રતિલાલ રામશંકર અધ્વર્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અધ્વર્યુ રતિલાલ રામશંકર (૨૯-૯-૧૯૦૮, ૮-૮-૧૯૮૮): કવિ. જન્મ લીમડી તાલુકાના હડાળા-ભાલમાં. હંટર ટ્રેઇનિંગ કૉલેજ, રાજકોટ અને પ્રે. રા. ટ્રેઇનિંગ કૉલેજ, અમદાવાદમાં શિક્ષણ. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડતના સ્વાતંત્ર્યસેનાની. ૪૦ વર્ષના દીર્ઘ શિક્ષણકાર્ય બાદ નિવૃત્તિ. ગાંધીજીના જીવન ઉપર આધારિત ‘ગાંધીજીવન' ભાગ ૧-૭ (૧૯૬૭-૧૯૬૯) મહાકાવ્ય રચવાનો પ્રયાસ છે. આ ઉપરાંત ‘સંગીત પ્રવેશપોથી' (૧૯૪૨), ‘સંસ્કાર ગીતો' (૧૯૫૭), ‘સંસ્કાર પ્રાર્થના' (૧૯૫૭) વગેરે બાળકો માટેના કાવ્યસંગ્રહો છે. ‘માનવતાનાં મોતી' (૧૯૬૪) અને ‘ધન્ય જીવન’ (૧૯૬૪) ઐતિહાસિક-પૌરાણિક પાત્રો પર આધારિત કથાગીતો અને સંગીતરૂપકોના સંગ્રહો છે. ‘ભક્તિ ગીતો' (૧૯૮૦), ‘ધર્મ-નીતિનાં પદો' (૧૯૮૧) તેમનાં ઉપદેશાત્મક કાવ્યોના સંગ્રહો છે. ‘ગીતા કહે છે’ (૧૯૭૫), ‘જીવન આરસી' (૧૯૭૭), ‘કર્મની ગતિ' (૧૯૮૦), ‘ગાંધી પ્રસંગપુષ્પો' (૧૯૮૩), ‘ઇન્દુલાલ યાજ્ઞિક' (૧૯૮૪), ‘રવિશંકર રાવળ' (૧૯૮૪), ‘ગાંધીજીનું સાચું સ્વરૂપ' (૧૯૮૫), ‘લિયો ટૉલ્સ્ટૉય' (૧૯૮૫), ‘વર્ષા યોગદર્શન’ (૧૯૭૬), ‘પ્રાચીન વર્ષાવિજ્ઞાન' (૧૯૭૭) વગેરે એમનાં પ્રકીર્ણ વિષયો પર લખાયેલાં પુસ્તકો છે.