રચનાવલી/૩૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૯. ધ્રુવસ્વામિની દેવી (ક. મા. મુનશી)

ગુર્જર ભારતવાસી નહીં પણ જેને ભારતવાસી ગુર્જર કહવો પડે એવો તો ગુજરાતનો એક જ લેખક થયો છે અને તે છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. મુનશી અસ્મિતાનું બીજું નામ છે. એમને માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર આર્યાવર્ત, આર્ય સંસ્કૃતિની અસ્મિતાનો એક ખ્યાલ હતો અને એ જ ખ્યાલમાંથી એમનું મોટાભાગનું સાહિત્ય જન્મ્યું છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં વાત ભલે ગુજરાતની હોય પણ આર્યાવર્તની એકતાનું મોટું વર્તુળ એની આસપાસ દોરાયેલું છે. પ્રાચીન ભારત, પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસગાથાનું એમણે સતત સેવન કર્યું છે. એમ કહેવાય કે ભારતના ઇતિહાસ પર એમણે માત્ર લેખક તરીકે કામ નથી કર્યું, એમણે ભારતનો ઈતિહાસ ઘડ્યો પણ છે. ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ઉત્થાનમાં એમનો ફાળો છે, તો ગુજરાતના સાહિત્યઘડતરમાં પણ એમનો મોટો હાથ છે. એમણે કથાને પૂરઝડપે દોડતી કરી, પાત્રોને પ્રાણવંત તરવરતાં કર્યા. વીર પુરુષોનાં અને બુદ્ધિજીવી પ્રતાપી સ્ત્રીઓનાં ચરિત્રોનું એમને ભારે આકર્ષણ હતું. એમની ટૂંકી વાર્તા હોય, નવલકથા હોય. એમનાં નાટકો હોય કે એમની આત્મકથા હોય, સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ ખેડતી વેળાએ સરસતા અને સચોટતાથી એમણે જીવનના ઉલ્લાસને ઉછાળ્યો છે. ગુજરાતી ભાષાને ભારેખમ રહેવાને બદલે રમતિયાળ બનવાનું પહેલીવાર મુનશીએ શીખવ્યું. ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ કે ‘રાજાધિરાજ' જેવી એમની ઐતિહાસિક નવલકથાઓ એમના સમયમાં અને પછી પણ ઘરઘરનું વાચન રહી છે. એમનું એક જ ઐતિહાસિક નાટક છે અને તે પણ એમનાં નાટકોમાં મોખરે એવું છે. આ નાટક છે : ‘ધ્રુવસ્વામિની દેવી’ ‘મુદ્રારાક્ષસ’ જેવા સંસ્કૃત નાટકના સુપ્રસિદ્ધ નાટકકાર વિશાખદત્તનું એક ‘દૈવીચન્દ્રગુપ્ત' નામે નાટક લુપ્ત થઈ ગયું છે. આ નાટકના છૂટક અંશો જ જોવા મળે છે. આ અંશો પરથી મુનશીએ ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ કરીને ‘ધ્રુવસ્વામિની દેવી’ નાટક રચ્યું છે. એમાં ભારતના ઇતિહાસમાં જેને સુવર્ણયુગ કહીએ છીએ એ યુગના ગુપ્તવંશના શાસકોની કથા છે. કહેવાય છે કે ઈ.