રસસિદ્ધાંત—એક પરિચય/લોલ્લટનો ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’

૭. લોલ્લટનો ‘ઉત્પત્તિ–ઉપચિતિવાદ’

લોલ્લટની રસવિચારણા ‘ઉત્પત્તિ–ઉપચિતિવાદ’ તરીકે એાળખાવવામાં આવી છે. તેનો મત ‘અભિનવભારતી’ અને ‘કાવ્યપ્રકાશ’માં જે રીતે રજૂ થયો છે, તેમાં કદાચ થોડો ફેરફાર પણ છે. ‘અભિનવભારતી’ પ્રમાણે લોલ્લટનો મત આ રીતે રજૂ કરી શકાય. અહીં ‘સંયોગ’ એટલે સ્થાયિભાવનો વિભાવાદિની સાથે સંયોગ—એમ અર્થ કરવાનો છે. તાત્પર્ય કે સ્થાયીનો વિભાવાદિ સાથે સંયોગ’ થતાં રસ ‘ઉત્પન્ન’ થાય છે. વિભાવ એ સ્થાયી ભાવ કે ચિત્તવૃત્તિની ‘ઉત્પત્તિ’માં કારણરૂપ છે. સૂત્રમાં જે અનુભાવો કહ્યા છે તેને રસમાંથી જન્મેલા અનુભાવો સમજવાના નથી. કેમ કે એમ સમજવા જઈએ તો તો રસ એ ‘કારણ’ અને અનુભાવો તેનું ‘કાર્ય’ છે એમ લેખવવાનો પ્રસંગ આવે, પણ એ બરોબર નથી. એને સ્થાયિભાવના જ અનુભાવો ગણવાના છે. ઉપરાંત વ્યભિચારીઓ પણ સ્થાયીઓ જેવા જ ચિત્તવૃત્તિરૂપ હોય છે અને બે ચિત્તવૃત્તિઓ વ્યક્તિના ચિત્તમાં એકીસાથે સંચરી શકે નહિ. એટલે સ્થાયિભાવનું અહીં માત્ર વાસના રૂપ જ વિવક્ષિત છે. ભરતના દૃષ્ટાંતમાં સૂચવાયું છે તેમ, સ્થાયિભાવ વ્યંજનાદિની વચ્ચે અપ્રગટ રહેલા દ્રવ્યની જેમ અપ્રગટ રહે છે. વિભાવાદિથી પરિપુષ્ટ બનેલા સ્થાયીને જ રસ સંજ્ઞાથી એળખાવવામાં આવે છે, અર્થાત્‌ રસ તે ઉપચિત થયેલો સ્થાયી માત્ર છે. આ રસ મુખ્ય વૃત્તિથી રામાદિ અનુકાર્યોમાં સંભવે છે અને રામાદિના રૂપના અનુસંધાનથી નટનટીઓમાં તે ગૌણરૂપે સંભવે છે. મમ્મટે લોલ્લટની વિચારણા આ રીતે મૂકી છે. વિભાવોથી–અર્થાત્‌ લલના આદિ આલંબન વિભાવો અને ઉદ્યાન આદિ ઉદ્દીપન વિભાવોથી –રતિ આદિ ભાવો ઉત્પન્ન થાય છે. કટાક્ષ અને ભુજોત્ક્ષેપ આદિ અનુભાવોથી તે પ્રતીતિયોગ્ય બને છે, અને નિર્વેદાદિ વ્યભિચારીઓથી તે પરિપોષ પામે છે. રસ સાક્ષાત્‌ભાવે રામાદિ અનુકાર્યોમાં સંભવે છે, પણ રૂપાનુસંધાનના બળે નટનટીઓમાં તે પ્રતીત થાય છે. આ બે આચાર્યોની લોલ્લટ વિશેની ભૂમિકામાં જે ફેર છે, તે પછી સ્પષ્ટ કરીશું. પહેલાં બંનેને આધારે મુખ્ય ભૂમિકા જોઈએ તો, રતિ, શોક આદિ સ્થાયીઓ વિભાવાદિના ‘સંયોગે’ ઉત્પન્ન થાય છે, પુષ્ટ થાય છે, અને રસની કોટિએ પહોંચે છે. રસ એટલે વિભાવાદિથી ઉત્પન્ન અને ઉપચિતિ પામેલો સ્થાયી માત્ર. સ્થાયિભાવ જો અનુપચિત એેવો ભાવ છે, તો ‘રસ’ એની ઉપચિત અવસ્થા માત્ર છે. વિભાવાદિના યોગે પરાકાષ્ઠાએ પહોંચેલો સ્થાયિભાવ પોતે જ આસ્વાદ્ય બની રહે