રચનાવલી/૩૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. સાસુવહુની લડાઈ (મહીપતરામ નીલકંઠ)


મારા એક વડીલ મિત્રની દીકરી જ્યારે સાસુ વહુની વાત આવે ત્યારે હંમેશાં કહેતી કે જો સાસુનો પદચ્છેદ કરવામાં આવે તો સામાન્ય નામ અને ભયંકર જાતિ એમ થવો જોઈએ. આપણા ભારતીય સમાજમાં અને ખાસ તો હિન્દુસમાજમાં સાસુ વહુનો સંબંધ ઘરની સત્તાના કેન્દ્રમાં છે અને એમાં ‘સાસુ અને વહુ’ એવું કહીએ છીએ ત્યારે ‘અને’ એકબીજાને જોડનારો નહીં પણ એકબીજાને વિરોધનારો સંબંધ વધુ ગાઢ પ્રગટ કરે છે. પુરુષને નારીનો શોષક-પીડક કહ્યો છે પણ નારી નારીની વધુ શોષક પીડક છે એનું ઉદાહરણ સાસુ અને વહુના સંબંધમાં પડેલું છે. હિન્દુ લગ્નસંસ્થામાં મુખ્યત્વે આ સંબંધ પીડાનું કારણ બન્યો છે. છેક ૧૯મી સદીના મધ્યભાગમાં ગુજરાતી પહેલી સામાજિક નવકલથા મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા ‘સાસુ વહુની લડાઈ’ (૧૮૬૬) લખાયેલી ત્યારે પણ આ જ એનો વિષય બનેલો. અંગ્રેજી પ્રજા અને અંગ્રેજી કેળવણીના સપર્કમાં જાગી ગયેલા આપણા સમાજસુધારકોનું પહેલું ધ્યાન આપણી સડી ગયેલી લગ્ન સંસ્થા પર ગયેલું. બાળલગ્નો, કજોડાં લગ્નો, બાળવિધવા, વૃદ્ધવિવાહ જેવાં દૂષણો પ્રત્યે સમાજ જાગતો આવે છે. જડ ઘાલી ગયેલી માઠી રુઢિઓ, નઠારા રીતરિવાજો, જ્ઞાતિપ્રથા, અંધશ્રદ્ધા અને અજ્ઞાનમાંથી પ્રજાને બહાર કાઢવા જે કેટલાક દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજી, દલપતરામ, નર્મદ જેવા મથ્યા તેમાં મહીપતરામ રૂપરામ નીલકંઠનું કામ પણ મોટું છે. મુખ્યત્વે તો કેળવણીકાર તરીકેની કામગીરી છે પણ હિન્દુ સમાજમાં સમુદ્રપાર જનારની જ્ઞાતિ દ્વારા અવદશા થતી હોવા છતાં સાહસપૂર્વક જ્ઞાતિનાં બંધનો તોડીને ઈંગ્લાન્ડના પ્રવાસે જનાર મહીપતરામ જ છે. નવા શિક્ષણની આબોહવા પ્રસરાવવા જે ‘હોપ વાચનમાળા’ તૈયાર થતી હતી એમાં એમનો સક્રિય ફાળો છે. એમણે શાળાઓમાં અને શાળાઓ બહાર પ્રજાને કેળવવાનું કામ કર્યું. સાહિત્યની સંસ્થામાં મંત્રી રહ્યા અને અમદાવાદના જાહેરજીવનનું પણ ઘડતર કર્યું. મહીપતરામના મતે લખવું એ પણ સુધારાનું એક અંગ હતું. સુધારામાં પહેલો હિન્દુ સંસારનો સુધારો, હિન્દુ સંસારના સુધારામાં પહેલો એની લગ્ન સંસ્થાનો સુધારો અને લગ્ન સંસ્થાના સુધારામાં પહેલો નારીની નિઃસહાય સ્થિતિનો સુધારો જરૂરી હતો. સુધારક મહીપતરામ નારીની અવદશાનું કારણ કુટુંબના સત્તાકેન્દ્રમાં જુએ છે અને આથી જ સાસુવહુના સંબંધને લક્ષ્ય કરીને એને કલ્પિત વારતારૂપે નવલકથામાં મૂકે છે. એમને ખબર હતી કે આ પ્રશ્નને ‘કહાણીના રૂપમાં મૂકીએ તો આપણા લોકના હૃદયને ભેદે છે અને અસર કરે છે.’ નવલકથા ‘સાસુ વહુની લડાઈ’ સુન્દર વહુ અને અન્નપૂર્ણા સાસુનાં પાત્રોની આસપાસ રચાયેલી છે. સુન્દર સાસરે રહેવા ગઈ ત્યારથી એનો માટી હરિચંદ એને ઘણીવાર માર્યા કરતો. ભાંડ્યા વગરનો ભાગ્યે જ કોઈ દિવસ વીતતો. પહેલા હિરચંદ એવો નહોતો અને સુન્દર ઉપર હેત કરવાની એના મનમાં ઇચ્છા હતી પણ સુન્દરની સાસુ અન્નપૂર્ણા અને નણંદ કમળીએ એનું મન ફેરવ્યું. એ બંને સુન્દરના કટ્ટા શત્રુ થઈ એવાં પૂંઠે પડ્યાં કે