રસસિદ્ધાંત—એક પરિચય/આનંદવર્ધનનો ‘અભિવ્યંજનાવાદ’

આનંદવર્ધનનો અભિવ્યંજનાવાદ

સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં રસપ્રદ ઘટના એ બની કે, આનંદવર્ધને ધ્વનિસિદ્ધાંતનો પુરસ્કાર કર્યો તે સાથે રસવિચારને એક નવી ભૂમિકા અને નવું પરિમાણ મળ્યું. આનંદવર્ધનના કાવ્યવિચારમાં ધ્વનિ કેન્દ્રસ્થાને આવ્યો છે. કાવ્યનો આત્મા ધ્વનિ જ છે એ તેમની મુખ્ય ભૂમિકા રહી છે. પ્રસ્તુત ધ્વનિસિદ્ધાંતની ભૂમિકામાં વળી શબ્દશક્તિની વિચારણા રહી છે. શબ્દની શક્તિ લેખે અભિધા, લક્ષણા અને વ્યંજનાનો તેમણે અત્યંત ઝીણવટભર્યો વિચાર કર્યો છે અને વ્યંજનાની શક્તિને અવલંબીને ધ્વનિસિદ્ધાંત વિકસાવ્યો છે. તેમણે ધ્વનિના ત્રણ મુખ્ય પ્રભેદો સ્વીકાર્યા છે : (૧) વસ્તુધ્વનિ (૨) અલંકારધ્વનિ (૩) રસધ્વનિ. એ પૈકી, વસ્તુજગત માટેનો વિચાર જ્યાં સૂચિત રહ્યો હોય ત્યાં ‘વસ્તુ ધ્વનિ’ સંભવે છે. કવિની કલ્પનાના પ્રવર્તનથી જ્યાં આલંકારિક અર્થ પ્રતીત થાય ત્યાં ‘અલંકારધ્વનિ’ જન્મે છે. જ્યારે, કૃતિમાં ભાવતરણ વ્યંજિત થતું હોય છે ત્યાં ‘રસધ્વનિ’ જન્મે છે, આનંદવર્ધનનું એમ કહેવું છે કે વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ ‘સ્વશબ્દવાચ્ય’ સંભવે છે, જ્યારે રસધ્વનિ ‘સ્વશબ્દવાચ્ય’ નથી. એનું માત્ર સૂચન જ થઈ શકે, બીજી રીતે કહીએ તો રસધ્વનિ માત્ર વ્યંજિત થઈ શકે. અભિનવે ‘લોચન’માં આનંદવર્ધનના ધ્વનિવિચારનું સમર્થ વિવરણ રજૂ કર્યું તે સાથે જ રસધ્વનિનો પુરસ્કાર કરી કાવ્યમાં આત્મા લેખે તેની પ્રતિષ્ઠા કરી, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ પણ રસધ્વનિમાં પર્યવસાન પામીને કાવ્યમાં સમર્પક બને છે એમ તેમણે કહ્યું.

સાંખ્યોની રસચર્ચા : સુખદુઃખવાદ

‘અભિનવભારતી’માં અભિનવે સાંખ્યવાદી આચાર્યોની રસચર્ચામાંથી ઉલ્લેખ કર્યો છે. સાંખ્યવાદીઓના મતે ‘નાટ્યરસ’ એ કેવળ આનંદની અનુભૂતિ નહિ, પણ સુખદુઃખની લાગણીઓવાળી મિશ્ર અનુભૂતિ સંભવે છે. નાટકમાં જો સુખાત્મક પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હોય તે સામાજિકને તેથી સુખની લાગણી થશે અને દુઃખાત્મક પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હોય તો તેને તેથી દુઃખની જ લાગણી થશે. નાટકની સામગ્રી આપણા અનુભવ જગતમાંથી લેવાઈ હોય છે. તેમાં જ સુખાત્મક અને દુઃખાત્મક પ્રસંગોની ઘટમાળ પડી હોય છે. અને સામાજિકને એ પ્રસંગો એના જેવી જ સુખની કે દુઃખની લાગણી જગાડે છે. સાંખ્યવાદીઓ તખતા પરની નાટ્યસૃષ્ટિને લૌકિક સૃષ્ટિની કોટિની જ ગણે છે. પણ સાંખ્યવાદીઓનો આ મત સ્વીકારી શકાય નહિ. સૌ સહૃદયોનો અનુભવ રહ્યો છે કે કરુણાન્ત નાટ્યકૃતિઓમાંથી પણ તેમના અંતરમાં ઊંડો પરિતોષ, પ્રસન્નતા કે મુદાની લાગણી થાય છે. અનુપમ આહ્‌લાદ કે આનંદની એ અનુભૂતિ છે. દુઃખરૂપ સામગ્રીમાંથી જો સામાજિકને દુઃખનો જ અનુભવ થતો હોય તો તે એવા દુઃખના પ્રસંગને સામે ચાલીને આવકારે નહિ. વાસ્તવમાં આહ્‌લાદકતા આનંદરૂપતા – એ જ રસાનુભૂતિનું મુખ્ય લક્ષણ છે. એ રીતે સાંખ્યવાદીઓનો મત લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’ જેટલો જ નિર્બળ છે.