રચનાવલી/૩૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૭. કાન્તા (મણિલાલ દ્વિવેદી)


‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’ જેવી ગુજરાતી ભાષાની અમર પંક્તિને કોણ ઓળખતું નથી? પણ એના કવિને કોણ ઓળખે છે? કેટલા ઓળખે છે કે ૧૯મી સદીના રૂઢિવાદી સમાજમાં ગાંધીજી પહેલાં પણ કોઈએ આત્મકથા લખીને પોતાના જીવનની નબળાઈઓની ખુલ્લેઆમ કબૂલાત આપી છે? કેટલાને ખબર છે કે ગઈ સદીમાં અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે પણ ઇંગ્લેન્ડ અને અમેરિકા સુધી ભારતના ઊંચી કોટિના વિદ્વાન તરીકે કોઈએ પ્રસિદ્ધિ મેળવી છે? ચાલીસ જ વર્ષની ટૂંકી આયુષ્ય મર્યાદામાં આ બધું હાંસલ કરનાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે. એમણે અંગ્રેજી કેળવણી, અંગ્રેજી આચારવિચાર અને અંગ્રેજી સંસ્કૃતિનું ગઈ સદીમાં જ્યારે આક્રમણ થયું ત્યારે ગુજરાતી પ્રજાને ભારતીય પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિની ફરી પાછી ઓળખાણ કરાવી હતી. શંકરાચાર્યના અદ્વૈતમાર્ગના અનુભવને એમણે અભેદપ્રેમના આનંદાનુભવમાં પલટ્યો હતો. જીવનના મુખ્ય બળ તરીકે રજૂ કર્યો હતો. આથી જ એમણે નેશનલ કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોડાવાનો વાંધો નહોતો, લોકમાન્ય ટિળકને સજા થઈ ત્યારે એક સજાગ પત્રકાર તરીકે વિરોધ કરવા અંગે પણ કોઈ ડર નહોતો. ગુજરાતી પ્રજા વિદેશી મૂલ્યોની વચ્ચે પોતાનો ધર્મ ચૂકી જાય કે પોતાની ઓળખ ભૂલી ન જાય એ માટે મુખ્યત્વે એમણે સાહિત્યપ્રવૃત્તિ કરી છે. શરૂમાં એમણે નારીવર્ગને ઉદ્દેશીને ‘પ્રિયવંદા’ નામે ભાવનગરથી માસિક કાઢ્યું હતું. પાંચ વર્ષ પછી મણિલાલને લાગે છે કે જે વર્ગ માટે એ વિષયો ધારવામાં આવ્યા છે તે વર્ગ તરફથી એમને જોઈએ તેવું ઉત્તેજન મળતું નથી. મણિલાલે તે પછી ‘સુદર્શન’ સામયિક કાઢયું. પણ નારીપ્રશ્નો અને નારીગૌરવની પ્રતિષ્ઠા અંગે વિચારવાનું છોડયું નહીં. એમને સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધિ અપાવનાર એક નાટક પણ નારીને કેન્દ્રમાં રાખીને જ ચાલે છે. આ નાટક છે : ‘કાન્તા'. ‘કાન્તા’ નાટકને એના જમાનામાં સારો એવો સત્કાર મળેલો, રમણભાઈ નીલકંઠે એને ગુજરાતી નાટકસાહિત્યમાં એક જ ‘આશ્વાસન સ્થાન’ તરીકે ગણેલું. આદિવિવેચક નવલરામે પણ નાટકની ખૂબ ચર્ચા કરી ‘બધું જોતાં આ નાટક બહુ સારું છે’ એવો અભિપ્રાય આપેલો. મણિલાલને નાટકમાં જનસ્વભાવનાં ચિત્રો આપવાં છે. નાટક દ્વારા એમને જનસ્વભાવનો સ્વાધ્યાય કરવો છે અથવા કહો કે જનસ્વભાવના પોતાના સ્વાધ્યાયના અનુભવને મણિલાલ નાટકમાં મૂકવા માગે છે. મણિલાલ સંસ્કૃતના અઠંગ અભ્યાસી હતા. ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત’ કે કાલિદાસનું ‘વિક્રમોર્વશીય’ - આવાં ઉત્તમ સંસ્કૃત નાટકો મણિલાલનો આદર્શ હતા તેથી અંગ્રેજીમાં શેક્સપિયરનાં નાટકોથી પરિચિત હોવા છતાં મણિલાલે સંસ્કૃત નાટકની પદ્ધતિએ જ ગુજરાતી નાટક લખ્યું. અંગ્રેજીમાં પ્રવેશ લીધા, પણ પાત્રોની વાતચીત કરવાની લઢણથી માંડી નાટકમાં વચ્ચે વચ્ચે પઘ ગોઠવવાની રીત તો સંસ્કૃત નાટકની જ રાખી. શેક્સપિયરનાં અંગ્રેજી નાટકોનો કરુણ અંત જરૂર લીધો છે. અંગ્રેજી નાટકની જેમ પ્રસ્તાવના વગર નાટકને સીધું શરૂ પણ કર્યું છે. મણિલાલ પોતે કહે છે કે નાટકનું વૃતાન્ત ઘણાં કાળાં કાવતરાંથી ભરેલું તથા પ્રેમ અને નીતિની સુચેષ્ટાથી શોભીતું છે. મહીપતરામના ‘વનરાજ ચાવડોમાં આવે છે કે ભવડના પુત્ર કરણે સુરપાલની પત્ની વિમલાને તેના ઘરમાંથી બળાત્કારે પકડી લઈ પોતને ઘેર રાખી તથા કોઈકનું માથું કાપી લાવી તે સુરપાલનું છે એમ કહી પોતે પરણવાની આશાથી વિમલાને દેખાડ્યું તેથી તે સતી થઈ.’ આ ઐતિહાસિક વાતમાં મણિલાલે ખાસ્સા ફેરફારો કર્યા અને ઇતિહાસમાંથી ‘કાન્તા’ નાટક માટે એક કલ્પિત કથા ઊભી કરી. આથી મણિલાલ પોતે જ કહે છે કે આ નાટક ન કલ્પિત રહ્યું ને ન ઐતિહાસિક રહ્યું. નાટકનું વિષયવસ્તુ કંઈક આવું છે. ભુવનાદિત્યને હરાવી સુરસેન પાછો ફર્યો છે અને પોતાના રાજા જયચન્દ્ર એને માન આપવા ઘરે પધારવાના છે. સુરસેન અને એની પત્ની કાન્તાએ રાજાના સત્કારની તૈયારીઓ કરી છે. ત્યાં રાજાનો સુરસેન ૫૨ સંદેશ આવે છે કે ભુવનાદિત્ય ફરી પાછો ચઢી આવવાનો છે. આથી રાજા જયચન્દ્ર પોતાની સગર્ભા રાણી યૌવનશ્રી, સુરસેનની પત્ની કાન્તા અને એની દાસી તરલાને સહીસલામતી માટે વગડામાં મૂકી આવવા જણાવે છે. આ બધાંને મૂકીને વગડામાંથી પાછા ફરતી વેળાએ સુરસેન પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢી કાન્તાના ગળામાં પહેરાવે છે ને કહે છે કે, ‘જ્યાં સુધી દિવ્ય હારના મોતી વિખૂટાં ન પડે ત્યાં સુધી હું રાજા જયચન્દ્ર જીવતા છીએ એમ જાણજો.’ સુરસેન પાટણ પાછો આવે છે ત્યાં સુધીમાં ભુવનાદિત્ય જયચંદ્રને મારી ચૂક્યો હોય છે. ભુવનાદિત્ય પોતાના દીકરા કરણને રાજ્યની સંભાળમાં મૂકે છે. કરણનો માનીતો બની બેઠેલો એકવારનો પોતાનો મિત્ર હરદાસ, એની મુક્તિનો સ્વીકાર કરી પાટણનું રાજ્ય ફરી હાંસલ કરવા માટે સુરસેન બંદીવાન બને છે. આ બાજુ હરદાસ અને રત્નદાસની મદદથી કરણ વગડામાંથી કાન્તાને અને તરલાને ઉપાડી લાવે છે. યૌવનથી તો ભયથી ડૂબીને મરી જાય છે. કરણ અને હરદાસની રાજખટપટમાં હરદાસને બદલે ભૂલથી ઝેરવાળું દૂધ પીને રત્નદાસ મૃત્યુ પામે છે. કાન્તાની દાસી તરલાને ફોસલાવવામાં કરણ સફળ થાય છે. તરલા કાન્તાના ગળાનો હાર કાપી નાખે છે. હાર કપાયાથી સુરસેનનું અવસાન થયું માનતી કાન્તા ચિતાએ ચઢવા તૈયાર થાય છે. એને સત ચઢે છે. ત્યાં બંદીખાનામાંથી નાઠેલો સુરસેન કાન્તાને શોધતો આવી પહોંચે છે અને ચિતામાં કાન્તની સાથે બળી મરે છે. તરલા પશ્ચાતાપથી કરણને ઝેર આપી પોતે પણ પી લે છે. હરદાસ બેશુદ્ધ જમીન પર પડેલો એકલો જીવતો રહી જાય છે. મણિલાલનું આ નાટક એમના જમાનામાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ‘કુલીન કાન્તા’ નામથી ભજવેલું. આ નાટકમાં મણિલાલે ... લોકમાન્યતાઓનો ખાસ્સો એવો સ્વીકાર કર્યો છે. ક્યાંક નાટકકાર પોતે પણ એવી માન્યતા ધરાવતા હોય એવો ભ્રમ થવાનો સંભવ છે. એવાં સ્થાનો નાટકની પદ્ધતિથી ટાળી શકાયાં હોત, નાટકમાં ચમત્કાર આવે તે બરાબર છે પણ લેખક નાટકમાં આવતા ચમત્કારને કૌંસની સૂચનામાં સ્વીકારે તે બરાબર નથી. આજે ‘કાન્તા’ નાટકનું પદ્ય પણ બહુ શિખાઉ લાગે તેવું છે આમ છતાં ગુજરાતી સાહિત્યનું એક જમાનાનું આ જાણીતું નાટક છે. તાજેતરમાં અપ્રાપ્ય હોવાથી ગુજરાતી સાહિત્ય અકાદમીએ એનું પુનઃપ્રકાશન કર્યું છે.