રસસિદ્ધાંત—એક પરિચય/પ્રકાશકનું પુરોવચન
ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્રીય સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકો અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાનો ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્યપુસ્તકો અને સંદર્ભગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાર્ય હજુ વણથંભ્યું ચાલુ જ છે. આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં સાહિત્યના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથો આપવાની વ્યવસ્થામાં રસસિદ્ધાંત-એક પરિચય પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડૉ. પ્રમોદકુમાર પટેલ આ વિષયના જ્ઞાતા છે અને તેમણે પોતાનાં જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડૉ. તપસ્વી નાન્દીનો હું આભાર માનું છું. આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે; અને એ બધાનો આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે.
ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬.
જુલાઈ, ૧૯૮૦
અધ્યક્ષ