રચનાવલી/૯૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૧. સમાજની વીથી (ના. પાર્થસારથી)


લેખકની પ્રતિભાને ધંધાધારી નાટ્યજગતની સામે કામ કરવાનું ઘણીવાર આવે છે. ઘણીવાર ઓછી શક્તિવાળા અને મધ્યમ દરજ્જાના માણસોને પનારે પ્રતિભાવાનોને પડવું પડતું હોય છે. ક્યારેક એમાં પ્રતિભા સમાધાન કરીને નષ્ટ થતી હોય છે, ક્યારેક આવડત અને સંકલ્પબળે રસ્તો કાઢીને પોતાને સ્થાપિત કરતી હોય છે. પણ નાટ્ય કે ફિલ્મ જગતનો સ્પર્ધા અને સંઘર્ષનો મામલો જૂનો છે અને એમાં ગૂંચવાતી પ્રેમકથા એને વધુ રસપ્રદ બનાવે છે. તમિળ સાહિત્યના સ્વાતંત્ર્યોત્તર પેઢીના અત્યંત નિષ્ઠાવાન લેખકોમાં મોખરે ગણાતા ના. પાર્થસારથીએ આવો જ વિષય હાથ ધર્યો છે. અનેક નવલકથાઓ, વાર્તાઓ, નાટકો, કવિતાઓ, નિબંધો અને સંપાદનો આપી ચૂકેલા ના. પાર્થસારથીએ જેટલી કુશળતાથી લોકપ્રિય તમિળ સાપ્તાહિક ‘દિનમણિ કદિર'નું સંપાદન કર્યું છે. એટલી જ કુશળતાથી એમણે ‘સમાજની વીથી' (સમુદાય વીથી)નું લેખન કર્યું છે. ૧૯૬૮માં આ નવલકથાને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલો છે. ૨માનાથપુરા જિલ્લાના નધીકુટ્ટિમાં જન્મનાર ના. પાર્થસારથીનું શરૂનું શિક્ષકજીવન મદુરાઈની પાસે પાસમલાઈમાં વીત્યું છે અને પાસમલાઈની પ્રકૃતિ અને એના પરિવેશે ના. પાર્થસારથીને સારી એવી પ્રેરણા આપી છે. એમની નવલકથાઓમાં પર્વતો, ફૂલો, શાંતિ અને પ્રેમનો સંદેશ લઈને હાજર થયાં છે. પાર્થસારથીની શરૂની નવલકથાઓમાં ઊર્મિઆલેખન વધુ કલાત્મક છે, તો એમની પછીની નવલકથાઓમાં વ્યંગની ભૂમિકા મુખ્ય રહી છે. ‘સમાજની વીધી'માં કલા અને નાટ્યજગતનો એમણે નજીકથી પરિચય કરાવ્યો છે. કથા જોઈએ. યુવા કવિ મુત્તુકુમારન મદુરાઈની ‘બોયર’ નાટકમંડળીનો સક્રિય સભ્ય છે. નાટ્યલેખન ઉપરાંત એણે અનેક પ્રકારનો અભિનય પણ કર્યો છે. પોતાનું નસીબ અજમાવવા માટે એ મદુરાઈથી મદ્રાસ આવે છે. અને મદ્રાસમાં એ ગોપાલને ત્યાં ઊતરે છે. ગોપાલ મદુરાઈમાં પોતાની સાથે સ્ત્રીપાત્રનો અભિનય કરતો હતો અને હવે ફિલ્મોમાં જાણીતો અભિનેતા બની ચૂક્યો છે. ગોપાલને ત્યાં નાટકમાં કામ કરવા આવનારાઓની મુલાકાત ચાલે છે, એમાં કુમારનને પહેલવહેલો માધવીનો પરિચય થાય છે. ગોપાલ કુમારનને પોતાના આઉટ હાઉસમાં લાવીને રાખે છે અને પોતાના નવા ટ્રુપ માટે નાટક લખી આપવાનો આગ્રહ કરે છે. ટ્રુપનું નામ ‘ગોપાલ નાટ્યમંચ' રાખવામાં આવે છે. ગોપાલ કુમારનને બધી જ સુવિધા પૂરી પાડે છે. ટાઈપરાઈટર આપે છે અને માધવી ટાઈપિંગ જાણતી હોવાથી એને ત્યાં કુમારન પાસે મૂકે છે. માધવી એકદમ કુમારન તરફ આકર્ષાય છે. આ બાજુ ગોપાલનું વ્યક્તિત્વ સાવ જુદા પ્રકારનું છે, એને બહારના દોરદમામ અને દેખાડામાં રસ છે. કલા એને માટે કમાવાનું સાધન છે. ગોપાલ પત્રપરિષદ બોલાવે છે, એમાં કુમારન જે વક્તવ્ય આપે છે, એમાં એની નિષ્ઠા બધાને પ્રભાવિત કરી જાય છે. માધવી પોતાના પ્રેમની કબુલાત કરે છે. કુમારન માધવીએ વ્યક્ત કરેલા પ્રેમને પ્રોત્સાહિત થઈ રાતોરાત લેખન પૂરું