છે. એનું તાત્પર્ય એમ કે સ્થાયિભાવ અને રસની વચ્ચે તાત્ત્વિક ભેદ નથી. અલબત્ત, આસ્વાદ્યતાની કોટિએ પહોંચવા માટે તેને વિભાવાદિનો ‘સંયોગ’ અનિવાર્ય છે. રસની ‘ઉત્પત્તિ-‘ઉપચિતિ’ના વાદ તરીકે લોલ્લટનો મત જાણીતો થયો છે. જે વિભાવાદિથી તે ‘ઉત્પન્ન’ થાય છે, અને ‘ઉપચિત’ થાય છે, તે લૌકિક કારણો જેવાં ‘કારણો’ માત્ર છે. વ્યવહારમાં વ્યક્તિના ચિત્તમાં જાગતી અમુક લાગણી અને તેના નિમિત્ત પ્રસંગ કે પાત્ર વચ્ચે કાર્યકારણની લૌકિક સ્તરના સંબંધની જે ભૂમિકા રહી હોય છે, તેવી જ અહીં ‘રસ’ અને વિભાવાદિ વચ્ચે સંભવે છે. એમાંથી એમ ફલિત થાય છે કે ‘રસ’ લૌકિક સ્વરૂપનો મનોવ્યાપાર છે અને પ્રત્યક્ષ જ્ઞાનનો તે વિષય બને છે. વળી રસ કેવળ લૌકિક ભાવની ઉપચિત અવસ્થા હોવાથી લોલ્લટને રસની સુખદુઃખાત્મકતા અભિપ્રેત હોવાનો પણ મોટો સંભવ છે. જોકે તેમની ઉપલબ્ધ બનેલી વિચારણામાં એ જાતનો સ્પષ્ટ નિર્દેશ મળતો નથી. ગમે તેમ, એટલું તો ખરું જ કે લોલ્લટ ‘સ્થાયી એવ રસઃ’ની પરિપાટી સ્વીકારનારા આચાર્ય છે.[1] આ પ્રકારનો ‘રસ’ મુખ્યત્વે રામાદિ અનુકાર્યોમાં અર્થાત્‌ નાટ્યવૃત્તાંત જેનો આશ્રય લે છે તે મૂળ (ઐતિહાસિક) પાત્રોમાં સંભવે છે. જ્યારે તખતા પરનાં નટનટીઓ એ પાત્રોનું ‘અનુસંધાન’ જાળવતાં હોવાથી તેમનામાં એ ગૌણરૂપે પ્રત્યક્ષ થાય છે. આ મુદ્દા પરત્વે ‘અભિનવભારતી’ અને ‘કાવ્યપ્રકાશ’માં થોડો વિગતભેદ જોવા મળે છે. ‘અભિનવભારતી’ પ્રમાણે રસ ‘ઉત્પન્ન’ થાય છે, ‘ઉપચિત’ થાય છે; જ્યારે ‘કાવ્યપ્રકાશ’ ‘પ્રતીયમાનો રસઃ’ અર્થાત્‌ ‘રસ પ્રતીત થાય’ એમ કહે છે. અને, એનો અર્થ એમ થાય કે રસ મુખ્ય વૃત્તિથી રામાદિ અનુકાર્યોમાં તેમજ ગૌણ વૃત્તિથી નટનટીઓમાં પ્રતીત થાય છે. અર્થાત્‌ અહીં સામાજિકને એ પ્રતીયમાન છે એમ સમજવાનું છે. ડૉ. કાંતિચંદ્ર પાંડેયે એે મત વ્યક્ત કર્યો છે કે લોલ્લટ રસની ‘ઉત્પત્તિ’ કે ‘ઉપચિતિ’નો જે રીતે વિચાર કરે છે તેમાં તેમણે સામાજિકને લક્ષમાં લીધો નથી.[2] તેમની દલીલ એમ છે કે, મમ્મટે ‘પ્રતીયમાનો’ શબ્દ ઉમેરીને અભિનવની વાચનામાં ફેરફાર કર્યો છે. પણ ડૉ. નાન્દી એવો ખુલાસો કરે છે કે, અભિનવે લોલ્લટના વિચારને પૂરેપૂરો રજૂ કર્યો ન હોય એમ ધારીએ, અને મમ્મટ પાસે નાટ્યશાસ્ત્ર પરની લોલ્લટની ટીકાની મૂળ વાચના હોય તેમ સ્વીકારીએ, તો સંભવ છે કે ‘પ્રતીયમાનો’ શબ્દ એ મમ્મટનું ઉમેરણ ન પણ હોય. આ રીતે ડૉ. નાન્દી લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’માં રસની પ્રતીયમાનતાનો