રવીન્દ્રપર્વ/૧૬૮. શાહજહાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬૮. શાહજહાન

કાળના ોતમાં જીવન યૌવન ધનમાન — બધું જ વહી જાય છે એ વાત, હે ભારત-ઈશ્વર શાહજહાન, તમે જાણતા હતા. માત્ર તમારી અન્તરવેદના ચિરન્તન થઈને રહે, એ જ સમ્રાટ, તમારી સાધના હતી. વજ્રના જેવી સુકઠિન રાજશક્તિ ભલે ને સન્ધ્યાવેળાના રાતા રંગની જેમ તન્દ્રાને તળિયે લીન થઈ જતી, કેવળ એક દીર્ઘ નિ:શ્વાસ સદા ઉચ્છ્વસિત થઈને આકાશને કરુણ કરી રહે એટલી જ તમારા મનમાં આશા હતી. હીરા મોતી અને માણેકનો ઠઠેરો તો જાણે શૂન્ય દિગન્તમાં ઇન્દ્રજાળના મેઘધનુષ્યની છટા — એ લુપ્ત થાય તો ભલે થતી. કાળના કપોલ પરનું શુભ્ર સમુજ્જ્વલ એક બિન્દુ નયનજળ આ તાજમહાલ માત્ર રહો. હાય રે માનવહૃદય, વારે વારે પાછું ફરીને કોઈના ભણી જોઈ રહેવાનો સમય જ નથી, નથી, નથી. જીવનના પ્રચણ્ડ પ્રવાહમાં તું સદાય વહ્યે જાય છે જગતને ઘાટે ઘાટે, એક હાટમાં બોજો લે છે બીજા હાટમાં ખાલી કરી નાંખે છે. દક્ષિણના મન્ત્રગુંજનથી તારા કુંજવનમાં વસન્તની માધવીમંજરી જે ક્ષણે ઉદ્યાનનો ચંચલ અંચલ ભરી દે છે તે જ ક્ષણે વિદાયની ગોરજવેળા આવીને છિન્ન થયેલી પાંખડીઓને ધૂળમાં વિખેરી દે છે. સમય નથી! તેથી તો શિશિરની રાતે હેમન્તના અશ્રુપૂર્ણ આનન્દની છાબ સજાવવાને નિકુંજમાં ફરી નવકુન્દની હારો ખીલી ઊઠે છે. હાય રે હૃદય, તારા સંચયને દિવસને છેડે રાત્રિને અન્તે માત્ર રસ્તા પર ફ્ેંકી જવા પડે છે, નથી, નથી, સમય નથી. હે સમ્રાટ, તેથી તમારા શંકિત હૃદયે સમયના હૃદયને, સૌંદર્યથી ભુલાવીને, હરી લેવા ઇચ્છ્યું હતું. મૃત્યુહીન અનોખા સાજે, રૂપહીન મરણને કણ્ઠે શી માળા ઝુલાવીને તમે એને વરી લીધું! બારે માસ વિલાપ કરવાનો અવકાશ રહેતો નથી એટલે જ તમારા અશાંત ંદિનને ચિર મૌનની જાળથી તમે કઠિન બન્ધનમાં બાંધી દીધું. ચાંદની રાતે એકાન્ત ઓરડે પ્રેયસીને જે નામે ધીરેથી કાનમાં બોલાવતા તે અહીં અનંતના કાનમાં તમે મૂકી ગયા. પ્રેમની કરુણ કોમળતા પ્રશાન્ત પાષાણે સૌન્દર્યના પુષ્પપુંજે તે ખીલી ઊઠી. હે સમ્રાટ કવિ, આ તમારા હૃદયની છબિ, આ તમારો નવમેઘદૂત, અપૂર્વ અદ્ભુત છન્દે ને ગાને અલક્ષ્યની ભણી ઊંચે ચડ્યો છે જ્યાં તમારી વિરહિણી પ્રિયા પ્રભાતના અરુણ આભાસમાં, ક્લાન્ત સન્ધ્યાવેળાના દિગન્તના કરુણ નિ:શ્વાસમાં, પૂણિર્માએ દેહહીન ચમેલીના લાવણ્યવિલાસમાં ભાષાની પેલે પારના એ પ્રદેશમાં, જેના બારણેથી કંગાલ નયન પાછાં વળી આવે છે. તમારો સૌન્દર્યદૂત જુગજુગથી કાળના પ્રહરીને ચુકાવીને વાણીહીન આ સમાચાર લઈને ચાલ્યો જાય છે: ‘ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, પ્રિયા!’ તમે આજે ચાલી ગયા છો, મહારાજ. તમારું રાજ્ય સ્વપ્નની જેમ અદૃશ્ય થઈ ગયું છે, સંહાિસન તૂટી ગયું છે; જેના ચરણના ભારથી ધરતી હલમલી ઊઠતી તે તમારાં સૈન્યદળની સ્મૃતિ દિલ્હીના રસ્તાની ધૂળ પર પવનથી ઊડી રહી છે. બંદીઓ ગીત ગાતા નથી. જમુનાના કલ્લોલની સાથે નોબત તાન મેળવતી નથી. તમારી પુરસુન્દરીના નુપૂરનો રણકાર ખંડિયેર મહેલને ખૂણે તમરાંના અવાજમાં ડૂબી જઈને રાત્રિના આકાશને રડાવે છે. તોય તમારો અમલિન, થાક્ વિનાનો દૂત રાજ્યોના અસ્ત અને ઉદયને તુચ્છ ગણી, જીવનમરણના ઉત્થાન અને પતનને તુચ્છ ગણી એકસ્વરે ચિરવિરહીનો સંદેશ લઈને યુગે યુગે કહ્યા કરે છે : ‘ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી પ્રિયા!’ ખોટી વાત! કોણ કહે છે જે ભૂલ્યા નથી? સ્મૃતિના પંજિરના દ્વારને ખોલ્યાં નથી એમ કોણ કહે છે? ભૂતકાળના એ ચિર અસ્ત અંધકારે આજેય શું તમારા હૃદયને બાંધી રાખ્યું છે? વિસ્મૃતિના છીંડામાંથી આજેય શું એ બહાર નીકળી નાઠું નથી? સમાધિમન્દિર એક સ્થાને સદાકાળ સ્થિર રહે છે, ધરતીની ધૂળમાં સ્મરણના આવરણથી મરણને એ જતન કરીને ઢાંકી રાખે છે. પણ જીવનને કોણ રોકી રાખી શકે? આકાશનો પ્રત્યેક તારો એને સાદ દે છે? લોકેલોકમાંથી નવ નવ પૂર્વાચળના પ્રકાશમાંથી એને નિમન્ત્રણ મળે છે. સ્મરણની ગાંઠ તોડી બન્ધનવિહીન બનીને એ વિશ્વને રસ્તે દોડી જાય છે. મહારાજ, કોઈ પણ મહારાજ્ય ક્યારેય તમને પકડી રાખી શક્યું નહીં. સમુદ્રથી ગાજતી પૃથ્વી, હે વિરાટ, તમને ભરી શકી નહીં, તેથી આ ધરતીને, જીવનના ઉત્સવને અંતે, માટીના પાત્રની જેમ બંને પગે ઠેલી દઈને ફેંકીને તમે ચાલ્યા ગયા. તમારી કીર્તિના કરતાં તમે મહાન, તેથી તમારા જીવનનો રથ તમારી કીર્તિને વારંવાર પાછળ પાડી દે છે. તેથી તમારાં ચિહ્ન અહીં પડી રહ્યાં છે, તમે અહીં નથી. જે પ્રેમ આગળની દિશામાં ચાલવાનું કે ચલાવવાનું જાણતો નથી, જે પ્રેમે રસ્તાની વચ્ચે પોતાનું સંહાિસન માંડ્યું હતું તેના વિલાસનું સમ્ભાષણ રસ્તાની ધૂળની જેમ તમારા પગને વળગીને રહ્યું હતું, એ ધૂળને તમે પાછી વાળી છે. તમારી પાછળની એ પદરજ પર તમારા ચિત્તમાંથી વાયુની સાથે એકાએક ક્યારેક જીવનની માળામાંથી ખરેલું બીજ ઊડીને પડ્યું હતું. તમે દૂર ચાલી ગયા છો. એ બીજ અમર અંકુરે આકાશ ભણી નીકળ્યું છે, ગમ્ભીર ગાને એ કહે છે: ‘ગમે તેટલે દૂર નજર નાંખું છું, પણ નથી, નથી, એ પથિક નથી. પ્રિયાએ એને રોકી રાખ્યો નહીં, રાજ્યે એનો રસ્તો મોકળો કરી દીધો, સમુદ્ર કે પર્વતે એને રોક્યો નહિ. આજે એનો રથ રાત્રિના આહ્વાને નક્ષત્રના ગાને પ્રભાતના સંહિદ્વાર ભણી જઈ રહ્યો છે. તેથી સ્મૃતિના ભારથી હું અહીં પડી રહ્યું છું, ભારમુક્ત એ અહીં નથી.’ (બલાકા)
(એકોત્તરશતી)