રચનાવલી/૯૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૩. યાત્રાનો અંત (નીલ પદ્મનાભન)


પશ્ચિમમાંથી આયાત થયેલું નવલકથાનું સ્વરૂપ ૧૯ મી સદીના ઉત્તરાર્ધમાં લગભગ ભારતીય ભાષાઓમાં એક યા બીજી રીતે પ્રયોજાવું શરૂ થઈ ગયેલું. દક્ષિણ ભારતની તમિળ ભાષામાં ૧૮૭૦માં પહેલી નવલકથા લખાયેલી. વેદનાયકમ્ પિલ્લેની ‘પિરતાપ મુદવિચાર ચિરિત્તમ્' પહેલી નવલકથા ભદ્રવર્ગની રહેણીકરણી અને એમના વિકાસને અનુલક્ષીને લખાયેલી. એમાં સામાજિક સુધારો મુખ્ય હેતુ હતો. પરંતુ ત્યાર પછી તમિળ નવલકથાએ ઘણા ઘણા તબક્કાઓ પસાર કર્યા છે. જાનકીરામન્, રાજમ કૃષ્ણન્, જયકાંતન, કલ્કિ, ઈન્દુ પાર્થસારથી, વરદરાજન વગેરે તમિળ ભાષાસાહિત્યના મહત્ત્વના નવલકથાકારો છે. આ બધામાં નીલ પદ્મનાભનનું નામ પણ મોખરાનું છે. ૧૯૩૮માં જન્મેલા નીલ પદ્મનાભન કેરાલામાં ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. ટૂંકી વાર્તા, કવિતા ક્ષેત્રે પણ એમનું પ્રદાન છે. એમણે ઘણી નવલકથાઓ લખી છે, એમાં એમની પેઢીઓ’ (‘તલૈયુરૈકલ’ – ૧૯૬૩) નવલકથાનો ક. ના. સુબ્રહ્મણ્યપ દ્વારા અંગ્રેજીમાં અનુવાદ થયો છે; જ્યારે એમની બીજી મહત્ત્વની નવલકથા ‘યાત્રાનો અંત’ (‘પલ્લિકોંડપુરમ્’) નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા પસંદગી પામી છે અને અનેક ભારતીય ભાષામાં અનુવાદિત થઈને ઊતરી છે. ગુજરાતીમાં ચન્દ્રકાન્ત બક્ષીએ એનો અનુવાદ આપ્યો છે. ‘યાત્રાનો અંત' ૪૮ કલાકમાં કથાનાયક અનંતન નાયરના જીવનમાં ઘટેલી ઘટનાઓને આવરે છે પણ એ ૪૮ કલાક દરમ્યાન કથાનાયકના મનમાં ચાલેલી ઘટનાઓ, ભૂતકાળનાં સ્મરણો, અને ભાવોની ભરતી ઓટની ગતિને ઝાલવાનો પ્રયત્ન થયો છે. ૪૮ કલાકમાં બહારની ઘટનાઓ સાથે કથાનાયકના લાંબા ભૂતકાળને અને એની મહત્ત્વની કડીઓને લેખકે ગૂંથી છે. આથી કથા સળંગ ચાલતી નથી. વર્તમાનની સાથે સાથે ભૂતકાળને જોડતાં જોડતાં અટકી અટકીને આગળ વધે છે. તેથી છેવટ સુધી ખાસ્સું કૂતુહલ જળવાયેલું રહે છે. કથાનાયક ચિંતન કરતો હોય એ રીતે કથાનો ઘણો ભાગ રોકાયેલો છે અને લેખકને પણ બનતી કે બનેલી ઘટનાઓ કરતાં એ ઘટનાઓની કથાનાયક પર શી અસર થઈ એને રજૂ કરવામાં તેમજ કથાનાયકના મનમાં વિવિધ પ્રકારના ભાવોનો એક મૂંગો સંઘર્ષ ચાલી રહ્યો છે દર્શાવવામાં વધુ રસ છે. અનંતન નાયર સવારના પહોરમાં વહેલા ઊઠી સાડા ત્રણેક વાગતામાં ત્રિવેન્દ્રમ્‌ના પદ્મનાભસ્વામીના મન્દિરમાં પહોંચી જાય છે. ત્યાંથી પાછા ફરી વૈરવન પિલ્લેની દુકાને હિસાબકિતાબ સંભાળે છે. દુકાનેથી માલિકને ઘેર જઈ હિસાબનો ચોપડો લઈ આવે છે. રાત્રે મેદાનમાં સમય ગાળી ઘેર પહોંચે છે. બીજે દિવસે મોડા ઊઠી દુકાને પહોંચી ઇન્કમટેક્સ ખાતામાં પહોંચે છે. ત્યાંથી દુકાને આવી રાતે વહેલા ઘેર પહોંચે છે. બહારથી કથાનાયક આટલી ક્રિયાઓ કરે છે. પરંતુ આ દરમ્યાન અનંતન નાયર કુટુંબના માણસોને, માલિક વૈરવન પિલ્લે સાથે કામ કરતા લોકોને, મિત્ર પિષારડીને, ઑડિટર કેમનને, દીકરાના મિત્ર ટોમસને, અલપઝલપ ત્યાગરાજને મળે છે, એના પુત્ર અને પુત્રીને મળે છે અને વારંવાર વારંવાર અંદર ઊતરી પોતાને મળે છે; એની કથા બનેલી છે. જે કાંઈ કમઠાણ છે તે એમના મનમાં છે. અત્યંત સુન્દર પત્ની કાત્યાયિની સાથે એમનું દાંપત્યજીવન શરૂ થયેલું. મહારાજાના કાર્યાલયમાં એમની નોકરી હતી. ત્યાં એ જ કાર્યાલયનો તેહસિલદાર વિક્રમનતંબિની નજર કાત્યાયિની પર પડે છે. એકબાજુ ક્ષયગ્રસ્ત દુર્બળ અનંતન નાયર વિક્રમનતંબિની પત્ની તરફ આગળ વધતી ચાલને અટકાવી શકતો નથી અને બીજી બાજુ કાત્યાયિની પર વહેમાઈને એની સાથે ખરાબ વ્યવહાર શરૂ કરે છે; મારપીટ અને અત્યાચાર શરૂ કરે છે. છેવટે કાત્યાયિની એક દિવસ પુત્ર પ્રભાકરનને અને દીકરી માધવીને મૂકીને વિક્રમનતંબિની સાથે ચાલી નીકળે છે. કાત્યાયિની પોતાને અને પોતાનાં બે બાળકોને છોડીને ચાલી ગઈ. એનો ડંખ પંદર વર્ષથી અનંતનને અંદર ને અંદરથી કોરી ખાઈ રહ્યો છે અને એ જ કથાનું મુખ્ય કેન્દ્ર છે. પત્ની પક્ષે સતત દોષ જોતાં અનંતન નાયક દ્વારા ઊભા થયેલા કાત્યાયિનીના ચિત્રને લેખકે છેવટના ભાગમાં એમનાં સંતાનોની દૃષ્ટિ દ્વારા નવો રંગ આપ્યો છે. કાત્યાયિનીનો પક્ષ પણ વિવિધ તરીકાઓથી સારી રીતે વ્યક્ત થયો છે. મોટે ભાગે મનની ભીતર ચાલતી આ નવલકથામાં ત્રિવેન્દ્રમ્ શહેરની નાની નાની વિગતોથી જે જીવંત છબી ઉપસાવી છે, વિવિધ મંદિરો અને એના ઉત્સવોની જે ઝલક ઊભી કરી છે, એનાં બજારો અને એની ગલીઓની જે વિશેષતાઓ દર્શાવી છે, તે અંદર ચાલતી નવલકથાને બહારથી આકર્ષક રીતે આધાર આપે છે. વળી, ઉચ્ચ અને નીચ જાતિની બંધાયેલી સામાજિક ગ્રંથિઓના તાણાવાણા પણ આ નવલકથાને ભાતીગળ બનાવે છે. કડવી સ્મૃતિઓના પડછાયા જાણે ભૂતપ્રેત બનીને ભીડ જમાવતા હોય એની વચ્ચે એકલવાયાપણાથી ભરેલા એક ટાપુ જેવી અનંતન નાયરની જિંદગી સાથે જોડીને લેખક આપણી જિંદગીની ઊંડી સમજનો વિસ્તાર કરે છે એમાં કોઈ શંકા નથી.