રાજા-રાણી/પહેલો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પહેલો પ્રવેશ

પહેલો અંક


         સ્થળ : જાલંધર નગર : મહેલનો એક ખંડ.

દેવદત્ત : પ્રભુ, આ શો ગજબ?
વિક્રમદેવ : કેમ? શું થયું છે?
દેવદત્ત : મારો શો ગુનો તે મને પુરોહિતપદ દીધું, મહારાજ? આ કાળજીભા મોંમાંથી આપે કદી સાંભળ્યો છે એકેય ત્રિષ્ટુપ કે અનુષ્ટુપ? આપના સહવાસને પ્રતાપે હું તો ક્યારનોયે યજ્ઞયાગની વિધિઓ ભૂલીને બેઠો છું! મને તે શે પાપે આ પુરોહિતપદ? એટલા માટે તો મેં શ્રુતિ-સ્મૃતિઓને પણ વિસ્મૃતિના દરિયામાં પધરાવી દીધી છે, અને તેત્રીસ ક્રોડ દેવતાને પણ દૂરથી જ નમસ્કાર કરી લઉં છું. નિશાનીમાં તો, બસ, ખંભે પડી છે એક આ જનોઈ, નિસ્તેજ બ્રાહ્મણત્વની ઊતરેલી કાંચળી જેવી.
વિક્રમદેવ : એટલા ખાતર જ મેં તને એ પદ આપ્યું છે, ભાઈ. ન શાસ્ત્ર, ન મંત્ર, કે ન બ્રહ્મત્વની એકેય બલા!
દેવદત્ત : એ—મ? ત્યારે તો આપને નહોર કે દાંત વિનાનો, નમાલો, પાળેલો, પોષેલો પુરોહિત જોઈએ છે, ખરું?
વિક્રમદેવ : પુરોહિત અને બ્રહ્મદૈત્ય, બેય એક સરખા. એક તો રાજ્યની પીઠ પર ચડીને બેઠાં બેઠાં બારેય માસ પાકાં સીધાં પટકાવવાં; અને પછી રાત-દિવસ અનુષ્ઠાન કરવાં; વિધિનિષેધના ઉત્પાત મચાવવા; અનુયોગ, અનુસ્વાર અને વિસર્ગના આડંબર ખડા કરવા; દક્ષિણાનો ખોબો ભરીને ખાલી આશીર્વાદ દેવા!
દેવદત્ત : વાહ! શાસ્ત્રહીન બ્રાહ્મણનું જો પ્રયોજન હોય તો ત્રિવેદી ક્યાં નથી? બાપડો કેવો ભલો આદમી! હમેશ હાથમાં જપમાળા જ ચાલતી હોય, હમેશ ક્રિયાકર્મ જ કર્યા કરતો હોય; માત્ર મંત્રોચ્ચારણમાં જ લગારેય ક્રિયાકર્મજ્ઞાન ન મળે!
વિક્રમદેવ : એ તો વળી ભારી ભયાનક મિત્ર; જેને શાસ્ત્ર ન આવડે, એ તો ઊલટો શાસ્ત્રનો ચોગણો ત્રાસ વર્તાવે? જેને વેદ કે વ્યાકરણ-વિધિની વિદ્યા ન હોય, એને તો નિયમોનાં બંધનો જ શાનાં હોય? એના શબ્દો છૂટે ત્યારે તદ્ધિત પ્રત્યય, અમરકોષ કે પાણિનિ બાપડા ક્યાંય પડ્યા રહે! રાજાનો ત્રાસ, અને વ્યાકરણનો ત્રાસ : એક સાથે એ બાપડો સહન ન કરી શકે.
દેવદત્ત : પરંતુ, પ્રભુ, મને પુરોહિતપદ મળ્યું એ સાંભળીને તો આ રાજ્યનો એકેએક બોડકા માથાવાળો પંડિત શાસ્ત્રી કોલાહલ કરી મૂકશે, હો! રાજ્યના અમંગળની શંકા કરીને બધી બ્રહ્મશિખાઓ, બસ, ખડી જઈ જવાની!
વિક્રમદેવ : શી અમંગળ શંકા?
દેવદત્ત : શંકા તો એ કે કર્મકાંડહીન આ દીન દેવદત્તને દોષે કુલ-દેવતાનો કોપ સળગવાનો.
વિક્રમદેવ : બસ કરો, બસ કરો એ ડરામણી! કુલ-દેવતાના કોપને તો હું મસ્તકે ચડાવવા તૈયાર છું; પણ કુલ-પુરોહિતના ઉપદ્રવો નહીં ખમાય, ભાઈ! સળગતો સૂર્ય સહન થઈ શકે, પણ તપતી રેતીમાં પગ નથી મૂકાતા. ખેર! છોડો એ વ્યર્થ ચર્ચા. આવો, સખા! કાવ્ય-આલોચના કરીએ. ગઈ કાલે તેં કોઈ પ્રાચીન કવિ-વાક્ય કહેલું કે ‘નારીનો વિશ્વાસ ન કરવો’ આજે ફરી કહે તો, એ શું છે?
દેવદત્ત : शास्त्रम्...
વિક્રમદેવ : માફ રાખ, ભાઈ, એ તારા અનુસ્વારો રહેવા દે.
દેવદત્ત : અનુસ્વાર તો કંઈ ધનુ :શર નથી! માત્ર એનો ટંકાર થયો ત્યાં જ બી ગયા, વીરનર! શાસ્ત્રનો એવડો ડર! પત્યું. સાદી ભાષામાં જ બોલીશ. જુઓ, કવિ વદે છે કે શાસ્ત્ર ઉપર જેમ જેમ ઊંડો વિચાર કરો, તેમ તેમ એનું રહસ્ય વધુ ઊંડું ચાલ્યું જાય; રાજાની ચાય તેટલી પૂજા કરો, પણ એના મનમાંથી ભય ન જાય; અને નારી તમારા ખોળામાં બેઠી રહેલી હોય, પણ એના અંતરના ઊંડાણ ન વરતાય. શાસ્ત્ર, રાજા અને નારી — એ ત્રણેય કદીયે વશ ન થાય.
વિક્રમદેવ : વશ ન થાય? ધિક્કાર છે કવિની આવી ધૃષ્ટતાને! આ ત્રણેયને વશ કરવા ચાહે છે જ કોણ? એવું ચાહનાર વિદ્રોહી જ બને. રાજા કે રમણી એ વશ કરવાની વસ્તુઓ નથી.
દેવદત્ત : એમ? તો પછી પુરુષ ભલે રમણીને વશ રહે!
વિક્રમદેવ : રમણીનાં હૃદય-રહસ્યો કોણ જાણી શક્યું છે? રે! એ તો વિધાતાની ઘટના જેવાં અગમ્ય; પરંતુ અગમ્ય હોવાને કારણે જ જો આપણને એ વિધાતાના વિધાનમાં, યા રમણીના પ્રેમમાં અશ્વિવાસ જન્મે, તો પછી આશરો ક્યાં લેવો? નદી શી રીતે વહે છે, કે વાયુ ક્યાંથી વાય છે એ ભેદ કોણ સમજી શકે? છતાં એ જ નદી દેશના કલ્યાણનો પ્રવાહ લાવે છે, ને એ જ વાયુ જીવોનું જીવન આણે છે, ખરું?
દેવદત્ત : એ જ નદી પ્રલય-પૂર લાવે છે, અને એ જ વાયુ વાવાઝોડાં જગાવે છે, ખરું?
વિક્રમદેવ : માથે ચડાવું છું કે, એ જીવન અને મૃત્યુ બન્નેને લાવે છે; પરંતુ તેટલા ખાતર જ એને વશ કરવા ચાહે તેવો નાદાન કોણ હોય? નદી ને વાયુ બંધ પડે, એ તો રોગ, શોક અને મૃત્યુની નિશાની. રે બ્રાહ્મણ! નારીનાં તત્ત્વો તું શું જાણતો’તો?
