યુગવંદના/એ ત્રણસોને –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એ ત્રણસોને –
[ઢાળ: ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’]

તમારું સ્થાન ત્યાં ન્હોતું – ન દિલ્હીની દિશામાં
ન ચર્ચા કે દલીલો કાકલૂદી વેરવામાં.
અરે, એ પાયતખ્તોની કબર પર ઝૂકવામાં
અને લોબાન મોંઘો બાળવામાં સ્થાન ન્હોતું.
અરેરે – ઉત્તરે ચાલ્યા ગયા દક્ષિણ ભૂલી!
દિશા સાચી હતી, પાસે હતી તેને જ ભૂલી,
અહીં આત્મા હતો, ત્યાં ખોળિયું, એ વાત ભૂલી,
કદમ ભૂલી પ્રભુના મસ્તકે ચડવા ગયા શું!
તહીં બેઠા રહી થપ્પડ સહી, વક્કર ગુમાવ્યો,
ખસમ ખો આઇ ઘેલી! ક્યાંઈ બેટો હાથ ના’વ્યો,
વલોવ્યાં નીર યમુનાનાં ન પીંડો બ્હાર આવ્યો,
ન સામો સાદ આવ્યો તો ય શું બેઠા રહ્યા ત્યાં?
કહ્યું જો હોત કે ‘થાનક અમોએ ફેરવ્યાં છે,
‘અમારી ધાન-થાળી ને પથારી ત્યાં જ ત્યાં છે,
‘અમારાં કરબલા કાશી અને કૈલાસ ત્યાં છે,
‘હૃદય ત્યાં છે, મગજ ત્યાં છે, સમુચ્ચો પ્રાણ ત્યાં છે.
‘અમે એ ધૂળમાં બેસી ભજન ગાશું પ્રભુનાં,
‘હશે જો આંખમાં તો ખેરશું બે આંસુ ઊનાં
‘ચડ્યા છે થાક તે ખંખેરશું અમ કાળજૂનાં.’
અરે, જો એટલું કહેવા હતે બળ વાપર્યું ના!
તો –
બચત કાગળ કલમ રુશનાઈ, થોડાં થૂંક મોંનાં,
બચત ઇજ્જત અને અરમાન ઘરની ઓરતોનાં,
ઉકાળા લોહીના પણ ઊગર્યા હત આપ સૌના:
વળી પરખાત પણ નૈ, છો કથીર કે શુદ્ધ સોનાં!
૧૯૪૩