રસિકલાલ પરીખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રસિકલાલ છોટાલાલ પરીખ, ‘મૂચિકાર’, ‘સંજય' (૨૦-૮-૧૮૯૭, ૧-૧૧-૧૯૮૨) : કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક. જન્મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ત્યારબાદ શંકરાચાર્ય સેમિ નારમાં ‘કપેરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી'ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યનો તથા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. મુનિશ્રી જિનવિજયજી પાસેથી ઇતિહાસ તેમ જ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, પૂનામાં ‘હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કૅટલોગ’ના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્તવ મંદિરમાં આચાર્ય. અહીં ‘પુરાતત્ત્વ', ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ'ના તંત્રી-સંપાદક. ૧૯૩૦માં વિદ્યાપીઠ છોડી. ૧૯૩૦થી ૧૯૩૭ દરમિયાન સંશોધન, નાટ્યલેખન તેમ જ દેશાટન. ૧૯૩૭માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી. ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧થી નિવૃત્તિ સુધી એના નિયામક. ૧૯૪૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૪માં વિલેપાર્લે મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, અમદાવાદમાં અવસાન. ‘મતિ' (૧૯૫૨) એમની રંગદર્શી કાવ્યરચનાઓનો સંગ્રહ છે. હાબદ્ધ રચનાઓ, ખંડકાવ્યો, સંવાદ-કથાકાવ્યો, રંગભૂમિનાં ગીતોના ઢાળ પર લખાયેલાં ગીતો વગેરેમાં સર્જકતાની મધ્યમ માત્રા જોવા મળે છે. સુદીર્ઘ કાવ્ય ‘શિખરણી શતક’ તત્કાલીન કાવ્ય સાહિત્યમાં નોંધપાત્ર ઠરેલું છે. એમના જીવનનાં વહેણો' (૧૯૦૧) વાર્તાસંગ્રહમાં જીવનનાં અનેક પાસાંઓનું નર્મ-મર્મ નિરીક્ષણ છે; પણ એક પ્રકારની પ્રતિબદ્ધતાનો અંશ તથા લાંબાંલાંબાં સંભાષણ: સમગ્ર કથાનિરૂપણને અરૈખિક તેમ જ શિથિલ બનાવે છે. એમનું પહેલું નાટક ‘રૂપિયાનું ઝાડ' (૧૯૩૧) પ્રયોગાભિમુખતા, પાશ્ચાત્ય નાટ્યપદ્ધતિનો સક્ષમ વિનિયોગ, માર્મિક નિરૂપણશૈલી વગેરેના કારણે ધ્યાનાકર્ષક છે. ‘પહેલ કલાસ' (૧૯૩૧) તથા ‘પ્રેમનું મૂલ્ય’ (૧૯૫૦) એ બે એમનાં અનૂદિત નાટકો છે. ‘શર્વિલક' (૧૯૫૭) તેમ જ ‘મેનાગુર્જરી' (૧૯૭૭) એમનાં પ્રાણવાન સર્જનો ગણાયાં છે. શિષ્ટ નાટ્યસાહિત્યની પરંપરામાં ‘શવિલક' એક મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. શૂદ્રકના મૃચ્છકટિકમાંના રાજપરિવર્તનના ગૌણ વસ્તુને મુખ્ય કથાઘટના બનાવી શર્વિલકના દૃષ્ટિપૂર્ણ વિપ્લવકાર્યની આસપાસ દરિદ્ર ચારુદત્ત તથા મૃચ્છ કટિકનાં મહત્ત્વનાં પાત્રો તેમ જ કથાતંતુઓને ગૂંથીને આ નાટક રચાયું છે. સંસ્કૃતમંડિત બાહ્ય પરિવેશ અને શૈલી તથા ભવાઈ શૈલીની લાક્ષણિકતાઓ, શિષ્ટ બાની, વિલક્ષણ નર્મશકિત, ગતિશીલ ઘટનાઓ વગેરેથી આ નાટક ગુજરાતી નાટ્યસાહિત્યનાં મહત્ત્વનાં નાટકોમાં સ્થાન પામ્યું