દેવદત્ત : કશું નહીં, રાજન્! હું ક્યાંથી જાણું? કુલીન બ્રાહ્મણનો હું દીકરો, માવતરના કુળની આબરૂ જાળવતો, દિવસની ત્રણેય સંધ્યા સાચવતો; આખરે તમારા સંઘથી, તમામ દેવતાને વિસર્જન દીધું; રહ્યાં છે બાકી એક કામદેવ. મહિમ્નસ્તોત્ર ભૂલ્યો, અને હવે તો નારીનો મહિમા ગાતાં શીખ્યો. એ વિદ્યાયે પોથીમાં પડી ગઈ છે. વચમાં વચમાં આપની આંખ લાલ જોઉં, ત્યાં તો એ વિદ્યા પણ સ્વપ્નની જેમ અલોપ થઈ જાય, હો પ્રભુ!
વિક્રમદેવ : ના, ના, ન ડરીશ. લે, હું ચુપ રહીશ. બોલ, તારી નવી વિદ્યા કહ્યે જા.
દેવદત્ત : સાંભળો ત્યારે : કવિ ભર્તૃહરી કહે છે કે “નારીના વચનમાં મધુ છે, કિન્તુ હૃદયમાં હળાહળ છે. એના અધરમાં સુધા છે, પરંતુ અંતરમાં તો દાવાનળ બળે છે.”
વિક્રમદેવ : આ તારી પ્રાચીન કથા!
દેવદત્ત : પ્રાચીન જ તો. શું કરું, મહારાજ? જે જે પોથી ખોલું, તેમાં બસ આ એક-ની એક કથા લખી છે. પ્રાચીન યુગના પંડિતો બિચારા પ્રેયસીની ચિંતા કર્યા વિના પળવાર પણ શાંત રહી શક્યા નથી. કાયમ બસ સંદેહ અને અવિશ્વાસમાં જ આકુલ વ્યાકુલ. પણ હું તો વિચાર જ કરું છું કે જેના ઘરની નારી પારકાની શોધમાં ભટકતી હોય, એનાથી ઠંડે કલેજે છંદો ગૂંથી ગૂંથીને કાવ્યો શૅ લખાતાં હશે, બાપુ?
વિક્રમદેવ : અરે ગાંડા! એ તો કૃત્રિમ અવિશ્વાસ! એ તો ઇરાદાપૂર્વકની આપ-ઠગાઈ! પામર હૃદયોનો પ્રેમ નિરંતર વિશ્વાસમાં પડ્યો પડ્યો મરી જાય છે, જડ બની જાય છે. તેથી તેને ફરી જગાડવા માટે જરા બનાવટી અવિશ્વાસ જોઈએ! જો, ઓ આવે પ્રધાનજી. જો! કાંધે પહાડ જેટલો રાજ્યભાર ઉપાડ્યો છે! ચાલ, નાસી જવા દે.
દેવદત્ત : હા હા! પહોંચો અંત :પુરમાં. દોડો, રાણીજીના રાજ્યનો આશરો લઈ લ્યો. અધૂરાં રાજકાર્યો ભલે બારણાની બહાર રઝળતાં. દિવસે દિવસે ભલે ગંજ ખડકાતો એ ફરિયાદોનો. એક દિવસ આખરે તમારાં દ્વાર તજીને એ પોકારો, એક પછી એક, ઊંચે આકાશમાં ચડશે — પ્રભુના ન્યાયાસન પાસે પહોંચવા.
વિક્રમદેવ : કેમ આવો ઉપદેશ?
દેવદત્ત : ના ના, પ્રભુ! એ તો ઠાલા બડબડાટ! જાઓ, સિધાવો, નકામો સમય જાય છે.

[રાજા જાય છે, પ્રધાન પ્રવેશ કરે છે.]

પ્રધાન : મહારાજા હતા ને આંહીં?
દેવદત્ત : હા, પણ અંત :પુર તરફ અંતર્ધાન થઈ ગયા.
પ્રધાન : [બેસી જઈને] હાય વિધિ! આ રાજ્યની કેવી દશા કરી? આજ ક્યાં રાજા, ક્યાં રાજદંડ, ક્યાં સિંહાસન! સ્મશાનભૂમિ સમા ઉદાસ ને વિશાળ આ રાજ્યની છાતી ઉપર, ગર્વથી ઊભું છે, બસ, એક અંત :પુર; કાળું ઘોર, બધિર અને પાષાણોથી રુંધાયેલું! એને દ્વારે બેસીને અનાથ રાજલક્ષ્મી હાહાકાર સ્વરે રડે છે.