કરે છે. દિન-બ-દિન કુમારન અને માધવી વચ્ચેની ઘનિષ્ઠતા વધતી જાય છે. બંને સમુદ્રકાંઠે ફરવા જાય છે અને છેવટે માધવીને ઘેર જાય છે. અલબત્ત માધવી ચોખવટ કરે છે કે ગોપાલ સાથે એનો લાંબો પરિચય છે અને કલાના ક્ષેત્રમાં એ જે બનવા પામી છે તેમાં ગોપાલનો ફાળો છે. બીજે દિવસે ગોપાલ કુમારનને સમુદ્રકાંઠે ફરવા જવાની વાત પૂછે છે અને કુમારન સમસમી જાય છે. એક પ્રસિદ્ધ ફિલ્મપત્રિકાના સંપાદક સાથેની મુલાકાતમાં કુમારન કહી દે છે કે જો એને માધવી જેવી સ્ત્રી મળે તો તે લગ્ન માટે તૈયાર છે. ગોપાલ આ વાત પર કેવો પ્રતિભાવ આપશે એ અંગે માધવીનો ગભરાટ કુમારને ગમતો નથી. કુમારનનું નાટક ‘વણઝારણનો પ્રેમ' મંત્રીજીની અધ્યક્ષતામાં ભજવવાનું નક્કી થાય છે. નાટકનાં રિહર્સલ શરૂ થાય છે, પણ ગોપાલે પસંદ કરેલાં અભિનેતા અને અભિનેત્રીઓ નાટકકલાને માત્ર આજીવિકાનું સાધન સમજે છે. એનાથી કુમારનને દુઃખ છે. મંત્રીજીની અધ્યક્ષતામાં નાટક સફળ થાય છે અને અબ્દુલ્લા નામનો કરોડપતિ સિંગાપુરમાં એ નાટક ભજવવાનો કરાર કરે છે. ગોપાલ, માધવી અને કુમારન વિમાનપ્રવાસ કરે છે, બીજાં બાકીનાં સ્ટીમરથી જાય છે. સિંગાપુર પહોંચ્યાં પછી કુમારનને ખબર પડે છે કે નાટકના પ્રણેતાના રૂપમાં કુમારનને કોઈ ઓળખતું નથી. ગોપાલ અને માધવીનું સ્વાગત થાય છે, જ્યારે કુમારનની ઉપેક્ષા કરવામાં આવે છે. માધવી આથી ક્ષુબ્ધ થાય છે. આવી નવી ઈપ્પોમાં થનારા નાટ્યપ્રયોગ વખતે ઈપ્પો જવા માટે કુમારન માટે કારની વ્યવસ્થા થાય છે, જ્યારે ગોપાલ અબ્દુલ્લા અને માધવી માટે વિમાનની ટિકીટ બૂક થાય છે. માધવી દ્વારા આનો સાફ ઇન્કાર થતાં માધવી અને કુમારનની ઉતારાવ્યવસ્થા એકદમ હલકી હૉટલમાં કરવામાં આવે છે. આ દરમ્યાન વધારે પડતું પીવાથી ગોપાલ બાથરૂમમાં લપસી પડે છે. બીજે દિવસે નાટકો પ્રયોગ. ટિકીટો વેચાઈ ગયેલી. અબ્દુલ્લાને પૈસાની જ ચિંતા. ગોપાલ ઘાયલ. કુમારન ખુદ ગોપાલની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને નાયકની ભૂમિકા એવી અદાથી કરે છે કે નાટક વધુ પ્રશંસા પામે છે. અબ્દુલ્લાને પસ્તાવો થાય છે. એ કુમારનને કશીક ભેટ આપવા ચાહે છે પણ કુમારન લેતો નથી. કુમારન ગોપાલ તરફ કૃતજ્ઞ છે. પાછા ફર્યા પછી રાત્રે માધવી આઉટ હાઉસમાં કુમારન પાસે રોકાઈ જાય છે. ત્યાં ગોપાલનો ફોન આવતા, ગોપાલને માધવીની હાજરીની ખબર પડતાં ગોપાલ ફોનને પટકી દે છે. બીજે દિવસે સવારે એ કુમારન પાસે પહોંચી કુમારનને ચેક આપી હિસાબ ચૂકતે કરવા જાય છે. ત્યાં કુમારન માધવીનો હિસાબ પણ ચૂકતે માગે છે. ગોપાલ પૂછે છે કે કંઈ હેસિયતથી?' કુમારન કહે છે કે અમે બંને આવતા શુક્રવારે વિધિવત્ લગ્ન કરીએ છીએ.’ કુમારન અને માધવી આઉટ હાઉસ છોડી દે છે. લગ્ન પછી કુમારન માધવીને ત્યાં રહેવા જાય છે. માધવીને પણ લાગે છે કે આ અંધારી ગલીઓમાંથી પસાર થવાને માટે એને કોઈ સશક્ત સાથની જરૂર છે. પ્રેમકથાને મિષે ધંધાદારી જગત વચ્ચે નાટ્યકલાનું અને મનુષ્યની સ્વતંત્રતાનું મૂલ્ય ઉપસાવતી આ નવલકથા વિશેષ રી