ખ્યાલ પુરસ્કારે છે. ભરતના રસસૂત્રમાંના ‘સંયોગ’ શબ્દનું મમ્મટે કરેલું અર્થઘટન નોંધપાત્ર છે. તેમના અર્થઘટન પ્રમાણે વિભાવો રસની ‘ઉત્પત્તિ’માં ‘કારણરૂપ’ બની રહે છે. અનુભાવો તેને ‘પ્રતીતિક્ષમ’ બનાવે છે, એટલે કે તેને બોધનો વિષય બનાવે છે, જ્યારે વ્યભિચારિભાવો તેને ‘પરિપુષ્ટ’ કરીને રસત્વની કોટિએ પહોંચાડે છે. આ વિશે તેમનું સ્પષ્ટીકરણ છે : સ્થાયિભાવ અને વિભાવ ‘ઉત્પાદ્ય—ઉત્પાદકભાવ’ના સંબંધથી, અને સ્થાયિભાવ અને અનુભાવ ‘ગમ્યગમક’ના સંબંધથી, અને સ્થાયિભાવ અને વ્યભિચારિભાવ ‘પોષ્યપોષક’ના સંબંધથી સંકળાયા હોય છે. એ રીતે રસસૂત્રની ‘નિષ્પત્તિ’ સંજ્ઞાનો અર્થ ‘ઉત્પત્તિ’, ’અભિવ્યક્તિ’ અને ‘પુષ્ટિ’ એમ થાય છે. રસના ‘ઉત્પત્તિવાદ’ની સમાંતર વિચારસરણી ટાંકી બતાવતાં અભિનવે દંડીના ‘કાવ્યાદર્શ’માંથી બે અવતરણો મૂક્યાં છે : ‘રતિઃ શૃંઙ્‌ગારતાં ગતા | રૂપબાહુલ્યયોગેન...’ (કાવ્યદર્શ ૨.૨૮૧) અર્થાત, રૂપ-બાહુલ્યને કારણે પરિપોષ પામેલો રતિભાવ સ્વયં શૃંગારરસ બની રહે છે. ‘અધિરુહ્ય પરાં કોટિ કોપો રૌદ્રાત્મતાં ગતઃ |’ (કાવ્યદર્શ ૨.૨૮૩) અર્થાત્‌, ક્રોધનો ભાવ જ પરાકાષ્ઠાએ પહોંચીને રૌદ્ર રસ બને છે. તાત્પર્ય કે, વિભાવાદિનાં અનંતવિધ રૂપોના સંયોગે ભાવો જ રસ બની જાય છે. રસ મુખ્યત્વે રામાદિ અનુકાર્યમાં ‘ઉત્પન્ન’, ‘ઉપચિત’ થાય છે, એવો લોલ્લટનો વિચાર ભરતના નાટ્યરસની ‘નિષ્પત્તિ’ના ખ્યાલથી કંઈક જુદો પડે છે. ભરતે નાટ્યરસની આસ્વાદ્યતાનો ખ્યાલ ભોજ્યરસના દૃષ્ટાંતથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એમ આપણે આગળ જોઈ ગયા. દેખીતી રીતે જ, ભરત રસના મુખ્ય સ્રોત અર્થે નાટ્યને છોડીને તેની બહારનાં અનુકાર્યોને જોતા નથી. તખતા પર વિભાવાદિના સંયોગે રસ ‘નિષ્પન્ન’ થાય છે, એમ જ તેમને સૂચિત રહ્યું છે. આથી ભિન્ન લોલ્લટ રસના પ્રથમ સ્રોત તરીકે મૂળ પાત્રોને સ્વીકારે છે. એ પાત્રોમાં ઉપચિત સ્થાયિભાવ જ રસની સંજ્ઞા પામે છે એમ તેઓ સમજે છે. અલબત્ત અનુકર્તા નટ-નટીઓમાં મૂળ પાત્રોના ‘અનુસંધાન’ને કારણે ગૌણ ભાવે રસની ‘પ્રતીતિ’ શક્ય બને છે, એમ તેઓ માને છે ખરા. હવે મમ્મટાદિ આચાર્યો લોલ્લટનો મત રજૂ કરતાં રસની ‘પ્રતીયમાનતા’નો જે નિર્દેશ કરે છે તે મુદ્દો સ્વીકારી લઈએ તો પણ, સામાજિકની રસપ્રતીતિની પ્રક્રિયા વિશે તેમાંથી ઝાઝી સ્પષ્ટતા મળતી નથી. વળી મૂળ પાત્રોમાં ઉપચિત થતા સ્થાયિભાવોનું નટનટીઓમાં ‘અનુસંધાન’ શી રીતે થાય છે તે પણ સ્પષ્ટતા માગે તેવી બાબત છે.

