરઘસો વગેરે: આ બધા રંગોની રંગોળી એ ભાઈઓ છાપાંમાં તેમ જ પોતાના અહેવાલોમાં એવી તો સરસ રીતે પૂરી લે છે કે હવે પછી મારે મારું સાજનમાજન લઈને જવામાં કશો સંકોચ રાખવાની જરૂર નથી. જો લોકો મને ‘એક્સ્પ્લોઇટ’ કરે છે, અર્થાત્ મારો કસ કાઢે છે, તો પછી મારે શા માટે આ છેલ્લાં જીવન-વર્ષોને માણી ન લેવાં? — શાં માટે સામો કસ ન કાઢવો?
‘માણી લેવાં’ એવો પ્રયોગ કરવા બદલ હું તમારી કોઈની લેશમાત્ર ક્ષમા માગતો નથી. આ દસ્તાવેજ તમને મારા મૃત્યુ પછી હાથ લાગશે, એટલે હું નિર્ભય છું. એ નિર્ભયતાનો પ્રેર્યો જ હું એકરાર કરું છું કે એક ફાટેલું, થીગડાં મારેલું, શરીરને બહુ બંધ ન બેસતું એવું કૂડતું પહેરવાથી હું કંઈ વિરક્ત નથી થઈ ગયો. મારી ટૂંકી ધોતલી ને મારા અલગારી રંગઢંગ કંઈ ત્યાગના કે શાંત પડેલી વૃત્તિઓનાં ચિહ્નો નથી. મોરલાનો પિચ્છ-કલાપ અને સિંહની કેશાવલિ, કૂકડાની માંજર અને કલાકારનાં કેશ-ગૂંચળાં — એ તમામની અંદર જે આકર્ષકતા રહેલી છે, તે જ આકર્ષકતા મારા આ લઘરવઘર લેબાસમાં તેમ જ દીદારમાં છુપાયેલી છે. તમે સહુ ભરમાઓ છો કે ભાઈ ઘેલા બન્યા છે. પણ તમે, મારી બીજી ચાહે તેટલી ખામીઓ કાઢવા છતાંય, મારી વૃત્તિઓના લહેરીપણા પર તો અંદેશો નહિ જ આણો, ખરું? હું તમને કહેતો જાઉં છું કે હું ઘેલો નથી.
આઠ દિવસ પહેલાંની ટપાલનાં પરબીડિયાં મને કેવાં યાદ આવે છે! તે દિવસ મેં બે પરબીડિયાં કેવી સિફતથી સેરવી લીધાં! મારું પડખું સેવનારો શકરોબાજ બાલકૃષ્ણ પણ ન કળી શક્યો: મેં એની નજર ચુકાવી... હાં! હાં! હવે તો મને મારા નાના નાના વિજયો પણ વહાલા લાગે છે — બુઢ્ઢા બાપને છેલ્લાં છૈયાં લાગે છે ને, તેવા વહાલા.
સેરવેલું પરબીડિયું હું હવે એકલો પડ્યો પડ્યો ફોડું છું. અક્ષરો હું ઓળખું છું. સરનામાની અંદર જ એ ન ભુલાય એવો મરોડ છે. વીરમતીનો પ્રદ્યોત પરનો એ કાગળ છે. પ્રદ્યોત મારી કને ઉપરાઉપરી ત્રણ આંટા મારી ગયો; પૂછી ગયો કે “રાજેશ્વરભાઈ, મારો કાગળ છે?”
ઠંડાગાર કલેજે મેં એને કહ્યું: “ના, ભાઈ; આજે તો નથી.”
તોયે એ ક્યાં ખસતો હતો? એનું ધ્યાન તો મારી પાસે પડેલી ટપાલની ઢગલી પર જ ચોંટ્યું હતું. મારાં ચશ્માંની બાજુએથી તીરછી નજર નાખી હું પ્રદ્યોતના મુખભાવો નિહાળતો હતો. મને લહેર પડતી હતી. ભલેને એ બેસી રહ્યો! હું શા માટે કહું કે, જા! એને ખાતરી જ ન કરાવું કે હું કદાપિ અનિશ્ચયાત્મક ના નથી કહેતો! ધીરે ધીરે મેં ટપાલ વાંચ્યા કરી. અક્કેક પરબીડિયું ફોડવામાં મેં કચકડાની છૂરીને કેટલી ભિન્ન ભિન્ન રીતે ચલાવી! પ્રથમ ચોંટાડેલી જગ્યાએ, પછી એક ખૂણા ઉપર, પછી બીજા, પછી ત્રીજા ને ચોથા ખૂણા ઉપર...
પ્રદ્યોતની મજાલ નહોતી કે ટપાલની થોકડીને — મારી ટપાલની થોકડીને — હાથ અડકાડે. નીચે વળી વળી એણે બે-ત્રણ બાજુએથી કોઈક અમુક રંગનું કવર પારખવાની માથાકૂટ કર્યા કરી... અને આખરે પોતાનો પરાજય પોતાના મોં પર લખી લઈને એ ચાલતો થયો.
એ જતો હતો ત્યારે એ મારી નજરે કેવો જણાતો હતો? કઈ ઉપમા આપું?... હા, હા, યાદ આવી: એ લાગતો હતો સીંચોડામાંથી ચેપાઈને બહાર નીકળેલા શેરડીના સાંઠા જેવો.
ટપાલનાં રંગબેરંગી પરબીડિયાં મારા ટેબલ પર મારી લિજ્જતનાં મેઘધનુષ્યો રચતાં હતાં. એ તમામને પતાવી ઘડીમાં મેઘધનુષ્યો રચતો અને ઘડીમાં મારી રચનાઓને વિખેરતો હું ઊભો થયો. પ્રદ્યોતને હું શોધતો હતો. અમારી સંસ્થાના ‘ગ્રામ સેવક મંડળ’ના ઉતારામાં એ હોવો જોઈએ. લટાર મારતાં મારતાં હું તો એ ઉતારાની તપાસ અર્થે જ જાણે આવી ચડ્યો હોઉં એવું દેખાડવા માટે મેં માળીને એક ચીમળાતો ગુલાબનો રોપ બતાવ્યો ને કહ્યું: “માળી, તારો અને મારો સમાન ધંધો: હું જગતનાં માનવપુષ્પોનો માળી, ને તું આ વનસ્પતિનો. તને આ રોપ સુકાયો દેખી દુ:ખ નથી થતું? મારા તો શ્વાસ ઊડી જાય જો મારું એક પણ સહકર્મચારી સુકાય તો.”
હું મકાનમાં ગયો. “આ પાણીના ગોળામાં ફૂગ તો નથી જામતી ને?” એમ કહેતાં કહેતાં મેં ગોળાની અંદર હાથ ફેરવ્યો, ત્યાં તો અંદરથી પ્રદ્યોતનો નિ:શ્વાસ સંભળાયો.
“કોણ છે અંદર?” કહેતો હું દાખલ થયો. પ્રદ્યોત નાક-મોં લૂછતો હતો.
“કેમ, પ્રદ્યોત, તમને વળી પાછી શરદી લાગી શું?”
પ્રદ્યોતે માથું હલાવ્યું.
“ચાલો, યુકેલિપ્ટસ છાંટી દઉં તમારા રૂમાલમાં.”
પ્રદ્યોતે ફરી પાછું માથું ધુણાવ્યું — પણ નકારમાં.
“કેમ? શરીર બગડ્યું છે, તેથી કંઈ નથી ગોઠતું? ઘર સાંભરે છે? માબાપ યાદ આવે છે?” મેં વહાલભર્યા હાથે ને પંપાળતાં પંપાળતાં પૂછ્યું.
એણે ફરી ડોકું ધુણાવ્યું — નકારમાં; પણ એની આંખોએ જુદો જવાબ દીધો — હકારભર્યા આંસુઓનો.
“અરે, ગાંડાભાઈ!” મેં હસીને એની પીઠ થાબડી: “આટલી પોચી લાગણીવાળા થયે કંઈ ગ્રામસેવા થવાની છે? વજ્ર-શો કઠોર બન. મારો દાખલો લે: મારું કુટુંબ ક્યાં રઝળતું પડ્યું છે! પણ હું એને યાદ જ કરતો નથી.”
પ્રદ્યોતને ચોધાર રુદન ચાલ્યું. મેં જોઈ લીધું કે લોઢું તપી લાલચોળ થયું છે. મેં સવેળાનો ઘણ ચલાવ્યો:
“જા-જા, ઊઠ; સાંજની ગાડીમાં ઊપડ. જઈ આવ તું તારે. કુટુંબ પ્રત્યેનો પણ આપણો ધર્મ રહ્યો છે. સુખેથી જા.”
પ્રદ્યોતે કાકલૂદીભર્યાં નેત્રે મારી સામે જોયું. મેં જવાબ દીધો:
“હું સમજી ગયો... બેફિકર રહેજે: હું કોઈને નહિ કહું કે તું આટલો ભાંગી પડ્યો હતો — નહિ જ કહું. હું સમજું છું: આપણે સહુ મનુષ્યો જ છીએ.”
