યાત્રા/હૃદયદર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હૃદય દર્પણ

ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી
સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ
પ્રભુનું વરદાન કે ન સમજું હું એ શાપ છે.

હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી,
ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ
અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ
પ્રવાસી નરનારની છબી ગ્રહે છ, કંજૂસ શું
રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને.

અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને
પડી જ કંઈ કે અહીં વિરમી લેશ વાસો કરે?
હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું
અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને
લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, ઠસો કૈં કરી,
બધાં નિજ પળે પળે; હૃદય આ દિનાન્તે અને
અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં
અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો
રહે છ કટકો વસી સઘન શ્યામ રંગે ભર્યો.

નવેમ્બર, ૧૯૩૮