રસસિદ્ધાંત—એક પરિચય/‘રસ’ સંજ્ઞાની પ્રાચીનતા અને તેનો અર્થવિકાસ
રસ તત્ત્વને કાવ્ય કે નાટક સાથે જોડીને વિચારવાનો પ્રયત્ન ભરતની પૂર્વે થયો હોય એમ માનવાને કેટલાક નિર્દેશો મળે છે.[1] એ વિશે વિવાદની ભૂમિકાને બાજુએ રાખીએ, અને એટલું જરૂર નોંધીએ કે ભરતે રસની જે વ્યવસ્થિત અને શાસ્ત્રીય વિચારણા રજૂ કરી છે તે, અને ખાસ તો ‘રસ’ની સંજ્ઞાને તેમણે જે રીતે નિશ્ચિત અર્થસંકેત અર્પ્યો છે તે જોતાં એને એ અર્થ ભરત પૂર્વે પ્રાપ્ત થઈ ચૂક્યો હતો, એમ માનવાને કારણ મળે છે. ‘રસ’ સંજ્ઞા પ્રાચીન પરંપરામાં ઘણા જૂની દેખાય છે. આ વિષયના જાણીતા સંશોધકો ડૉ. શંકર[2] અને ડૉ. નાન્દીએ[3] બતાવ્યું છે તેમ ‘રસ’ની સંજ્ઞા વેદ, ઉપનિષદ આદિમાં અસંખ્ય સ્થાને પ્રયોજાયેલી જેવા મળે છે. નાટ્યરસ કે કાવ્યરસ તરીકે તેને પાછળથી જે નિશ્ચિત શાસ્ત્રીય અર્થ મળ્યો તે પહેલાં તેને અનેક મુખ્ય–ગૌણ અર્થો મળી ચૂક્યા હતા. આરંભકાળમાં આ સંજ્ઞાથી સ્થૂળ પદાર્થોના ખ્યાલો જ સૂચવાતા હતા પણ પછી તેને સૂક્ષ્મતા પ્રાપ્ત થતી ગઈ. એના અર્થવિકાસનો આખોયે ઇતિહાસ એ રીતે રસપ્રદ વસ્તુ છે. ડૉ. નાન્દી[4] નોંધે છે કે ‘રસ’ શબ્દ મૂળ ‘રસ્’ ધાતુમાંથી બન્યો છે. પાણિનિ (આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦) ના ધાતુપાઠમાં એ નોંધાયેલો મળે છે. ત્યાં એના–(૧) ધ્વનિ ઉત્પન્ન કરવો, (૨) સ્વાદ લેવો અને (૩) સ્નિગ્ધ હોવું–એવા ભિન્ન ભિન્ન અર્થો આપવામાં આવ્યા છે. ‘રસ’ના અર્થનો વિકાસ કે વિસ્તાર સમજવામાં તે દ્યોતક નીવડે એમ છે. તેઓએ એમ પણ નોંધ્યું છે કે આ શબ્દ ઋગ્વેદમાં ૫૧ વાર યોજાયો છે, જ્યારે ‘રસા’ શબ્દ ૧૧ વાર યોજાયો છે. એ રીતે યજુર્વેદમાં ‘રસ’ શબ્દ ૧૯ વાર અને ‘રસા’ ૨ વાર મળે છે. જ્યારે અથર્વવેદમાં ‘રસ’ શબ્દ ૩૮ વાર આવે છે. આ બધા સંદર્ભોમાં તેને જુદા જુદા સંકેતો મળ્યા છે. એમાંના કેટલાક વધુ ને વધુ પ્રાધાન્ય પામતા ગયા છે, તો બીજા ગૌણ રહી જવા પામ્યા છે. ઋગ્વેદના ‘વાલ્ખિલ્ય સૂક્ત’ (૮.૪૯.૨)માં ‘રસા’ સંજ્ઞા કાં તો કોઈ વિશેષ નદીનો સંકેત રજૂ કરે છે, કાં તો નદી માટેનો સર્વસામાન્ય ખ્યાલ રજૂ કરે છે. આ સંદર્ભમાં ‘રસઃ’ શબ્દથી ‘જલાનિ’નો અર્થ સૂચવાય છે. આ ‘જલાનિ’ તે પર્વતોના ‘રસો’ જ છે. પર્વતોના નિચોડરૂપ એવા આ ‘રસો’ પ્રવાહી સ્વરૂપના છે. યજુર્વેદની એક ઋચા (૯.૩)માં ‘અપાં રસઃ|’ અને ‘અપા રસસ્ય યો રસઃ|’ એવી વિચારણા મળે છે. અહીં ‘રસ’ સંજ્ઞાથી પદાર્થનું પ્રાણભૂત તત્ત્વ અને તેના અધિષ્ઠાનભૂત દેવ, એવા અર્થો સૂચવાય છે. યજુર્વેદમાં જ આ અર્થમાં ‘રસ’ના બીજા પ્રયોગો ૧૯.