સાંજની ગાડીમાં એ ઊપડી ગયો. તે પછીના બે કલાકો મારે માટે જુગજુગ જેવડા ગયા. પ્રદ્યોતને લઈ જતી ગાડીના તથા વીરમતીને લઈ આવતી ગાડીના ‘ક્રોસિંગ’નો મને ભય હતો: કદાચ એકબીજાં મળી જશે તો?
પણ મારા બે કલાકના જાપ ફળ્યા. વીરમતી આવી પહોંચી.
શ્વાસભરી એ મારે મકાને આવી. મારી ગાદી ઉપર એ મારી પુત્રી શારદાના જેટલા જ સ્નેહ-દાવાથી ઢળી પડી. એના માથામાં તાજી જ બાંધેલી વેણી હતી. સાંજે પેલા જંક્શન પરથી જ લીધી હોવી જોઈએ.
મેં ચકિત બની પૂછ્યું: “તેં શું બીજા વર્ગમાં મુસાફરી કરી?”
એ કહે: “ના રે!”
“ત્યારે આ તારાં કપડાં આટલાં સ્વચ્છ ક્યાંથી? તારા કાનમાયે એંજિનના ધુમાડાની કોલસી નથી એ શી નવાઈ!”
અલબત્ત, તમે સમજી શકશો કે હું વીરમતીના કાનને લૂછી રહ્યો હતો.
“હેં, કહે તો: આ શું!”
એ શરમિંદી બની ગઈ; વાયુની લહરમાં મરોડ લઈને તીરછી છટાથી ફૂલ દાખવનાર કોઈ ફૂલ-છોડની માફક એણે પોતાનું આખું અંગ મરડીને મોં ખોલ્યું: “...જંક્શને નાહીને કપડાં બદલ્યાં’તાં.”
“ક્યાં નાહી?”
“સ્ટેશનના નળ ઉપર.”
“અરરર! એમ નવાય, ગાંડી! આપણી સંસ્થાને માટે કોઈ શું કહે?”
“પણ એ નળો તો નાહવાને માટે જ છે ને! ત્યાં પાટિયાં લગાવેલ છે.”
“પણ, બહેન, આપણું જીવન કંઈ પાટિયાને આધારે નથી ચાલતું ને! તેં એ દૃશ્ય પાટિયું દીઠું કે, આ નળ નાહવાનો છે. પણ જીવનના માર્ગ ઉપર પાટિયાં ન લગાવેલી એવી કેટલી કેટલી નીતીરીતિઓ પડેલી છે!”
મેં જોયું કે વીરમતી કશું સમજી ન શકી. મારે પણ એ જ કામ હતું: એને સમજાવવાનું નહિ, અણસમજની મુગ્ધતામાં એને મૂંઝવવાનું.
“એ તો ઠીક, પણ બે કલાકમાં શું ખાટુંમોળું થઈ જવાનું હતું? અહીં આવીને નો’તું નવાતું ધોવાતું?”
એ કશો ઉત્તર ન દઈ શકી. એ કશુંક પૂછવા પ્રયત્ન કરતી હતી; પણ હું શા માટે એને સૂચન પણ કરું? મેં કહ્યું: “જા, સ્વસ્થ થા.”
એ ઊઠી. બારણા સુધી ગઈ, પછી એણે પાછાં વળીને પૂછ્યું: “મને સ્ટેશને કોઈ લેવા કેમ નહોતું આવ્યું?”
“તેં ખબર આપી હતી?”
“હા.”
“શી રીતે?”
“કાગળ લખ્યો હતો.”
“કોના પર?”
એણે આડો જવાબ દીધો: “મારું કવર મળ્યું જ નથી કોઈને?”
“કવર? ના કવર શીદ લખવું પડ્યું? આવવાના ખબર દેવા એમાં કવરનો ખર્ચ? તું કેટલી ઉડાઉ છે, બચ્ચા!”
“‘નૉટ પેઇડ’ થયું હશે...” એ એની જ વિચાર-ધૂનમાં હતી.
“કેમ, ભાર વધારે હતો? મારા પર કશા ઉદ્ગારો તો નહોતા ઠાલવી મોકલ્યા ને!”
આવી આવી મારી ‘અવળવાણી’ સામે વીરમતી એક ખામોશીભર્યો પાઠ ભજવી રહી હતી. પણ હું એને સાંપટમાં લેવા જ મથતો હતો. આખરે, શિકારીએ છેક કોઈ ખૂણામાં પેસાડી દીધેલી હરણી જેમ જવાના માર્ગો બંધ થયા દેખી શિકારીનો સામનો કરે, તેમ વીરમતીએ પણ પૂછ્યું: “પ્રદ્યોતચંદ અહીં નથી?”