સ. ૩૦૦ની આસપાસ ભારતમાં ઘણા બધા વિદેશીઓ આવ્યા. સુરાષ્ટ્ર, આનર્ત અને માલવા પર શક મહાક્ષત્રપો રાજ્ય કરતા હતા. આ પરદેશી રાજાઓએ શિવમાર્ગનો અંગીકાર કરેલો. પણ પછીથી ગુપ્તોનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ શકોનું સામ્રાજ્ય વધતું ગયું પરાક્રમદેવ તરીકે જાણીતા મગધનરેશ ગુપ્તવંશના સમુદ્રગુપ્તે શકો પાસેથી માલવા જીતી લઈને ઉજ્જયિનીમાં પોતાની સત્તા સ્થાપી હતી. સમુદ્રગુપ્તના મૃત્યુ પછી એમનો મોટો પુત્ર રામગુપ્તદેવ મગધના પાટનગર કુસુમપુરમાં રાજ્ય કરતો હતો, એ સમયનું આ નાટક છે. આ સમય કાલિદાસનો અને યાજ્ઞવલ્ક્યનો છે અને જેના નામે વિક્રમ સંવત ચાલે છે તે ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્યનો પણ છે. નાટકનું વસ્તુ રામગુપ્તદેવ, એની રાણી ધ્રુવદેવી અને રત્નગુપ્તના નાનાભાઈ ચન્દ્રગુપ્તની આસપાસ ગૂંથાયેલું છે. ‘ધ્રુવસ્વામિની દેવી’ ચાર અંકોમાં વહેંચાયેલું નાટક છે. પહેલા અંકમાં પરાક્રમાદિત્ય સમુદ્રગુપ્તના અવસાન પછી એનો મોટો પુત્ર રામગુપ્તદેવ મગધની ગાદીએ બેઠો છે અને ચંપાવતીના અચ્યુતદેવની દીકરી ધ્રુવદેવી મહાદેવીનું પદ ભોગવે છે. રામગુપ્તનો નાનો ભાઈ ચન્દ્રગુપ્ત પિતાનાં જીવતાં જ યુદ્ધમાં ગયો છે અને માલવાના મહાક્ષત્રપ જોડે સંગામમાં ઊતરેલો તે પાછો મગધ ફરે છે. મગધની ગાદીએ બેઠેલા રામગુપ્તદેવને મળવા ઇચ્છે છે પણ એને મુલાકાત મળતી નથી. રાણી ધ્રુવદેવીને મળે છે પણ એ ભવ્યપ્રાસાદોમાં એકલી અટૂલી તેજહીણી લાગે છે. સોમદત્ત ક્ષોત્રિય ગુરુદક્ષિણા માગવા આવ્યો તો એનું અપમાન કરી રામગુપ્તદેવ એને કાઢી મૂકે છે. રામગુપ્તદેવ મોજમજામાં ડૂબેલો રહે છે. સમુદ્રગુપ્તના સમયમાં નામ માત્રથી કાંપતા તે મહાક્ષત્રપ રુદ્રસેન ઉજ્જયિની પર ચઢી આવ્યો છે. ચન્દ્રગુપ્ત રામગુપ્તદેવને સૈન્યોના પ્રોત્સાહન માટે રણાંગણમાં લઈ જવા ચાહે છે. પણ વીર ચન્દ્રગુપ્તથી રામદેવગુપ્તનું ચરિત્ર એકદમ ઊલટું છે. રામગુપ્તદેવ કહે છે : ‘પરાક્રમદેવના દિવસો ગયા. હવે હું જગતનો નાથ છું. તું એમના સૈન્યને પ્રેર. હું એમની રાજ્યલક્ષ્મી ભોગવું છું.’ પિતાની ભૂતકાળની કીર્તિ રામગુપ્તદેવને કનડે છે : ‘હું મરેલાની કીર્તિ માટે રાજ્ય કરતો નથી. મારી મોજ માટે કરું છું. આ ચન્દ્રને કીર્તિ જોઈએ તો ભલે એ કપાઈ મરે. મેં ના કહી છે? પણ મારે આ પંચાત ન જોઈએ.' નિર્માલ્ય પતિ માટે ધ્રુવદેવીને પારાવાર ખેદ છે. ધ્રુવદેવી શકોની સામે લડવા તૈયાર છે. એને ચન્દ્રગુપ્ત પ્રત્યે છૂપું આકર્ષણ છે. બીજા અંકમાં કવખતે રણે ચઢીને અને છેલ્લે અણીને