રચનાવલી/૬૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૫. સંબંધ (રાવજી પટેલ)


મોટે ભાગે એવું બને છે કે તમે લોકો સાથે વાતો કરો છો ત્યારે લોકો તમને સાંભળતા નથી. પણ જેવા તમે તમારી સાથે વાત કરવાની શરૂ કરો છો કે લોકોનાં કાન તરત સ૨વાં થઈ જાય છે. કોઈનું અંગત જાહેર થતું હોય તો લોકોને રસ પડવા માંડે છે આધુનિક સાહિત્યમાં આવી જ જાત સાથેની વાત વધારે આવે છે,જેથી લોકોનું ધ્યાન તરત દોરાય. આપણા ગુજરાતી કવિ રાવજી પટેલની જ વાત કરો ને! એના કાવ્યસંગ્રહનું નામ જ ‘અંગત' છે. રાવજી પટેલના અવસાન થયાને આ ઑગસ્ટમાં ત્રીસ ત્રીસ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે, તો પણ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા" જેવું ગીત એવું ને એવું ગુજરાતી પ્રજાના હૃદયમાં તાજું રહ્યું છે. નગર વચ્ચે આવી પડેલો ગામડાનો જીવ, વારંવાર મિજાજથી નોકરી છોડી દેવાની ખુમારી, ક્ષયનું લાંબા સમયથી વળગી ગયેલું દરદ, ક્યારેક ક્યારેક ગૂમ થતી મગજની સમતુલા - વગેરે વગેરે રાવજી પટેલની આસપાસની વાતો એવી છે કે આ કવિનો પડ્યો બોલ ઝીલવાની ઇચ્છા કોઈ પણ કાવ્યપ્રેમીને થાય. વળી પાછું આ કવિ પાસે આપણી પાંચે ઇન્દ્રિયોને સંતોષવાનું અને કાનને લયથી ભરી દેવાનું વરદાન છે. એટલે જ એનો ‘અંગત’ કાવ્યસંગ્રહ વારંવાર આપણી ઇન્દ્રિયોને જગાડ્યાં કરે છે. આપણને થાય કે આ કવિ વિચારની ભાષા નથી બોલતો પણ સપનાંની ભાષા બોલે છે. સપનામાં મગજ વિચારને છોડીને વસ્તુઓને ઊલટપુલટ કરીને જુએ છે, બરાબર એ જ રીતે રાવજી પટેલ પણ વિચારને છોડીને અથવા તો એમ કહોને કે વિચારને બદલે જ જાણે વસ્તુઓને ઉપરનીચે કરીને આપણી આગળ એની અંગત વાત મૂકે છે અને કોઈની અંગત વાત સાંભળવામાં તો ખાસ્સો રસ પડી જાય. માણસનો એવો સ્વભાવ છે. રાવજી પટેલે આવી જ રીતે અંગત વાત એના એક ‘સંબંધ’ નામના લાંબા કાવ્યમાં કરી છે. રાવજીને લાંબા સમયથી ક્ષય રોગ હતો. ડૉક્ટરોએ આશા મૂકી દીધેલી રાવજીની ઉંમર નાની અને એનો જીવવાનો મનસુબો બુલંદ હતો. આમ તો મરણ સાથે આપણા બધા જ અનુભવોનો અંત આવી જાય છે, મરણ એ ખુદ અનુભવ છે જ નહીં પણ રાવજીએ તો મરણ આવતા પહેલાં મરણનો અનુભવ કલ્પ્યો છે, મરણ સાથેનો સંબધ ખરેખર તો જગતની તમામ વસ્તુઓ સાથેનો સંબંધ તોડી નાંખે છે અને તૂટતા સંબંધો કેટલું બધું દુ:ખ પહોંચાડે છે, એની વાત કરતું રાવજી પટેલનું આ દીર્ઘકાવ્ય એક રીતે જોઈએ તો રોતલ લાગે, પણ એ રોતલ લાગતા કાવ્યની પછવાડે મૃત્યુને જીવનમાં શોષી લેવાની એક અદ્ભુત નિર્ણયશક્તિ રાવજીએ દેખાડી છે. એમ કરવામાં રાવજીએ અંદર અને બહારને, ઊંઘ અને જાગરણને, શાણપણ અને ગાંડપણને, જીવન અને મરણને ભેળસેળ કરી નાંખ્યાં છે. આથી રાવજીની આ કવિતામાંથી પસાર થતી વખતે જાણે કે વીજળીના આંચકાઓ લાગ્યા કરતા હોય એવો અનુભવ થયા કરે છે. રાવજી ક્ષયગ્રસ્ત હતો. આ ત્રસ્ત જીવે છેવટે સોનગઢ પાસેના ક્ષયચિકિત્સાલયમાં દાખલ થવાનું સ્વીકાર્યું હતું. અહીં અનેક ક્ષયના દર્દીઓ વચ્ચે રહેતો રાવજી મરણનો સામનો કરતો હતો અને આ દરમ્યાન મગજ પણ ક્યારેક ક્યારેક ગુમાવતો હતો. આ ચિકિત્સાલયમાં રહ્યો રહ્યો કટકે કટકે રાવજીએ ‘સંબંધ’ કાવ્ય પૂરું કરેલું. જુદા જુદા મિજાજમાં અને જુદી જુદી પરિસ્થિતિમાં એણે લખેલા નવ ખંડોને જોડીને ‘સંબંધ’ કાવ્ય રચાયું છે. ઉપર ઉપરથી આ કાવ્ય વેરણછેરણ અને નવખંડ વચ્ચેના સંબંધ વગરનું લાગે પણ જીવન અને મરણનો તણાવ તો નવેનવ ખંડમાં હાજરાહુજુર છે. પહેલા ખંડમાં રાવજીને ટેકરીઓનાં પગલાં સંભળાય છે. ટેકરીઓ તો અચલ કહેવાય પણ રાવજીએ એને ચાલતી કરી છે. કહે છે : ‘મારી ઊંઘ ભેદીને પીમળી મહુડલ ટેકરીઓ’ રાવજી ટેકરની સાથે આસપાસની કુદરતને પણ ઘસડી લાવે છે : ‘મારા અંગ અંગ પર કલરવ કરતો ચાંદ / મને વાવલિયા ઢોળે હાથ દૂર...’ અને પછી ઉમેરે છે : ‘ધૂળ અજવાળું પ્હેરે’ ધૂળ જેવી ધૂળને પણ રાવજી એના જીવનબળથી ચકચક થતી જુએ છે. જીવનબળની ખબર છે તો રાવજીને મરણની નિશ્ચિતતાની પણ ખબર છે તેથી જ બીજા ખંડમાં કહે છે : ‘સૌને માથે ધૂળ પલાંઠી વાળે’ ત્રીજા ખંડમાં જગતના તૂતને એને પકડી પાડ્યું છે : આ સઘળું ૐૐ બનીને બેડું / આ તૂત તતુડુ મારાથી ના છેટું રાવજી આ તૂત સાથે, જગત સાથે, જાત સાથે, રોગ સાથે, મરણ સામે લડ્યા કરે છે તેથી ચોથા ખંડમાં કહે છે : ‘હજી યુદ્ધનો અંત નથી અહીં આવ્યો / ને રણ કંપોઝાતું રોજ સવારે’ પણ રાવજીનું દુઃખ માત્ર એનું પોતાનું દુ:ખ નથી. ચિકિત્સાલયમાં વૉર્ડમાં દીવાસળીની વેરાયેલી સો સળીઓ જેવા દરદીઓની મુઠ્ઠીમાં પણ એને ભવિષ્ય ગંધાય છે કહે છે : ‘આ બધા મારું દુ:ખ છે’ પણ બધાને નહિ કવિને એકલાને જ દરિયાનું ભૂત વળગ્યું છે. પાંચમાં ખંડમાં બતાવે છે કે યુગોથી એ થોરની શય્યા પર કકળતો પડ્યો છે. કોઈ કોઈનું પોતાને માથે દુ:ખ લઈ શકે તેમ નથી, એની લાચારી સાથે કહે છે : ‘હું મારો મા-બાપ / દુ:ખમાં હું મારો મા-બાપ’ અને પોતાની જાતનું પણ બરાબર નિરીક્ષણ કરે છે : ‘ઘડીક ગુન્હો / ઘડીક મન્દિર કળશ બનીને ચમકું / મારાથી હું માપું મુજને / પણ માખીથી નાનો’ પોતે માખીથી નાનો છે ને મરણનું બળ કેવું છે? ‘પાંપણને બીડું કે પટ સૂરજ રાણો થાય સપુજો’ પણ એની સામે જીવનનું બળ કેવું છે? ‘માખીની પાંખ, પંખીની ચાંચ, ચાંચમાં વડનો ટેટો / હજાર વડલા અદ્ધરપદ્ધર ઉડે.../ હજાર વડલા અદ્ધરપદ્ધર શાખાઓનો ઘટાટોપ પથરાય / હજારો નદીઓ કેરા કરોડ પાલવ ફફડે.’ આવા વિશાળ-વિરાટ જીવનબળથી મરણની સામે ઝૂઝતો રાવજી જાણે છે કે એક દિવસ ‘દરિયો પાણીને પડતું મેલીને ભાગે.’ મરણ ટાળી શકાય તેમ નથી પણ એની સામે ઘૂંટણો ટેકવી કેવી રીતે દેવાય? છેલ્લા ખંડમાં એટલે જ ઈશ્વર થઈને પૃથ્વીને કષ્ટ આપનાર સરજતને અંત છે એની સામે રાવજી કવિ તરીકેની શક્તિને મૂકે છે. કહે છે : ‘હું આવ્યો છું હવે અંતહીન વાચા ઘડવા / એણે સરજેલું કષ્ટાય પંડમાં / હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા.’ ભારતીય સંસ્કૃતિમાં પશ્ચિમની સંસ્કૃતિની જેમ પાયામાં મરણ નથી, પણ શાશ્વત જીવન છે અને એ શાશ્વત જીવનની દુહાઈ પોકારીને રાવજી કવિશક્તિનો પરચો આપે છે. ‘સંબંધ’ રાવજીનું અવિસ્મરણીય