“વાહ! મારા પ્રશ્નોના જવાબ તો દેતી નથી ને આડું અવળું મારી ઉડાવણી કરનારું પૂછ્યા કરે છે તું તો, બહેન!”
“કહોને!” એણે શરમ છોડી.
“એને તો જવું પડ્યું.”
“ક્યાં?”
“એને ઘેર.”
“કેમ?”
“સહેજ શરદી જણાતી હતી, એટલે માટી મૂંઝાઈ ગયો!”
“ક્યારે ગયા?”
“તમારી બેઉની ગાડીનું ક્રોસિંગ ... જંક્શન પર જ થયું હશે.”
ને મારા મનમાં એક વાક્ય રહી ગયું તે આ હતું: ‘તને કદાચ એણે સ્નાન કરતી પણ દીઠી હશે.’
“પણ એ ગયા ક્યાં?”
“બીજે ક્યાં! એને ઘેર.”
“એને ઘર જ નથી, માબાપ પણ નથી; કોઈ નથી.”
“હવે એ બધી તો મને શી ખબર? એને વિષે મારા કરતાં તને વધુ ખબર છે એય હું શું જાણું, ભલા!”
મારા એ શબ્દો — હું જાણું છું — શ્વાનના દાંત સરખા હતા: તીક્ષ્ણ અને લાંબા. એ શબ્દોએ વીરમતીના કાળજાનો એક લોચો જાણે કે તોડી લીધો.
“રાજેશ્વરભાઈ!” વીરમતીએ દડ દડ આંસુડે કહ્યું: “હું આશીર્વાદ લેવા આવી હતી.”
“શી બાબત?”
“પ્રદ્યોતચંદ્રની જોડે...” એ અટકી પડી.
“ઓ...હો!” મેં ચિંતાજનક વિસ્મય બતાવ્યું: “હવે સમજાયું. આશીર્વાદ... તો હું જરૂર જરૂર આપત પરંતુ...” હું સહેજ ધગ્યો: “તારે મને પૂછવું તો જોઈતું હતું ને?”
“એમાં પૂછવાનું શું?”
“પૂછવાનું શું? એ પણ ભલી વાત! તારું આગલું વેવિશાળ તોડાવનાર કોણ? તારાં માતા-પિતાને મક્કમ બનાવનાર કોણ? તારા સામાવાળાઓની નાગાઈનો સામનો સામ, દામ, દંડ ને ભેદથી કરનાર કોણ? બોલ.”
“તમે — મારા પિતાતુલ્ય તમે જ.”
આ ‘પિતાતુલ્ય’નું પદવીદાન મને ગમ્યું નહિ. મારે કોઈના પિતા નથી થવું. મને એનો શબ્દ બહુ ડંખ્યો. શું હું એટલો બધો બુઢ્ઢો થઈ ગયો છું કે જુવાન સહકર્મચારિણીઓ પણ મને ‘પિતાતુલ્ય’ સમજી બેસે? પણ મેં મારી ચીડ છુપાવીને હસતાં હસતાં કહ્યું: “તો પછી, ગાંડી, તને એક વાર બચાવીને શું મારે જ તને પાછી ઊંડી ખાઈમાં ઉતારવી —એમ?”
“ઊંડી ખાઈ!” એણે લાલઘૂમ, રડતી આંખો મારી સામે તાકી.
“ત્યારે નહિ! મૂરખી! આ પ્રદ્યોતનો પૂર્વ-ઇતિહાસ જાણે છે તું? તું શું જાણે? એ તો તને બનાવી જાય — મને ન બનાવી શકે. હું ૧૯૦૬ના રાષ્ટ્ર-આંદોલનથી માંડી આજ સુધી દેશજનોની ગોવાળી કરું છું. હું તો ભરવાડ છું; હાથ ફેરવીને મારાં ઘેટાંના જૂના રોગો પારખું છું.”
“પણ એણે એનો આખોય પૂર્વ-વૃત્તાંત મને કહ્યો છે.”
“એ...મ છે!!!” હું દરેક અક્ષર ચીપી ચીપીને બોલ્યો.
“ને એણે...” વીરમતી જરાક થોથરાઈ ગઈ: “એ પૂર્વ-જીવનને પોતાનાં આંસુ વડે ધોયું છે.”
“ઓ...હો! હો!” મેં ગમ્મત કરી: “તું તો ગ્રામ-સેવાનું શિક્ષણ લેતી લેતી કવિતા પણ કરવા મંડી ને શું!”
હું યાદ કરતો હતો: મારા કયા પુસ્તકનું એ વાક્ય વીરમતીએ ચોર્યું હતું?
