રચનાવલી/૧૭૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭૭. આલ્બર્ટસ બ્રીજ (ટોમ સ્ટોપાર્ડ)


તમારી બાજુમાં બેઠેલા માણસ જોડે તમે કાનાફૂસી કરો, તમારા ઓરડામાંથી બીજા ઓરડામાં બેઠેલા માણસ જોડે તમે વાત કરો, ચોથે મજલેથી તમે ભોંયતળિયે ઊભેલા માણસ જોડે વાત કરો, રસ્તામાં દૂર દેખાતા કોઈ પરિચિત માટે તમે બૂમ મારો — આ બધી વખતે તમે તમારા અવાજનો જુદી જુદી રીતે ઉપયોગ કરો છો. એટલું જ નહીં અવાજ પરથી એ માણસ કેટલે અંતરે છે એ પણ કળી શકો છો. આ પરિસ્થિતિનો શ્રવ્ય માધ્યમમાં સૌથી સફળ ઉપયોગ કરનાર અને બેજોડ રેડિયારૂપક લખનાર અંગ્રેજી નાટકકાર ટોમ સ્ટોપાર્ડનું નામ જાણીતું છે. હેરલ્ડ પિન્ટર પછી આધુનિક અંગ્રેજી નાટ્ય સાહિત્યમાં એની મહત્ત્વના નાટકકાર તરીકે ગણના થાય છે, ટૉમ સ્ટોપાર્ડ અવાજોના આવા ઉપયોગ સાથે લખેલું રેડિયોરૂપક આલ્બર્ટસ બ્રીજ (આલ્બર્ટનો પુલ) પ્રી-ઇતાલિયા ઈનામનું હક્કદાર બન્યું છે. આ રેડિયોરૂપક પછી રંગભૂમિ ૫૨ ભજવવાલાયક નાટકમાં રૂપાન્તરિત થયું અને એને પહેલવહેલું ઓક્સફર્ડ થિયેટર ગ્રુપે એડિનબર્ગ ફેસ્ટિવલમાં ૧૯૬૯માં ૨જૂ કરેલું. ગુજરાતીમાં જાણીતા દિગ્દર્શક ભરત દવેએ વર્ષો પહેલાં એના કેટલાક પ્રયોગો કર્યા છે, અને એમાં દિગ્દર્શકે પોતાની કલ્પનાથી નટોના ઉપયોગ દ્વારા માનવપુલ ઊભો કરેલો. આ પુલ અંતે તૂટી પડે છે, એનું હૃદયવિદારક દૃશ્ય હંમેશ માટે મનનો કબ્જો લઈ લેનારું બનેલું. આમે ય આ નાટકમાં ભાષા દ્વારા ટોમ સ્ટોપાર્ડ કોલકલ્પનાનો કબ્જો જમાવેલો જોઈ શકાય છે. હું આ નાટકરચના પારદર્શક રીતે નાટ્યાત્મક છે. ક્યારેય પૂરું ન થનારું પુલનું રગકામ આ નાટકના કેન્દ્રમાં છે. પણ પુલનો વિષય નાટકકારને જુદા જુદા અનુભવ તરફ લઈ ગયો છે. પુલ સાથે એકાકાર થઈ ગયેલો રંગારો, પુલ પરથી જોવાતી નગરરચના, પુલની ઊંચાઈ પરથી ટપકાં બની જતી વસ્તુઓ, પુલ પર કામ કરતાં કરતાં નગરથી કપાઈ જતો – માણસ – અને છતાં નગરથી કંટાળી આપઘાત કરવા આવતા માણસને ઊંચાઈએથી નવું બળ પૂરું પાડતું અંતર જેવાં જુદાં જુદાં પાસાંઓથી આ નાટક જાતજાતના અર્થ ઊભા કરે છે. ખાસ તો આધુનિક નગરજીવન, એની યાંત્રિકતા, એની ખીચોખીચતા, એનો ઘોંઘાટ, પ્રામાણિક કરતા ભૂખ્યા માણસોની વધુ વસ્તી, અંત વગરની ગતિથી તૂટી રહેલા જગતના ઊડતા ટુકડાઓથી ઘવાતો માણસ, અનંતતાની ખાતરી વગર બલૂનની જેમ ફૂલી રહેલ નગરની બહારની સપાટી — આ બધાં દ્વારા નાટકકારે બેડોળ બનતા જતા વર્તમાનનું ચિત્ર તો પૂરું પાડ્યું છે પણ સાથે સાથે સ્પર્ધામાં તમારી સામે ધસી આવતા દુઃશ્મન જેવા અન્ય માણસો અને તમારી એકલતાને કે તમારા એકાંતને છીનવી લેતા તમારી એકમાત્ર ઇચ્છાને રોળીટોળી નાખતા જડસું તંત્રોનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. નાટકમાં પુલ કેન્દ્રસ્થાને છે. આ પુલ ‘ક્લટનનો અખાતી પુલ" તરીકે જાણીતો છે. કલફટન એક નગર છે અને એના કોઈ શ્રીમંત પૂર્વજે આ પુલ બંધાવેલો છે. આ પુલનું રંગકામ સતત ચાલુ રહે છે. બોબ, ચાર્લી, ડેડ અને આલ્બર્ટ – આ ચાર માણસો પુલને રંગતાં રંગતાં પેલે છેડે પહોંચે ત્યાં સુધીમાં પુલ ફરી રંગવા જેવો થઈ જાય છે અને એમ કથ્થઈ રંગકામ ચાલુ જ રહે છે. એક ઇજનેર કથ્થઈ રંગને બદલે રૂપેરી રંગનું સૂચન કરે છે અને ચેરમેનને જણાવે છે કે નવો રૂપેરી રંગ કથ્થઈ કરતાં ઘણો આકર્ષક રહેશે અને ટકાઉ પણ રહેશે અને તેથી ત્રણ માણસોને રૂખસદ આપી જો એક જ માણસ પાસે કામ લેવાય તો ખર્ચ પણ બચી શકે તેમ છે. છેવટે એકલા આલ્બર્ટને ચાલુ રાખવામાં આવે છે. આલ્બર્ટ ફિલસૂફીનો અભ્યાસી છે. એને ખબર છે કે જે લોકો કશું કરી શકતા નથી તે ફિસૂફી કરે છે. તેથી એને આ કામ ગમી ગયું છે. એણે ચાહ્યું હોત તો એ એના પિતાની કંપનીમાં રહી શક્યો હોત. મોટો ઑફિસર બની શક્યો હોત પોતે શિક્ષિત હતો તે છતાં એણે રંગકામ પર પસંદગી ઉતારી. પોતાના ઘરની નોકરાણીને પરણ્યો અને હવે એને એક બાળકી પણ છે. છતાં આલ્બર્ટ દિવસ રાત રંગવાના કામમાંથી ઊંચો નથી આવતો. ક્યારેક તો એને પણ થાય છે કે પુલની આટલી ઊંચાઈએ એ કામ કરે છે. એ પોતે કરોળિયો છે કે માખી છે એની એને શંકા જાય છે. એટલે કે કરોળિયો થઈને આ જાળ ગુંથી રહ્યો છે કે માખી બનીને એ સપડાઈ ગયો છે કે સપડાવાનો છે એને વિશે એ કશું નક્કી નથી કરી શકતો. ને ત્યાં એક દિવસ ફ્રેઝર નામે એક માણસ એના જેટલી ઊંચાઈએ પુલ પર આપઘાત કરવા આવે છે પણ આપઘાત કરતો નથી. આલ્બર્ટને પુલ પર માણસ ચઢી આવ્યો તે ગમતું નથી. આલ્બર્ટ એને કૂદી પડવાનું કહે છે. ફ્રેચર વારંવાર જાય છે અને આપઘાત કરવા પાછો આવે છે. ફ્રેઝરનું માનવું છે કે નીચેના નગરજીવનથી કંટાળી એ આપઘાતની ઇચ્છાથી ઉપર આવે છે ખરો, પણ પછી ઉપરથી નીચેનું જગત જોઈને એની આપઘાતની ઇચ્છા મરી પરવારે છે. આ બધા વચ્ચે પુલના રંગકામની ગણતરી ખોટી નીકળે છે. પુલનો એક ચતુર્થાંશ ભાગ જ રંગાયેલો છે. બાકીનો ભાગ એમનો એમ રહી જતાં ઊહાપોહ ઊભો થાય છે. ઈજનેર નવો નુસ્ખો અજમાવી એક સાથે રંગકામ માટે ૧૮૦૦ માણસોને એકી સાથે મોકલે છે. આ માણસોને આવતાં જોઈને આલ્બર્ટનું પોતાનું સામ્રાજ્ય છીનવાઈ જતું હોય એવું લાગે છે. આલ્બર્ટ પુલનું રંગકામ કરતાં કરતાં પુલનું એક અંગ બની ચૂક્યો હતો ત્યાં તો આટલા બધા માણસોનું વજન ખમી ન શકતા પુલ કડડભૂસ નીચે આવે છે. સાતમા દાયકામાં લખાયેલું આ નાટક આજના વિકસી રહેલા સાઇબરનેટિક જગતનો અણસાર બરાબર આપી શક્યું છે. આજની સંસ્કૃતિ અને સભ્યતા ઝડપી વિકાસની સાથે સાથે એના પતન તરફ જતી હોવાનો આભાસ આ નાટકમાં ઠેરઠેર મુકાયેલો છે. ફ્રેઝર એક જગ્યાએ નાટકમાં જણાવે છે કે ‘માનવ અસ્તિત્વનો ફુગ્ગો ફૂલી રહ્યો છે, વિસ્તરી રહ્યો છે, એ ફટ ફૂટવાનો છે’ એ જ ફ્રેઝર બીજી જગ્યાએ કહે છે : ‘આવતા પ્રલયને ઝાઝો રોકી શકાવાનો નથી.' આજનું માહિતી તંત્ર ચોકસાઈ અને કાર્યક્ષમતાની દુહાઈથી જગતને સ૨ ક૨વા નીકળ્યું છે તે કોઈ લાગણીહીન અને સંવેદનહીન દિશામાં ભટકાઈને તૂટી ન પડે એની છૂપી દહેશત આ નાટકમાં પડેલી છે.