રચનાવલી/૧૯૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૯. જંતુઓની ક્રીડા (યોસેફ ચાપેક, કારેલ ચાપેક)


મનુષ્ય જાતિના ઉદયકાળથી માંડીને આજે પણ પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેના કે ક્લિન્ટન અને મૉનિકાના પતંગિયા જેવા ચંચળ પ્રેમ કિસ્સાઓ બનતા રહે છે. આજે પણ બહુરાષ્ટ્રીય ઉદ્યોગો અને વિશ્વના મૂડીવાદ વચ્ચે સમૃદ્ધિ હડપ કરી ગયેલા મુઠ્ઠીભરોની સામે કરોડો એવા છે જે ભૂખમરા, અભાવ અને ગરીબાઈથી સબડતા રહે છે; આજે પણ બબ્બે વિશ્વયુદ્ધનો મહાવિનાશ જોયા પછી ઠંડા યુદ્ધની ગરમી ઓસરતા ત્રીજું વિશ્વયુદ્ધ બારણાં ખખડાવી રહ્યું છે. ચંચળતા, હડપગીરી અને યુદ્ધનાં આ વૃતાન્તો મનુષ્યજાત માટે નવાં નથી અને કદાચ એટલે જ આ વિનાશક અને ઘાતક વૃત્તિઓને સમજવા માટે મનુષ્ય એને નજીકથી જોવા કે વક્રતાથી જોવા વારંવાર પ્રયાસ કર્યો છે. અનેક કથાકારો અને નાટકકારોનો પુરુષાર્થ આપણાથી અજાણ્યો નથી. ૧૯૨૩માં પ્રસિદ્ધ ઝુક નાટકકાર બંધુઓ યોસેફ ચોપેક (૧૮૮૭-૧૯૪૫) અને કારેલ ચોપેક (૧૮૯૦-૧૯૩૮) ‘જંતુઓની ક્રીડા’ (ધ ઇન્સેક્ટ પ્લે) નાટકમાં આ જ વૃત્તિઓને જંતુઓના જીવનની આડશે જોઈ છે અને નાટકમાં એક મોટુ રાજકીય રૂપક અને લશ્કરી પલટણની ભયંકરતા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે, પાત્રો તરીકે જંતુઓ હોય, વ્યવહાર અને વર્તન જંતુઓ કરતાં હોય, વાત જંતુઓની થતી હોય, પણ ઉપરઉપરથી જંતુઓના દેખાતા આ નાટકમાં અંદરખાને મનુષ્યજાતિના સમાજજીવન પર અને એના રાજકીય જીવન પર નાટકે વેધક પ્રકાશ પાડ્યો છે. ૧૯૨૩માં આ નાટક લખાયેલું હોવા છતાં આટલાં વર્ષો પછી પણ વિશ્વની મનુષ્યસ્થિતિમાં કોઈ ફરક જોવાતો નથી. આજે પણ આ નાટક મનુષ્યજીવનની કરુણ બાજુઓને હસતાં હસતાં અડકી જાય છે. જંતુઓનું રૂપક સફળ થવાનું કારણ આ બંને નાટ્યકાર બંધુઓ પર ફ્રાન્સના જાણીતા જંતુવિજ્ઞાની ઝાં આન્રી ફાબ્રનો પ્રભાવ છે. આમ તો આ ‘જંતુઓની ક્રીડા' નાટક ત્રણ અંકમાં રચાયેલી કૉમેડી છે. ઉપરાંત નાટકની શરૂમાં એક પ્રવેશક છે અને એને અંતમાં ઉપસંહાર છે અને આ જંતુઓના જીવન વચ્ચે એક વેગ્રન્ટ નામે રખડું આદમી છે, જે નાટકમાં બનતી ક્રિયાઓનો સાક્ષી છે અને ક્યારેક જંતુઓની અડફેટે પણ એ ચડી જાય છે પણ વેગ્નન્ટ ત્રણ અંકોને જોડનારી કડીરૂપ પાત્ર છે. પ્રવેશકમાં જ આ રખડુ પોતાની ઓળખાણ આપે છે કે ‘જો મને તમારી જેમ મૂળિયાં હોત તો હું રખડુની જેમ આખા જગતમાં ભમતો ન હોત. જો મારાં મૂળિયાં જમીનમાં હોત તો હું આકાશને જોતો હોત પણ હું માણસ છું હું લોકોને જોઉં છું.’ પહેલા અંકમાં આ રખડુ પતંગિયાના જગતમાં મૂકાયેલો છે. ફેલિક્સ નામના કવિ-પતંગિયાની આસપાસ આઇરિસ અને વિક્તોર તેમજ ક્લાથી અને ઓતોકાર નામના જુગલ પતંગિયાં ગોઠવાયેલાં છે. ફેલિક્સ કવિ તરીકે વેદનાગ્રસ્ત છે. એ માને છે કે યુવા વય વેદનાની વય છે અને એમાં ય કવિને માટે તો વેદના સોગણી થઈને આવે છે. આઇરિસનું અને ક્લાયથીનું ફેલિક્સ તરફ ખેંચાણ છે. પણ બંને એક-બીજાની ઈર્ષ્યાળુ છે આઇરિસ પોતાની પાછળ દોડતા વિક્ટોરને એક પંખી ચાંચમાં પકડી મારી ખાય છે એનો ઉલ્લાસ બતાવે છે અને તરત ઓતોકાર એની પાછળ પડે છે એનું ધ્યાન કરે છે, તો ક્લાયથી ફેલિક્સ તરફ ખેંચાયેલી છે એનો આતોકારને ખાસ્સો વસવસો છે. આવું સનાતન પ્રેમીઓનું સનાતન જૂઠ છે જે સનાતન રીતે ચાલુ રહે છે, એનાં ચિત્રો નાટકકારે પતંગિયાના જગતને રજૂ કરીને ઝડપ્યાં છે. રખડુ કહે છે કે ‘કેવી એ પ્રેમકીડા કરે છે, કેવા કટાક્ષો ફેંકે છે. સતત શિકાર બનતી માદા રેશમી પાંખો પછવાડે લોલુપ ઝીણકાં શરીરો એને એ લોકો પ્રેમ કહે છે.’ બીજા અંકમાં એક રેતાળ ટેકરો છે, જેના પર થોડુંક ઘાસ છે. એની ડાબે માખનું રહેઠાણ છે અને જમણે કંસારીનું ખાલી બાકોરું છે. અહીં આક્રમણખોર અને લૂંટમાર જીવડાંઓને એકઠાં કર્યાં છે એમાં નર વંદો છે, માદા વંદો છે, એક મોટી માખ છે. નર કંસારી છે અને માદા કંસારી છે. કોશેટામાંથી બહાર આવું આવું કરતા જન્મવા પામતો જીવ છે. મોટી માખ કંસારીઓને મારી મારીને પોતાના બચ્ચાને ખવડાવે છે. નરકંસારી અને માદા કંસારી આવનાર બાળકના રોમાંચમાં રાચે છે. આ બધા વચ્ચે એક પરજીવી છે, જે મારતો નથી પણ મારેલું-વધેલું ખાય છે. પણ એને ઓછું મળે છે ને તેથી ભૂખે મરે છે. મોટી નરમાખ ગર્ભવતી માદા કંસારીને ખાઈ જાય છે તેથી પરજીવી કહે છે : ‘એ સંગ્રહમાં વધારો કરવા માંગે છે એ એકઠું કરે છે. આ ખરાબ કામ છે. નહીં કે? આ અન્યાયનું ઉદાહરણ નથી? કેમ એક પાસે બધો જથ્થો એકઠો થયેલો હોય છે, જ્યારે બીજો ભૂખે મરે છે?’ આ અંક જીવન જીવનનો શિકાર છે એવા સૂર પર પૂરો થાય છે. ત્રીજો અંક કીડીઓને રજૂ કરે છે. રાફડા વચ્ચે કડક શિસ્તમાં રહેતી કીડીઓ સતત પરિશ્રમ કર્યા કરે છે અને હુકમનું પાલન કર્યા કરે છે. ઘાસનાં બે તણખલા વચ્ચેની જગ્યા માટે કથ્થઈ કીડીઓ પીળી કીડીઓ સાથે યુદ્ધે ચઢે છે. એક સરમુખત્યાર થઈ બેસે છે અને છેવટ સુધી બધાને અંધારામાં નાખી કથ્થઈ કીડીઓના કટકને પીળી કીડીઓ સામે જાય છે. કથ્થઈ કીડીનો સરમુખત્યાર અને પત્રકારો જૂઠાણું રમ્યા કરે છે. અંતે પીળી કીડીઓના પ્રમુખની જીત થાય છે. કહે છે : ‘શાબાશ પીળી કીડીઓ બધાં જ કત્લ પામ્યાં આપણો રસ્તો ઘાસના બે તણખલાં વચ્ચે છે. પીળી કીડીઓનો હવે આ પ્રવેશ છે. હું પોતાને આ જગતનો સ્વામી જાહેર કરું છું.’ ત્યાં પેલો રખડુ, ‘કમબખ્ત ઓ જંતુડા, મૂર્ખ જંતુડા’ કહી એની તરફ ધસી બૂટની એડી નીચે એને કચડી નાખે છે. એક જન્મે છે અને બીજો મરે છે અને પ્રજા એટલી ને એટલી રહે છે છતાં એ બધાં વચ્ચે જીવન એક ઉલ્લાસ છે – એવો સંદેશો ઉપસંહારમાં વહેતો થયો છે. આ નાટક સનાતન પ્રશ્નોને પૂરી કાવ્યાત્મકતાથી રજૂ કરે છે; અને રાજકીય તેમજ સામાજિક વ્યવસ્થાઓની દયા પર મનુષ્ય હંમેશાં નભતો આવ્યો છે એવો ડંખ મારી વાચકને છોડે છે.