છે. ‘મેનાગુર્જરી'માં અભિનયક્ષમતા ‘શર્વિલક કરતાં વધુ છે, જેમાં એમનો નાટ્યકાર તરીકેનો વિશેષ જોવા મળે છે. એમની લેખનપ્રવૃત્તિમાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરેના અભ્યાસથી સંમાજિત રુચિને કારણે એમની દૃષ્ટિ તુલનાત્મક રહી છે; ઉપરાંત સંકલ કહી શકાય તેવી વિચારણા. અને મુદ્દાસર ને વિશદ નિરૂપણ એમની વિવેચક તરીકે આગવી પ્રતિભા ઉપસાવે છે. ‘આનંદમીમાંસા' (૧૯૬૩) એમમે મ. સ. યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં મહારાજા સયાજીરાવ વ્યાખ્યાન માળાનાં ત્રણ વ્યાખ્યાનોનું ગ્રંથસ્થ રૂપ છે. ભારતીય તત્ત્વજ્ઞાનની પ્રમુખ ભૂમિકારૂપ ‘સતુ , ચિત અને આનંદ'માંના આનંદતત્ત્વ પર અહીં દાર્શનિક મીમાંસા થઈ છે અને એના કેન્દ્રમાં અભિનવ ગુપ્તની રસમીમાંસા તેમ જ તેમાંના ‘આનંદમય સંવિદનો ખ્યાલ છે; ઉપરાંત પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસાના ‘સૌંદર્યના ખ્યાલનો પણ રામુચિત વિનિયોગ છે. પારિભાષિક ચોકસાઈ, વિષયાનુરૂપ ભાષા, ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વવિચાર ને સૌંદર્યવિચારનું અધિકૃત જ્ઞાન અને વિષયની શાસ્ત્રીય રજૂઆત એ આ ગ્રંથના મહત્ત્વના ગુણો છે. ‘આકાશભાષિત' (૧૯૭૪)માં એમણે વિવિધ વિષયો પર આપેલા રેડિયોવાર્તાલાપો છે. સંસ્કૃત નાટક સાહિત્ય' (૧૯૮૦)માં મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની વિગત સમીક્ષા છે. ‘પુરોવચન અને વિવેચન' (૧૯૬૫) એ એમનો પ્રત્યક્ષ વિવેચનલેખોનો સંગ્રહ છે. ‘સરસ્વતીચંદ્રનો મહિમા - એની પાત્રસૃષ્ટિમાં' (૧૯૭૬) -માં એમનાં ૧૯૭૨માં અપાયેલાં વિદ્યાબહેન નીલકંઠ વ્યાખ્યાન માળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે. તત્ત્વજ્ઞાન ઇતિહાસના ઊંડા અભ્યાસને કારણે સાહિત્ય ઉપરાંત તત્ત્વજ્ઞાન તેમ જ ઇતિહાસના ગ્રંથો પણ એમની પાસેથી મળ્યા છે. ‘તવજિજ્ઞાસા' (૧૯૪૧) ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમાં અધિવેશનના તત્વજ્ઞાન વિભાગનું પ્રમુખીય પ્રવચન છે. એમના ઇતિહાસવિષયક ગ્રંથોમાં ગુજરાતની રાજધાનીઓ' (૧૯૫૮) અને ‘ઇતિહાસ – સ્વરૂપ અને પદ્ધતિ' (૧૯૬૯) ઉલ્લેખનીય છે. વ્યાકરણ તેમ જ દર્શનશાસ્ત્રના કેટલાક ગ્રંથોના અનુવાદ-સંપાદન નિમિત્તે એમણે કરેલું સંશોધન-સંપાદનકાર્ય પણ મહત્ત્વનું છે. મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશનો અનુવાદ (૧૯૨૪), વૈદિકસંહિતા અને બ્રાહ્મણગ્રંથોમાંથી કરેલું સટિપ્પણ સંપાદન ‘વૈદિક પાઠાવલી’ (૧૯૨૭), હેમચંદ્રનું કાવ્યાનુશાસન' (૧૯૩૮), જ્યરાશિ ભટ્ટકૃત ‘તા૫પ્લવસિંહ' (અન્ય સાથે, ૧૯૪૦), સિદ્ધિચંદ્રકૃત ‘કાવ્ય પ્રકાશ ખંડન' (૧૯૫૩), ભટ્ટ સેમેશ્વરનું ‘સંકેત’ સહિતનું કાવ્યાદર્શ (૧૯૫૯) તેમ જ ‘નૃત્યરત્નકોશ'- ભા. ૧, ૨ (અન્ય સાથે, ૧૯૫૭, ૧૯૬૮) વગેરે એમનાં મહત્ત્વનાં પ્રદાન છે. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ – ગ્રંથ ૧ થી ૬ (અન્ય સાથે) એમનું અન્ય સંપાદન છે.