રચનાવલી/3

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. ગુણરત્નાકર છંદ (સહજસુન્દર)


સાહિત્યમાં શું રજૂ થાય છે એ કરતાં જે રજૂ થાય છે તે કેવી રીતે રજૂ થાય છે તે બહુ મહત્ત્વનું છે. આથી જ સાહિત્યમાં એકની એક વાત અનેક રીતે રજૂ થઈ હોય છે. ગુજરાતી સાહિત્યમાં મહાભારત, રામાયણ પર કેટકેટલાઓએ રચના કરી છે, કેટકેટલા કવિઓએ નલકથાનો ઉપયોગ કર્યો છે, એમાં ભાલણનું કે પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ એકદમ આગળ તરી આવ્યું. બરાબર એ જ રીતે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં જૈન સાહિત્યનો પણ આગવો ફાળો છે અને એમાં સ્થૂલિભદ્ર - કોશાની કથાનો મોટો મહિમા હોવાથી કેટકેટલા જૈન મુનિઓએ સ્થૂલિભદ્ર - કોશા ૫૨ રચનાઓ કરી છે. સ્થૂલિભદ્ર કોશા પર થયેલી રચનાઓમાં જિનપદ્મસૂરિની ‘સ્થૂલિભદ્ર ફાગુ’ પછી જો કોઈ બીજી રચના ખાસ ધ્યાન ખેંચતી હોય તો તે કવિ સહજસુન્દરની ‘ગુણરત્નાકર છંદ’. આખ્યાન, ફાગુ, રાસ વગેરેની જેમ ‘છંદ' પણ એક સાહિત્યનો પ્રકાર છે, જેમાં ચારણી છંદોનો વિશેષ ઉપયોગ હોવાથી ભાષાની અને લયની કોઈ જુદી જ ભાત એમાં ઊપસે છે. સોળમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા કવિ સહજસુન્દરે આમ તો પચીસેક જેટલી રચનાઓ કરી. છે, પણ એમની કારકિર્દીની કલગી કહી શકાય એવી રચના તો એમની ‘ગુણરત્નાકર છંદ’ જ છે. ‘ગુણરત્નાકર છંદ’ રચના ચાર અધિકારમાં વહેંચાયેલી છે, અને એમાં ૪૧૯ જેટલી કડીઓ છે. કવિએ સ્થૂલિભદ્ર - કોશાની કથાનો મુખ્ય આધાર ‘ઉપદેશમાલા’ને બનાવ્યો છે પણ એમાં કવિનો આશય માત્ર કથા કહી જવાનો નથી પણ કથાને બહેલાવવાનો છે. કે જેથી જૈનોમાં આ લોકપ્રિય કથાનો પ્રભાવ સારી રીતે ઊભો થાય. આથી કવિ સહજસુન્દરે કથા કહેતાં કહેતાં અટકી અટકીને સુંદર વર્ણનો સામેલ કર્યાં છે. આપણે ત્યાં બાણની ‘કાદંબરી'થી જે લોકો પરિચિત હશે એને ખબર હશે કે કથા ઓઠું બની જાય છે અને કથાને બહાને કવિ સુન્દર વર્ણનો દ્વા૨ા કવિતા કરવાની તક ઝડપે છે. કવિ વર્ણન કરે અને ચારણી છંદોની ઝાઝો ઉપયોગ હોય એટલે એમાં પ્રાસ, અનુપ્રાસ, આંતરપ્રાસ, અલંકારો આ બધાનો ભરપૂર ઉપયોગ તો હોય જ, પણ એમાં ચટપટા અટપટા લયસમૂહોનો અને રવાનુકારી શબ્દોનો પણ ખાસ્સો ઉપયોગ હોય. અહીં સહજસુન્દરે વર્ણનો દ્વારા કથાને રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત રચનાની બહારની આ બધી માવજત સાથે સાથે કવિ એમની વિદ્વત્તા અને એમની બહુશ્રુતતા એવી રીતે કાલવતા આવ્યા છે કે આ રચના છીછરી બની જતી નથી. પહેલા અધિકારમાં કવિ નેમિકથાથી સ્થૂલિભદ્ર કથાની સરખામણી કરી, પાટણપુરનું વર્ણન આરંભે છે અને પાટણપુરના રાજા નન્દના મંત્રી શકટાલને ત્યાં લાલદેવીની કૂખે સ્થૂલિભદ્રનો જન્મ થાય છે એની વિગતને ગૂંથી લે છે. બીજા અધિકારમાં સ્થૂલિભદ્રના ઉછેર અને વિકાસની સાથે સાથે એની રાજસવારી, એનો વનવિહાર અને કોશા