લોલ્લટના મતની સમીક્ષા

રસસૂત્રના બીજા મહત્વના વ્યાખ્યાકાર શ્રીશંકુકે રસ વિશે પોતાની વિચારણા રજૂ કરતાં પહેલાં લોલ્લટના મતની સમીક્ષા કરી છે. રસના ’ઉત્પત્તિવાદ ઉપચિતિવાદ’ સામે તેમણે રજૂ કરેલી દલીલો ઘણી મહત્ત્વની છે. રસસિદ્ધાંતનો વિકાસ વિચારશોધનની પ્રક્રિયા રૂપે થયો છે, તે વસ્તુ અહીં તરત સ્પષ્ટ થઈ જશે. (૧) શ્રીશંકુકની સમીક્ષાનો પહેલો મુદ્દો એ છે કે લિંગ રૂપે વિભાવાદિ સ્થાયિભાવ જોડે ‘સંયોગ’ ન થાય ત્યાં સુધી એ સ્થાયિભાવનો બોધ થવો શક્ય નથી. પર્વત પરના અગ્નિ વિશે જેમ એના ધુમાડા જેવા લિંગ વગર જ્ઞાન થઈ શકતું નથી તેમ વિભાવાદિ રૂપ લિંગના અભાવમાં સ્થાયિભાવનું જ્ઞાન થઈ શકતું નથી. શ્રીશંકુકની દલીલનું તાત્પર્ય એમ સમજાય છે કે રસબોધમાં તેના લિંગરૂપ વિભાવાદિનો બોધ પ્રથમ અપેક્ષિત છે. (૨) શ્રીશંકુકની બીજી દલીલ તેમની પહેલી દલીલનું વિસ્તરણ જ જણાય છે. લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિ’ના ખ્યાલમાં એમ સૂચિત રહ્યું લાગશે કે સ્થાયિભાવ પ્રથમ ‘ઉત્પન્ન’ થાય છે, અને વ્યભિચારીઓથી ‘પરિપોષ’ પામ્યા પછી જ તેનું રસમાં સ્થિત્યંતર થાય છે, એટલે કે સ્થાયિભાવની ‘ઉત્પત્તિ’ પછી ક્રમશઃ ઉત્કટતા સુધાતાં તે ‘રસ’ની કોટિએ પહોંચે છે. પણ હકીકતમાં આમ બનતું નથી. આમ બનતું હોત તો તો ભરતે રસની સ્થિતિ પૂર્વેના સ્થાયિભાવની અલગ સત્તા લક્ષમાં લઈને તેને વિશે અલગ ચર્ચા કરી હોત. પણ ભરતે એવી કોઈ ચર્ચા કરી નથી. (૩) રસ એ જો માત્ર લૌકિક સ્વરૂપનો ‘ઉપચિત’ થયેલો સ્થાયિભાવ જ હોય, તો ભરતે રસ અને સ્થાયિભાવના વિભાવાદિઓ બે વાર અલગ અલગ ગણાવવાની જરૂર નહોતી. ભરતે તેનો અલગ અલગ ઉલ્લેખ કર્યો છે, તે જ બતાવે છે કે સ્થાયિભાવ અને રસ વચ્ચે તેઓ તાત્ત્વિક ભેદ સ્વીકારે છે. (૪) ‘ઉપચય’ પામતો સ્થાયિભાવ સ્વયં જ જો રસત્વ પ્રાપ્ત કરતો હોય, તો તો વિભાવાદિની વત્તીઓછી ઉપસ્થિતિ પ્રમાણે, જુદા જુદા સંયોગો અનુસાર રસની સ્થિતિમાં પ્રબળતમ, પ્રબળતર, પ્રબળ, મંદ, મંદતર એવી અસંખ્ય કોટિઓ સ્વીકારવી પડે. પણ સહૃદયોના રસાનુભવથી આ વાત વિરુદ્ધ જાય છે. હકીકતમાં રસાનુભવની ક્ષણોમાં આવી કોટિઓ પ્રતીત થતી નથી. (૫) આ દૃષ્ટિએ, ભરતે હાસ્યરસના જે છ પ્રકારો પાડેલા છે તે પણ સ્વીકારી શકાશે નહીં. વિભાવાદિની જુદી જુદી ઉપસ્થિતિ પ્રમાણે તેના અસંખ્ય પ્રકારો સ્વીકારવા પડે. (૬) એ જ રીતે રતિવૃત્તિની દસ અવસ્થાઓનો જે સ્વીકાર થયો છે તે પણ ન સ્વીકારી શકાય. તેમાં પણ અસંખ્ય પ્રકારો ઉમેરવા પડે. (૭) શોક, ક્રોધ, ઉત્સાહ અને રતિ જેવા સ્થાયિભાવો સમયના ક્રમમાં ક્ષીણ થવાનું વલણ ધરાવે છે, એટલે તેની રસક્ષમતા ઘટી જાય એમ બનવાનું. પણ નાટ્યરસની બાબતમાં એમ બનવા પામતું નથી. રસના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’ વિશે અભિનવે ‘ધ્વન્યાલોક’ પરની પોતાની