વખતે નાસીને રામગુપ્તદેવે મહાક્ષત્રપ સમુદ્રસેન આગળ હાર કબૂલી છે મહાદંડનાયક અને સેનાપતિઓ રામગુપ્તદેવથી અત્યંત નારાજ છે. સંધિ અંગે સમુદ્રસેને મૂકેલી શરતો આકરી છે. પરંતુ ધ્રુવદેવીથી પ્રભાવિત રુદ્રસેન એ બધી જ શરતો જતી કરવા તૈયાર છે. જો રામગુપ્તદેવ પોતાની મહાદેવી ધ્રુવદેવી સમુદ્રસેનને સોંપી દે. સમુદ્રસેનના પ્રસ્તાવ માત્રથી ચંદ્રગુપ્ત આકરો થઈ જાય છે : ‘રુદ્રસેન, આ શકબાલા નથી આર્યાઓની મુકુટમણિ છે" પણ પોતાનો પતિ પ્રસ્તાવનો સ્વીકાર કરવા તૈયાર થાય છે તેથી અપાર ખિન્ન ધ્રુવદેવી કહે છે : ‘મહારાજ પાંડુ પુત્રે પત્ની આપી હતી તે તો વચનબંધને. પરાક્રમદેવનો કુલભૂષણ તો પત્નીને સ્વેચ્છાએ ૫રહસ્ત કરે છે.’ છેવટે ચંદ્રગુપ્ત વેશે સમુદ્રસેનની શિબિરમાં જઈ હુમલો કરે છે અને જીત મેળવે છે. ધ્રુવદેવી સંમોહિત થઈને ચન્દ્રગુપ્ત માટે કહે છે કે ‘આ બધામાં એક જ નરવીર, એક જ પુરુષ’ બીજી બાજુ રામગુપ્તદેવના ગૃહસેન વગેરે માણસો ધ્રુવદેવીને બળજબરીથી ઉપાડી જાય છે. ત્રીજા અંકમાં રામગુપ્તદેવના ખૂની પેંતરાઆથી બચવા ચન્દ્રગુપ્ત ગાંડા થઈ જવાનો સ્વાંગ રચે છે. અને ધ્રુવદેવીને આવી મળે છે. ધ્રુવદેવી રોમાંચિત થઈને કહે છે : ‘મને મળવા માટે આ સાહસ કર્યું!’ પણ ત્યાં રામગુપ્તદેવ આવી ચઢે છે અને બ્રાહ્મણદાસીને અડપલું કરતાં ચન્દ્રગુપ્ત ગાંડાના સ્વાંગમાં જ રામગુપ્તદેવને ગળે ટૂંપો દઈ દે છે. ચન્દ્રગુપ્ત જતો રહે છે. મગધમાં ધ્રુવદેવીના નામની આણ ફેરવવામાં આવે છે. ચોથા અંકમાં ચન્દ્રગુપ્ત રુદ્રસેન સાથે ઝૂઝતો રહે છે ત્યારે ધ્રુવદેવીની સામે ચન્દ્રગુપ્તના સાવકાભાઈ સ્કંદ માટે એક રાજજૂથ બળવો પોકાર છે. રાજમહેલ ચારે તરફથી ઘેરાય છે ત્યાં રુદ્રસેનને ખતમ કરી ચન્દ્રગુપ્ત છૂપી રીતે આવી પહોંચે છે. યાજ્ઞવલ્કયને પોતાનું અને ધ્રુવદેવીનું લગ્ન કરાવી આપવા વિનંતી કરે છે. યાજ્ઞવલ્કય આ પ્રેમલગ્નને વધાવે છે. ચન્દ્રગુપ્ત ઘેરાયેલા રાજમહેલના દ્વાર ખોલી સ્કંદ અને સ્કંદના માણસો સામે ઊભા રહી જતા સૌ ચન્દ્રગુપ્ત અને ધ્રુવદેવીની સત્તાનો સ્વીકાર કરી લે છે. રામગુપ્તદેવીના દુર્બલના ચરિત્રની સામે સબળ ચન્દ્રગુપ્ત અને પ્રતાપી ધ્રુવદેવીની પ્રેમકથાને મુનશીએ ન્યાય ઠેરવીને ગુપ્તકાલથી પ્રેમશૌર્યકથાનું રોમેન્ટિક છતાં અર્વાચીન લાગે એવું આલેખન આ નાટકમાં કર્યું છે. નાયિકા પ્રધાન આ નાટકમાં મુનશીએ પોતાના આદર્શો પ્રમાણે પ્રતાપી નાયિકાની સામે સવાઈ પ્રતાપી પુરુષને ખડો કર્યો છે.

>