રતિલાલ બોરીસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બોરીસાગર રતિલાલ મોહનલાલ (૩૧-૮-૧૯૩૮) : હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં ‘સાહિત્યિક સંપાદનઃ વિવેચનાત્મક અધ્યયન' વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ -થી ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી. લેખનકાર્યના આરંભ ટૂંકીવાર્તાથી કર્યો, પરંતુ સાથે સાથે હાસ્ય લેખ લખવામાંડયા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક' (૧૯૭૭) અને ‘આનંદલોક' (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને મરકમરક હસાવે તેવું છે. બહુશ્રુતતાને હાસ્યાથે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યનો વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશદ્વેષથી સદંતરે મુકત છે અને સાથે જ જીવન પર પ્રકાશ, પાથરવાના ધ્યેયથી યુકત છે. એમણે કેટલાક ગંભીર નિબંધ આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે.