રચનાવલી/૧૩૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩૫. શિવતાંડવસ્તોત્ર (રાવણ)


ટેલિવિઝનની દૂરદર્શન ચેનલ પર ‘મહાભારત’ અને ‘રામાયણ'ની એકવાર બોલબાલા રહી છે. આ દ્વારા પ્રજાએ પોતાના બંને મહાકાવ્યપુરાણોમાં રસ લીધો. અલબત્ત, કેલેન્ડરિયા આકૃતિઓ અને રંગોમાં ભભકતી આ શ્રેણીમાં રામાનંદ સાગરે ફિલ્મી મસાલો અને તરકીબો સારી પેઠે અજમાવેલાં. તેમ છતાં, ‘રામાયણ'માં રાવણ જેવા ખલનાયકની ભૂમિકાને રામથી પણ સવાઈ બનાવી દેનાર અરવિન્દ ત્રિવેદી જેવા નટને ઝટ ભૂલી શકાય તેમ નથી અને તેમાં ય ‘રામાયણ’ શ્રેણીમાં રાવણના પ્રવેશ અને રાવણના શુદ્ધ ઉચ્ચારો સાથે રજૂ થયેલું ‘શિવતાંડવસ્તોત્ર’ રામાનંદ સાગરની દૃષ્ટિનું પરિણામ છે. રાવણના પ્રવેશ વખતે રાવણે લખેલા ‘શિવતાંડવસ્તોત્ર' વિના રાવણનો ઉત્તમ પરિચય બીજું કોણ આપી શકે? પુષ્ટિસંપ્રદાયમાં કૃષ્ણના સૃષ્ટિપોષક વ્યક્તિત્વની મધુરતાને રજૂ કરતું લાસ્ય જેવું ‘મધુરાષ્ટક' જો અનુસ્વારોની કોમળતાથી ધ્યાન ખેંચે છે, તો શિવસંપ્રદાયમાં રાવણે લખેલું શિવના સૃષ્ટિસંહારક વ્યક્તિત્વની કઠોરતાને રજૂ કરતું તાંડવ જેવું ‘શિવતાંડવસ્તોત્ર’ સમાસોની લયબળકટતાથી ધ્યાન ખેંચે છે. એક લઘુ અને એક ગુરુ એવા બે વર્ષોથી બનેલા નારાચ છંદલયના વારાફરતી બદલાવોથી મૃદંગ અને ડમરુનો તાલ સાક્ષાત્ કરતું આ સ્તોત્ર શંકરના રુદ્રરૂપને અને એના નર્તનને ભક્તિભાવપૂર્વક રજૂ કરે છે. તાંડવનૃત્યની રુદ્રતાની વિવિધ ચિત્રાત્મક લયછટાથી અહીં રજુઆત થઈ છે. કહેવાય છે કે આકરા થઈને શિવની સામે રાવણે પોતાના બે બાહુઓથી હિમાલયને હલાવવાનો પ્રયત્ન કરેલો ત્યારે એના બે હાથ હિમાલયની નીચે દબાઈ ગયા હતા. આ વખતે રાવણે શિવની કૃપા માટે ‘શિવતાંડવસ્તોત્ર’ ગાયેલું અને પ્રસન્ન થયેલા શિવ દ્વારા એના બે હાથ સાજાસમા બહાર આવી શકેલા. રાવણની પ્રાસોથી યુક્ત શબ્દપસંદગી અને એમાં લયનો ફુત્કારીને ચાલતો પ્રવાહ એકદમ ધ્યાન ખેંચે છે. આ સ્તોત્રના પંદર શ્લોકો છે; એમાં પહેલાં અગિયાર શ્લોકોમાં શંકરના તાંડવનું વર્ણન છે, જ્યારે છેલ્લા ચાર શ્લોકોમાંથી ત્રણ શ્લોકમાં ભક્તિની આર્દ્રતા છે ને છેલ્લા શ્લોકમાં સ્તોત્રપાઠથી થતી ફલશ્રુતિ આપેલી છે. પણ દરેક શ્લોકમાં શિવ પરત્વેની રતિ સતત કાયમ રહે એવી ઝંખના છે. શિવના સ્વરૂપની વિશિષ્ટતા તાંડવનૃત્ય વેળાએ કઈ રીતે વ્યક્ત થવા માંડે છે એનું ગતિપૂર્વકનાં કાલ્પનિક ચિત્રો અહીં દોરાયેલાં છે. રુદ્રતા, ગતિ તેમજ શિવચરણના તાલઠેકને એક સાથે પ્રગટ કરવા મથતી શિવતાંડવસ્તોત્ર’ની શબ્દસમૃદ્ધિ ભુરકી નાખે તેવી છે. પહેલો શ્લોક આપણને સીધા ચંડતાંડવમાં મૂકે છે : જટાટવી ગલજ્જલપ્રવાહપાવિત સ્થલે | ગલેડવલંખ્યલંબિતાભુજંગતુંગમાલિકામ્; ડમડ્ ડમડ્ ડમડ્ ડમન્નિનાદવડ્ડમર્વયં / ચકાર ચંડતાડવં તનોતુ નઃ શિવઃ શિવમ્' જટાના અરણ્યમાંથી ઝરતા જલપ્રવાહથી પાવનસ્થળ જેવા કંઠમાં સર્પો. ઉન્નત માળા ધારણ કરીને શિવે ડમડમ્ ડમ્ એવા ડમરુના ઘોર અવાજ સાથે તાંડવ નૃત્ય કર્યું – આવા શિવ અમારું કલ્યાણ કરો. આ પછી બીજા શ્લોકમાં ધગદ્ ધગદ્ ધગદ્ એવા અવાજ સાથે પ્રજ્વલી રહેલો શિવના ભાલપ્રદેશનો અગ્નિ મુખ્ય જગ્યા રોકે છે. પણ રસ પડે એવી વાત એ છે કે આવા અગ્નિની બાજુમાં કિશોરચન્દ્ર મસ્તકે ગોઠવાયેલો છે. જટાની ગતિ, જટામાં ગંગાની ગતિ, ગંગાના પ્રવાહના ઊછળતા તરંગોની ગતિ અને લલાટ પર ભભૂકતી ત્રીજી આંખની જ્વાલાની ગતિ, એમ તાંડવની ગતિ અહીં હૂબહૂ પકડાયેલી છે. ત્રીજા શ્લોકમાં રુદ્રતાની સાથે પાર્વતીના ચૂડામણિથી પ્રકાશિત થતી દિશાઓને જોઈને જન્મેલી શિવની પ્રસન્નતાને રજૂ કરાયેલી છે. અગ્નિ સાથે શીતલતા, રુદ્રતા સાથે રમ્યતા, પ્રચંડતા સાથે પ્રસન્નતાનો વણાટ પણ જોઈ શકાય છે. ચોથો શ્લોક સૌથી વધુ તાંડવની ગતિને પકડે છે. આ શ્લોકમાં જટામાંના સર્પોની ફેણોના મણિઓ ઝળહળી રહ્યા છે અને એમાંથી નીકળતો પિંગળ રંગનો પ્રકાશ દિશાઓમાં વેરાઈ રહ્યો છે તેમજ ઉત્તરીય તરીકે ધારણ કરેલું મદોન્મત્ત હાથીનું ચર્મ (હવામાં) ફરફરી રહ્યું છે. પાંચમા શ્લોકમાં દેવોના નમન દ્વારા શિવનો મહિમા ઊભો કર્યો છે. છઠ્ઠો અને સાતમો શ્લોક શિવે જેના દ્વારા કામદેવને ભસ્મ કરેલા એ લોચનાગ્નિના મહિમાનો છે. અહીં કપાળને વેદી કલ્પી એમાં પ્રજ્વલિત અગ્નિનું ચિત્ર દોર્યું છે. પણ કામદેવના દહનની બરાબર બાજુમાં જ પાર્વતીના વક્ષસ્થલ પર પત્રભંગીઓ રચનાર તરીકે શિવને યાદ કરાવ્યા છે, એ ધ્યાનપાત્ર છે. આઠમા શ્લોકમાં ઘેરાં વાદળો, અમાસની મધ્યરાત્રિ, ગાઢ અંધકાર જેવાં રૂપકોની સાથે વાતાવરણની રુદ્રતાને ઊભી કરવાનો પ્રયત્ન છે. નવમો અને દશમો શ્લોક શિવની ત્રિપુરાદિકનો સંહાર કર્યાની વિનાશક મુદ્રાઓને યાદ કરે છે. એકમાં કહે છે: ‘સ્મરચ્છિદં, પુરચ્છિદં, ભવચ્છિદં, મખચ્છિદં’ તો બીજામાં કહે છે : ‘સ્મરાન્તકં, પુરાન્તકં, ભવાન્તકં, મખાન્તકં.’ આમ શબ્દફેરે એક જ વાતાવરણ રચાયું છે. કહોને કે વાતાવરણ ઘુંટાયું છે. તાંડવનૃત્યના પ્રારંભને ડમરુના નાદથી રજૂ કર્યા પછી તાંડવનૃત્યના અંતિમ ચરણમાં મૃદંગનાદને રજૂ કરવામાં આવ્યો છે : ‘ધિમિદ્, ધિમિદ્ ધિમિદ્ધ્વનન્મદંગતુંગમંગલ.’ આવા તાંડવ અને શિવનો સાક્ષાત્કાર થયા પછી મનુષ્યની ભક્તિ એક જ વસ્તુ ઝંખે છે કે પથ્થરની પથારી અને સુન્દર શય્યા, સર્પ અને મોતીની માળા, રત્ન અને માટીનું ઢેકું, મિત્ર અને શત્રુ, તૃણ અને તરુણી – આ બધા વચ્ચે કોઈ ભેદ ન રહે. બધું સમાન બની જાય. તેરમા શ્લોકમાં ગંગાતટની કોતરમાં વસીને, હાથ જોડીને અને મંત્ર ઉચ્ચારીને સુખી થવાની ઝંખનામાં ક્રિયાઓને આગળ કરી છે. ચૌદમો શ્લોક ઉત્તમોત્તમ એવા આ સ્તોત્રનો પાઠ કઈ રીતે મનુષ્યને શુદ્ધ કરે એનો મહિમા દર્શાવે છે. છેલ્લો શ્લોક સ્તોત્રપાઠથી રથ, હાથી, ઘોડા યુક્ત સમૃદ્ધિ મળશે એવી આશા બંધાવે છે. ભૌતિક સમૃદ્ધિ મળે કે ન મળે પણ ‘શિવતાંડવ સ્તોત્ર’માં પ્રગટ થયેલો ભાષાનો અદ્ભુત નિનાદ આપણા મનને અને આપણી ઇન્દ્રિયોને જરૂર સમૃદ્ધિ પહોંચાડે છે.