યોગેશ જોષીની કવિતા/સરસ્વતીની જેમ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સરસ્વતીની જેમ...

કંઈ લખવા માટે
ટેબલ પર કાગળ મૂકું છું ત્યાં જ
લાકડાનું ટેબલ મને વિનવે છે –
અહીં
ખૂબ ગૂંગળામણ થાય છે,
મને
મારા જંગલમાં જવા દો.

ઉંબરે
સાથિયો ચીતરવા જઉં છું ત્યાં જ
ઉંબરો બોલી ઊઠે છે –
મારે
નથી પૂજાવું;
મને
મારા પર્વત પર લઈ જાઓ.

દીવાલો ચણી ત્યારે
સિમેન્ટ સાથે ભેળવેલી રેતી પણ
હજીય
જોર જોરથી ચીસો પાડે છે –
હું નદીની રેત છું
ને મારે
વહેવું છે...

શું કરું?
કવિતા રચવાના બદલે
સરસ્વતીની જેમ
સમાઈ જઉં
કોઈક રણમાં?!