“મૂરખી રે મૂરખી!” મેં એને થાબડી: “ઉતાવળી બની ગઈ! મને વિશ્વાસમાં તો લેવો’તો! ને હજુય શું બગડી ગયું છે? તારા મનમાં એ જ જો દૃઢ સંકલ્પ હોય તો એમ વેતરણ ઉતારી આપું. જા, પ્રભાત થવા દે. અને હા, પ્રદ્યોત ક્યાં ગયો હોવો જોઈએ!”
વીરમતીએ પ્રદ્યોતને સંઘરનાર એક સ્થાનનું મને સરનામું આપ્યું.
એ ગઈ. મેં તરત જ ‘અર્જન્ટ’ તાર મૂક્યો: “પ્રદ્યોતચંદ્ર, તમારે ફરીથી અહીં આવવાનું નથી.”
વળતે દિવસે પ્રભાતે પ્રાર્થના પૂરી થઈ કે તરત જ મેં અમારાં પચાસેય ગ્રામ-
-સેવાભ્યાસીઓની મેદની વચ્ચે ગંભીર સ્વરે વાત કરી:
“તમને સર્વને મારે ગ્રામ-સેવાના હિતને કારણે એક કલંક-કથા વિદિત કરવાની છે. બહુ વ્યથિત હૃદયે એ કહીશ.”
સહુ સંકોડાઈ ગયા: કોના પર વીજળી ત્રાટકવાની હશે? પચાસેય ચહેરા ઉપરથી લોહી ઊડી ગયું. એ લોહી નિહાળીને મેં સંતોષ લીધો.
મેં ‘એક ભાઈ અને એક બહેન’ની કલંક-કથા શરૂ કરી ત્યારે સોય પડે તોય સંભળાય એવી સ્તબ્ધતા પથરાઈ ગઈ. કથાને પૂરી કરતાં સુધી મેં નામો દબાવી રાખ્યાં. નામો જાહેર કર્યાં ત્યારે જાણે ત્યાં બે જણાંને ફાંસી દેવાઈ ગઈ.
મને સંતોષ થયો. હું વેદનામૂર્તિ બનીને સહુની વચ્ચેથી નીકળી ગયો ત્યારે જાણે કે ત્યાં જીવતા જીવો નહિ પણ પાળિયા ઊભા હતા.
પાછળથી કોઈએ આવીને મને કહ્યું: “વીરમતીને મૂર્છા આવી ગઈ છે.”
મેં આદેશ દીધો: “એને સાંજની ટ્રેઇનમાં એનાં માબાપ કને મૂકી આવો.”
બપોરે વીરમતી મારી કને આવી. રોઈ રોઈને એનો ચહેરો સુંદર બન્યો હતો.
એણે કહ્યું: “એક જ પ્રશ્ન પૂછવા માગું છું.”
મેં કહ્યું: “જરૂર પૂછો.”
“આમ શા માટે કરવું પડ્યું?”
“તમે બેઉ મારાથી છૂપી રમત રમ્યાં તે માટે.”
“તમે એમ ધારો છો કે અમે નહિ પરણી શકીએ?”
“મેં છાપામાં ખબર મોકલી દીધા છે, તમારાં માતા-પિતાને લખી નાખ્યું છે. પોલીસને પણ ચોમેર ખબર આપી દીધા છે: શક્ય એટલું બધું જ કર્યું છે ને જરૂર પડ્યે વધુ કરીશ.”
“રાજેશ્વરભાઈ!” એના કંઠ આડે જાણે કોઈ ડૂચા ભરાયા હતા: “તમારાં પુસ્તકો, તમારી જીવન-કલ્પનાઓ, નવરચનાનાં તમારાં સ્વપ્નો — એમાંથી પ્રેરણા લઈને અમે...”
“બસ, વીરમતી! ઝાઝાં ‘સેન્ટીમેન્ટલ’ થવાનું મને પસંદ નથી. થયું.”
વીરમતીને પાછી મૂર્છા આવી.
એના મોં પર પાણી છાંટતો છાંટતો હું એને પંપાળતો હતો.
સાંજે એ ગઈ. વળતા દિવસની સવારે હું અને મારા પાંચ સાથીદારો ગ્રામ સેવાનું એક નવું મથક ખોલવા ઊપડી ગયા.
હમણાં જ મને બાતમી મળે છે કે ‘અમદાવાદના એક પીઠામાં પ્રદ્યોત દારૂ પીતો હતો.’
શી નવાઈ! એનું નામ જ જાતીય વિકૃતિ.
[એક રાષ્ટ્રસેવકની રોજનીશીમાંથી.]