સુન્દરનો કેડો છોડ્યો નહીં. સુન્દરના જેઠ વીજીઆનંદ માના કહ્યામાં રહેતો નહીં તેથી એને એની વહુ ચંદા સાથે સારું બનતું. સુન્દરે વરને રાજી રાખવાને એનાથી જેટલું થાય એટલું કર્યું પણ સાસુ અન્નપૂર્ણાએ એનું કાંઈ ચાલવા દીધું નહીં. વાત એટલે લગી આવી કે તેઓ સુન્દરનો જીવ લેશે કે પછી સુન્દર પોતે જ આપઘાત કરશે એવું લાગતું હતું. આવે વખતે સુન્દર જેઠાણીનું કહ્યું માની વશીકરણ કરાવવા સાંઈની પાસે ગઈ પણ સાંઈ ઠગારો નીકળતાં ત્યાંથી નાઠેલી સુન્દર થાપણદાર પઠાણના હાથમાં પડી. પણ પઠાણ સજ્જન હતો. એણે અને એની બેગમે પતિનો માર ખાઈ ખાઈને અધમૂઈ થયેલી સુન્દરની હાકીમ પાસે સારવાર કરાવી અને એને આશ્રય આપ્યો, આશ્વાસન પણ આપ્યું. પણ છેવટે સુન્દર બચી નહીં, સદ્ગુણી અને સાલસ સુન્દર બધાને માફ કરવાનું કહીને અંતે મૃત્યુ પામી. આ બાજુ સુન્દરના મરણનિમિત્તે યોજેલા જ્ઞાતિભોજન વખતે વંટોળ જાગે છે અને નાત ધૂળ ખાઈને ભૂખી પીડા પામતી ઘરે પહોંચે છે. આ વખતે સુન્દરનો જેઠ વીજીઆનંદ કહે છે : ‘ભુંડી સાસુ ઘરમાં કંકાશ ક્લેશ કરવે તેની એવી ફજેતી થાય. તે વહુવારૂને એક ઘડી જંપવા દીધી નહીં તેનાં ફળ આ થયાં.’ ‘કરણ ઘેલો’ જો ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ગણાય છે તો એ જ વર્ષમાં પ્રગટ થનાર આ ‘સાસુવહુની લડાઈ’ પહેલી સામાજિક નવલકથા ગણાય છે. અંગ્રેજીમાં જે રીતે નવલકથા લખાતી એને અનુસરીને આપણે ત્યાં નવલકથા લખવાનું શરૂ થયેલું. ‘કરણ ઘેલો'માં ચોખ્ખું અનુકરણ વર્તાય છે. પરંતુ ‘સાસુ વહુની લડાઈ’ને જરા જુદી રીતે જોવાની જરૂર છે. આ પહેલી સામાજિક નવલકથા છે પણ સાથે સાથે એ એક માત્ર ‘ગુજરાતી' નવલકથા છે. પછીની બધી જ નવલકથાઓએ અંગ્રેજી સાહિત્યને અનુસરવાનું કામ કર્યું છે, ત્યારે આ નવલકથાએ અંગ્રેજી નવલકથાને ન અનુસરતાં તળપદા જીવન અને તળપદી ભાષાની નજીક રહી એના સમયની પ્રચલિત મૌલિક કથા-વાર્તાની શૈલીઓ અને વ્રતકથાઓની શૈલીઓને એમાં ઉતારી છે. બીજું સુધારક દ્વારા લખાયેલી છતાં અને સુધારાની એમાં વાત આવતી હોવા છતાં સુધારો ક્યાંય સીધો પ્રગટ કરવાની રીત અપનાવી નથી. પત્રો મારફતે, પાત્રો મારફતે કે કોઈને કોઈ કથાપ્રપંચ મારફતે એમણે સમાજના પ્રશ્નોની રજૂઆત કરી છે. આ રજૂઆત દરમ્યાન આછા કટાક્ષ અને વ્યંગના સૂર દ્વારા લેખક પોતાની સંડોવણી થતી હોય તો થવા દે છે અને એથી કથા વધુ જીવંત બની છે. ભોળાભાઈ પટેલે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અત્યારે અપ્રાપ્ય નવલકથાને ફરીને સંપાદિત કરીને પ્રકાશિત કરી છે. એટલું જ નહીં ગુજરાતની આ પહેલી સામાજિક નવલકથાને પ્રાનવલ (પ્રી-નૉવેલ) તરીકે ઓળખાવી છે. પરંતુ ખરી વાત તો એ છે કે આ જ નવલકથા ગુજરાતી ભાષાની પહેલી સાચી ‘ગુજરાતી નવલકથા’ (પ્રો- નૉવેલ - પ્રોપર નૉવેલ) હતી, જેમાં ગુજરાતી કલાવારસાના મૂળ લહેકાઓ સચવાયા છે. પછીની ગુજરાતી નવલકથાનો માર્ગ તો નર્યો અનુકરણનો અને નકલનો માર્ગ છે. આ માર્ગે જો ગુજરાતી નવલકથા આગળ વધી હોત તો ગુજરાતી નવલકથાનું આજનું કાઠું જુદુ બન્યું હોત. ‘સાસુ વહુની લડાઈ’એ ગુજરાતી નવલકથા દ્વારા ચુકાઈ ગયેલું અસલી ગુજરાતી નવલકથાનું ઉદાહરણ છે.