રચનાવલી/૪૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૫. આત્મનિમજ્જન (મણિલાલ નભુભાઈ દ્વિવેદી)


‘નિવાસી નભનું વિહંગમ શું ધૂળ ચૂમી રહ્યુ?’ એટલે કે આકાશનું રહેવાસી પંખી પૃથ્વીની ધૂળને ચૂમી રહ્યું છે? આ ઉક્તિ પંડિત યુગના મણિલાલ નભુભાઈ દ્વિવેદીની છે, એમાં એમના જીવનની વાસ્તવિકતા બરાબર પ્રગટી છે - લોભી પિતા, કર્કશા પત્ની અને મુંબઈમાં અભ્યાસ દરમ્યાન ખરાબ સોબતોએ એક બાજુ એમને ધૂળને ચૂમવાનો અનુભવ કરાવ્યો છે, તો બીજી બાજુ નિશાળમાં સંસ્કૃત વિષયમાં ઠોઠ છતાં આગળ જતાં દેશવિદેશમાં છેક યુરોપ સુધી સંસ્કૃતના વિદ્વાન તરીકેની કીર્તિ રળનાર મણિલાલે વેદાન્તમાર્ગનો, અદ્વૈતમાર્ગનો આકાશી તત્વાનુભવ લીધો છે. જીવનભર મનુષ્ય અને લેખક તરીકે તેઓ આભેદમાર્ગના પ્રવાસી રહ્યા છે. મણિલાલ દ્વિવેદી કહે છે એ અભેદ અમારો વેદ છે. આમ તો તેઓ મોટા ગદ્યકાર છે. નિબંધનું સ્વરૂપ એમણે ‘સુદર્શન ગદ્યાવલી’માં સફળ રીતે ખેડ્યું છે. પણ જે કોઈ પ્રસંગ મળ્યા એના પરિણામ રૂપે એમણે ક્યારેક કાવ્યો પણ લખ્યાં છે. કહે છે કે બાહ્યવિશ્વના પ્રહારોથી કે મોહમય આવેશોથી જ્યારે બુદ્ધિ અકળાઈ જાય ત્યારે આત્મનિમજ્જનમાં, આત્મા ડૂબી જવાથી, જે શાંતિ મળે એમાંથી એમણે સંપૂર્ણ કાવ્યોને જન્મ આપ્યો છે. અલબત્ત એમણે તો નિખાલસપણે કાવ્યોને પદ્યો કહીને ઓળખાવ્યાં છે. પણ મણિલાલની કેટલીક રચનાઓએ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઊંડી છાપ છોડી છે. મધ્યકાલની કવિ અખા પછી જો તત્વજ્ઞાન અને કવિતાનું સફળ મિશ્રણ ક્યાંક થયું હોય તો તે એમની રચનાઓમાં જોવાય છે. અખા પછી વેદાન્તના અદ્વૈતની કાવ્યમાં ઉપાસના કરનાર મણિલાલે એમાં સૂફીવાદનો પ્રેમરંગ ઘોળ્યો છે. પહેલાં ‘પ્રેમજીવન’ અને પછી ‘અભેદોર્મિ’ એવા બે પદ્યકૃતિઓના પુસ્તક પ્રકાશન પછી આ બંનેનું સહિયારુ અને બીજી થોડીક રચનાઓ સહિતનું એમણે ૧૮૯૫માં ‘આત્મનિમજ્જન’ કાવ્યસંગ્રહનું પહેલીવાર પ્રકાશન કરેલું. આ પછી મણિલાલના ભાઈ માધવલાલે અને પછી એમના અભ્યાસી ધીરુભાઈ ઠાકરે ફરીને એનાં પ્રકાશનો કરેલાં. પણ તાજેતરમાં ધીરુભાઈ ઠાકરના સંપાદન હેઠળનો મણિલાલ દ્વિવેદીનો કાવ્યસંગ્રહ ‘આત્મનિમજ્જન’ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે. એથી મણિલાલ દ્વિવેદીની કવિતા ફરીને ગુજરાતી હવામાં તરતી મુકાયેલી છે. મણિલાલ દ્વિવેદીની કવિતા ગુજરાતી સાહિત્યમાં કહેવત બનીને ઓગળી ગઈ છે. ગાંધીજીથી માંડી ગુજરાતી પ્રજાના હૃદયમાં ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’ એ ગઝલે સ્થાન લીધું છે. આમે ય મણિલાલની રચનાઓમાં ગઝલક્ષેત્રે એમની કામગીરી ઉમદા રહી છે. ‘કહી તું જાય છે દોરી દગાબાજી કરી કિસ્મત ભરોસે તેં લઈ શાને આ હરરાજી કરી કિસ્મત?" જેવી ગઝલમાં કિસ્મતની દગાબાજી બરાબર ઊતરી છે. પણ ઠેરઠેર એમણે સૂફીવાદ અને અદ્વૈતવાદને એક કરીને પ્રેમને તીવ્રતાથી ગાયો છે, એ જોવા જેવો છે. ‘અરે ઉસ્તાદ! કાં પાયો મને આ ઈશ્કનો પ્યાલો?, ક્યારેક ઈશ્કનું દર્દ પણ એમણે સારી પેઠે ઉતાર્યુ છેઃ ‘અહીં હું એકલો દુનિયાબિયાબાંમાં સૂનો ભટકું.’ તો પ્રેમમય બ્રહ્માને તેઓ આ રીતે વર્ણવે છે. ‘ભીતર બાહેર ઉપર નીચે / મણિમય મોદ મચાવી રહી’ પ્રેમના આ સર્વ- વ્યાપી સ્વરૂપના પાયામાં એમનું અભેદમાર્ગી વલણ છે!' પ્રેમ ખરો એ આદરો, જ્યાં સર્વે કોઈ સમાય હું તું ભેદ ટળે મણિ! બધે બ્રહ્મપ્રેમ વરતાય’ ‘હું- તું ભેદ ટળે’ જેવી પંક્તિમાં, મણિલાલ મધ્યકાળના કવિ અખાની ‘ચિત્ત ચમક્યું હું તું તે ટળ્યું' એવી પંક્તિની એકદમ નજીક પહોંચી ગયેલા જણાય છે. ક્યારેક તો એમનો અભેદભાવ કાવ્યનું તીવ્ર મૂર્ત રૂપ ધારણ કરે છે : ‘ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે, ગગને આજ પ્રેમની પૃથ્વિની રહી છળાઈ પરવતો રહ્યા નાહી/ સચરાચરે ભરાઈ રે' ક્યારેક પ્રેમભાવના માયા સ્વરૂપનું મણિલાલે અત્યંત ગતિશીલ ચિત્ર આપ્યું છેઃ ‘લટ અલક છટકી ગઈ કાં વીજળી ઝંખાઈને / ક્યાં ગઈ? હા ક્યાં ગઈ? બ્રહ્માંડ બેઠી છાઈને' આમ છતાં પ્રેમના અને માયાના રૂપની જે વેદના છે એને કવિ જાણતા નથી એવું નથી. અભેદનો, પ્રેમનો, માયાનો માર્ગ અઘરો છે અને એ વાતને રજૂ કરતાં કવિએ કલાપીની ‘નાજુક સવારી' આવે એ પહેલાં મૃગજળ પરથી સવારી ગુજરાતને આપી છે. રંગબેરંગી પ્રસરેલી જાળ વચ્ચે એમણે ‘મૃગજળ પર તે સવારી' જોઈ છે. ગુજરાતી સાહિત્યમાં મૃગજળ પર સવારી બતાવનાર મણિલાલે કાવ્યની વિરલ ક્ષણને ઝડપી છે. ક્યારેક ગઝલ, ક્યારેક ભજન, ક્યારેક ગીત, તો ક્યારેક છંદ- એમ જુદી જુદી રીતે મણિલાલે કાવ્યો રચ્યાં છે. એમાંય એમણે બળવંતરાય ઠાકોરે પછીથી વિચારપ્રધાન કવિતાને અને પૃથ્વીછંદને પ્રસિદ્ધિ આપી, એ બંનેનાં મૂળ મણિલાલની રચનાઓમાં પડેલાં છે. આ માટે જન્મદિવસ' કાવ્ય ખાસ જોવા જેવું છે. : ‘અનન્ત યુગ ઊતર્યા હજી અનન્ત આવી જશે' એવા ઉપાડ સાથે વિચારથી ચમકૃતિ પૃથ્વી છંદમાં બતાવી છે.: ‘ન હાદ હૃદયે કશો, નયનમાં ન આંસુ વર્સ ન બુદ્ધિ લથડે કહીં, નથી ઉપાધિ ઈચ્છા મિષે' એ જ રીતે શિખરિણી છંદમાં લખાયેલા કર્તવ્ય' કાવ્યમાં પણ એમનો જીવનહેતુ બરાબર પ્રગટે છે : ‘અહા! ઊંચે ઊંચે ધવલગિરિને શૃંગ ચઢવું' પણ ધવલગિરિના શૃંગની ઉચ્ચતાથી એમને સંતોષ નથી. તેઓ આગળ વધી કહે છે : ‘મહાશક્તિ સંગે ધવલગિરિની પાર ઊડવું' પંક્તિની શરૂઆતમાં ‘અહા’ અને ‘મહા’ નો પ્રાસ જુઓ. પુનરાવૃત્તિનો જાદુ જુઓ અને ચઢવાથી ઊડવા તરફ જતું કવિનું ઈચ્છાબળ જુઓ. દલપતશૈલીથી ‘શિક્ષાશતક' જેવી રચના આપનાર મણિલાલે અભેદમાર્ગે અને કાવ્યમાર્ગે ચઢતાં અને કાવ્યમાર્ગે ચઢતાં ચઢતાં જે ઊડવાની નેમ પ્રગટ કરી છે તે આત્મનિમજ્જન' જેવા કાવ્યસંગ્રહની પૂંજી છે.