૪૪, ૨૦.૨૨ તેમજ ૩૧.૧૭ ઋચામાં જોવા મળે છે. ઋગ્વેદના ૯મા મંડળમાં ‘રસ’ સંજ્ઞાને ‘વનસ્પતિ નિચોવીને કાઢેલો અર્ક’ એવો અર્થ મળ્યો છે. એના પ્રથમ મંડળમાં આ સંજ્ઞા મધુ કટુ આદિ સ્થૂળ ભોજ્ય રસોનો ખ્યાલ સૂચવે છે, જે પાછળથી સ્વાદનો ઐન્દ્રિયિક ગુણ બની રહે છે. યજુર્વેદમાં એક સ્થાને (૩૯.૪) એનો ‘સ્વાદુત્વ’ અર્થ પણ મળે છે. ઉપરાંત ઋગ્વેદમાં જ ‘રસ’ સંજ્ઞાથી ‘ગાયનું દૂધ’ કે ‘ખાદ્ય પદાર્થનો રસ’ એવા અર્થો પણ સૂચવાતા મળે છે. યજુર્વેદમાં મંત્ર ૧૮.૯ માં ‘રસ’ એ પેય કે ખાદ્ય પદાર્થના અર્કરૂપ તો પણ એક સ્વતંત્ર પદાર્થ તરીકે સ્વીકાર પામ્યો છે. ‘ઉર્જ સુનૃતા’ અને ‘પયસ્’ની સાથોસાથ તેનો ઉલ્લેખ પણ સૂચક છે. ‘ઉર્જ’થી શરીર કે વાણીનું કૌવત, ‘સુનૃતા’થી મધુર સત્ય વાણી, અને ‘પયસ્’થી પ્રવાહી પદાર્થ, અર્ક કે જીવાતુભૂત તત્ત્વ સૂચવાય છે. આ સંદર્ભમાં ‘રસ’ એ પદાર્થનું આત્મતત્ત્વ છે, તેનું પરમતત્ત્વ છે, એવો અર્થ સંભવે છે. અને, આ સાથે ‘રસ’ એ આસ્વાદ્ય, રુચિકર, આહ્લાદક તત્ત્વ છે, એવો અર્થ પણ પ્રાપ્ત થયો છે. અથર્વવેદની એક ઋચા ૧૦.૮.૪૪માં રહસ્યવાદનો સ્પર્શ જોવા મળે છે. એમાં ‘રસ’ તે વિશ્વ સમસ્તનું સારભૂત તત્ત્વ હોય એવો સંકેત છે. એમાં ‘રસની સંતૃપ્તિ’નો ખ્યાલ પણ સંકળાયો છે. રસની ઉપલબ્ધિથી થતો પરમ ઉલ્લાસ, પરમ સંતોષ, કે આનંદ સમાધિનો ખ્યાલ એ રીતે એમાં નિહિત રહ્યો જણાશે. આપણે નોંધવું જોઈએ કે વેદની ઋચાઓમાં જ ‘રસ’ના સ્થૂળ અર્થોની સાથે આસ્વાદ્યતા, આહ્લાદકતા અને પ્રાણોત્કર્ષનો સંકેત બતાવતા સૂક્ષ્મ અર્થો પણ સિદ્ધ થયા છે. ઉપનિષદોમાં ‘રસ’ની સંજ્ઞા કે ‘રસ્’ ધાતુમાંથી સિદ્ધ થયેલાં શબ્દરૂપોના અનેક પ્રયોગો જોવા મળે છે. પણ એમાં ‘રસ’ એટલે – (૧) પ્રવાહી પદાર્થ (૨) મધુર આસ્વાદ અને આહ્લાદનો પદાર્થ, અને (૩) પદાર્થનું પ્રાણભૂત તત્ત્વ એ ત્રણ અર્થો સવિશેષ પ્રવર્તતા રહ્યા દેખાય છે. કઠોપનિષદ્નો ઋષિ કહે છે :
‘યેન રૂપં રસં ગન્ધ શબ્દાન્સ્પર્શાંશ્ચ મૈથુનાન્ |
એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈતત્ ||’
(કઠોપનિષદ્ ૪.૩)
અર્થાત, રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ અને મિથુનજન્ય (એટલે કે સંયોગજન્ય) જ્ઞાન આત્માને કારણે જ સંભવે છે. (એ જ જો ન રહે તો) પછી બાકી શું રહે? રસતત્ત્વ હજીય અહીં ઇંદ્રિયજ્ઞાનનો વિષય રહ્યો છે, પણ પછીથી એ પરમતત્ત્વનું સ્થાન લઈ લે છે, અને તેની જોડે એકરૂપ બની રહે છે. ‘છાંદોગ્યોપનિષદ્’માં ‘રસ’નું તત્ત્વ વધુ સૂક્ષ્મ અને વ્યાપક બનતું દેખાય છે. ‘મનોમયઃ પ્રાણશરીરો ભારૂપઃ સત્યસંકલ્પઃ આકાશાત્મા સર્વકર્મા સર્વકામઃ સર્વગન્ધઃ સર્વરસઃ ||’ (૩.