વેશ્યાની સાથેના ભોગવિલાસનું ચિત્રણ કર્યું છે, જેમાં કોશા વેશ્યા હોવા છતાં સ્થૂલિભદ્રમાં સ્થિર થતો એનો પ્રેમ જોઈ શકાય છે. ત્રીજા અધિકારમાં મંત્રી પિતા શકટાલની કપટથી હત્યા થતાં મંત્રીપદ માટે સ્થૂલિભદ્રને આવે છે પણ સ્થૂલિભદ્રના ચિત્તમાં તોફાન ઊભું થાય છે. ન તો એને રાજખટપટ ખપે છે, ન તો કોશાનો પ્રેમભાવ ખપે છે. છેવટે સ્થૂલિભદ્ર સંયમનો સ્વીકાર કરે છે અને ગુરુ સંભૂતિવિજય પાસે શાસ્ત્રનો અભ્યાસ આદરે છે. સ્થૂલિભદ્ર આ પછી કસોટી અર્થે કોશા વેશ્યાને ત્યાં જ ચાતુર્માસ ગાળવા આજ્ઞા માંગે છે, અને કોશાની ચિત્રશાળામાં રહે છે. ચોથા અધ્યાયમાં કોશાનાં અનેક આકર્ષણો છતાં સ્થૂલિભદ્ર અચલિત રહી કોશાને ઉપદેશ આપે છે. કોશા છેવટે પરમ શ્રાવિકા થઈ જાય છે. સ્થૂલિભદ્ર ગુરુ પાસે પાછા ફરે છે અને અન્ય મુનિઓ કરતા આકરી કસોટીને કારણે વિશેષ આદર પામે છે. આ રચનામાં કેટલાંક આકર્ષણ પણ જોવા જેવાં છે. સ્થૂલિભદ્રના બાળપણનું ચિત્ર જુઓ : ‘લીલા લટકંતઉ, કર ઝટકંતઉં, ક્ષણિ ચટકંતઉ થિલખંતઉ / પુહવીતલિ પડતઉં, પુત્ર આખડતઉ, ન રહઈ રડતઉં, ઠણકંતઉ.’ [ચમકતો, ઘમઘમ કરતો, રમરમ કરતો ઠમકતો (પુત્ર) ચાલે છે. સુન્દર દેખાતા મુખે બોલતો, હૃદયમાં હર્ષ પામતો રુદન કરતો, ક્રીડાસભર લટકાં કરતો, હાથ ઝટકતો, ક્ષણમાં ચાનક અનુભવતો, ઉદાસ થતો, જમીન પર પડતો, આખડતો પુત્ર રડતો ઠણકલું કરતો (રહી રહીને રડતો) અટકતો નથી.] એ જ રીતે વેશ્યા કોશા શરૂમાં સ્થૂલિભદ્રને જોતાં જે અનુભવે છે તે જુઓ : ‘ગાઢા ધૂર્ત મંઈ ઠગ્યા, છોકર છલ્યા છયલ્લ ધોરીડા ધુરિ જોતરું, હવઈ એ કરું બયલ્લ’ [મોટા મોટા ધૂર્તોને મેં ઠગ્યા છે, છેલ છોકરાઓને છેતર્યા છે. (આ) ઘોરીડાને ધુરાએ જોતરું અને એને બળદ કરું] તો, વેશ્યા એક પુરુષને વરેલી નથી હોતી એ માટે એના કપટને દર્શાવવા સ્ફૂલિભદ્રે આપેલું દૃષ્ટાંત જુઓ : ‘જ્યારે સૂર્ય આથમે છે ત્યારે રાત્રિ કેશ છૂટા મૂકીને (સૂર્યના વિયોગમાં) રડે છે. તે જ રાત્રિ તારારૂપી ફૂલો માથામાં નાખીને ચંદ્રની સાથે રમે છે પણ સૂર્યના આવવાનો સમય થતાં રાત્રિ તારારૂપી ફૂલો હાથથી નાંખી દે છે. (સવારે તારાનું અસ્ત થવું તે) આમ રાત્રિ બંનેની સાથે કપટ કરે છે. એ જ રીતે વેશ્યા પણ કદી સાચી હોતી નથી.’ પુરુષને કોશા કઈ રીતે ઘાયલ કરે છે એની પણ રીત જોવા જેવી છે : ‘ભમુહ કમાણિ કરી તિહાં તાકઈ તીર-કડકખ/ગુરુજ ગદા ભુજદંડ સ્વઉ ભેદઈ ભીમ ભડકખ' [ત્યાં ભ્રમરની કમાન કરીને કટાક્ષ-તીર તાકે છે. ગુર્જ અને ગદા સમા ભુજદંડ વડે ભડાક દઈને વીર પુરુષને ભેદે છે.] કથાના આછા દોર પર વર્ણનોની સાથે સાથે માનવહૃદયનાં ભાવ અને સંવેદનોની અચરજ કરે એવી ભાતને ભાષામાં ઉપસાવતી આ રચના ‘ગુણરત્નાકર છંદ’ આજ સુધી જૈન ભંડારોમાં અનેક હસ્તપ્રતોમાં પડેલી હોવાથી અપ્રાપ્ય હતી, તે હવે કાન્તિલાલ બી. શાહ સંશોધિત કરીને ‘શ્રી શ્રુતજ્ઞાન પ્રચારક સભા’ દ્વારા પ્રકાશિત કરી છે.