ટીકા ‘લોચન’માં જે આલોચના કરી છે, તેના મુદ્દાઓ હવે આપણે લક્ષમાં લઈશું. (૧) લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’માં એવી ભૂમિકાનો સ્વીકાર રહ્યો હતો કે વિભાવો સ્થાયિભાવની ‘ઉત્પત્તિ’માં ‘કારણરૂપ’ છે, જ્યારે આ રીતે ‘ઉત્પન્ન’ થયેલો સ્થાયિભાવ વ્યભિચારીઓથી ‘પરિપુષ્ટ’ થાય છે. એ રીતે ‘ઉપચિત’ થતો સ્થાયિભાવ જ રસનીયતા પ્રાપ્ત કરે છે. પણ, સ્થાયી અને વ્યભિચારી એ બંને ભાવો ચિત્તવૃત્તિરૂપ હોઈ ચિત્તમાં બંને એકીસાથે સંચરી શકે નહીં, એવી સમજથી પ્રેરાઈને જ કદાચ લોલ્લટે પોતાના પક્ષે એવું સ્પષ્ટીકરણ રજૂ કર્યું. છે કે, અહીં સ્થાયિભાવને સુષુપ્તરૂપ એટલે કે અવ્યક્ત રૂપ જ ગણવાનો છે. પણ લોલ્લટના આ જાતના ખુલાસાથી અભિનવને સમાધાન થયું દેખાતું નથી. એટલે આ પ્રશ્નના સંદર્ભમાં તેમણે મુદ્દો ઊભો કર્યો છે કે સ્થાયી અને વ્યભિચારી બંને ચિત્તવૃત્તિઓ વ્યક્તિચિત્તમાં એકીસાથે સંચરી શકે જ નહીં, અને છતાંય આવી બે ભિન્ન વૃત્તિઓ ચિત્તમાં સતત રીતે સમાંતરે પ્રવર્તમાન બનતી હોય એમ સ્વીકારીએ તોય, વ્યભિચારી રૂપ એવી એક ચિત્તવૃત્તિ બીજી સ્થાયિભાવ રૂપ ચિત્તવૃત્તિનું પોષણ શી રીતે કરી શકે એ ખરેખર પ્રશ્ન જ રહે છે. હવે લોલ્લટે પણ એમ સ્વીકાર્યું છે જ કે સ્થાયી અને વ્યભિચારી એ બે ચિત્તવૃત્તિઓ ચિત્તમાં એકીસાથે સંચરી શકે નહિ. તો પછી અભિનવનો ખરેખર વાંધો ક્યાં છે તે પહેલી નજરે સ્પષ્ટ થતો નથી. પણ લોલ્લટે વિભાવોને ‘કારણ’રૂપે લેખી સ્થાયિભાવની ‘ઉત્પત્તિ’નો જે ખ્યાલ પુરસ્કાર્યો છે તે ભૂમિકાને જો બરોબર લક્ષમાં લઈએ તો, અભિનવનો વિચાર પકડવાનું કદાચ સુગમ બનશે. લોલ્લટે વિભાવથી સ્થાયિભાવ ‘ઉત્પન્ન’ થાય છે એવી ભૂમિકા સ્વીકારી, અને પછી એ ‘ઉત્પન્ન’ થયેલા સ્થાયિભાવને સુષુપ્તરૂપ ગણવાનો છે એમ સ્વીકાર્યું. અભિનવનો વાંધો આ સંદિગ્ધ ભૂમિકા સામે છે. સ્થાયિભાવ (વિભાવોના યોગે) ‘ઉત્પન્ન’ થયો એમ કહ્યા પછી તેને ‘સુષુપ્ત’ કે ‘અવ્યક્ત’ કેવી રીતે કહી શકાય? અને સ્થાયીને વ્યક્તરૂપે સ્વીકારો એટલે વ્યભિચારીઓથી તેની અલગ સત્તા સ્વીકારવી જ પડે. આમ અભિનવે ઊભો કરેલો વાંધો સાચો ઠરે છે. (૨) અભિનવની બીજી દલીલ એમ છે કે સ્થાયિભાવ ‘ઉપચય’ પામીને રસની કોટિએ પહોંચે છે એમ સ્વીકારવામાં બીજી પાયાની મુશ્કેલી ઊભી થાય છે. સૌનો સામાન્ય અનુભવ એવો છે કે ક્રોધ, શોક, ઉત્સાહ જેવી લાગણીઓ એના ઉદ્‌ભવકાળે જેટલી તીવ્ર હોય છે. તેટલી તે પછીની ક્ષણોમાં રહેવા પામતી નથી. સમયનાં વહેણ સાથે એ લાગણીઓ ક્ષીણ બનતી બનતી છેવટે લુપ્ત થઈ જાય છે. એટલે તીવ્રતમ સ્થાયિભાવને જ જો ‘રસ’ની સંજ્ઞા આપીએ, તો એવા ‘રસ’ની સ્થિતિ મંદ, મંદતર, વધુ મંદતર એમ અંતે ક્ષીણ બની લુપ્ત થઈ જાય એમ બનવાનું. પણ રસબોધની બાબતમાં સામાજિકને આવા કાટિભેદો પ્રતીત થતા હોતા નથી. અર્થાત્‌ ઉત્કટતમ દશાએ પહોંચેલો સ્થાયિભાવ તે રસની સ્થિતિ, એમ કહી શકાય નહિ. આપણે જોઈ શકીશું કે અહીં અભિનવે શ્રીશંકુકનો નામોલ્લેખ કર્યા વગર તેમની જ દલીલ રજૂ કરી છે. (૩) અભિનવની ત્રીજી દલીલ નાટકના પ્રયોગમાં જોડાતાં અનુકર્તા નટનટીઓની મનોભૂમિકાને અનુલક્ષે છે. લોલ્લટની ભૂમિકા એ રહી છે કે ‘રસ’ મુખ્યત્વે રામાદિ અનુકાર્યોમાં સંભવે છે, જ્યારે અનુકર્તા નટનટીઓમાં તે ગૌણવૃત્તિથી સંભવે છે. લોલ્લટની આ ભૂમિકામાં એમ અભિપ્રેત રહ્યું છે કે રામાદિ અનુકાર્યોમાં જે રસ ‘ઉત્પન્ન’ થાય છે ‘ઉપચિત’ થાય છે તેનું જ નટનટીઓમાં ‘અનુસંધાન’ થતાં તેઓમાં પણ રસ ગૌણભાવે ‘ઉત્પન્ન’ અને ‘ઉપચિત’ થાય છે. એમાંથી એમ પણ ફલિત થાય કે નટનટીઓમાં ‘ઉત્પન્ન’ થતો ને ‘ઉપચિત’ થતો સ્થાયિભાવ પણ લૌકિક કોટિનો જ સંભવે છે. આ ભૂમિકાની સામે અભિનવ એવો વાંધો મૂકે છે કે નટનટીઓમાં જો લૌકિક કોટિના ભાવો ‘ઉત્પન્ન’ થતા હોય અને ‘ઉપચય’ પામતા હોય, તો તો અભિનયનું કાર્ય જ તેમને માટે મુશ્કેલ બની જાય. કેમ કે તેમના ચિત્તમાં લૌકિક કોટિના રતિ, શોક, આદિ ભાવો ‘ઉત્પન્ન’ થાય કે ‘ઉપચિત’ થાય, તો તો તેઓ એવા સ્વકીય ભાવોથી અભિભૂત બની જાય, અને અભિનયમાં રજૂ કરવાનો પ્રસંગ તેઓથી ચૂકી જવાય એમ બનવાનું. આવી ભાવવિહ્‌વળ દશામાં સંવાદો બોલવામાં તેમની ક્ષતિ થાય, લય તૂટે, હાવભાવ ચૂકે કે ઉત્કટ ભાવાવેગની ક્ષણોમાં અભિનેય સાથેનો સંપર્ક પણ ખોઈ બેસે. નટનટીઓનું ખરું કાર્ય તો નાટ્યના ‘અર્થને’ પ્રગટ કરી આપવાનું છે. પણ તેઓ જો અંગત લાગણીના પ્રવાહમાં ખેંચાવા લાગે તો તો નાટ્યનો ‘અર્થ’ રજૂ કરવામાં તેઓ નિષ્ફળ જાય એમ બનવાનું. તાત્પર્ય કે, અનુકર્તા નટનટીઓમાં ગૌણભાવે રસ ‘ઉત્પન્ન-ઉપચિત’ થાય છે. એમ કહેવું બરોબર નથી. (૪) સામાજિકની રસાનુભૂતિના સંદર્ભમાં પણ અભિનવને એમ જ કહેવાનું છે કે સામાજિકમાં પણ રસ ‘ઉત્પન્ન’ (અને ‘ઉપચિત’) થતી નથી. અર્થાત સામાજિક સમક્ષ રજૂ થતા નાટકના વિભાવો તેના અંગત ભાવ જગાડનારાં લૌકિક કોટિનાં ‘કારણો’ નથી, તેમ સામાજિકની રસાનુભૂતિ એ તેના ચિત્તમાં ઉત્પન્ન થતો અને ઉપચિત થતો અંગત એવો સ્થાયિભાવ નથી. નાટકનો પ્રયોગ જોતી વેળા કે સાહિત્યકૃતિનું વાચન કરતાં સહૃદયને રસાનુભવની જે પ્રતીતિ થાય છે તે લૌકિક કોટિનો અનુભવ હોતો જ નથી. રસાનુભવને જે લૌકિક સંયોગોમાં વ્યક્તિચિત્તમાં જન્મતા લૌકિક ભાવની કોટિનો ગણીએ, તો તો એમાં લૌકિક ભાવોની જેમ જ સુખદુઃખથી ભરી મિશ્ર દશા સ્વીકારવી પડે. પણ સહૃદયનો રસબોધ એથી ભિન્ન સ્વરૂપની ચૈતસિક ઘટના સંભવે છે. અભિનવગુપ્તે આ રીતે અનુકાર્ય, અનુકર્તા અને સામાજિક એ ત્રણેયની ભૂમિકાએથી ‘રસના ઉત્પત્તિ-ઉપચિતિ’ વાદની તપાસ કરી તેમાં રહેલી મુશ્કેલીઓ તરફ સંકેત કર્યો છે. આપણે આગળ જોઈશું કે, રસાનુભૂતિ એ સહૃદયની અ-લૌકિક પ્રતીતિ છે, અને લૌકિક ભાવથી તે સ્વરૂપતઃ ભિન્ન છે, એવી અભિનવની પોતાની ભૂમિકા છે. એ ભૂમિકાએથી તેમણે લોલ્લટના મતની નિર્બળતાઓ ખુલ્લી કરી આપી છે. રસના ‘ઉત્પત્તિ–ઉપચિતિ’વાદનો મમ્મટે પણ એવી રીતે તાર્કિક ભૂમિકાએથી વિરોધ કર્યો છે. અલબત્ત, લોલ્લટના મતના સીધેસીધા ખંડન રૂપે નહિ, પણ રસસ્વરૂપની તાત્ત્વિક ચર્ચાના ભાગરૂપે તે આવે છે, અને અભિનવની વિચારણાનો પ્રતિધ્વનિ એમાં સાંભળી શકાય. લોલ્લટના સિદ્ધાંતમાં એમ અભિપ્રેત છે કે સ્થાયિભાવની ‘ઉત્પત્તિ’ અને ‘ઉપચિતિ’માં વિભાવાદિનો સંયોગ અનિવાર્ય છે. પણ ‘રસ’ની ઉપસ્થિતિ મુખ્યત્વે રામાદિ અનુકાર્યોમાં તેમણે સ્વીકારી છે, તે જોતાં તો વિભાવો લૌકિક કોટિનાં જ ‘કારણો’ છે, અને ‘રસ’ (ઉત્પન્ન અને ઉપચિત સ્થાયિભાવ) એ તેનું ‘કાર્ય’ છે, અર્થાત્‌ ‘રસ’ અને તેના વિભાવો વચ્ચે લૌકિક કોટિના કાર્યકારણનો સંબંધ રહ્યો છે. મમ્મટે આ ભૂમિકાનો પ્રતિવાદ કરતાં એમ કહ્યું કે ‘રસ’ એ કેાઈ લૌકિક ‘કારણ’નું ‘કાર્ય’ નથી. વ્યવહારજગતમાં એમ બને છે કે ‘કારણ’ નષ્ટ થઈ જતાંય તેનું ‘કાર્ય’ ટકી રહેતું હોય છે. ઉદાહરણ લેખે, કુંભારે માટીનો ઘડો બનાવ્યો, તો કુંભાર એનું ‘નિમિત્ત કારણ’ ઠર્યો, અને ‘ઘડો’ તેનું ‘કાર્ય’ બની રહ્યો. આ પ્રસંગમાં કુંભાર અવસાન પામે, અર્થાત્‌ (નિમિત્ત) કારણ નષ્ટ થાય, તોયે ઘડો–અર્થાત્‌ ‘કાર્ય’ ત્યાં ટકી રહે જ છે. પણ સામાજિકના રસબોધની બાબતમાં એમ બનતું નથી. રસતત્ત્વ એ વિભાવરૂપ ‘કારણ’નું ‘કાર્ય’ નથી. એમ જો હોત તો તો એ ‘કારણ’ નષ્ટ થયા પછીયે ‘કાર્ય’ રૂપે ‘રસ’ સહૃદયના ચિત્તમાં ટકી રહેત. પણ આ બાબતમાં સહૃદયનો અનુભવ જુદો જ છે. તેને એ વાતની પ્રતીતિ છે કે, વિભાવાદિનું અનુસંધાન જ્યાં લગી રહે છે ત્યાં લગી જ રસની અનુભૂતિ થાય છે. અને જે ક્ષણે એ અનુસંધાન તૂટ્યું તે ક્ષણે જ રસબોધનું તત્ત્વ પણ લુપ્ત થઈ જાય છે. તાત્પર્ય કે, રસ અને વિભાવ વચ્ચે લૌકિક કાર્યકારણનો સંબંધ નથી, અને લોલ્લટનો રસનો ‘ઉત્પત્તિ-ઉપચિતિ’ વાદ અસ્વીકાર્ય બની રહે છે. ‘પ્રદીપ’ના કર્તા ગોવિંદે લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’ સામે જે વાંધાઓ ઉઠાવ્યા છે, તે પણ ધ્યાનપાત્ર છે.[3] તેઓ કહે છે, ‘ઉપચિત’ સ્થાયિભાવ તો વિભાવ કે વિભાવોમાં ઉપસ્થિત હોય અને સામાજિકમાં જો તેનો અભાવ હોય તો, સામાજિકને રસની ચમત્કૃતિનો બોધ શી રીતે થાય? રસની ચમત્કૃતિનો અનુભવ તો સામાજિકને જ થવો જોઈએ. ગોવિંદની આ ટીકાનો મર્મ એ છે કે રસની ઉપસ્થિતિ વિભાવોમાં સ્વીકારીએ તે પૂરતું નથી. મહત્ત્વની વાત તો સામાજિકને રસની અનુભૂતિ શી રીતે થાય છે તે છે. આ સંદર્ભમાં ગોવિંદે એવી સ્પષ્ટતા પણ કરી કે વિભાવાદિ અને તેથી ‘ઉત્પન્ન થતા (અને ‘ઉપચિત’ થતા) સ્થાયિભાવનું–‘રસ’નું–માત્ર જ્ઞાન, પણ ચમત્કૃતિ જગાડવા પૂરતું નથી. ‘રસ’ની ચમત્કૃતિ જે (તાર્કિક) જ્ઞાનથી જ સંભવતી હોય તો તો કેવળ શબ્દજ્ઞાનથી