દેવદત્ત : ભારી તાલ જામ્યો છે, હો પ્રધાનજી! જોવાની બહુ લહેર આવે છે. દિવસ અને રાત જાણે રાજા અને રાજલક્ષ્મી સંતાકૂકડી રમી રહ્યાં છે, ખરું?
પ્રધાન : આ તે શું હસવાનો પ્રસંગ છે, ગોર?
દેવદત્ત : હસું નહીં, તો કરું શું? બાળકની માફક અરણ્યરુદન ક્યાં સુધી કર્યા કરું? દિવસ-રાત વિલાપ નથી સહેવાતો, બંધુ! તેથી જ વચ્ચે કોઈ કોઈ વાર રુદન પલટીને સૂકા, શ્વેત હાસ્યનું રૂપ ધરે છે — આંસુ થીજીને જાણે કઠણ હિમ બની જાય છે. કહો તો, શું બન્યું છે?
પ્રધાન : તમે તો બધું જાણો છો. રાણીનાં પિયરિયાંઓ — વિદેશી કાશ્મીરવાસીઓ — બધાં આખા દેશમાં પથરાઈ વળ્યાં છે; અને સુદર્શન ચક્ર વડે છેદાયેલી કોઈ સતીના શબ સમી પડેલી આ રાજસત્તાને ટુકડેટુકડા કરીને, એ તમામે વહેંચી લીધી છે. એ પરદેશીઓના અત્યાચારથી ઝેર થઈ ગએલી કંગાલ પ્રજાના આક્રંદસ્વરો સત્તાવિહોણી રાજસભામાં સંભળાય છે; પરદેશી પ્રધાનો બેઠા બેઠા હસે છે, અને હું મંત્રી, મારું ચિરાતું હૃદય દાબીને, નીચે મસ્તકે, એ સૂના પડેલા સિંહાસનની બાજુએ બેઠો રહું છું.
દેવદત્ત : ખરું ખરું! હવે જુઓ, હું વર્ણન કરી બતાવું. વાવાઝોડું જામ્યું છે, નૌકા ડૂબી રહી છે, મુસાફરો બધાં કલ્પાંત કરે છે, અને ઊંચે એકલો બેઠો બેઠો સુકાની ખાલી હાથે પોકારે છે કે ‘ઓ રે! મારું સુકાન ક્યાં?’ ઓ ભાઈ! ઠાલા શું કામ શોધી મરો છો? રાજ-નૌકાનું સુકાન તો પેલી રાણી ઉપાડી ગઈ છે, અને એ સુકાનથી તો પોતાના આનંદ-સરોવરમાં, વસન્તની લહેરીઓ વચ્ચે, પ્રીતિની નૌકા ચલાવી રહી છે! ભલેને હવે મધદરિયે જઈને મંત્રીજી રાજ્યના તમામ બોજાની સાથોસાથ ડૂબી મરે!
પ્રધાન : મશ્કરી કરો મા, ગોર! શિવ! શિવ! આવે શોકને વખતે હસવું અશુભ કહેવાય.
દેવદત્ત : હું તો કહું છું કે રાજાજીને છોડાવવા હોય તો જઈને સીધા રાણીને ચરણે પડોને!
પ્રધાન : એ તો મારાથી નહીં બને. પોતાનાં જ સગાંવહાલાંને એક સ્ત્રી ઊઠીને શિક્ષા કરે, એવું મેં કદી નથી સાંભળ્યું.
દેવદત્ત : મંત્રીજી, તમે તો એકલાં શાસ્ત્રો જ ગોખ્યાં છે, મનુષ્યોને પારખ્યાં નથી જણાતાં. પોતાનાં સગાંઓને તો ઊલટું સ્ત્રી જ શિક્ષા કરી શકે. સ્ત્રી જાત અન્ય કોઈને હાથે સ્વજનોનો ઇન્સાફ થતો ન સાંખી શકે.
પ્રધાન : ઓ! સાંભળો કોલાહલ.
દેવદત્ત : આ શું પ્રજાએ બંડ જગાવ્યું?
પ્રધાન ચાલો, જોઈ આવીએ.

[જાય છે.]