૨) અર્થાત્, એ (બ્રહ્મજ્યોતિ) મનોમય છે, પ્રાણમય છે, પ્રકાશરૂપ છે, સત્ય સંકલ્પ છે, આકાશ એનો આત્મા છે, તે સર્વકર્મ સમર્થ છે. પૂર્ણકામ છે, સર્વગંધ અને સર્વે રસરૂપ (એટલે કે રસેન્દ્રિયગ્રાહ્ય રસ) છે. અંતે, સર્વ રસોના અધિષ્ઠાતા એવા પરમ રસ લેખે એની પ્રાણપ્રતિષ્ઠા થાય છે :
‘રસો વૈ સઃ | રસ હ્યેવાયં લબ્ધ્વાનન્દી ભવતિ |’
(તૈત્તિરીય ઉપનિષદ્ ૨:૭)
અર્થાત્, તે (પરમ તત્ત્વ) સ્વયં રસરૂપ છે; તેથી (શક્ય ત્યાંથી) રસ પામીને મનુષ્ય આનંદવિભોર બની જાય છે. અહીં આપણે જોઈ શકીશું કે ‘રસ’ તે વિશ્વ સમસ્તને વ્યાપી લેતું સ્વયં પરમ તત્ત્વ છે, અને એ પરમ આનંદનો સ્રોત છે અને છતાં ઉપનિષદના ઋષિઓ આ સંજ્ઞાને અહીં જે અર્થમાં પ્રયોજે છે તે કરતાં ભરતના નાટ્યશાસ્ત્રમાં રજૂ થતા ‘રસ’નો સંકેત કંઈક જુદો છે. આ સંદર્ભે એમ નોંધવું જોઈએ કે જૈમિનીય ઉપનિષદમાં એક સ્થાને ‘રસ’ની સંજ્ઞાને જે અર્થમાં પ્રયોજવામાં આવી છે તે ભરતના ‘નાટ્યરસ’ના અર્થની ઘણી નિકટ આવી જતો દેખાય છે. વળી છાંદોગ્યોપનિષદમાં એક સ્થાને આઠ ‘રસ’ની કલ્પના કરવામાં આવી છે, તે સંભવતઃ નાટ્યરસના આઠ પ્રકારોની કલ્પનાને પ્રેરક બની રહી હોય. ખરી વાત એ છે કે ઋષિઓના ચિંતનની આ સંજ્ઞા કાવ્ય કે નાટ્યની શાસ્ત્રીય વિચારણામાં ક્યારે પ્રવેશ પામી તેનો નિર્ણય કરવાનું ઘણું મુશ્કેલ છે. છતાં રસ એ વસ્તુ માત્રનું આહ્લાદક તત્ત્વ છે, અને એ એક મધુર આહ્લાદક તત્ત્વ પણ છે. એ પ્રકારના ઔપનિષદિક ખ્યાલોએ, ‘રસ’ની સંજ્ઞા કાવ્યનાટકાદિના સંદર્ભે પ્રયોજાવા લાગી હશે ત્યારે, એના અર્થબોધ પર પ્રભાવ પાડ્યો હશે એમ માનવાને ભૂમિકા સાંપડે છે.
ટીકા-ટિપ્પણીઓ
- ↑ ડૉ. સુશીલકુમાર દેના ગ્રંથ ‘Some Problems of Sanskrit Poetics’માં ગ્રંથસ્થ લેખ ‘The Theory of Rasa in Sanskrit Poetics’ની પ્રાસ્તાવિક ચર્ચા.
- ↑ ડૉ. શંકરન્ના મહાનિબંધ ‘Some Aspects of Literary Criticism in Sanskrit or the Theories of Rasa and Dhvani’ની ચર્ચામાં પ્રસ્તુત ખંડ.
- ↑ ડૉ. તપસ્વી નાન્દીના મહાનિબંધ ‘The Origin and Development of the Theory of Rasa and Dhvani in Sanskrit Poetics’ની ચર્ચા અહીં સવિશેષ ઉપયોગમાં લીધી છે.
- ↑ ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથની પ્રસ્તુત વિષયની ચર્ચાને આધારે.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.