પણ રસબોધની શક્યતા સ્વીકારવી પડે. પણ વાસ્તવમાં એમ બનતું નથી. વળી ઉપચિત સ્થાયીને જ જો રસરૂપ ગણીએ તો તો પરાકાષ્ઠાએ પહોંચેલા લૌકિક રતિભાવના પ્રત્યક્ષીકરણથી પણ રસની ચમત્કૃતિ સધાતી હોવાનું સ્વીકારવું પડે, પણ સહૃદય એમાં રસાનુભવ કરતો નથી, કરી શકતો નથી, એ હકીકત છે. રસનું તત્ત્વ એ રીતે લૌકિક જ્ઞાનનો વિષય નથી. ગોવિંદની બીજી એક દલીલ એ રહી છે કે અનુભાવોના જ્ઞાનને બળે થતા આરોપને પણ ‘સાક્ષાત્કાર’ ગણવો ન જોઈએ. કેમ કે, ચંદન જેને લગાડવામાં આવે તેને જ તેનું સુખ મળે, તેના જોનારને નહિ. ગોવિંદની આ દલીલ પણ ખૂબ મહત્ત્વની છે. તેમનું એમ કહેવું છે કે સામેની કોઈ વ્યક્તિમાં (અન્ય વિભાવરૂપ કારણથી) ‘ઉત્પન્ન’ થયેલો સ્થાયિભાવ તેના અનુભાવોથી જ્ઞાનગોચર બનતો હોય તો પણ, એ રીતે, સ્થાયિભાવનું જ્ઞાન સામાજિકને માટે સાક્ષાત્કાર નથી બનતું. બીજી રીતે કહીએ તો, માત્ર અનુભાવોની પ્રતીતિના બળે સામાજિક એના પાત્રમાં સ્થાયિભાવનું આરોપણ કરે, તે કંઈ સાક્ષાત્કારની કોટિનું જ્ઞાન નથી. સામાજિકને એ રીતે રસની ચમત્કૃતિ થવી શક્ય નથી. ગોવિંદની છેલ્લી દલીલ એ છે કે રસચમત્કૃતિને બીજી કોઈ રીતે ઘટાવી શકાય તેમ પણ નથી. કેમ કે રસની બાબતમાં પ્રમાણનો જ અભાવ છે. ગોવિંદની આ બધી ટીકાટિપ્પણીઓનું સ્વારસ્ય એ જ કે રસની ચમત્કૃતિ સહૃદયને અનુભવરૂપે પ્રાપ્ત થાય છે, અને એ કોઈ લૌકિક પ્રતીતિનો વિષય જ નથી. ગોવિંદની આ દલીલો તાર્કિક રીતે ઘણી સંગીન છે, અને રસની તાત્ત્વિક ચર્ચાના વિકાસમાં તેનું ઘણું મહત્ત્વ છે. ‘રસપ્રદીપ’ના કર્તા પ્રભાકરનો[4] એક વિચાર અહીં પ્રસ્તુત બની રહે છે. આપણે આગળ જોઈશું કે શ્રીશંકુકના ‘અનુકૃતિ-અનુમિતિવાદ’ની સામે માર્મિક પ્રશ્ન રૂપે એ આવ્યો છે, પણ લોલ્લટની આ ભૂમિકાના સંદર્ભે પણ તે એટલો જ મહત્ત્વનો ઠરે છે. પ્રભાકર પૂછે છે કે પૌરાણિક કે ઐતિહાસિક નાટકમાંનાં પાત્રો પહેલાં થઈ ગયેલાં હોય છે, એટલે તેમનું ‘અનુકરણ’ સંભવે છે. પણ ‘પ્રકરણ’ વગેરેમાં પાત્રો જ્યાં કલ્પિત હોય ત્યાં ‘અનુકરણ’ શી રીતે સંભવે? આપણે આ ભૂમિકાએથી એવો પ્રશ્ન પણ કરી શકીએ કે, લોલ્લટના મત પ્રમાણે રામાદિ અનુકાર્યોમાં જ રસ મુખ્યત્વે સંભવે છે, તો જ્યાં કેવળ કલ્પિત પાત્રોનો જ આશ્રય લેવામાં આવ્યો હોય ત્યાં રસની મુખ્ય ઉપસ્થિતિ ક્યાં ગણવી? તાત્પર્ય કે, નાટ્યપ્રયોગની બહાર અનુકાર્યોમાં–મૂળ પાત્રોમાં–‘રસ’ની ઉપસ્થિતિ સ્વીકારી શકાય નહિ.


ટીકા-ટિપ્પણીઓ

  1. ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથને આધારે.
  2. એજન.
  3. શ્રી નગીનદાસ પારેખ : ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’માં પૃ. ૧૫–૧૬ની ચર્ચા.
  4. શ્રી નગીનદાસ પારેખના ઉપરોક્ત ગ્રંથમાં પૃ. ૨૮ પરની પાદટીપની ચર્ચા.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.