યોગેશ જોષીની કવિતા/હરિદ્વારમાં ગંગાકાંઠે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હરિદ્વારમાં ગંગાકાંઠે

એક પડિયામાં
મારો સ્વર મૂક્યો,
પેટાવ્યો
ને પછી
વહેતો મૂક્યો....

બીજા પડિયામાં
મારો લય મૂક્યો,
પેટાવ્યો
ને પછી
વહેતો મૂક્યો....

ત્રીજા પડિયામાં
મારાં સઘળાં પાપ-પુણ્યની સાથે
મૂક્યું મારું નામ
ને
પેટાવ્યા વિના જ
વહેતું મૂક્યું...

ચોથા પડિયામાં
મૂક્યો મારો શબ્દ
ઝળહળ ઝળહળ!
ને પછી.
તરતો મૂક્યો...

પાંચમા પડિયામાં
મૂક્યાં
મારાં
અસ્થિફૂલ,
હળવાંફૂલ!
ને
વહાવી દીધાં
ખળ ખળ ખળ ખળ
ખળ ખળ ખળ ખળ
પળ પળ પળ પળ
પળ પળ પળ પળ
ને
તોયે
હજીયે
શું
રહી ગયું
બાકી?!